પોથન

વિકિપીડિયામાંથી

ભક્ત કવિ પોથન ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યની મુખ્ય ભાષા તેલુગુ ભાષાના મહાન ભક્ત કવિ હતા.

આંધ્ર મહા-ભાગવતના રચયિતા કવિ પોથનનો જન્મ આંધ્ર પ્રદેશ રાજ્યના વારંગલ જિલ્લાના બમેરા નામના ગામમાં ઇ. સ. ૧૪૩૦ની સાલમાં થયો હતો. ભક્ત કવિ પોથન સમયની બાબતમાં નરસિંહ મહેતાના સમકાલીન હતા. માતાપિતા તરફથી વારસામાં તેમને પ્રેમ-ભક્તિના સંસ્કાર સાંપડ્યા, જેને કારણે નાની વયમાં જ બાળક પોથન ભગવાનના પરમ ભક્ત હતા. તેમનો પરિવાર શૈવ ધર્મનો અનુયાયી હોવા છતાં બાળક પોથનને શિવ, રામ, કૃષ્ણ કે વિષ્ણુ એમ બધા જ ભગવાનની ભક્તિમાં રસ ધરાવતા હતા. શાળાનો અભ્યાસ પુર્ણ થયા પછી તેઓએ ધર્મશાસ્ત્રો તેમ જ સંસ્કૃત ભાષાનો ગહન અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત પોતાની માતૃભાષા તેલુગુમાં તેઓ ભગવાનના ગુણગાનની કવિતાઓ પણ લખતા હતા. આ દરમ્યાન એક દિવસ એમને શ્રીમદ્ ભાગવતનો અનુવાદ કરવાની શરુઆત કરી. કવિ પોથને માત્ર અનુવાદ જ ન કરતાં ભાગવતના સારને પોતાની કવિ પ્રતિભા વડે તેલુગુ ભાષામાં સુંદર રસમય રૂપાંતરણ કર્યું હતું, જેને કારણે આજે પણ આંધ્ર પ્રદેશમાં ઘેર ઘેર આંધ્ર મહા-ભાગવત બોલાતું જોવા મળે છે.

જીવનની છેલ્લી પળ સુધી ભગવાનની ભક્તિમાં લીન રહેલા ભક્ત કવિ પોથનનું અવસાન સિત્તેર વર્ષની ઉંમરે થયું હતું.