પ્રેમાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી

સ્વામિનારાયણ સંપ્રદાય ની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઇ.સ. ૧૭૮૪ માં ખંભાત પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા તેમનો ત્યાગ કરવામાં આવતાં તેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો હતો. આમ તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં. ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દીક્ષા આપી હતી. તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની એક રચના 'વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રીતે જેને ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં ષાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે".

તેમનું અવસાન ઇ.સ. ૧૮૫૬ માં ગઢડા ખાતે થયું.

સર્જન[ફેરફાર કરો]

કવિનાં જીવન-કવન પર હિન્દી અને ગુજરાતી ભાષામાં શોધ ગ્રંથો લખાયાં છે. તેમની રચનાઓ "પ્રેમાનંદ કાવ્યમ્"નાં નામથી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રકાશિત થઇ છે.

તેમણે અનેક રાસ, પદ , ગરબા, લોકઢાળ અને શાસ્ત્રીય રાગ આધારીત અનેક રચનાઓ કરી છે. વિપુલ પ્રમાણમાં હિન્દી, વ્રજ, સંસ્કૃત,મારવાડી, મરાઠી અને ગુજરાતી પદો રચ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિ, સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો પણ તેમણે ઘણાં લખ્યાં છે. 'તુલસીવિવાહ', 'નારાયણચરિત્ર' તેમની જાણીતી રચનાઓ છે.