ભવનાથનો મેળો

ભવનાથનો મેળો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.
સ્થળ
[ફેરફાર કરો]જૂનાગઢના ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભૂ શિવલિંગની પૃષ્ઠભૂમિ અદભુત (નિસર્ગ) વનશ્રીથી રળિયામણી દેખાય છે.[૧]
સમય
[ફેરફાર કરો]આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહા વદ અમાસ સુધી ભરાય છે.[૧][૨]
ધાર્મિક મહત્વ
[ફેરફાર કરો]ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા સાધુઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે.[૩] દર્શન માટે આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્રો પણ ખુલ્લા મૂકાય છે.[૧]
મહા વદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગા સાધુઓ હાથીઓ પર સવારી કરી શંખધ્વનિ કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે. આ સ્થળે મુચકુંદ, ભર્તુહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મેળો માણવા આવે છે.[૪][૧]
આહિર અને મેર લોકો માટે આ સ્થળ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે. મેળાના દિવસો દરમિયાન રાત્રે લોકસંગીત, રાસ-ગરબા અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.[૪]
ઇતિહાસ
[ફેરફાર કરો]ભવનાથના મેળાના સંદર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા આવેલી છે. આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે. આથી તેને ‘વસ્ત્રાપૂત ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.[૧]
મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગા સાધુઓનું સરઘસ, તેઓનું મૃગી કુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગી કુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગી કુંડમાં નહાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં નહાવા પડે છે પછી બહાર દેખાતા નથી.[૪][૧]
સગવડ
[ફેરફાર કરો]ભવનાથના મેળામાં આવતા લોકો માટે રહેવાની તેમજ જમવાની મફત સુવિધા કરવામાં આવે છે. ૩૦૦ થી ૩૫૦ લોકો રહી શકે તેવા તંબુઓ બાંધવામાં આવે છે. લોકો માટે ખરીદી માટે વિવિધ પ્રસાદ અને ચીજવસ્તુઓની દુકાનો પણ લગાવવામાં આવે છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ પોતાના પ્રદર્શનો પણ યોજે છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 3 4 5 6 કાલરીયા, અશોક (૨૦૧૯). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક, ગુજરાત રાજ્ય. pp. ૧૨–૧૩.
- ↑ જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક, ગુજરાત રાજ્ય. pp. ૧૮૧.
- 1 2 વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. p. ૩૨૬.
- 1 2 3 સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. pp. ૮૫. ISBN 97-89-381265-97-0.