ભાસ

વિકિપીડિયામાંથી

ભાસ એક સંસ્કૃતના સૌથી જુના અને પ્રતિષ્ઠિત ભારતીય નાટકકાર છે. જોકે, તેમના વિષે બહુ ઓછી જાણકારી મળે છે.

કાલિદાસ તેના પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમ ના પરિચયમાં લખે છે કે - શું આપણે ભાસ, સૌમીલ્લા અને કવિપુત્ર જેવા વિખ્યાત લેખકો ની કૃતિઓની ઉપેક્ષા કરી શકીએ? શું પ્રેક્ષકોના મનમાં આધુનિક કવિ કાલિદાસ ની રચનાઓ પ્રત્યે કોઈ માન ઉભું થશે?

તેથી તેઓ કાલિદાસ પહેલાં થઇ ગયા હતા. કાલિદાસનો સમયકાળ ઈસ પુર્વે ૧લી થી ઈસુની ૪થી સદી સુધી બદલાય છે, તેમ ભાસનો ઈસ પુર્વે ૨જી થી ઈસુની ૨જી સદી વચ્ચે આવે છે. વપરાયેલ ભાષા પર આધાર રાખીને, તેની તારીખ પણ ૫ મી સદી પૂર્વે ની આસપાસ હશે તેવું માનવામાં આવે છે. ભાસના આ નાટકો સદીઓ માટે લુપ્ત થયા હતા. તેઓ ઓળખાણ માત્ર કાવ્ય સમાલોચના શાસ્ત્રના પ્રસિદ્ધ લખાણ કાવ્યમીમાંસામાં તેમના ઉલ્લેખ દ્વારા મળતી હતી. કાવ્યમીમાંસાની રચના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, અને વિવેચક રાજશેખર દ્વારા ઇ.સ. ૮૮૦-૯૨૦ માં કરવામાં આવી હતી. આ કાવ્યમીમાંસામાં, તે સ્વપ્નવાસવદત્તા નાટકની રચનાનો યશ ભાસને આપે છે.

ખોવાયેલા નાટકોની શોધ[ફેરફાર કરો]

૧૯૧૨ માં, મહામહોપાધ્યાય ગણપતી શાસ્ત્રીને ત્રિવેન્દ્રમમાં ૧૩ સંસ્કૃત નાટકો મળ્યા જે કૂદીયાત્તમ નાટકોમાં ભજવતા હતા. અન્ય શાસ્ત્રીય નાટકોથી વિપરીત, તેમાંથી કોઈમાં તેમના લેખકનો ઉલ્લેખ નથી, સિવાય કે સ્વપ્નવાસવદત્તા. આ બધા નાટકોની લેખન શૈલી અને ઉપયોગમાં લીધેલી તકનિકની સરખામણી કરતા બધા નાટકો એક જ લેખકના જણાય છે, તથા તેમાનું એક સ્વપ્નવાસવદત્તા ભાસનું છે એ જાણકારીને આધારે બધાની રચનાનો શ્રેય ભાસને જાય છે. કેટલાક વિદ્વાનો બધા નાટકો ભાસના હોવાનું માનતા નથી પણ વર્ષોથી આ નાટકો ભાસના નાટકો તરીકે પ્રચલિત છે.

નાટકો[ફેરફાર કરો]

ભાસના નાટકો નાટ્ય શાસ્ત્ર દ્વારા સૂચવેલા નિયમોનું પાલન કરતા નથી. આ વાતને તેમની પ્રાચીનતાની સાબિતી તરીકે લેવામાં આવે છે; કાલિદાસ પછી લખાયેલા કોઈ પણ નાટક નાટ્ય શાસ્ત્રના નિયમોનો ભંગ કરતા જોવા મળતા નથી. ભાસ ઉરુભંગ જેવા કેટલાક નાટકોના દ્રશ્યોમાં મંચ પર હિંસા દર્શાવવાની પરવાનગી આપે છે. મંચ પર હિંસા દર્શાવવા વિશે નાટ્ય શાસ્ત્રમાં લાલ આંખ કરવામાં આવી છે.

ઉરુ-ભંગ અને કર્ણ-ભાર એ પ્રાચીન ભારતના માત્ર બે જાણીતા કરૂણ સંસ્કૃત નાટકો છે. મહાભારતમાં ખલનાયક ની છાપ ધરાવતો દુર્યોધન ઉરુ-ભંગ માં વાસ્તવિક નાયક છે, જેને ઘવાયેલ જાંઘ સાથે મૃત્યુની રાહ જોતી વખતે તેના ભૂતકાળ માટે પસ્તાવો કરતો બતાવાયો છે. તેના કુટુંબ સાથે તેના સંબંધો મહાન કરુણરસ સાથે બતાવવામાં આવે છે. મહાભારતમાં આવા પશ્ચાતાપનો કોઈ ઉલ્લેખ નથી. કર્ણ-ભાર નો અંત મહાભારતના પાત્ર કર્ણના કરુણ અંતના પૂર્વાભાસ સાથે થાય છે. ભારતના નાટ્ય શાસ્ત્ર દ્વારા પ્રેરિત પ્રારંભિક નાટકોમાં કરુણ અંત અયોગ્ય ગણવામાં આવે છે.

ભાસના નાટકો બીજા નાટ્યકારોના નાટકો કરતા ટૂંકા હોય છે અને તેમનો વિષય ભારતીય મહાકાવ્યો મહાભારત અને રામાયણ પર આધારિત હોય છે. આમતો તે મહાકાવ્યોના નાયકોની બાજુએ નિશ્ચિતપણે છે, તેમ છતાં તે તેમના વિરોધીઓ સાથે સહાનુભૂતિ સાથે વર્તે છે. આ સિદ્ધ કરવા માટે તે વાર્તાપ્રવાહ સાથે ઘણી છૂટછાટ લે છે. પ્રતિમા-નાટક માં કૈકેયી કે જે રામાયણ માં દુ:ખદ ઘટનાઓ માટે જવાબદાર છે, તેને ફજેતી વેઠતા બતાવી ઉમદા અંત પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

રામાયણ પર આધારિત નાટકો[ફેરફાર કરો]

  • પ્રતિમા-નાટક
  • અભિષેક-નાટક
  • યજ્ઞફળ[૧]

મહાભારત પર આધારિત નાટકો[ફેરફાર કરો]

  • પંચ-રાત્ર
  • મધ્યમા-વ્યયોગા
  • દૂત-ઘટોત્કચ
  • દૂત-વાક્ય
  • ઉરુ-ભંગ
  • કર્ણ-ભાર
  • હરીવંશ આધારિત બાલ-ચરિત

અન્ય નાટકો[ફેરફાર કરો]

દૂત-વાક્ય અને બાલ-ચરિત એ માત્ર બે સંસ્કૃત નાટક છે જે પ્રખ્યાત નાટ્યકાર દ્વારા કૃષ્ણને મુખ્ય પાત્ર તરીકે લઈને લખાયા છે.

ભાસના અન્ય નાટકો મહાકાવ્યો પર આધારિત નથી. અવિમારક એક પરીકથા છે, જે પાછળથી મણિ કૌલની ફિલ્મ, ધ ક્લાઉડ ડોર (૧૯૯૪) નો ભાગ બની છે. અપૂર્ણ રહેલ દરિદ્ર-ચારૂદત્ત (ગરીબીમાં ચારૂદત્ત) એ ગણિકા વસંતસેનાની વાર્તા કહે છે. આજ વાર્તાને વધુ વિકસાવી શૂદ્રક દ્વારા પ્રખ્યાત મૃછકટીકા લખવામાં આવી છે, જેના પર ૧૯૮૪માં ગીરીશ કર્નાડ દ્વારા ઉત્સવ ફિલ્મ બનાવવામાં આવી છે.

તેના સૌથી પ્રસિદ્ધ પ્રતિજ્ઞાયૌગંધરાયણ (યૌગંધરાયન ના શપથ) અને સ્વપ્ન-વાસવદત્તા (સ્વપ્નવાસવદત્તા) (સપનામાં વાસવદત્તા) નાટકો મહાન રાજા ઉદયન ની આસપાસ વણાયેલી દંતકથાઓના આધારે લખાયા છે. પ્રથમ નાટક કેવી રીતે રાજા ઉદયન અને રાજકુમારી વાસવદત્તા (તેની પ્રથમ પત્ની)ના લગ્ન થયા તેની વાર્તા કહે છે. બીજું નાટક એ વાતનું વર્ણન કરે છે કે કેવી રીતે રાજા ઉદયન તેના વફાદાર મંત્રી યૌગંધરાયનની મદદ થી મગધરાજની પુત્રી રાજકુમારી પદ્માવતી સાથે લગ્ન કરી તેમની સાથેની શત્રુતા મટાડે છે.

જોકે તેના નાટકો ૨૦મી સદીમાં શોધાયા હોવા છતાં, તેમાના બે નાટકો ઉરુ-ભંગ અને કર્ણ-ભાર , તેમની આધુનિક અપીલ ના કારણે લોકપ્રિય બન્યા છે અને ભાષાંતર સાથે અથવા સંસ્કૃતમાં ભજવાય છે.

નોંધ[ફેરફાર કરો]

  1. Raj Vaidyjivram Kalidas. The Yajnaphala Of Mahakavi Bhasa.

સંદર્ભો[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • A.D. Pusalker : Bhasa - a study. Munshiram Manoharlal Publishers Pvt. Ltd. New Delhi, India 1968
  • V. Venkatachalam : Bhasa (A monograph in the ‘Indian Men of Letter Series’), Sahitya Akademi, New Delhi, 1986; Second Edn. 1994; (pp. 16+192) (Translated into Bengali, Gujarati, Kannada and Telugu-Pub. By Sahitya Akademi)