યંગ ચેન નીંગ

વિકિપીડિયામાંથી
યંગ ચેન નીંગ
યંગ, 2005
જન્મની વિગત (1922-10-01) 1 October 1922 (ઉંમર 101)
હોફાઈ, એન્વાઈ, ચીન
શિક્ષણ સંસ્થા
  • નૅશનલ સાઉથવેસ્ટ ઍસોસિયેટેડ યુનિવર્સિટી
  • ત્સીંગહુઆ યુનિવર્સિટી
  • યુનિવર્સિટી ઑફ શિકાગો
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1957)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રસાંખ્યિકી યંત્રશાસ્ત્ર
કણ-ભૌતિકી
ડોક્ટરલ સલાહકારઍડવર્ડ ટેલર
અન્ય શૈક્ષણિક સલાહકારોએનરિકો ફર્મી

યંગ ચેન નીંગ (અંગ્રેજી: Yang Chen-Ning) (જન્મ: ૧ ઑક્ટોબર ૧૯૨૨) ચીની ભૌતિકશાસ્ત્રી છે, જેમને મૂળભૂત કણોને લગતી મહત્વની શોધ ભણી દોરી જનાર સમાનતા (parity)ના સિદ્ધાંતની શોધ કરી હતી. સમાનતાના આ નિયમોના સંશોધન માટે યંગ અને ટી. ડી. લીને ૧૯૫૭ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.[૧]

જીવન[ફેરફાર કરો]

યંગનો જન્મ ૧ ઑક્ટોબર ૧૯૨૨ના રોજ હોફાઈ, એન્વાઈ, ચીનમાં થયો હતો. તેમણે નૅશનલ સાઉથવેસ્ટ ઍસોસિયેટેડ યુનિવર્સિટી તેમજ ચીનમાં આવેલા કુમિંગ સ્થિત ત્સીંગહુઆ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ યુ.એસ. ગયા અને યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી પરમાણુ-ભૌતિકવિજ્ઞાની ઍડવર્ડ ટેલરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડીની ઉપાધી મેળવી. ૧૯૪૯થી પ્રિન્સ્ટન ખાતેની તેઓ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડ્વાન્સ્ડ સ્ટડીમાં જોડાયા. ૧૯૬૫માં તેઓ સ્ટોની બ્રૂક યુનિવર્સિટી (સ્ટૅટ યુનિવર્સિટી ઑફ ન્યૂયોર્ક)માં જોડાયા.[૧]

સંશોધન[ફેરફાર કરો]

સમાનતાના નિયમો મૂળભૂત ભૌતિક સિદ્ધાંતોના નિયમો છે, કે જે કુદરતી સંમિતિ (symmetry) સાથે સંબંધ ધરાવે છે. આ નિયમો ખાસ કરીને મૂળભૂત કણોને લાગુ પડે છે. આ નિયમો મુજબ ઈલેક્ટ્રોન (અથવા બીજો કોઈ મૂળભૂત કણ) એવું કોઈ લક્ષણ ધરાવતો નથી જેથી તેની વામાવર્ત (left-handed) અને દક્ષિણાવર્ત (right-handed) સ્થિતી વચ્ચે કોઈ ભેદ પાડી શકાય. યંગ અને લીએ પ્રયોગોને આધારે તેમજ મૂળભૂત કણોના ક્ષયને લીધે મળતાં પરિણામોને આધારે શોધી કાઢ્યું કે મૂળભૂત અને નિરપેક્ષ ધારી લીધેલા આ સમાનતાને લગતા સંરક્ષણના સિદ્ધાંતનો ભંગ થાય છે.[૧]

તેમણે ૧૯૫૬માં નૅશનલ બ્યુરો ઑફ સ્ટાન્ડર્ડ્ઝ ખાતે રેડિયોઍક્ટિવ કોબાલ્ટનો ૦.૦૧ કેલ્વિન સુધીના નિમ્ન તાપમાને પ્રયોગ કર્યો. આટલા નિમ્ન તાપમાને ન્યૂક્લિયસની અસ્તવ્યસ્ત ગતિ રોકી શકાય છે. કોબાલ્ટ ન્યૂક્લિયસને એકરેખ કરવા માટે પ્રબળ ચુંબકિય ક્ષેત્ર લાગાડવામાં આવ્યું, પરિણામે એક છેડે વધુ સંખ્યામાં ઈલેક્ટ્રોન અને બીજે છેડે ઓછી સંખ્યામાં ઈલેક્ટ્રોન છૂટા પડતા દેખાયા. આ પરિણામ સમાનતાના સિદ્ધાંત વિરુદ્ધનું છે. સમાનતાના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યક્ષ પદાર્થ અને અરીસામાં તેના પ્રતિબિંબને ભૌતિકશાસ્ત્રના નિયમો એકસરખી રીતે લાગુ પડે છે. પ્રયોગ ઉપરથી જોવા મળે છે કે અરીસામાં મળતાં મેસૉનનાં પ્રતિબિંબ અને મેસોન પોતે જોડકાની જેમ હોય છે અને તે સાથે સાથે વામાવર્ત અને દક્ષિણાવર્ત હોય છે. આ પરિણામ પણ સમાનતાના સિદ્ધાંતથી વિપરીત છે. યંગ અને લીએ બતાવ્યું કે મંદ ન્યૂક્લિયર આંતરક્રિયા દરમિયાન સમાનતાને લગતા સંરક્ષણના સિદ્ધાંતનો ભંગ થાય છે. આ રીતે તેમણે સમાનતાના સંરક્ષણ-સિદ્ધાંતની મર્યાદા છતી કરી અને તેને લીધે ભૌતિકશાસ્ત્રના મહત્ત્વના સંરચના-સંમિતિ સિદ્ધાંતો અને તેમાંથી ઉદભવતા સંરક્ષણના નિયમો સામે મોટો પ્રશ્ન ઊભો થયો.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ પટેલ, પ્રહલાદ છ. (April 2003). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯.