રવજીભાઈ સાવલિયા

વિકિપીડિયામાંથી
રવજીભાઈ સાવલિયા
જન્મની વિગત૧ જૂન ૧૯૪૬
મૃત્યુ૬ જૂન ૨૦૦૭
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણમેટ્રિક

રવજીભાઈ સાવલિયા (૧ જૂન, ૧૯૪૬ - ૬ જૂન, ૨૦૦૭) ગુજરાતના એક સંશોધક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમણે અમરેલી જિલ્લાના બાબાપુર ગામમાં મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હતો, પણ વિજ્ઞાનના વિવિધ વિષયો પર તેમનું જ્ઞાન તજ્જ્ઞની કક્ષાનું હતું. આ જ્ઞાનને પ્રેક્ટિકલ રીતે અમલમાં મૂકી તેમણે સમાજલક્ષી શોધ-સંશોધનો કર્યા હતા અને વિજ્ઞાન અને ટેક્નોલોજિને ગામડાંના સામાન્ય લોકો સુધી તેમણે પહોંચતા કર્યા હતા.

સંશોધન[ફેરફાર કરો]

રવજીભાઇએ ૧૯૮૨ના અરસામાં વાહનોમાં હવા ભરવાના ફૂટપંપ બનાવ્યો હતો, સાયકલથી માંડીને ટ્રક સુધીના ગમે તે વાહનના ટાયરમાં એ ફૂટપંપ વડે બહુ સરળતાથી હવા ભરી શકાતી હતી, એટલે ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો આ ફૂટપંપ ક્રાંતિકારી ઉપકરણ સાબિત થયો. આ લોકોપયોગી શોધ કરવા બદલ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘેે ૧૯૮૪માં તેમને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યોગ રત્નના ખિતાબ વડે સન્માનિત કર્યા હતા.[૧][૨]

પરંપરાગત ધાતુનાં તવાની કાર્યક્ષમતા ઘણી ઓછી હોવાથી તેમણે એલ્યુમિનિયમ ધાતુનો તવો શોધી કાઢ્યો હતો, જેની પાછળની બાજુએ પાસાદાર લાઈનો ઉપસાવેલી હતી, જેના લીધે જ્યોતનો સંપર્ક વિસ્તાર વધવાથી તવાની કાર્યક્ષમતા વધી ગઈ હતી. પરિણામે રાંધણગેસની બચત થતી હતી. સૌરાષ્ટ્રનાં ગામનાં ઘરોમાં સ્ત્રીઓને પરંપરાગત વલોણાં વડે રોજિંદા ધોરણે છાશ તૈયાર કરવામાં પડતા અડધાપોણા કલાકના શારીરિક કષ્ટને હંમેશ માટે નાબૂદ કરી દેતા યાંત્રિક વલોણાં રવજીભાઇએ ૧૯૭૨-૭૩ના અરસામાં બનાવ્યાં હતા. જેમનાં થકી સાતેક મિનિટમાં છાશ તૈયાર કરી શકાતી હતી. ડાયમંડ પોલિશિંગ લેથ, અકીક ગ્રાઇન્ડિંગ મશીન, ઓઇલરહિત ઍર કોમ્પ્રેસર, વીજળીની બચત કરીને વધુ અનાજ દળતી મોનોબ્લોક ઘરઘંટી વગેરે તેમના અન્ય સંશોધનો છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. હર્ષલ પુષ્કર્ણા (July 2007). "સંપાદકનો પત્ર". સફારી. ક્રમાંક ૧૫૯.
  2. "જ્ઞાનવિજ્ઞાનના વાચસ્પતિ રવજીભાઇ સાવલિયા (જૂન ૧, ૧૯૪૬-જૂન ૬, ૨૦૦૭)" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-22.
  3. page 31. "National Innovation Foundation, India, State Innovation Book, Gujarat Innovates" (PDF). nif.org.in. મૂળ (PDF) માંથી 2019-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-22.