સંથાલ વિદ્રોહ

વિકિપીડિયામાંથી
સંથાલ વિદ્રોહ
Part of ભારતીય સ્વતંત્રતા ચળવળ
૧૮૫૬માં ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ દ્વારા પ્રકાશિત થયેલા સંથાલ બળવાનું ઉદાહરણ.
Locationસંથાલ પરગણા, ઝારખંડ
24°46′N 87°36′E / 24.767°N 87.600°E / 24.767; 87.600Coordinates: 24°46′N 87°36′E / 24.767°N 87.600°E / 24.767; 87.600
Commanded byસિદ્ધુ અને કાન્હુ મૂર્મુ
Objectiveજમીનદારી પ્રથાને દૂર કરવી
Date૩૦ જૂન ૧૮૫૫ થી ૩ જાન્યુઆરી ૧૮૫૬
Outcomeસંથાલ પરગણા ભાડુઆત ધારો, ૧૮૭૬
Casualties15,000 લોકોનાં મોત, ઘણા વિસ્થાપિત[૧]

સંથાલ વિદ્રોહ (જે સોન્થાલ બળવો અથવા સંથાલ હૂલ તરીકે પણ ઓળખાય છે) એ હાલના ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને જમીનદારી પ્રથા સામે સંથાલ જનજાતિ દ્વારા કરવામાં આવેલો બળવો હતો. તેની શરૂઆત ૩૦ જૂન ૧૮૫૫ના રોજ થઇ હતી અને ૧૦ નવેમ્બર ૧૮૫૫ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા માર્શલ લો જાહેર કરવામાં આવ્યો હતો. ૩ જાન્યુઆરી ૧૮૫૬ના રોજ બળવાને આખરે પ્રેસિડેન્સી સૈન્યોએ દબાવી દીધો હતો અને માર્શલ લોને સ્થગિત કરવામાં આવ્યો હતો. આ બળવાનું નેતૃત્વ ચાર ભાઈ-બહેનો – સિદ્ધુ, કાન્હુ, ચાંદ અને ભૈરવ દ્વારા કરવામાં આવ્યું હતું.[૨]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની (ઇઆઇસી(EIC))ની મહેસૂલી વ્યવસ્થા, વ્યાજની પ્રથા અને જમીનદારી પ્રથાનો અંત લાવવાના પ્રત્યાઘાત રૂપે બંગાળ પ્રેસિડેન્સીના આદિવાસી પટ્ટામાં સંથાલના બળવાની શરૂઆત થઇ હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સ્થાપવામાં આવેલી કાનૂની વ્યવસ્થાના સ્થાનિક જમીનદારો, પોલીસો અને અદાલતો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિકૃત મહેસૂલ પ્રણાલી દ્વારા ફેલાવવામાં આવેલા વસાહતી શાસનના દમન સામેનો આ બળવો હતો.[૩]

સંથાલ લોકોના આગમન પહેલાં સંથાલ પરગણા વિસ્તાર. દામિન-એ-કોહ પ્રદેશને "કન્ટ્રી અનએક્સપ્લોર્ડ બાય યુરોપિયન્સ" ("યુરોપિયનો દ્વારા વણખેડાયેલ દેશ") (જેમ્સ રેનેલ દ્વારા ૧૭૭૬નો નકશો) તરીકે લેબલ આપવામાં આવ્યું હતું.

સંથાલ લોકો એક એવા પ્રદેશમાં રહેતા હતા જે હજારીબાગથી મેદિનીપુર સુધી સુવર્ણરેખા નદીને કિનારે વિસ્તરેલા હતા અને તેઓ ખેતી પર આધાર રાખતા હતા. તે ક્ષેત્ર ૧૭૭૦ના બંગાળના દુષ્કાળથી ખૂબ પ્રભાવિત થયું હતું.[૪] ૧૮૩૨માં, ઇઆઇસીએ વર્તમાન ઝારખંડમાં દામિન-એ-કોહ પ્રદેશનું સીમાંકન કર્યું હતું અને રાજમહેલ પહાડીઓની પહેલેથી અસ્તિત્વ ધરાવતી પહાડિયા જનજાતિને જંગલો સાફ કરવા અને કૃષિ વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. જો કે, પહાડિયા આદિજાતિએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, જેના પગલે કંપનીએ સંથાલ જનજાતિને આ પ્રદેશમાં સ્થાયી થવા આમંત્રણ આપ્યું હતું. જમીન અને આર્થિક સુવિધાઓના વચનોને કારણે ધલભૂમ, માનભૂમ, હજારીબાગ, મિદનાપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંથાલ લોકો સ્થાયી થવા આવ્યા હતા. ટૂંક સમયમાં જ, ૧૮૩૦ અને ૧૮૫૦ ની વચ્ચે તેમની વસ્તી ૩,૦૦૦ થી વધીને ૮૩,૦૦૦ થઈ ગઈ. કૃષિકારોની સંખ્યામાં આ વૃદ્ધિને કારણે આ વિસ્તારમાંથી કંપનીની આવકમાં બાવીસ ગણો વધારો થયો હતો. ત્યારબાદ, મહાજનો અને જમીનદારો, આ ક્ષેત્રમાં શાહુકાર, કર ઉઘરાવનાર અને ઇઆઇસી (EIC) દ્વારા નિયુક્ત અન્ય વચેટિયાઓ તરીકે કામ કરવા લાગ્યા, તેમણે સ્થાનિક અર્થતંત્ર, શાસન અને વહીવટ પર પ્રભુત્વ જમાવ્યું હતું.[૫] ઘણા સંથાલ લોકો ભ્રષ્ટ નાણાં ધીરવાની પ્રથાનો ભોગ બન્યા હતા. તેમને અતિશય ઊંચા દરે નાણાં ઉધાર આપવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ઋણ ભરપાઈ કરવામાં અસમર્થ હતા, ત્યારે તેમની જમીનો બળજબરીથી લેવામાં આવી હતી અને તેમને બંધુઆ મજૂરી માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિણામે સંથાલ લોકો વચેટિયાઓ સામે એકજૂથ થયા, જે આખરે ઇઆઇસી (EIC) સામે બળવો અને સ્વ-શાસનની સ્થાપના તરફ દોરી ગયા.[૬]

વિદ્રોહ[ફેરફાર કરો]

૩૦ જૂન ૧૮૫૫ના રોજ, બે સંથાલ બળવાખોર નેતાઓ, સિદ્ધુ અને કાન્હુ મુર્મુએ આશરે ૬૦,૦૦૦ સંથાલ લોકોને એકઠા કર્યા અને ઇઆઇસી (EIC) સામે બળવો કરવાની જાહેરાત કરી. સિદ્ધુ મુર્મૂએ બળવા દરમિયાન સમાંતર સરકાર ચલાવવા માટે લગભગ દસ હજાર સંથાલ એકઠા કર્યા હતા, જેનો મૂળ હેતુ પોતાના કાયદા બનાવીને અને લાગુ કરીને કર વસૂલવાનો હતો. ઘોષણા પછી તરત જ, સંથાલ લોકોએ શસ્ત્રો ધારણ કરી લીધા. ઘણાં ગામોમાં, જમીનદારો, શાહુકારો અને તેમના સંચાલકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ખુલ્લા બળવાને કારણે કંપનીના વહીવટને આશ્ચર્ય થયું હતું. શરૂઆતમાં, બળવાખોરોને દબાવવા માટે એક નાની ટુકડી મોકલવામાં આવી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા અને તેના કારણે બળવાની ભાવનામાં વધારો થયો હતો. જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાંથી નીકળી રહી હતી, ત્યારે કંપનીના વહીવટીતંત્રે આખરે એક મોટું પગલું ભર્યું હતું અને બળવાને ડામવા માટે સ્થાનિક જમીનદારો અને મુર્શિદાબાદના નવાબની મદદથી મોટી સંખ્યામાં સૈનિકોને મોકલ્યા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સિદ્ધુ અને તેના ભાઇ કાન્હુ મુર્મૂની ધરપકડ કરવા માટે ૧૦ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

આ પછી સંખ્યાબંધ અથડામણો થઈ હતી જેના પરિણામે સંથાલ દળોને મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. સંથાલના આદિમ શસ્ત્રો કંપની સૈન્યના ગનપાઉડર શસ્ત્રો સાથે મેળ ખાવામાં અસમર્થ સાબિત થયા. ૭મી નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ, ૪૦મી નેટિવ ઇન્ફન્ટ્રી અને અન્યમાંથી સૈનિકોની ટુકડીઓને કામે લગાડવામાં આવી હતી. જુલાઈ ૧૮૫૫થી જાન્યુઆરી ૧૮૫૬ દરમિયાન કહલગાંવ, સુરી, રઘુનાથપુર અને મુનકાટોરા જેવા સ્થળોએ મોટા અથડામણો થઈ હતી.[૭]

૧૮૫૬માં ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ દ્વારા પ્રકાશિત થયેલા સંથાલ બળવાનું ઉદાહરણ.

સિદ્ધુ અને કાન્હુ, સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયા બાદ આખરે બળવો દબાવવામાં આવ્યો હતો. મુર્શિદાબાદના નવાબ દ્વારા પૂરા પાડવામાં આવતા યુદ્ધના હાથીઓનો ઉપયોગ બળવા દરમિયાન સંથાલની ઝૂંપડીઓને તોડી પાડવા માટે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બળવા દરમિયાન ૧૫,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા, દસ ગામો નાશ પામ્યા હતા અને ઘણા વિસ્થાપિત થયા હતા.

બળવા દરમિયાન, સંથાલ નેતા આશરે ૬૦,૦૦૦ સંથાલને એકજૂથ કરવામાં સફળ રહ્યા હતા,[૪] જેમાં ૧૫૦૦થી ૨૦૦૦ લોકોએ એક જૂથની રચના કરી હતી. બળવાને ગરીબ આદિવાસીઓ અને ગોવાલા અને લોહાર (જેઓ દૂધવાળા અને લુહાર હતા) જેવા બિન-આદિવાસીઓ માહિતી અને શસ્ત્રો પૂરા પાડવાના સ્વરૂપમાં ટેકો આપ્યો હતો.[૮] રણબીર સમદ્દારે એવી દલીલ કરી હતી કે સંથાલ ઉપરાંત આ પ્રદેશના અન્ય મૂળનિવાસી રહેવાસીઓ જેવા કે કામર્સ, બગડી, બગલ અને અન્ય લોકોએ પણ બળવામાં ભાગ લીધો હતો.[૯][૧૦][૨](p745)

વિરાસત[ફેરફાર કરો]

અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સે હાઉસહોલ્ડ વર્ડ્સમાં બળવા અંગે નીચેનો ફકરો લખ્યો છેઃ

તેમનામાં સન્માનની ભાવના પણ હોય તેવું લાગે છે; કારણ કે એવું કહેવામાં આવે છે કે તેઓ શિકાર કરવામાં ઝેરી તીરનો ઉપયોગ કરે છે, પરંતુ તેમના શત્રુઓની સામે કદી નહીં. જો આવું હોય અને તાજેતરના સંઘર્ષોમાં ઝેરી તીર વિશે આપણે કશું જ સાંભળતા ન હોઈએ, તો તેઓ આપણા સુસંસ્કૃત શત્રુ, રશિયનો કરતાં પણ વધુ આદરણીય છે, જેઓ મોટે ભાગે આવી સહનશીલતાને મૂર્ખતાપૂર્ણ ગણશે અને જાહેર કરશે કે તે યુદ્ધ નથી.[૧૧]

મૃણાલ સેનની ફિલ્મ મૃગયા (૧૯૭૬) સંથાલ બળવાના સમયગાળાની વાર્તા પર આધારિત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Santhal Hul Wasn't Just the First Anti-British Revolt, It Was Against All Exploitation". The Wire (India). મેળવેલ 2023-07-12.
  2. ૨.૦ ૨.૧ Xalxo, Abha (2008). "The Great Santal Insurrection (Hul) of 1855-56". Proceedings of the Indian History Congress. 69: 732–755. ISSN 2249-1937. JSTOR 44147237.
  3. India's Struggle for Independence - Bipan Chandra, Pg41
  4. ૪.૦ ૪.૧ Angad, Abhishek (July 3, 2023). "Hul Diwas: Remembering the Santal rebellion against the British". The Indian Express.
  5. Somers, George E. (1979). The dynamics of Santal traditions in a peasant society. Schenkman Pub. Co. પૃષ્ઠ 43. OCLC 5668202.
  6. Jha, Amar Nath (2009). "Locating the Ancient History of Santal Parganas". Proceedings of the Indian History Congress. 70: 185–196. ISSN 2249-1937. JSTOR 44147668.
  7. India's Struggle for Independence by Bipan Chandra, p. 42–43.
  8. Chandra, Bipin; Mukharjee, Mridula; Mahajan, Suchita (2016). India's Struggle for Independence (PDF) (reprint આવૃત્તિ). પૃષ્ઠ 18–20. ISBN 9788184751833. મૂળ (PDF) માંથી 2022-05-14 પર સંગ્રહિત.
  9. Partha Chatterjee, સંપાદક (1995). Texts of Power: Emerging Disciplines in Colonial Bengal. Minneapolis, London: University of Minnesota Press. પૃષ્ઠ 191. ISBN 978-0-8166-2686-1. JSTOR 10.5749/j.ctttsttm.
  10. Singh, Kumar Suresh (2008). People of India: Bihar, including Jharkhand (2 pts) (અંગ્રેજીમાં). Anthropological Survey of India. પૃષ્ઠ 584. ISBN 978-81-7046-303-0.
  11. Dickens, Charles (1850–1859). Household Words Vol 12. University of Buckingham. London : Bradbury & Evans. પૃષ્ઠ 349.

ગ્રંથ સૂચિ[ફેરફાર કરો]

પૂરક વાંચન[ફેરફાર કરો]

બાહ્ય કડી[ફેરફાર કરો]