સમાન નાગરિક સંહિતા

વિકિપીડિયામાંથી

ભારતની સમાન નાગરિક સંહિતાભારતમાં બહુચર્ચિત નાગરિક કાયદા સંહિતાના ખ્યાલનો ઉલ્લેખ કરતો શબ્દ છે. સમાન નાગરિક સંહિતામાં ધર્મ, જાતિ અને સમુદાયના પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લોકો માટે બિનસાંપ્રદાયિક નાગરિક કાયદાઓના સમાન માળખાનો સમાવેશ થાય છે. આ સંહિતા ધર્મ અને જાતિ અને સમુદાયના આધારે વિવિધ વ્યક્તિગત કાયદાઓ હેઠળના નાગરિકોના હકનું સ્થાન લે છે. આવી સંહિતાઓ મોટાભાગના આધુનિક દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.

નાગરિક સંહિતા હેઠળ આવરી લેવાયેલા સમાન ક્ષેત્રોમાં મિલકતના અધિગ્રહણ અને સંચાલન, લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવાનાં સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે.

ભારતમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં ભારતના બંધારણ દ્વારા તેના નાગરિકો માટે નિર્દેશક સિદ્ધાંત અથવા સિદ્ધ કરવાના ધ્યેય તરીકે સમાન નાગરિક સંહિતા નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અંગત કાયદાઓ[ફેરફાર કરો]

ભારતમાં મોટા ભાગના કૌટુંબિક કાયદાઓ જે તે વ્યક્તિઓના સંબંધિત ધર્મ દ્ગારા નક્કી કરાયેલાં હોય છે.[૧] હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ હિંદુ કાયદા હેઠળ છે જ્યારે મુ્સ્લિમ અને ખ્રિસ્તીઓને તેઓના પોતાના કાયદાઓ છે. મુસ્લિમ કાયદો શરિયત આધારિત છે. અન્ય ધાર્મિક સમુદાયોના અંગત કાયદાઓને ભારતીય સંસદના કાયદા દ્વારા મર્યાદિત કરાયા છે. અન્ય કાયદાઓ જેવાં કે ફોજદારી કાયદાઓ અને દિવાની કાયદાઓ, પુરાવાઓ, મિલકતની ફેરબદલી, કરવેરા વગેરે જેવા અન્ય કાયદાઓને પણ કાયદાના સ્વરૂપમાં સંહિતાકરણ કરાયા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સમાન નાગરિક સંહિતા પરની આ ચર્ચા અંગ્રેજોના જમાનાથી ચાલતી આવે છે.

લેક્સ લોસીના ઓક્ટોબર 1840ના અહેવાલમાં ગુનાઓ, પુરાવાઓ, કરાર વગેરે સંબંધી ભારતીય કાયદાના સંહિતાકરણમાં સમાનતા લાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો, પરંતુ તેણ ભલામણ કરી હતી કે હિંદુ અને મુસ્લિમનાં અંગત કાયદાને આવા સંહિતાકરણની બહાર રાખવો જોઇએ.[૨]

હિંદુ કાયદામાં બે પ્રમુખ વિચારધારા છે, દયાભાગ અને મિતાક્ષર છે. મિતાક્ષર ફરીથી ચાર નાની વિચારધારાઓમાં ઉપવિભાજિત થાય છે. આ સિવાય, સદાચારનો રિવાજ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ધારાકીય પ્રક્રિયા દ્વારા હિંદુ કાયદાને સુધારવાનાં પ્રયત્નો અંગ્રેજોના સમયગાળા દરમિયાન શરૂ થયા હતા. સુધારાઓ જેવાં કે જાતિ અસમર્થતા નાબૂદી ધારો, 1850, હિન્દુ વિધવા પુનઃલગ્ન ધારો-1856, હિંદુ વારસા (સુધારા) ધારો-1929, હિંદુ ગેઇન ઓફ લર્નિંગ ધારો-1930, હિંદુ મહિલાઓનો મિલકતમાં હક ધારો– 1937, હિંદુ વિવાહિત મહિલાના અલગ રહેઠાણ અને ભરણપોષણ હક ધારો, 1946 વગેરે કે જેને પૌરાણિક શાસ્ત્રોના નિયમોથી સંતોષ ન હતો તેઓને રાહત આપવા માટે ઘડવામાં આવ્યાં હતાં. તમામ હિંદુ કાયદાઓને આવરી લેતાં સર્વગ્રાહી કાયદોની વિચારણા કરવા 1941માં હિંદુ કાયદા સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી.[૩] યુધ્ધના કારણે થોડો સમય સમિતિએ કાર્ય કરવાનું બંધ કરી દીધું હતું. તેને 1944માં સર બી.એન. રાવના ચેરમેન પદ હેઠળ પુનર્જીવીત કરવામાં આવી હતી અને લગ્ન વારસા હક, વાલીપણું અને દત્તક લેવા જેવી બાબતોનું નિયમન કરવા 1955 અને 1956માં પસાર કરાયેલા શ્રેણીબધ્ધ ધારાઓ દ્વારા રાવ સમિતિની ભલામણોનો અમલ કરવામાં આવ્યો હતો. તેમાં હિંદુ લગ્ન ધારો, 1955, હિંદુ વારસા હક ધારો-1956, હિંદુ લઘુમતી અને વાલીપણા ધારો, 1956 અને છેલ્લે હિંદુ દત્તક અને ભરણપોષણ ધારો-1956નો સમાવેશ થતો હતો.

મુસ્લિમોમાં સુન્ની, શીયા, ઇસ્માઇલી, વ્હોરા, ખોજા અને રૂઢિચુસ્ત નહીં તેવા અહેમદીયા વર્ગનો સમાવેશ થાય છે. સુન્નીઓમાં અલગ-અલગ ચાર સંપ્રદાય ધરાવે છે. આ ઉપરાંત કચ્છી મેમણો પણ છે, જેઓએ કેટલાંક અંશે હિંદુઓના વ્યક્તિગત કાયદાઓ જાળવી રાખ્યાં છે.[૪] મોટા ભાગના કાયદાઓ ખાસ કરીને ન્યાયતંત્રના ચૂકાદાઓને રદ કરવા અને શરિયત કાયદાને પુનઃસ્થાપિત કરવાં માટે ઘડવામાં આવ્યા છે. પ્રિવી કાઉન્સિલના નિર્ણયને રદ કરવા માટે વકફ વેલિડેશન ધારો, 1913 પસાર કરવામાં આવ્યો હતો.[૫] મુસ્લિમ સમુદાયનો વિરોધ ટાળવાના પ્રયાસના ભાગ રૂપે અંગ્રેશ શાસન વખતના સંખ્યાબંધ ધારામાંથી તેમને વિશેષ મુક્તિ આપવામાં આવી હતી. વારસા હક અને વારસા સંબંધિત 1925નો ભારતીય વારસા હક ધારામાંથી મુસ્લિમોને વિશેષ મુક્તિ આપવામાં આવી હતી.[૬] મુસ્લિમોમાં સમુદાયમાં કુરાન પર આધારિત જટિલ વારસા પદ્ધતિ હતી. મૂળ ભારતીય વારસા ધારો 1865માં ઘડવામાં આવ્યો હતો અને તેમાં હિંદુઓને પણ મુક્તિ આપવામાં આવી હતી. જોકે આ ધારો આખરે હિંદુઓ પર લાગુ કરવામાં આવ્યો હતો. 1872નો વિશેષ લગ્ન ધારો, જે મૂળભૂત રીતે ધર્મનિરપેક્ષ લગ્ન કાયદો હતો, તેમાં પણ મુસ્લિમોને મુક્તિ આપવામાં આવી હતી. મુસ્લિમોને મુક્તિ આપવાની તમામ માગણીનો સ્વીકાર થયો ન હતો. 1872નો ભારતીય પુરાવા ધારામાં કલમ-112 સામેલ કરાઇ હતી જે બાળકની ઔરસતા સંબંધી છે. મુસ્લિમ કાયદા સાથે સુસંગતન હોવા છતાં આ કલમ બાદમાં મુસ્લિમોને પણ લાગુ કરવાનું જણાયું હતું. વારસા હક, મહિલાઓની વિશિષ્ટ સંપત્તિ, લગ્નો અને લગ્નવિચ્છેદન, વાલીપણું, ભેટ, ટ્રસ્ટની મિલકતો, વકફ વગેરે સંબંધિત દરેક પ્રશ્નો જે શરિયત ની વિરૂદ્ધ હોય તેવા કોઇપણ રિવાજો અને ઉપયોગોને શરિયત કાયદો-1937એ ફગાવ્યા હતા.[૭] મુસ્લિમોનો લગ્નવિચ્છેદનો કાયદો- 1939 મહિલાઓને લગ્નવિચ્છેદનો હક આપતો હતો.[૮]

ખ્રિસ્તીઓના કિસ્સામાં ભારતીય ખ્રિસ્તી લગ્ન ધારો ઘડવામાં આવ્યો હતો. પરંતુ તે સર્વગ્રાહી ધારો ન હતો.[૯]

પારસીઓનો અંગત કાયદો આંશિક રીતે ઘડાયો છે, પરંતુ છૂટાછેડા અને લગ્નવિષયક રાહતો વગેરે બાબતોના ઉકેલ માટેની વ્યવસ્થા પૂરતી નથી.

મુસ્લિમો અને સમાન નાગરિક સંહિતા[ફેરફાર કરો]

1950-1985[ફેરફાર કરો]

નહેરુ જેવા નેતાઓ સહિતાના ભારતીય બંધારણના ઘડવૈયાઓ એ વાતે સહમત હતાં કે મુસ્લિમો સહિત વિવિધ ધર્મોના નાગરિકો પર સમાન નાગરિક સંહિતા લાદવામાં આવે તે પહેલાં કેટલાંક અંશે આધુનિકિકરણ જરૂરી છે. આ ઉપરાંત એ પણ ભય હતો કે વિવિધ ધર્મોના અંગત કાયદાઓને અવગણવાનો કોઇપણ પ્રયત્ન ગૃહ યુદ્ધ, મોટા પ્રમાણમાં તોફાનો અને સામાજિક અશાંતિ દર દોરી શકે છે. 1948ના ઘટનાક્રમના સંદર્ભમાં આ સ્વાભાવિક ચિતા ઉભી થઇ હતી કારણકે કોમવાદી મુદ્દાને કારણે ગાંધીજી હત્યા કરવામાં આવી હતી. 1939માં સૈયદ અબ્દુલ લતીફે ભારત માટે આદર્શ બંધારણ લખ્યું ત્યારે તેમણે આ સમસ્યાની અગાઉથી કલ્પના કરી હતી, જેમાં એક કલમનો સમાવેશ કરાયો હતો કે કે “ મુસ્લિમો તેમજ અન્ય લઘુમતિ સમુદાયોના હિતોનું યોગ્ય રીતે રક્ષણ થવું જોઇએ.” ન્યાયતંત્ર અંગેના તેમના લેખમાં તેમણે ટિપ્પણી કરી હતી કે “મુસ્લિમોના અંગત કાયદોનો અમલ મુસ્લિમ ન્યાયાધિશો દ્વારા થવો જોઇએ.’’ જો ઉદાર બંધારણ નહીં આપવામાં આવે ભારતનું વિઘટન થઈ શકે છે તેવી લાગણી રજવાડાઓના વિલિનીકરણથી વધુ તેજ બની હતી, કારણ કે હૈદરાબાદ જેવા કેટલાંક રજવાડાને બળપૂર્વક વિલિન કરવામાં આવ્યા હતા. માત્ર આ પૂર્વભૂમિકામાં જ કોઇપણ વ્યક્તિ ભારતીય બંધારણ અને લઘુમતિઓના હકો અંગેના તેના અભિપ્રાયનું મૂલ્યાંકન કરી શકે છે.

તે સમયે ભારતના નેતાઓ પશ્ચિમી લોકશાહીના નમૂનારૂપ ધર્મનિરપેક્ષ બંધારણ ઇચ્છતા હતાં. જો કે, દેશમાં જે થયું તે પશ્ચિમની ભાવના મુજબ ધર્મનિરપેક્ષ ન હતું. તેના સ્થાને ભારત તેના ધર્મિક સમુદાયો માટે ધર્મ આધારિત કાયદાઓ સાથેનો ‘ધર્મનિરપેક્ષ’ દેશ બન્યો હતો. મુશીર ઉલ- હક્કે જણાવ્યું કે ભારતમાં ‘ધર્મનિરપેક્ષ’ એટલે “ ધર્મની બાબતમાં દરમિયાનગીરી ન કરવી તે”. ભારતમાં ઘણાં ધાર્મિક સમુદાયો છે, જેમાં ખાસ કરીને હિંદુ બહુમતિ, નોંધપાત્ર મુસ્લિમ લઘુમતિ અને નાના પ્રમાણમાં બૌદ્ધ, શીખો, જૈન, ખ્રિસ્તી, યહુદી અને આદિવાસી લોકોનો સમાવેશ થાય છે. સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ રાજ્યની રચના કરવાનો ઉદ્દેશ કલમ-44માં છે, જે જણાવે છે કે “રાજ્યે ભારતના તમામ વિસ્તારમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાવવાનો પ્રયત્ન કરવાનો રહેશે." જો કે, આ હેતુના પ્રતિસાદ રૂપે કેટલીક કલમો અસ્તિત્વ ધરાવે છે, જેમાં કલમ- 14 છે જે કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત હકની બાંહેધરી આપે છે, કલમ- 15 જે ધર્મ, વંશ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે કોઇપણ નાગરિક સામે ભેદભાવ સામે પ્રતિબંધ ફરમાવે છે અને કલમ 25-29 છે જે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય આપે છે...બંધારણની કલમ 13 જણાવે છે કે બંધારણ અમલના સમયે પ્રવર્તમાન તમામ કાયદા જો તે મૂળભૂત અધિકારોને વિરોધી હશે તેનો કોઇપણ ભોગે રદ કરવાનો રહેશે.આની સાથે સાથે કલમ 372 મુજબ તે પણ જરૂરી બનાવે છે કે “ભારતની સીમામાં પ્રવર્તમાન બધા જ કાયદાઓ આ બંધારણ અમલમાં આવે તે પહેલાં તેને સક્ષમ કાયદા મંડળ અથવા સક્ષમ સત્તામંડળ દ્વારા બદલવામાં આવે અથવા રદ્દ કરવામાં આવે અથવા સુધારો કરવામાં આવે ત્યાં સુધી તે અમલમાં ચાલું રહેશે.”

અહિં પાયાનો વિરોધાભાષ છે. એકબાજુ, બંધારણ અંગત કાયદાનું અસ્તિત્વ ચાલું રાખવાને માન્યતા આપે છે, અને તે કારણોસર કલમ-44 અપેક્ષા રાખે છે કે ભારતમાં હવે પછીના દિવસોમાં સમાન નાગરિક સંહિતા હશે. બીજુ બાજુ, કલમ 14-19 જેવી એવી કેટલીક કલમ અસ્તિત્વ ધરાવે છે કે જે સમાન હકની બાંયધરી આપે છે. વિવિધ સમુદાયના અંગત કાયદાઓ સહજ રીતે અસમાન હોવાથી, મુસ્લિમ કાયદા હેઠળ છૂટાછેડા લીધેલી મહિલાને હિંદુ કાયદા કરતાં અલગ હક મળતા હોવાથી, કલમ-15 અંગત કાયદો ગેરબંધારણીય ઠેરવતો હોય તેમ લાગે છે. વધુમાં, કલમ- 15 મુજબ “ લિંગ”ના આધારે ભેદભાવ કરી શકાશો નથી, પરંતુ મુસ્લિમ અંગત કાયદો ઘણી બાબતમાં અને ખાસ કરીને છૂટાછેડા અને બહુપત્નીત્વના મુદ્દામાં પુરુષોની તરફેણ કરે છે. કાયદા સમક્ષ સમાનતાનો અર્થ આવશ્યક રીતે એવો થાય છે કે મુસ્લિમ મહિલાઓ ચાર પતિ કરી શકે છે. બંધારણમાં આ મુદ્દા વણઉકલ્યા રહ્યા છે.

મુંબઇ, મદ્રાસ અને પંજાબની હાઇકોર્ટે 1952 અને 1968ના અગાઉના ચુકાદાઓ દરમિયાન આ વિરોધાભાસને સમજવામાં ઘણો પ્રયાસ કર્યો હતો. બહુપત્ની પ્રથા સહિતના આ કેસોમાં તારણ ઘણા જ જટિલ હતા. બીજી બાજુ કોર્ટોને લાગ્યું કે કલમ- 372 હેઠળ ‘આજે અસ્તિત્વ ધરાવતા કાયદા’ તરીકે મુસ્લિમ અંગત કાયદાનો સમાવેશ થતો નથી કારણ કે મુસ્લિમ અંગત કાયદાના મૂળ કુરાનમાં રહેલાં છે અને તેથી ‘ધારાસભા દ્ગારા તેને પસાર કરવામાં આવ્યા છે તેવું કહી શકાય નહીં’ આ બાબત એ હકીકતની અવગણના કરે છે કે 1950ના દાયકા બાદ અમલમાં રહેલો એન્ગો-મોહમિદન કાયદો માત્ર કુરાન આધારિત નહીં, પરંતુ શરિયત ધારા આધારિત પણ હતો. બીજી વાત, ન્યાયધિશોને લાગ્યું હતું કે કલમ- 13 અને તેની સમાનતાની જરૂરિયાતે અંગત કાયદાને નાબૂદ કર્યો નથી, કારણ કે જો આવું થયું હોય તો પછી અંગત કાયદાનો અન્ય જગ્યાએ ઉલ્લેખ કરાયો ન હોત. તારણ એ હતું કે કે બંધારણે કલમ-44માં અંગત કાયદાઓને માન્યતા આપી છે, કલમ- 13 માં તેને રદ્દ ગણવામાં આવ્યાં નથી અને આ કલમ- 372 અંગત કાયદાઓને લાગુ પડતી નથી કારણ કે આ કાયદા ધારાસભા દ્વારા ઘડવામાં આવ્યા નથી, પરંતુ ધાર્મિક લખાણોથી પ્રેરણા પામેલા છે. આથી, અંગત કાયદાઓ સમાનતાના કોઇપણ ચુકાદાના દાયરાની બહાર રહ્યાં છે. આ ન્યાયિક વિચારસરણી 1980ના દાયકામાં શાહબાનો કેસ બહાર આવ્યો ત્યાં સુધી અમલમાં રહી હતી.

બંધારણ અને મુસ્લિમ અંગત કાયદાના મહત્ત્વ અંગે વધુ બે મુદ્દાનો ઉલ્લેખ કરવો જરૂરી હતો. પ્રથમ મુદ્દો કલમ- 25 સંબંધિત છે જે જણાવે છે કે “આ કલમ અમલમાં રહેલા કોઇપણ કાયદાને અસર કરશે નહીં.” કલમ- 372ની જેમ, આ કલમ પણ બ્રિટિશ શાસન હેઠળ પસાર કરવામાં આવેલા કાયદાનો સમાવેશ કરવાનો પ્રયાસ કરે છે, આમાંથી ઘણા કાયદા બંધારણ પસાર થયા પછી પણ અમલમાં રહ્યા છે. વધુમાં, કલમ- 44 સરકારને સમાન નાગરિક સંહિતાના અમલનો સ્પષ્ટપણે સરકારને આદેશ કરે છે, જેમાં મુસ્લિમોને તેઓના અંગત કાયદામાં મુખ્ય રક્ષણો આપવામાં આવ્યાં છે તેવી કેટલીક બાબતો જેવી કે લગ્ન, વારસો અને છૂટાછેડા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તાહિર મેહમુદ તેમના ઉત્કૃષ્ટ અભ્યાસ, મુસ્લિમ અંગત કાયદો માં સાર તરીકે જણાવે છે કે “કલમ- 44 નથી ઇચ્છતું કે રાજ્ય સમાન નાગરિક સંહિતાનો ઉતાવળમાં અમલ કરે, તે તબક્કાવાર ધોરણે આવી સંહિતાના અમલ માટેની છૂટ આપે છે... મુસ્લિમો અને અન્ય લઘુમતિઓ તેનો ‘સ્વીકાર કરવા અને સામાજિક સુધારણાં કરવાં તૈયાર નથી’ તેથી સૌને લાગુ પડતી સમાન નાગરિક સંહિતાના ઘડતરને કાયદાકીય રીતે મુલતવી રાખી શકાય છે.’’

1950 દાયકામાં હિંદુ સંહિતા ખરડાની મંજૂરી મુસ્લિમ અંગત કાયદાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ વળાંક લાવવામાં નિમિત્ત બની હતી. આ સમય સુધી, મુસ્લિમ અંગત કાયદો હિંદુઓ અને અન્ય ધાર્મિક સમુદાયના કાયદાઓની સમકક્ષ સાથે-સાથે અસ્તિત્વ ધરાવતો હતો. હિંદુ સંહિતા ખરડો એ એવા શ્રેણીબદ્ધ કાયદાઓ છે જે સમગ્રપણે હિંદુ સમાજમાં ધર્મનિરપેક્ષતા લાવવાનો અને તેના કાયદાઓ આધુનિક સમય મુજબનો કરવાનો હેતુ ધરાવે છે, જેનો અર્થ એ છે કે હિંદુ કાયદાને નાબૂદ કરવા અને પશ્ચિમની સંસ્કૃતિ પર આધારિત કાયદાઓ ધારાસભા દ્વારા ઘડવાં જે પુરૂષ અને સ્ત્રી વચ્ચે સમાનતા પ્રસ્થાપિત કરે અને અન્ય વિકાસશીલ વિચારો અપનાવે. 1955નો હિંદુ લગ્ન કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગું પડાયો. હિંદુ લગ્ન કાયદાનો અમલ હિંદુઓમાં બહુપત્નીત્વને પ્રતિબંધિત કરવાનો અને છૂટાછેડા લીધેલ મહિલાને ભરણપોષણ કે ખોરાકીના હકમાં વૃધ્ધિ કરવા માટે હતો. આ ધારો મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને યહુદીઓ સિવાય ભારતમાં તમામને લાગુ પડે છે. યહુદીઓ અને પારસીઓ બહુ નાની લઘુમતિમાં છે અને ખ્રિસ્તીઓ પર પહેલેથી આધુનિક[સંદર્ભ આપો] અથવા પ્રગતિશીલ કાયદા[સ્પષ્ટતા જરુરી] અમલી છે, તેથી મુસ્લિમ અલાયદા ધાર્મિક કાયદા સાથેની એક માત્ર મોટી લઘુમતિ રહી જેના કાયદા અધુનિકતાના વિચારને પ્રતિબિંબત કરવા સુધારવામાં આવ્યા ન હતા.

મુસ્લિમોને બાકાત રાખવાની કાનૂની પદ્ધતિ 1961ના દહેજ પ્રતિબંધ ધારા સાથે ચાલુ રહી હતી, આ ધારામાં મુસ્લિમ અંગત કાયદો (શરિયત) લાગુ પડતો હોય તેવા વ્યકિતના કિસ્સામાં ‘દહેજ કે મહેર’ને મુક્તિ આપવામાં આવેલી છે. 1973માં ક્રિમિનસ પ્રોસિજર કોડમાં સુધારા અંગેની ચર્ચામાં મુસ્લિમને લગતાં કેસોમાં છૂટાછેડા લીધેલી પત્નીઓના ભરણપોષણના સંદર્ભમાં એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે કોર્ટે નોંધ લેવી જોઇએ કે અંગત કાયદા હેઠળ મહિલા ભરણપોષણ મેળવી શકે કે નહીં. મુસ્લિમો માટે, આનો અર્થ ઇદ્દા નો સમયગાળો અથવા છૂટાછેડા લીધા બાદના ત્રણ મહિના બાદનો સમય. સંસદે ફરી એક વાર મુસ્લિમોને બાકાત રાખ્યા હતા જ્યારે કાયદો અન્ય ત્યક્તાને લાગુ પડશે અને તેમને ત્રણ મહિના સુધી ભરણપોષણ મળશે. શાહીદા લતીફની આ સમયગાળાની ટકોરમાં એવો નિરીક્ષણનો સમાવેશ થાય છે કે ‘હિંદુ સંહિતા વિધેયકને મંજૂરી બાદ હિંદુ પુરૂષો અને હિંદુ મહિલાઓ વચ્ચેના હકની કાયદેસર અસમાનતા દૂર થઇ હતી, જ્યારે મુસ્લિમ મહિલાઓ અને પુરૂષો વચ્ચેના હકની નજીવી અસમાનતા યથાવત રહી હતી".

1950-1985નો સમયગાળાને એવા સમયગાળા તરીકે ટૂંકમાં વર્ણવી શકાય છે કે જેમાં મુસ્લિમ અંગત કાયદાને ધારાકીય પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યો હતો અને તેમાં કોઇ સુધારા કરવામાં આવ્યા ન હતા. તેને એવા સમયગાળા તરીકે પણ જોઇ શકાય છે કે જેમાં મુસ્લિમો માટે બિનસાંપ્રદાયિકતાના સમાન સ્થળો ખુલ્યાં હતા, જેમાંથી સૌથી મોટું માધ્યમ વિશેષ લગ્ન ધારો, 1950 હતો. આ કાયદા પાછળનો હેતું ભારતમાં દરેક નાગરિકને અંગત કાયદાની બહાર લગ્ન કરવાની ક્ષમતા પ્રદાન કરવાનો હતો, જેને આપણે સિવિલ મેરેજ તરીકે ઓળખીએ છીએ. હંમેશાની જેમ આ કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પાડવામાં આવ્યો હતો. ઘણી બાબતોમાં, આ ધારો 1955નો હિંદુ લગ્ન ધારો જેવો જ હતો, જે હિંદુઓના બનાવેલાં કાયદા સંદર્ભમાં તેને કઇ રીતે ધર્મનિરપેક્ષ બનાવી શકાય તેના કેટલાંક વિચારો આપે છે. વિશેષ લગ્ન ધારો મુસ્લિમોને તેના હેઠળ લગ્ન કરવાની મંજૂરી આપે છે અને તેના દ્વારા રક્ષણ મેળવે છે, જે સામાન્ય રીતે લાભાન્વિત મુસ્લિમ મહિલા તેને અંગત કાયદામાં મેળવી શકી ન હોત. આ ધારા હેઠળ બહુપત્નીત્વ ગેરકાયદેસર છે, અને વારસો અને ઉત્તરાધિકારી સંબંધિત મુદ્દાઓનું સંબંધિત મુસ્લિમ અંગત કાયદાને બદલે ભારતીય વારસ હક ધારા હેઠળ સંચાલન થશે. છૂટાછેડા પણ ધર્મનિરપેક્ષ કાયદા દ્વારા ચલાવવામાં આવશે અને છૂટાછેડા લીધેલ પત્નીનો ભરણપોષણ માટે પણ દિવાની કાયદામાં જણાવેલ જોગવાઈ લાગુ પડશે.

મુસ્લિમ વડાઓએ આ ખરડાનો ઝનૂની વિરોધ કર્યો હતો અને જમાત અલ- ઉલેમાએ દાવો કર્યો કે “જો મુસ્લિમો 1954ના આ ધારા હેઠળ લગ્ન કરશે તો તેણે પાપ કર્યુ કહેવાશે અને તેના લગ્ન ઇસ્લામની દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાશે." 1972 સુધી આ સમાજે બિનસાંપ્રદાયિક જોગવાઈ ધરાવતા બાળકોને દત્તક લેવાના ખરડાને કાયમી ધોરણે અભેરાઇ પર ચડાવી દેવાની પૂરતી રાજકીય શક્તિ મેળવી લીધી હતી. મુસ્લિમો માટે આ એવો સમયગાળો હતો કે તેઓ સુધારાને અટકાવવામાં સફળ થયા હતા, તેમાં ધાર્મિક વડાઓ સંપૂર્ણ રીતે સરકારીના કાયદાઓથી સંતુષ્ટ નહોતાં.

અંગત કાયદા સામે પ્રહાર 1985-2005[ફેરફાર કરો]

મુસ્લિમ અંગત કાયદાનો વિકાસ શૂન્યવકાશમાં થયો ન હતો. બંધારણની કલમ 44 અને સમાન સંહિતા માટેના તેના આદેશની કેવી કેવી રીતે અવગણના કરવામાં આવી હતી તે માટે સમજવા માટે ભારતીય રાજકારણની ગતિવિધિઓની આકલન કરવું જરૂરી છે. ભારતમાં મુસ્લિમોની આશરે 12 ટકા વસતી છે અને તે આઝાદી મળી ત્યારથી છે. તેથી 1973માં ભારતમાં આશરે ૬.૧૦ કરોડ મુસ્લિમો હતા. હાલમાં આ આંકડો આશરે ૧૩.૫૦ કરોડ હોવાનો અંદાજ છે.[૧૦] સૌથી મોટા લઘુમતી જૂથ તરીકે ભારતના મુસ્લિમો ઘણા રાજકીય પક્ષો ધરાવતી લોકશાહીના રાજકીય માળખાનો અભિન્ન હિસ્સો છે. 1990ના દાયકા સુધી ભારતમાં કેન્દ્રમાં સત્તા સ્થાને કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું અને તેને રાજકીય ટેકો મેળવવાની આશાએઢાંચો:Clarification needed ભારતના મુસ્લિમો માટે તૃષ્ટીકરણની નીતિ અપનાવી છે.[સંદર્ભ આપો] કોંગ્રેસ પક્ષ ડાબેરી વિચારધારામાં માને છે અને ભારતના મુસ્લિમોને તેમના શ્રેષ્ઠ હિતોના રક્ષણ માટે ડાબેરી પક્ષો માટે પસંદગી ઉતારી છે, તેથી ભારતના મુસ્લિમો અને મોટાભાગના સમયગાળામાં ભારતના સત્તાધારી ચુનંદા વર્ગ વચ્ચે એકબીજાના લાભ આધારિત સંબંધો રહ્યા છે. કોંગ્રેસ પક્ષના નેતાઓના નામો જાણીતા છે, તેમાં 1950ના દાયકામાં નહેરુ, 1970ના દાયકા અને 80ના દાયકાની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે.

હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન આરએસએસ (RSS) અને શિવ સેના સાથે જોડાણ ધરાવતી અને જમણેરી વિચારધારાના સંગઠન ભારતીય જનતા પાર્ટી (બીજેપી (BJP))ના ઉદભવથી અંગત કાયદાની જગ્યાએ સમાન નાગરિક સંહિતા અમલી બનાવવાના મુદ્દાને મોટી અસર થઈ છે. તેની 1999ની ધર્મ સંબંધિત રાજકીય ઘોષણામાં જણાવાયું છે કે: "36. અમે એવી સુસંસ્કૃત, માનવીય અને ન્યાયી નાગરિક વ્યવસ્થા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છીએ, કે જે જાતિ, ધર્મ, વર્ગ, રંગ, વંશ કે લિંગના આધારે ભેદભાદ ન કરે. અમે ‘સર્વ પંથ સમધારા’ (તમામ ધર્મ માટે સમાન સન્માન)ની ભારતીય પરંપરા અને તમામ માટે સમાનતાના આધાર સાથે બિનસાંપ્રાદાયિક સિદ્ધાંતોના ખ્યાલને સાચી નિષ્ઠા અને દિલથી સમર્થન આપીએ છીએ અને તેનું વ્યવહારમાં પાલન કરીએ છીએ. અમે લઘુમતીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે અને આ સંદર્ભમાં અસરકારક પગલાં લેવા પ્રતિબદ્ધ છીએ.’’

આ ઘોષણપત્ર થોડુ અસ્પષ્ટ છે અને તેનો ચોક્કસ હેતુ શું છે તે નક્કી કરવાનું મુશ્કેલ છે, પરંતુ દિલ્હીમાં પક્ષના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ સાથેના વાર્તાલાપમાંથી તે સ્પષ્ટ બને છે કે આ હેતુ મુસ્લિમ અંગત કાયદાના પુનર્ગઠન કે નાબુદીનો છે. સૌથી વધુ સંભાવના એવી છે કે સમાન નાગરિક સંહિતાનું સર્જન કરવાના કલમ 44ના આદેશ મારફતે આવું કરવામાં આવશે. ભાજપના મતહિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે અને 1996 અને ફરીવાર 1998-2004માં ભાજપના નેતા વડાપ્રધાન બન્યા હતા. રાજકારણને પૂર્વભૂમિકામાં રાખીને આપણે આ સમયગાળામાં મુસ્લિમ અંગત કાયદામાં ફેરફારો અને પ્રયાસ કરાયેલા સુધારાની ચકાસણી કરી શકીએ છીએ.

શાહ બાનો વિ. મોહંમદ અહમદ ખાનના કેસમાં 23 એપ્રિલ, 1985માં ભારતની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે છૂટાછેડા આપવામાં આવેલી શાહ બાનોને ક્રિમિનલ પ્રોસિજર કોડની પેટાકલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવાનો હક છે. બાનો 73 વર્ષીય મુસ્લિમ મહિલા હતી અને તેના પતિએ ત્રણ વખત તલાક બોલવાની પદ્ધતિનો ઉપયોગ કરીને છૂટાછેડા આપ્યા હતા, જેમાં પતિને ત્રણ સમયગાળામાં ત્રણ વખત ‘હું તને છૂટાછેડા આપું છું’ બોલીને પોતાની પત્નીને એકપક્ષીય રીતે છૂટાછેડા આપવાનો હક મળે છે. પતિએ મુસ્લિમ કાયદા હેઠળ નિર્ધારિત સમયગાળા પછી ભરપોષણ આપવાનું બંધ કરતા બાનોએ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હે ક્રિમિનલ કોડ મુસ્લિમોને લાગુ પડવા જોઇએ અને તેને મુસ્લિમ અંગત કાયદા હેઠળ આપવામાં આવતા ભરપોષણ કરતા વધુ ભરપોષણ મેળવવાનો હક છે. આ પછી કદાચ મુસ્લિમોના વિરોધની ધારણાએ કોર્ટે દલીલ કરી હતી કે કુરાનમાં પણ મહિલાને સુરાને કારણે ભરપોષણ મેળવવાનો હક છે 2:241-242. કોર્ટે તેના ચુકાદામાં દાવો કર્યો હતો કે ‘‘આ આયાત (પંક્તિ) નિશંકપણે કહે છે કે કુરાનમાં આ ત્યકતા પત્ની માટે જોગવાઈ કરવાની કે ભરપોષણ આપવાની મુસ્લિમ પતિ પર ફરજ લાદવામાં આવી છે.’’ અહીં રસપ્રદ મુદ્દો એ હતો કે કોર્ટને માત્ર એવું લાગ્યું ન હતું કે તેને ક્રિમિનલ કોડ મુસ્લિમોને લાગુ પડે છે તેવો ચુકાદો જ આપવાનો નથી, પરંતુ કુરાનનું અર્થઘટન કરવાની જરૂરિયાત પણ અનુભવી હતી.

આ ચુકાદા પ્રત્યે મુસ્લિમ વિસ્તારોમાં પ્રતિક્રિયા તાકીદની અને પ્રત્યાઘાતી હતી. શેરીઓમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા, અશાંતિ ઊભી થઈ હતી અને મુસ્લિમ નેતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ તેમના અંગત કાયદાનું રક્ષણ કરવા માટે ‘‘સર્વસ્વ’’નું બલિદાન આપશે. ઇન્દિરાના પુત્ર રાજીવ ગાંધીની સરકારે તાકીદે પગલાં લઇને 1986માં મુસ્લિમ મહિલા (છૂટાછેડામાં અધિકારોનું રક્ષણ) ધારાને પસાર કર્યો હતો, જે કાયદામાં મૂળભૂત રીતે મુસ્લિમ મહિલા માટેના ભરપોષણને ક્રિમિનલ કોડની બહાર રાખવાની જોગવાઈ હતી અને તેથી એ નિશ્ચિત બન્યું હતું કે મુસ્લિમ મહિલાઓને સમાનતા બંધારણીય હક હેઠળ રક્ષણ મળતું નથી અને તેઓ હવે ક્રિમિનલ કોડની સેક્શન 125 હેઠળ કાનૂની આશ્રય લઈ શકશે નહીં. આ ધારો શરિયત ધારો અથવા મુસ્લિમ અંગત કાયદા હેઠળના અગાઉના છૂટાછેડા અધિકારોમાં સુધારો હતો, જે શ્રીમતી બાનો ઇચ્છતા હતા. મુસ્લિમ મહિલા (છૂટાછેડામાં અધિકારોનું રક્ષણ) ધારામાં મહેર પાછી આપવાની ઇદ્દતના સમયગાળા માટે પ્રમાણભૂત ભરપોષણ માટેની જોગવાઈ છે અને તેમાં નીચેની જોગવાઈ પણ છેઃ

  • પેટાકલમ (1) જો મેજિસ્ટ્રેટને સંતોષ થાય છે કે છૂટાછેડા લીધેલી મહિલાએ પુનઃલગ્ન કર્યા નથી અને ઇદ્દતના સમયગાળા પછી પોતાનું ભરપોષણ કરી શકે તેમ નથી તો મુસ્લિમ કાયદા મુજબ આ મહિલાના મૃત્યુ પછી તેની સંપત્તિ વારસામાં આપવાનો હક છે તેવા આ સંબંધિઓને ત્યક્તા મહિલાને તેમને યોગ્ય અને સાનુકુળ લાગે તેટલું આવું વાજબી અને ન્યાયી ભરપોષણ આપવાનો આદેશ કરી શકે છે અને આ ભરણપોષણમાં ત્યકતા મહિલાની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જોઇએ અને તેના લગ્નજીવન દરમિયાન તેના જીવનધોરણો મુજબનું હોવું જોઇએ.
  • પેટાકલમ (2)... મેજિસ્ટ્રેટ આ મહિલા રહેતી હોય તેવા વિસ્તારમાં કાર્યરત રાજ્યના તે સમયના કાયદા હેઠળ કે વકફ ધારા, 1954ની કલમ 9 હેઠળ સ્થાપિત રાજ્યના વકફ બોર્ડને તેમના દ્વારા પેટાકલમ (1) હેઠળ નિર્ધારિત આવા ભરપોષણ ચુકવવા આદેશ આપી શકે છે.

માઇનોરિટી રાઇટ્સ ગ્રૂપ ઇન્ટરનેશનલે આ કાયદા અંગે ટિપ્પણી કરી હતી કે તે ‘‘જાતિય સમાનતા સિદ્ધાંત આધારિત બંધારણીય કાયદો અને આ શ્રેણીના આધારે ભેદભાવ કરતા ધાર્મિક કાયદાઓ વચ્ચેના વિચ્છેદને ઉજાગર કરે છે.’’ શાહિદા લતીફે તેમના મુસ્લિમ વિમેન ઇન ઇન્ડિયા માં દાવો કર્યો હતો કે મુસ્લિમ મહિલાઓના ‘‘ભાવિ સામે સદા સજાગ રૂઢિચુસ્ત લોકોએ મારેલો ફટકો છે, જેમના માટે ઇસ્લામ, મહિલાઓના હકોને કાળજીપૂર્વક ઘડતર કરનારા સમગ્રતયા ન્યાયની પ્રણાલીને રજૂ કરતો નથી, પરંતુ મહિલાઓના ભોગે લઘુમતીને અલગ તારવવાના નિર્ધારને રજૂ કરવાની માત્ર તક છે.’’

શાહ બાનો કેસને હજુ પણ ભારતમાં મુસ્લિમ અંગત કાયદાના પ્રશ્ને નિર્ણાયક મુદ્દો માનવામાં આવે છે કે કારણ કે તેને પુરવાર કર્યું છે કે સમાનતા માટે હાઇ કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં ધારાસભા અંગત કાયદાને મર્યાદાની બહાર રાખવા તેની સત્તાનો કોઇ પણ રીતે ઉપયોગ કરશે. આ પાછળની વિચારસણી એવી છે કે જેમાં બિન-મુસ્લિમો દાવો કરે છે કે મુસ્લિમોએ તેમની જાતે અંગત કાયદામાં ફેરફાર અને સુધારા કરવા પડશે, તેમજ ભારતની મુસ્લિમ વસતી અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કે જમાત-એ-ઉલેમા જેવા તેમના સંગઠનો ફેરફાર માટે આગળ નહીં આવે ત્યાં સુધી આ અંગે કંઈ થશે નહીં. આની સાથે સાથે મુસ્લિમો તેમના આ કાયદાને તેમની સંસ્કૃતિના આવશ્યક હિસ્સો તરીકે જોવે છે અને આ લાગણીને સામ્રાજ્યવાદી યુગ દરમિયાન અભિવ્યક્તિ મળી હતી. મુસ્લિમોને ભય છે કે પર્સનલ લોને નાબૂદ કરવાના કોઇપણ પ્રયાસથી આ ઉપખંડમાં મુસ્લિમ સંસ્કૃતિનો નાશ થશે. જો કે બાનો કેસથી મહિલાઓના અધિકાર માટે નહીં, પરંતુ સમાન નાગરિક સંહિતાના સમર્થન માટે જમણેરી પાંખના હિંદુ જૂથો એક થયા હતા. બિપન ચંદ્રએ ઇન્ડિયા આફ્ટર ઇનડિપેન્ડન્સ માં ટિપ્પણી કરી છે કે આ મુદ્દા ‘‘એકંદર કોમવાદી વાતાવરણથી વધુ જટિલ બન્યો હતો, જેમાં મુસ્લિમ ઓળખના મુદ્દાઓ મહિલાઓના અધિકાર જેવા સાદા મુદ્દામાં ભળી ગયા હતા અને મુસ્લિમ મહિલાઓના અધિકાર માટે હિંદુઓના કોમવાદી ઉત્સાહથી મહિલા અધિકાર માટે કામ કરતા કાર્યકરો ગૂંચવણમાં મૂકાઈ ગયા હતા અને લાચાર બન્યા હતા.’’ માઇનોરિટી રાઇટ્સ ગ્રૂપ ઇન્ટરનેશનલે તેના દાવામાં સમાન પ્રકારનો સુર કાઢતા જણાવ્યું હતું કે ‘‘ભાજપે મુસ્લિમ અંગત કાયદાની જગ્યાએ સમાન નાગરિક સંહિતા માટે આક્રમક ઝુંબેશ કરીને મહિલાઓના અધિકાર અંગેની ચર્ચાને બાનમાં લીધી હતી.’’ 1986થી અત્યાર સુધીનો માર્ગે આ પાયાના સંધર્ષનું પ્રતિબિંબ રજૂ કર્યું છે. મુસ્લિમ મહિલા વતી ઝુંબેશ ચલાવતા જમણેરી પક્ષોએ વાસ્તવમાં મુસ્લિમ અંગત કાયદામાં મહિલા સાથેના ભેદભાવ સામેના પોતાના રોષને ઠંડો કરવાની લઘુમતી અને મહિલા જૂથોને ફરજ પાડી હતી અને બીજી તરફ મુસ્લિમ રુઢિવાદી જુથો તેમના બચાવમાં વધુ મક્કમ બન્યા હતા.

ત્રણ વખત તલાકની પદ્ધતિનો ઉપયોગ કરીને પતિએ છૂટાછેડા આપેલી મહિલા શકિલા પરવીનના કેસના સંદર્ભમાં જૂન 2000ના વર્ષમાં 1986ના આ કાયદાની કસોટી થઈ હતી. ‘‘1993ના વર્ષની એક સવારમાં તે (મારા પતિ) મારી પાસે આવ્યા અને તલાક, તલાક અને તલાક બોલ્યા હતા.’’ ન્યાયમૂર્તિ એમ.સી. માનચંદાએ ભારતમાં લગ્નવિચ્છેદ કાયદા અંગેની તેમની 1973ની ટિપ્પણીમાં ત્રણ તલ્લાકના ઉપયોગને ‘ગેરમાન્ય પદ્ધતિ’ જાહેર કરી હતી અને આ તે જ પદ્ધતિ છે જેનો શાહ બાનોના પતિએ ઉપયોગ કર્યો હતો અને તેને મહિલા જૂથો દ્વારા છૂટાછેડાની અન્યાયી પદ્ધતિ માનવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ હજુ પણ સામાન્ય છે. માનચંદાએ ટિપ્પણી કરી હતી કે ‘‘આ પદ્ધતિમાં પવિત્રતાના એક સમયગાળામાં એક સાથે અથવા તેના જ જુદા જુદા સમયગાળામાં ત્રણ ઘોષણા થઈ હતી’’ માનચંદાએ ઉલ્લેખ કર્યો છે કે તલાકની ‘માન્ય’ પદ્ધતિમાં "પવિત્રતાના ત્રણ સળંગ સમયગાળા દરમિયાન ત્રણ સળંગ ઘોષણ (તલાકની)નો સમાવેશ થાય છે." શકિલા પરવીનને તેમના ઇદ્દાહ (ત્રણ હાયધ/ માસિક સ્ત્રાવના સમયગાળા) માટે દર મહિને રૂ. 800 ઉપરાંત તેમના રૂ. 2500ના મહેર ચુકવણીને મંજૂરી આપવામાં આવી હતી, મહેર ભારતમાં ઘણા કિસ્સામાં લગ્ન સમયે પત્નીને વાસ્તવમાં આપવામાં આવતું નથી, જે કુરાનના ઉદ્દેશનો ભંગ છે. પરવીને મુસ્લિમ મહિલા (છૂટાછેડાના અધિકારોમાં રક્ષણ) ધારા, 1986 હેઠળ હાઇ કોર્ટ ઓફ કલકત્તામાં અરજી કરી હતી. જુલાઇ 2000માં ન્યાયમૂર્તિ બાસુદેવ પાણિગ્રહીએ ચુકાદો આપ્યો હતો કે ‘‘છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને તેમની ભાવિ જરૂરિયાતની વિચારણા કર્યા પછી ભરપોષણનો હક છે અને આ ભરપોષણ માત્ર ઇદ્દતના સમયગાળા પૂરતું સીમિત નથી. ધારા, 1986ની કલમ 3 (આઇ) (એ)માં ઉપયોગ થયેલા શબ્દસમૂહ વાજબી અને ન્યાયી જોગવાઈ છે અને છૂટાછેડા પછી આવી મહિલાને ગુજરાનના પૂરતા સાધન મળે તેમજ તેમણે નિરાધાર ન બનવું પડે અથવા રસ્તા પર આવી જવું ન પડે તે સુનિશ્ચિત કરવા તેમને ભરપોષણ આપવું જોઇએ.’’ આ ચુકાદાના તર્કને બોમ્બે અને લખનોની કોર્ટમાં પણ લાગુ કરવામાં આવ્યા છે અને એવું લાગે છે કે મુસ્લિમ મહિલા ધારા, 1986એ સુપ્રીમ કોર્ટના 1985ના મૂળ ચુકાદાને લાંબા ગાળે સિદ્ધ કર્યો છે, જેમાં જણાવાયું હતું કે મુસ્લિમ મહિલાઓને ઇદ્દાહ સમયગાળાની બહાર પણ ભરપોષણ મેળવવાનો હક છે.

મુસ્લિમ મહિલા ધારા હેઠળના ચુકાદાઓ ઉપરાંત મહિલા જૂથોએ આ ધારાની બંધારણીય યોગ્યતાને પડકારી છે, કારણ કે તે ભારતીય બંધારણમાં આપવામાં આવેલા જાતિય સમાનતાના વચનની સામે વિરોધભાષ હોય તેમ લાગે છે. આ અરજીઓને સુપ્રીમ કોર્ટે હાથ પર લીધી નથી, તેનું કારણ કદાચ એ છે કે કોર્ટને મુસ્લિમ સમુદાયમાં અશાંતિ ઊભી થવાની આશંકા છે. હકીકતમાં 1997માં આવી એક પિટિશનની કોર્ટ દ્વારા સુનાવણી થશે તેવું લાગતું હતું ત્યારે એક અખબારમાં આવેલા લેખમાં મુસ્લિમ ‘ધર્મ ખતરામાં’નો દાવો કરાયો હતો. 1994માં બીજા એક કિસ્સામાં અલ્લાહબાદના એક ન્યાયમૂર્તિએ ત્રણ તલાકના સમગ્ર સિદ્ધાંતને ગેરબંધારણીય ગણાવ્યો હતો. જોકે આ ચુકાદાને અદાલતની બહારના મુદ્દાને કારણે અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો હતો. આ ચુકાદાને રાહિમ બીના કેસમાં બોમ્બ હાઇ કોર્ટેના એક અલગ ચુકાદામાં મજબૂતાઈ મળી હોય તેમ લાગે છે, જેમાં ત્રણ તલાક પદ્ધતિને ગેરકાનૂની ગણવામાં આવી હતી.

આ વિગતો 1985ના શાહ બાનો કેસ પછીથી મુસ્લિમ પર્સનલ લો સંબંધિત વિવિધ ચુકાદાઓનું ઝડપથી કરાયેલું સર્વેક્ષણ છે. મૂળ સંદેશ એ છે કે ધીમે ધીમે પરંતુ મક્કમતાપૂર્વક અદાલતો ઇસ્લામિક કાયદાના સૌથી વધુ ખુલ્લા ભેદભાવના પાસાંને દૂર કર્યું છે. તલાક આધારિત છૂટાછેડા અને ત્યક્તા મુસ્લિમ મહિલાઓના હકો કાનૂની પુનઃમૂલ્યાંકન હેઠળ આવ્યા છે. જો કે, એક મહત્ત્વનો મુદ્દો કે જેને પડકારવામાં આવ્યો નથી તેવું નથી, પરંતુ તેમાં ફેરફાર થયો નથી તે મુદ્દો છેઃ બહુપત્નીત્વનો મુદ્દો. બહુપત્નીત્વનો કાયદો શરિયાના બીજા કોઇ પણ કાયદા કરતા મહિલાઓ માટે વધુ ભેદભાવપૂર્ણ કાયદો છે અને તેની સાથે સાથે તેમાં ફેરફાર કરવાનું પણ સૌથી વધુ મુશ્કેલ છે, કારણ કે તેનો કુરાનમાં વિશેષ કરીને વિગતાવર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં બહુપત્નીત્વ અંગેનો કાયદો અતિશય શિથિલ છે, કારણ કે તેમાં પુરુષે એવું કોઇપણ રીતે પુરવાર કરવાનું હોતું નથી, કે તે એક કરતા વધુ પત્ની રાખી શકે છે. તેથી સૌથી ગરીબ પુરુષો પણ એક કરતા વધુ પત્ની કોઇપણ નિયંત્રણ વગર રાખે છે. ભારતમાં બહુપત્નીત્વ સામેના પ્રહારના અવસર ત્રણગણા છે. પ્રથમ એ કે પતિની બહુપત્નીત્વની પસંદગીઓ સાથેની ચોક્કસ સમસ્યા અંગે કોર્ટમાં પિટિશન દ્વારા મુસ્લિમ મહિલાઓ દ્રારા તુલનાત્મક રીતે ભાગ્યે જ ફરિયાદ થાય છે. બીજુ એ કે ઘણા ગ્રૂપો અને પ્રગતિશીલ લોકો દલીલ કરે છે કે મુસ્લિમ અંગત કાયદામાં ટ્યુનિશિયા કે તૂર્કીની માર્ગરેખા મુજબ સુધારા થવા જોઇએ. પ્રહારની છેલ્લી તક સમાન નાગરિક સંહિતાની માગણી અને મુસ્લિમ અંગત કાયદાની નાબૂદી છે, જો કે છેલ્લુ માધ્યમ બિનવ્યવહારુ લાગે છે.

‘બહુપત્નીત્વની પ્રથાનો અંત આણો, મુસ્લિમ મહિલાની એસસી (SC) (સુપ્રીમ કોર્ટ)માં અપીલ’ નામની હેડલાઇન હેઠળ 2001માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું હતું કે[સંદર્ભ આપો] આ મહિલાના વકીલ લિલી થોમસે દલીલ કરી છે કે "મુસ્લિમોને છૂટ આપવામાં આવેલી બહુપત્નીત્વની પરંપરા અને તેનો અમલ તેમજ ન્યાયતંત્ર બહારના છૂટાછેડા બંધારણની કલમો 14,15 અને 21 દ્વારા તમામ નાગરિકોને બાંયધરી આપવામાં આવા સમાનતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને માનવ હકોનો ઇનકાર છે... (તેમણે કોર્ટને એ જાહેર કરવા વિનંતી કરી હતી કે) મુસ્લિમ સમાજ દ્વારા પાલન કરવામાં આવતી બહુપત્નીત્વની પ્રથા ગેરકાનૂની, ગેરબંધાયરણી છે અને રદબાતલ છે અને તેની જગ્યાએ એકપત્નીત્વનો કાયદો લાવવો જોઇએ." આ વિનંતી થઈ હોવા છતાં કોર્ટે મુસ્લિમ લોને રદ કર્યો ન હતો અને કોર્ટે બહુપત્નીત્વનો સ્વીકાર કર્યો હતો.

1995માં ભારતની સુપ્રીમ કોર્ટે હિંદુ પુરુષે બીજી પત્ની સાથે લગ્ન કરવા ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો તેવા ચાર કેસોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ સરલા મુદગલ વિ. ભારત સંઘ, એઆઇઆર 1995, એસી 153 (AIR 1995 SC 153) કેસ છે, દરેક કેસમાં પ્રથમ લગ્ન 1954ના હિંદુ લગ્ન ધારા હેઠળ કરવામાં આવ્યા હતા. ન્યાયમૂર્તિ કુલદિપ સિંઘે 1945ના જુના કેસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કોર્ટે જાહેર કર્યું હતું કે ‘‘જો આ ઇસ્લામિક દેશ હોત, કે જ્યાં એક પક્ષકાર મુસ્લિમ હોય તેવા તમામ કેસોમાં ઇસ્લામિક કાયદો લાગુ પડે છે તો તે શક્ય છે કે ફરિયાદ પક્ષને તેમને માગણી કરી છે તે મુજબ એકરાર કરવાનો હક છે. પરંતુ આ ઇસ્લામિક દેશ નથી અને ઇસ્માલિક કાયદો આ ભૂમિનો કાયદો નથી." ન્યાયમૂર્તિ સિંઘનો ચુકાદો સંખ્યાબંધ પાસાંમાં અતિશય રસપ્રદ હતો. પ્રથમ એ કે તેમણે ઉલ્લેખ કર્યો હતો ‘‘ભારતમાં તમામને લાગુ પડતા હોય તેવા લગ્નવિષયક કાયદા ક્યારેય અસ્તિત્વમાં રહ્યા નથી. ધારાકીય કાયદા ઉપરાંત લગ્ન પક્ષકારોના પર્સનલ કાયદા હેઠળ પણ સંચાલિત છે.’’ બીજો તેમણે ઉલ્લેખ કર્યો છે કે ‘‘કોઇ ચોક્કસ અંગત કાયદા હેઠળ થયેલા લગ્નને બીજા એવા અંગત કાયદાને લાગુ પાડીને વિચ્છેદ કરી શકાય નહીં કે તેમાં એક જીવનસાથી ધર્મપરિવર્તન કરે છે અને બીજા આવું કરવાનો ઇનકાર કરે છે.’’ તારણ કાઢવામાં આવ્યું હતું કે ‘‘ભારતમાં એકપત્નીત્વ હિંદુઓનો કાયદો છે અને મુસ્લિમ કાયદામાં ચાર પત્ની કરવાની છૂટ મળે છે, તેથી સ્વીકાર્ય ધોરણોનું પાલન ન કરતા હિંદુ પતિ હિંદુ કાયદાની જોગવાઈમાંથી અને શિક્ષાત્મક પરિણામથી છટકવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કરે છે.’’

પોતાના લંબાણપૂર્વકના ચુકાદામાં તેમણે 20 વખત ભારત માટે સમાન નાગરિક સંહિતાના મહત્ત્વનો ટૂંકો ઉલ્લેખ કર્યો છે. સિંઘે સમાન નાગરિક સંહિતા માટેની જરૂરિયાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતા તેમની ટિપ્પણીમાં જણાવ્યું છે કે ‘‘અત્યાર સુધીની એક પછીની બીજી સરકારોએ કલમ 44 હેઠળના બંધારણીય આદેશનો અમલ કરવાની તેમની ફરજની સંપૂર્ણપણે ઉપેક્ષા કરી છે.’’ 2003માં સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયમૂર્તિ વી.એન. ખરેના વડપણ હેઠળ જોહન વલ્લામટ્ટમ વિ. ભારત સંઘ, એઆઇઆર 2003 એસસી 2902 (AIR 2003 SC 2902) કેસમાં તેની ટિપ્પણીમાં સમાન પ્રકારની જરૂરિયાત દર્શાવતા જણાવ્યું હતું કે ‘‘અમે જણાવવા માગીએ છીએ કે કલમ 44 જોગવાઈ કરે છે કે સરકાર ભારતના તમામ વિસ્તારમાં સમાન નાગરિક સંહિતાનો તમામ નાગરિકો માટે અમલ કરવાનો પ્રયાસ કરશે. તે ખૂબ જ દુઃખની વાત છે કે બંધારણની કલમ 44ને અમલી બનાવવામાં આવી નથી. સંસદે હજુ દેશમાં સમાન નાગરિક સંહિતા ઘડવા માટે પગલું લીધું નથી. સમાન નાગરિક સંહિતા વિચારણીઓ આધારિત વિરોધાભાષને નાબૂદ કરીને રાષ્ટ્રીય એકતાનું સર્જન કરવામાં મદદ કરશે.’’ કલમ 44ને ધારાસભા દ્રારા કાયદો બનાવવામાં ન આવ્યો હોવા પાછળના કારણને ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 1954ની એવી જાહેરાતમાં શ્રેષ્ઠ સારાંશમાં રજૂ કરી શકાય છે કે ‘‘મને લાગતું નથી કે હાલના સમયે તેનો અમલ કરવાનો ભારતમાં સમય પાકી ગયો હોય.’’ સામ્રાજ્યવાદ પછીના ભારતમાં તેના મોટાભાગના સમયગાળામાં નહેરુના કોંગ્રેસ પક્ષનું શાસન રહ્યું છે તેમજ તેમની પુત્રી અને પૌત્રે ભારતની આઝાદીના 58 વર્ષમાંથી 35 વર્ષ સુધી વડાપ્રધાન પદ મેળવ્યું છે તેથી તે સમજવું સરળ બન્યું છે કે નહેરુના પક્ષે ભારતના મુસ્લિમ અંગત કાયદામાં સુધારો કરવા માટે શા માટે કોઇ પગલાં લીધા નથી.

ભારતના બંધારણની કલમ 44 અને સમાન નાગરિક સંહિતા માટેના તેના આદેશનો અવિરત વિવાદ સમય સાથે શમ્યો નથી કે બંધારણમાં સુધારો કરવાનો કોઇ પ્રયાસ થયો નથી. મૂળ પ્રશ્ન એ છે કે આ જ બંધારણની કલમ 25 ‘‘ધર્મના પાલન અને પ્રચાર, મુક્ત વ્યવસાય અને સભાનતાની સ્વતંત્રના હક’’ની બાંયધરી આપે છે કે નહીં.

1990ના દાયકાના મધ્યમાં ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તા પર આવેલા શિવ સેના પક્ષે દાવો કર્યો હતો કે તે 1995માં સમાન નાગરિક સંહિતા અમલી બનાવવો માગતો હતો, પરંતુ આવો ખરડો પસાર કર્યો ન હતો. કેટલાંક મુસ્લિમ નેતાઓએ આ પ્રયાસને ‘મુસ્લિમની ઓળખ નાબૂદ કરવાના પ્રયાસ’ તરીકે ગણાવ્યો હતો. નાના રાજ્ય ગોવામાં નાગરિક સંહિતા જૂના પોર્ટુગિઝ ફેમિલી કાયદા આધારિત છે અને મુસ્લિમ અંગત કાયદા પર પ્રતિબંધ છે. તેનું કારણ એ છે કે ભારતે 1961માં ગોવા પર કબજો મેળવ્યો ત્યારે ભારતની સરકારે ત્યાંના લોકોને વચન આપ્યું હતું કે તેમના કાયદાને અકબંધ રાખવામાં આવશે. ગોવાના કાયદાના જાણકાર વ્યક્તિ માર્ગારેટ માસ્કરેનહાસે લખ્યું છે કે ‘‘હાલમાં ગોવામાં અમલી લગ્ન, છૂટાછેડા, બાળકના રક્ષણ અને વારસા સંબંધિત નાગરિક કાયદા જાતિ, વંશ કે લિંગના સંદર્ભમાં બિનભેદભાવપૂર્ણ છે.’’ ગોવાના કાયદા આધારિત સમાન નાગરિક સંહિતાનો સમગ્ર ભારતમાં અમલ કરવા માટેની 1979ની કોન્ફરન્સમાં માગણી થઈ હતી, પરંતુ ગોવા રાજ્ય આ નિયમમાં અપવાદ રહ્યું છે. અહીં એ ઉલ્લેખનિય છે કે 1978માં ભારતે 21 વર્ષથી ઓછી ઉંમરના પુરુષ અને 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતીના લગ્ન પર પ્રતિબંધ મૂકવા બાળલગ્ન પ્રતિબંધ ધારામાં સુધારો કર્યો હતો. સુધારા કાયદો થોડી સમસ્યા ઊભી કરે છે, કારણ કે ભારતના 1972ના કોન્ટ્રાક્ટ ધારા મુજબ પુરુષ 18 વર્ષની ઉંમરે લગ્નકરાર કરી શકે છે. બાળલગ્ન કાયદાના 1978નો સુધારો આ કોન્ટ્રાક્ટ ધારાને બિનઅસરકાર બનાવે છે.

સમાન નાગરિક સંહિતાની દિશામાં[ફેરફાર કરો]

મુસ્લિમ અંગત કાયદામાં સુધારણા લાવવા ઈચ્છતા લોકો જ્યાં આ પ્રકારની સુધારણા શક્ય બની છે તેવા મુસ્લિમ દેશોનું ઉદાહરણ ઘણીવાર આપે છે. ટૅરેન્સ ફૅરિસે, પોતાના પ્રકરણ ધી ડેવલપમેન્ટ ઓફ ઇસ્લામિક લૉ માં નોંધ્યું છે કે પાકિસ્તાનનો 1961નો મુસ્લિમ ફૅમિલી લૉ વટહુકમ “બીજા લગ્ન કરવા ઇચ્છતા વ્યક્તિ માટે સરકાર દ્વારા નિમાયેલી લવાદ સમિતિની લેખિત પરવાનગી મેળવવી આવશ્યક બનાવે છે.” પાકિસ્તાનના કિસ્સાનો રસપ્રદ મુદ્દો એ છે કે 1947 સુધી ભારત અને પાકિસ્તાન- બન્નેના મુસ્લિમો 1937ના શરિયત એક્ટ હેઠળ આવતા હતા. જો કે, 1961 સુધીમાં પાકિસ્તાન કે જે એક મુસ્લિમ દેશ હતો, તેણે હકીકતમાં મુસ્લિમ કાયદામાં ભારતની તુલનાએ વધારે સુધારણા કરી હતી અને આજે પણ ભારતની સરખામણીએ ત્યાં વધારે સુધારા થાય છે. મુશીર અલ-હક અને તાહીર મહમૂદ, બન્ને ઇસ્લામિક કાયદાઓ પરના ભારતીય લેખકો છે, તેમણે એવું નોંધ્યું છે કે ટ્યુનિશિયા અને તૂર્કીમાં સુધારા થયા છે અને ત્યાં બહુપત્નીત્વની પ્રથા નાબૂદ થઈ ગઈ છે. ઈરાન, દક્ષિણ યેમન અને સિંગાપોર, આ તમામ દેશોએ 1970ના દશકમાં તેમના મુસ્લિમ કાયદાઓમાં સુધારણા કરી હતી. અલબત્ત, ઈરાને પુનઃ જૂના કાયદાઓ અમલી બનાવ્યા હોય એવું જણાય છે. દલીલોના અંતે એક વાત સ્પષ્ટ થઈ જાય છે. જો મુસ્લિમ દેશો ઇસ્લામિક કાયદાઓમાં સુધારણા કરી શકતા હોય, અને જો પશ્ચિમી લોકશાહીઓમાં સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક પ્રણાલી હોય, તો પછી ભારતીય મુસ્લિમોએ શા માટે 1930ના દાયકામાં પસાર કરાયેલા જરીપૂરાણા કાયદાઓ હેઠળ જીવવું જોઈએ?

આ વિષય પરના મોટાભાગના લખાણો તાહીર મહમૂદ જેવા સંસ્કૃતિ અને રાજકીય સૂઝ ધરાવનારા મુક્ત વિચાર ધરાવનારા મુસ્લિમ લોકોની નાની સંખ્યા તરફ ઇશારો કરે છે જેઓ અંગત કાયદાને નાબૂદ કરવાની અથવા તો તેમાં સુધારણા કરવાની તરફેણ કરે છે. જો કે, જમિયત અલ-ઉલેમા અને અન્ય રૂઢિચુસ્ત મુસ્લિમ જૂથોની આગેવાની હેઠળના વિશાળ બહુમતીવાળા મુસ્લિમોએ અંગત કાયદામાં કોઈ પણ પ્રકારના ફેરફાર સામે તીવ્ર વિરોધ કર્યો છે. મુશીર ઉલ-હકે પોતાના ગ્રંથ ઇસ્લામ ઇન સેક્યુલર ઇન્ડિયા માં ત્રણ જૂથો દર્શાવ્યા છેઃ કડક પાલન કરનારાઓ, મધ્યમ અને સુધારાવાદી. સુધારાવાદી જૂથમાં એ લોકોનો સમાવેશ થાય છે જેઓ અંગત કાયદાને સંપૂર્ણપણે નાબૂદ કરવા તથા તેના સ્થાને સમાન સંહિતા લાવવાના પક્ષમાં છે. ફેરિયસે તેમને એવા લોકો તરીકે વર્ણવ્યા છે કે જેઓ “મુસ્લિમો પૈકી ખૂબ જ નાની સંખ્યામાં રહેલા લોકો છે... જેઓ મહદઅંશે પશ્ચિમી તાલીમ ધરાવે છે.” મધ્યમસ્તરીય લોકોમાં, અમને એ.એ. ફાયઝી જેવા લોકો મળી આવ્યા જેઓ માને છે કે ઇજમા અથવા સમાજની પરવાનગી મળવાની શરતે શરિયાના કાયદામાં પરિવર્તન કરી શકાય છે અને તેને સુધારી શકાય છે. ધર્મનું કડક પાલન કરનારા અથવા અગાઉ જણાવ્યા મુજબ રૂઢિચુસ્તો મુશીર ઉલ-હકની દલીલો ઉપર નિર્ભર છે, તેઓ ઇસ્લામ ઇન સેક્યુલર ઇન્ડિયા માં એવી દલીલ કરે છે કે ટ્યુનિશિયા અને તૂર્કી અથવા ઇરાક જેવા દેશોના કાયદાઓએ “સત્તાવાદી શાસકો દ્વારા પોતાના ગળા કાપી નાખ્યાં છે” તથા “અત્યાર સુધીમાં ભાગ્યે જ એવો કોઈ દેશ છે કે જેણે શરિયાના સૂત્રોની સત્તાનો ઈનકાર કર્યો છે.”

આ તર્કપૂર્ણ દલીલો બાવજૂદ, આ વિષય પરના લખાણોનો સમયગાળો મોટેભાગે 1970ના દશકથી શરૂ થાય છે. મહમૂદે પોતાની કૃતિ મુસ્લિમ અંગત કાયદા 1977માં પ્રસિદ્ધ કરી હતી, જ્યારે ઉલ-હકે પોતાની કૃતિ 1972માં લખી હતી. વધુ આધુનિક સ્રોતો મોટેભાગે લેખોનો સંગ્રહ છે, જેમાં 1980માં પ્રસિદ્ધ થયેલી ધ મુસલમાન્સ ઓફ ધ સબકોન્ટિનેન્ટ અથવા 1988માં પ્રસિદ્ધ થયેલી ધ મુસ્લિમ્સ ઓફ ઇન્ડિયા નો સમાવેશ થાય છે. આ બાબતે બિનસાંપ્રદાયિકોમાં ઘણી ચર્ચા પેદા કરી છે અને સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદામાં પણ તે દેખાય છે. 1985ના શાહબાનુ કેસને પગલે ચેતવણીની ઘંટડી વાગી છે અને યુનિફોર્મ સિવિલ કોડની સામે વિરોધ જોવા મળતો નથી. ભારતની આઝાદીના લગભગ 60 વર્ષ બાદ એવી સંભાવના છે કે મુસ્લિમ સમુદાય સમાન સંહિતાને યોગ્ય બાબત તરીકે નિહાળતો હોય.

અંગત કાયદામાં ત્રણ વિકલ્પો ખુલ્લાં છે. તેને વણસ્પર્શ્યો, અખંડિત રાખી શકાય અને તેને 1937ના શરિયત એક્ટ અનુસારનો રાખી શકાય, પરંતુ ઘણાં સંદર્ભમાં તે 19મી સદીના એંગ્લો-મુહમ્મદન લૉને મળતો આવે છે. આ કાયદાની પુર્નરચના કરી શકાય પરંતુ તેને લીધે સંકુચિત મુસ્લિમ સંગઠનો તેની સામે ચળવળ આદરે તેમ હોવાથી પુનઃરચનાની શક્યતા નથી. કારણ કે મુસ્લિમ સંગઠનોમાં આ માટે સંમતિનું પ્રમાણ બહુ ઓછું છે, અને હકીકતમાં આવા સંગઠનો આ કાયદાને લીધે ભારતમાં મુસ્લિમ સંસ્કૃતિનો નાશ થઈ શકે એવો દાવો કરીને સુધારાની સામે લડત ચલાવે છે. છેલ્લા વિકલ્પ એટલે કે સમાન સંહિતાને પસાર કરવાની શક્યતા વધતી જતી જણાય છે. જો કે, 1970ના દશકમાં લોકો આ જ વાત ઉચ્ચારી રહ્યાં હતા અને શાહબાનોને લીધે 1985માં તેમની આશાઓને નવું ઇજન મળ્યું, આ વાતને હવે દશકો થઈ ગયા છે. સુધારાવાદીઓનાં મુખ્ય કાનૂની મુદ્દાઓમાં બહુપત્નીત્વ, મહિલાઓના છૂટાછેડા માટેના અધિકારો અને છુટાછેડા પછી ભરણપોષણ માટેના મહિલાઓના અધિકારોનો સમાવેશ થાય છે. તેમની એવી અનુભૂતિ છે કે બહુપત્નીત્વને સમુળગી નાબૂદ થવી જોઈએ, છૂટાછેડા માટે યાચિકા દાખલ કરવા માટે મહિલાઓને અનુકૂળ સમય મળવો જોઈએ, છૂટાછેડા માટે પતિઓ ત્રણ વખત તલાક બોલવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકે એવું હોવું જોઈએ નહીં અને બિન-મુસ્લિમોની જેમ જ ભરણપોષણની પરવાનગી મળવી જોઈએ. વાસ્તવમાં તેમની દલીલ એવી છે કે 1954ના સ્પેશ્યલ મેરેજ એક્ટની જોગવાઇઓ ફક્ત આ કાયદા હેઠળ લગ્ન કરનાર લોકો પૂરતી જ નહીં પરંતુ મુસ્લિમો ઉપર પણ લાગુ કરવી જોઈએ.

સુપ્રિમ કોર્ટ સમક્ષ ચાલેલા કેસમાં લિલી થોમસે દલીલ કર્યાં મુજબ, તેણીએ અંગત કાયદા હેઠળ મુસ્લિમોને મળેલી ઘણી “ગેરન્યાયિક” પદ્ધતિઓ તરફ ધ્યાન ખેંચ્યું હતું. આ પદ્ધતિઓમાં જેનો અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તલાક પદ્ધતિનો સમાવેશ થાય છે જેને માત્ર પુરૂષ જ બોલી શકે છે. મુસ્લિમ પુરૂષ જ્યારે ચાર મહિના માટે સંબંધોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લે ત્યારે ઈલા પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઝિહાર પદ્ધતિનું નામ “પીઠ” શબ્દ પરથી ઉતરી આવ્યું છે અને આ પદ્ધતિનો શબ્દશઃ અર્થ પણ એવો જ છે, તેમાં જ્યારે પુરૂષ એવા નિર્ણય પર આવે કે તેની પત્નીની પીઠ તેની માતાની પીઠ જેવી છે તો તેમનો સંબંધ પ્રતિબંધિત થાય છે. જ્યારે પત્ની પોતાની લગ્નગ્રંથિથી છૂટી કરવા માટે પતિને સંમતિપૂર્વક નક્કી કરાયેલી એક રકમ ચૂકવે ત્યારે પારસ્પરિક સંમતિથી થનારા છૂટાછેડા અથવા ખુલા થાય છે. નોંધવામાં આવ્યા પ્રમાણે, આ તમામ પદ્ધતિઓ પતિના હુકમને આધારે થાય છે, અને તે “ગેરન્યાયિક” છે કારણ કે તેમાં 1939ના ડિઝોલ્યૂશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલા દ્વારા યાચિકા દાખલ કરવા સહિતની અદાલત પદ્ધતિનો સમાવેશ થતો નથી. અત્રે એ મુદ્દો નોંધવા જેવો છે કે આ તમામ કાનૂની વિવાદો બાવજૂદ પણ ભારતની ઘણી મુસ્લિમ મહિલાઓને તેમના અધિકારોની જાણ સુદ્ધાં નથી, અને માત્ર ભારતીય કાયદા જ નહીં પણ શરિયતના કાયદાનો પણ ભંગ કરતા ઘણાં મુસ્લિમ લગ્નો થાય છે. ડિવોર્સ એન્ડ મુસ્લિમ વિમેન પુસ્તકમાં લેખકે વિવિધ અભ્યાસો રજૂ કર્યાં છે, જેમાં પશ્ચિમ બંગાળમાં અનુસરાતી પદ્ધતિઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

મુર્શિદાબાદ શહેરમાં, એક અભ્યાસમાં એવું જણાયું હતું કે માત્ર 44.83 ટકા વાલીઓએ જ લગ્ન માટે તેમની પુત્રીઓની સંમતિ લીધી હતી.[સંદર્ભ આપો] આ પૈકીના મોટાભાગના કિસ્સાઓમાં, પુત્રીઓ તરૂણવયની અથવા કેટલીકવખત તો 10 વર્ષની હતી. ભારતમાં હજુ પણ વાલીઓ દ્વારા ગોઠવાયેલા લગ્નો એક સામાન્ય બાબત છે અને નાની વયની બાલિકાઓના લગ્નો એ સામાન્ય બાબત નથી. આ કિસ્સાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈસ્લામિક કાનૂનનો હુકમના પત્તા તરીકે ઉપયોગ કરવો એ સ્થાનિક રીતરિવાજોની સૌથી જૂની સમસ્યા છે, આ એક એવી સમસ્યા છે કે જેના લીધે 1938માં સૌપ્રથમવાર શરિયતનો કાયદો પસાર કરવો પડ્યો હતો. મહેર નહીં પણ દહેજના કિસ્સામાં એવું જણાઈ આવ્યું છે કે મોટાભાગના મુસ્લિમો દહેજ પણ ચૂકવે છે જે મુસ્લિમ કાનૂનના સીધા ભંગ સમાન છે. મહેરના કિસ્સામાં, સામાન્ય રીતે એટલી ઊંચી કિંમત રાખવામાં આવે છે કે જેથી પુરૂષ લગ્નના સમયે પત્નીને ચૂકવી શકે નહીં. કેટલાકઅંશે, પતિ દ્વારા મહેરને “જામીન’ સ્વરૂપે રાખવામાં આવે છે. છૂટાછેડા થઈ જાય ત્યારે પત્ની પોતાની મહેર પરત કરવાની માગ કરી શકે છે. છૂટાછેડાના કિસ્સામાં, એવું જણાઈ આવ્યું છે કે, પુરૂષો તલાક જાહેર કર્યા બાદ જરૂરી ત્રણ મહિનાના સમયગાળા સુધી પ્રતિક્ષા કરતા નથી, એટલું જ નહીં, મોટાભાગના છૂટાછેડા કાઝી (મુસ્લિમ ન્યાયાધીશ) અથવા કોર્ટની સમક્ષ નહીં પણ ‘સામાન્ય માણસો’ સમક્ષ થાય છે. ડૉ. સૈયદ અબ્દુલ હાફીઝ મોઇનુદ્દીન પશ્ચિમ બંગાળના મુસ્લિમો પરના પોતાના અભ્યાસનો નિષ્કર્ષ તારવતા લખે છે કે “પશ્ચિમ બંગાળમાં છૂટાછેડા લીધેલ/ અલગ થયેલી મુસ્લિમ મહિલા દયનીય જીવન જીવે છે... સિદ્ધાંતો અને વ્યવહાર વચ્ચેનો તફાવત પણ અત્યંત સ્પષ્ટ છે... સ્થાનિક લોકોને સામાન્યરીતે તલાક વિશેના કુરાનના સિદ્ધાંતોની માહિતી હોતી નથી.”

શાહીદા લતીફે, મુસ્લિમ મહિલાઓના પોતાના અભ્યાસમાં, આ જ મુદ્દો તારવ્યો છે, તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો છે કે ઘણા કિસ્સાઓમાં મુસ્લિમ મહિલાઓને તેમના અધિકારોની માહિતી હોતી નથી. માઇનોરિટી રાઇટ્સ ગ્રૂપ ઇન્ટરનેશનલ (એમઆરજીઆઈ (MRGI)) જેવા ઉદાર માનસ ધરાવતા જૂથોએ સૌથી પહેલા તો દોષનો ટોપલો ભારત સરકારના માથે ઢોળીને, અને ત્યારપછી જમણેરી પક્ષો ઉપર આ ચર્ચાનું રાજકીયકરણ કરવાનો આરોપ મૂકીને મુસ્લિમ મહિલાઓનું અહિત કર્યું છે. એમઆરજીઆઈ (MRGI)એ દાવો કર્યો છે કે “અંગત કાયદાના સંદર્ભમાં સીઇડીએડબ્લ્યૂ (CEDAW)ની કલમોનો ભારત સરકાર દ્વારા કરાયેલ ઈનકાર સમાજ અને કુટુંબમાં મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાનો અભાવ દર્શાવે છે તથા મહિલાઓનાં સમાનતાના બંધારણીય અધિકારનો ભંગ છે.” અત્યંત “જાતિવાદી” તરીકે ઉભરવાથી હંમેશા ગભરાતા રહેલા આ જ પ્રકાશને એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે, “તેમનો (મુસ્લિમ મહિલાઓ) દરજ્જો ઇસ્લામના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓને આભારી ન પણ હોઈ શકે.”

આથી, આ પ્રકારના જૂથો મુજબ, “ભારતના બિનસાંપ્રદાયિક સ્વરૂપ સમક્ષ પડકાર ઊભો કરનાર રાજનીતિ અને ધર્મ વચ્ચેની પોતાની જન્મજાત કડી બદલ બીજેપી (BJP)નો દોષ છે.” વધુમાં, “તેની જમણેરી વર્ચસ્વ અને તેનો એકહથ્થું સત્તાવાદ... તથા મહિલાઓ અંગેના તેના વિચારો, ભારતની તમામ મહિલાઓ માટે પ્રતિકૂળ છે.” મહિલા અધિકાર કર્મશીલો, ખાસ કરીને પશ્ચિમના લોકોની સ્થિતિ સ્પષ્ટ છે. સમાન અધિકારો માટે અભિયાન ચલાવી રહેલા જમણેરી પક્ષો અસ્વીકાર્ય છે જ્યારે 50 વર્ષની નેતાગીરી દરમિયાન મુસ્લિમ કાયદામાં સુધારો કરવાની દિશામાં અલ્પ કામગીરી કરનાર કોંગ્રેસ પક્ષ “મહિલાઓના હિતોની સુરક્ષા કરવા માટેના તેની પોતાની બંધારણીય જોગવાઈઓ તથા માનવ અધિકારોના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને” વળગી રહ્યો છે.

ભારતના બંધારણના પિતામહ ડૉ. આંબેડકરે આર્ટિકલ-44 વિશે જણાવતા એવું અવલોકન કર્યું હતું કે, “એવું ચોક્કસપણે સંભવ છે કે ભવિષ્યમાં સંસદ એવી જોગવાઈ કરી શકે છે કે જેમાં આ સંહિતાને પ્રારંભમાં માત્ર જેઓ તેને વળગી રહેવા માટે તૈયાર હોવાની ઘોષણા કરે એ લોકો ઉપર જ લાગુ કરવામાં આવે, જેથી આરંભિક તબક્કામાં આ સંહિતાનો અમલ સ્પષ્ટપણે સ્વૈચ્છિક હોઇ શકે.” ડૉ. આંબેડકર સ્પષ્ટ ધારણા ધરાવતા હતા કે રાજ્યને અંગત કાયદા ઉપર કાયદો લાદવાની સત્તા છે પરંતુ તેમણે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે, “કોઇ પણ સરકાર સત્તાનો ઉપયોગ એ રીતે કરી શકે નહીં કે જેનાથી મુસ્લિમ સમુદાયને વિદ્રોહ કરવા માટે પ્રોત્સાહિત થાય.”

5,00,000 ભારતીયોના જીવ લેનારી 1948ની કોમી હિંસા જેવી હિસાનો ભય સેવતા ડૉ. આંબેડકરના સાવચેત અભિગમને અનુસરવાને બદલે, નહેરુની અનુભૂતિનું વિશ્લેષણ ઉપયોગી નિવડી શકે છે. આર્ટિકલ-44ના અમલમાં નહેરુએ પણ નબળો દેખાવ કર્યો હતો. એક ‘બિનસાંપ્રદાયિક’ દેશ તરીકે ભારતના વિચાર ઉપર દ્વષ્ટિપાત કરતા, તેમણે એવો અભિપ્રાય આપ્યો હતો કે, “આ શબ્દ ‘બિનસાંપ્રદાયિક’ કદાચ અત્યંત ખુશાલીપૂર્ણ શબ્દ નથી અને તેથી વધુ સારા શબ્દની જરૂર છે, આપણે તેનો ઉપયોગ કર્યો છે.” આનો મતલબ શું થાય? તેનો સ્પષ્ટ અર્થ એક એવા સમાજનો નથી થતો કે જ્યાં ધર્મ નિરુત્સાહી થયેલો હોય. તેનો મતલબ ધાર્મિક સ્વાતંત્ર્યતા અને સદવિવેકબુદ્ધિનો થાય છે." જો કે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણને આ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આપણે એ વાતનો સ્વીકાર કરીએ છીએ કે કોઇ પણ ધર્મને પસંદગીનો દરજ્જો અથવા આગવી પદવી આપવી જોઈએ નહીં.”

ભારતમાં એક જન્મજાત વિરોધાભાસ રહેલો છે, આ એક એવી સમસ્યા છે જેનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. વિશાળ વૈવિધ્યતા, અતિ વસતીની સમસ્યા સહિત વિશાળ સંખ્યામાં મુસ્લિમ લઘુમતી ધરાવતા કોઈ પણ દેશની તમામ સમસ્યાઓ પૈકી આ સમસ્યા પ્રકૃતિદત્ત હોય છે. ભારતમાં, તમામ નાગરિકો સાથે એકસમાન વ્યવહાર કરવા માટે વિવિધ જૂથો માટેના અંગત કાયદાનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે. આ દેશે તમામ અંગત કાયદાને નાબૂદ કર્યાં છે, અને લઘુમતી જૂથો પૈકીના એક જૂથ ઉપર લાગુ થતા કાયદાઓ તેમાં અપવાદરૂપ છે. ધર્મનિરપેક્ષતા અને સમાન અધિકારોના પશ્ચિમી ધારાધોરણો અનુસાર અન્ય લઘુમતીઓને એકસમાન રાખવામાં આવ્યા છે. જો કે, વ્યાપક તોફાન અને વિદ્રોહ ફાટી નીકળવાના ભયને લીધે, સરકારે મુસ્લિમ સમુદાય માટેના સુધારા અભેરાઈએ ચઢાવી દીધા છે, અને 1930ના દશકથી આ મુદ્દો જેમનો તેમ છે. બ્રિટિશે તેથી ઉલટું કર્યું હતું. મોહમ્મદન લૉના અમલમાં, બ્રિટિશરોએ હકીકતમાં ભારતીય મુસ્લિમોના રૂઢિગત કાયદાઓ પૈકીના ઘણાની ગુણવત્તા વધારી હતી. આઝાદી બાદની ભારત સરકારે તેનાથી ઉલટું કર્યું. સરકારે પોતાની પચાસ મિલિયન મુસ્લિમ મહિલા નાગરિકોને સમાન અધિકારોને અમલી બનાવવા માટે કોઈ કાનૂની માર્ગ શોધવાનો ઇનકાર કરી દીધો છે.

અંતમાં, સંભવિતપણે સુધારાની તરફેણમાં રહેલા સમાન લોકો – પશ્ચિમી ઉદારવાદીઓ સમાન સંહિતાના વિચાર તરફ વળ્યાં છે કારણ કે તેમને એવો ડર છે કે જમણેરી પક્ષ આ મુદ્દા વડે પોતાનો પ્રચાર કરી રહ્યો છે. યુનિફોર્મ સિવિલ સંહિતાને એક એવા “હિંદુ રાષ્ટ્રવાદી ષડયંત્ર” તરીકે જોવામાં આવે છે કે જેને લઘુમતી મુસ્લિમ સમુદાયને દબાવવા માટે રચી કાઢવામાં આવ્યું છે. એમ લડાયક અભિમાનવાળા હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા મુસ્લિમ મહિલાઓ વિશે કરાતી ચિંતાને “કપટ અથવા કોમવાદ પ્રેરિત” પગલા તરીકે જોવામાં આવે છે એવું સામાન્યપણે માનવામાં આવે છે.[સંદર્ભ આપો] જમણેરી પક્ષો દ્વારા આ મુદ્દો હાથ ધરાયો છે તેનું કારણ કોંગ્રેસ પક્ષ અને તેના દ્વારા કરાતા મુસ્લિમ સમુદાયના સંતુષ્ટીકરણમાં રહેલું છે. ડૉ. આંબેડકરે સ્વીકાર્યા મુજબ સરકારને જે કામ કરવાની સત્તા છે તે મુસ્લિમ અંગત કાયદામાં સુધારણા કરવાનું કામ કોંગ્રેસે 1970ના દશકમાં અથવા મોડામાં મોડું 1985માં કર્યું હોત, તો આ મુદ્દાને લઈને વાજપેયી અને બીજેપી (BJP) ચૂંટણી જીતી શક્યા ન હોત.

ભારતના ઘણા ભાગોમાં બીજેપી (BJP) આજે એક મહત્વનું પરિબળ છે, ખાસ કરીને “હિંદી પટ્ટા”માં જે સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પથરાયેલો છે. ભારતમાં ઈસ્લામિક કાનૂન 850 વર્ષથી છે. ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોને અનુસરતા બહુમતી હિંદુઓના આગમને ઇસ્લામિક કાયદાઓને મસ્જિદો અને સમારોહોમાં તબદીલ કર્યો હોવો જોઈએ. જો કે, તેના વિરોધાભાસમાં, અને ઘણી વખત ઢોંગપૂર્વક લઘુમતીના સંતુષ્ટીકરણને લીધે, ભારતીય સરકારે એક એવું બંધારણ ઘડ્યું છે કે જેમાં એક બાજુ અંગત કાયદા દ્વારા ભેદભાવની છૂટ આપવામાં આવી છે અને બીજી બાજું સમાનતાની વાત કરવામાં આવી છે. આ મુદ્દો અદાલત અને રાજનીતિમાં અટવાયેલો છે, જે સમયને આધિન બાબત છે. આજનો મુસ્લિમ સમુદાય હઠાગ્રહપૂર્વક સુધારાનો ઇનકાર કરે છે, અને તેઓ એટલા માટે ઇનકાર કરી રહ્યાં છે કે તેમને અંગત કાયદા દ્વારા જે વિશેષ દરજ્જા મળે છે તે નાબૂદ થઈ જાય તેમ છે.

ઇસ્લામવાદીઓ દ્વારા કરાયેલા દાવાઓથી ઊલટું, સમાન નાગરિક સંહિતાને હિંદુ રાષ્ટ્રવાદી છાવણી સિવાયના ઘણા લોકોએ ટેકો આપેલો છે, જેમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન રેશનલિસ્ટ એસોસિયેશન્સ જેવા રેશનાલિસ્ટ અને માનવતાવાદી લોકોનો સમાવેશ થાય છે, જેઓ હિંદુ રાષ્ટ્રવાદનો વિરોધ કરે છે.[૧]

વિવાદ[ફેરફાર કરો]

યુનિફોર્મ સિવિલ સંહિતાની તરફેણની દલીલ બે વાક્યમાં છેઃ

  1. આ સંહિતા સમાનતાનું સર્જન કરે છે. અન્ય અંગત કાયદામાં સુધારા કરાયેલા છે, મુસ્લિમ લૉમાં સુધારા થયા નથી. હિંદુ રાષ્ટ્રવાદીઓ એવી દલીલ કરે છે કે મુસ્લિમોએ આમ કરવાની છૂટ આપવી જોઈએ, ઉદાહરણ તરીકેઃ એક કરતા વધુ લગ્ન. હિંદુ અથવા ખ્રિસ્તીઓએ આવું કરવા માટે કાનૂની પગલા લેવા પડે છે. તેઓ તમામ ધર્મો માટે યુનિફોર્મ સિવિલ સંહિતાની માગ કરે છે.
  2. જાતિ સમાનતા વિવિધ ઉદારવાદી અને મહિલા જૂથોએ એવી દલીલ કરી છે કે સમાન નાગરિક સંહિતા મહિલાઓને વધુ અધિકારો આપે છે.

આર્થિક સહાય[ફેરફાર કરો]

મુસ્લિમોને હજ, મક્કાની યાત્રા માટે અને તેમની ધાર્મિક શાળાઓ (મદ્રેસા)ને પણ સહાય મળે છે. એક તરફ ભારત સરકાર હજ પઢવા માટે મુસ્લિમોને આર્થિક સહાય આપે છે, બીજી બાજું ભારત સરકાર સરકારી હવાઇ સેવા દ્વારા ઉડ્યન કરીને જવા સામે પ્રતિબંધ મૂકે છે, ભારતીય મુસ્લિમોને સેવા પૂરી પાડવા બદલ સાઉદી અરેબિયા પાસેથી પણ સહાય મળે છે, જ્યારે હિંદુઓના દાવા મુજબ ભારત સરકાર તેમની પવિત્ર યાત્રાઓ અથવા ધાર્મિક સંસ્થાઓને સમાન વિશેષ લાભ આપતી નથી. હિંદુ સંતો દ્વારા સ્થપાયેલા આશ્રમ માટે સરકાર મફત જમીન અને અન્ય સુવિધાઓ (નિઃશુલ્ક) આપે છે. આશ્રમની આવકને પણ સરકારે કરવેરામાંથી સંપૂર્ણ માફી આપેલ છે તથા સંતોને ઝેડ કક્ષાની સુરક્ષા પણ આપેલી છે.

શાહ બાનો કેસ[ફેરફાર કરો]

સુપ્રિમ કોર્ટના ચુકાદાને ઉલટાવવા માટે સંકુચિત મુસ્લિમોના દબાણ હેઠળ રાજીવ ગાંધીએ ભારતીય કાયદામાં કરેલા સુધારાથી હિંદુત્વના ટેકેદારો ગુસ્સે ભરાયા હતા. સુધારીને શરિયતને સમકક્ષ કરાયેલા કાયદાઓમાં, છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓને મળતા અધિકારો ઘટી ગયા, અગાઉ વધુ અધિકારો મળતા હતા. રાજીવ ગાંધીને આ માટે અત્યંત આકરી કિંમત ચૂકવવી પડી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • નાગરિક સંહિતા

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

ઢાંચો:More footnotes ઢાંચો:Refs

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

  1. મોડર્ન ઇન્ડિયન ફેમિલી લો - વેર્નર મેનસ્કી દ્વારા
  2. ઇંગ્લિશ લો ઇન ઇન્ડિયા: અનિલ ચંદ્રા બેનરજી દ્વારા
  3. ફેમિલો લો એન્ડ કસ્ટમરી લો ઇન એશિયા
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-31.
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-24 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-31.
  6. http://www.legalserviceindia.com/wills.htm
  7. http://ier.sagepub.com/cgi/pdf_extract/34/1/1[હંમેશ માટે મૃત કડી]
  8. http://www.legalserviceindia.com/article/l338-Muslim-womens-right-for-dissolution-of-marriage.html
  9. ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, 1872
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-31. સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન