હર્ષ સંઘવી

વિકિપીડિયામાંથી
સુરત શહેર પોલીસ દ્વારા આયોજીત લોક્સંવાદ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતાં માનનીય મંત્રીશ્રી હર્ષ સંઘવી.

હર્ષ રમેશ સંઘવી (જન્મ ૮ જાન્યુઆરી ૧૯૮૫) હાલમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ છેલ્લા ૩ સત્રથી કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેંદ્રભાઈ પટૅલની સરકારમાં રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. [૧] સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સમાજલક્ષી દ્રષ્ટિકોણ સાથે જેમણે પોતાની કારકિર્દી શરુ કરી એવા હર્ષ સંઘવી સુરત સહિત સમગ્ર ગુજરાતના નામાંકિત યુવા નેતા છે. સમાજસેવાના શરુઆતના દિવસોમાં તેમણે યુવાનો માટે વ્યક્તિવ વિકાસ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન કેમ્પ, વિવિધ ખેલ – કૂદ / રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કર્યુ. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, જેવા વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલ સિકલસેલ , એનિમિયા જેવા ગંભીર રોગોની નાબુદી માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું.[૨]

ભાજપના યુવા કાર્યકર્તા તરીકેની કારકિર્દી.[ફેરફાર કરો]

2008માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થઈ. 2010 માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા.2011 માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.2013 માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોર્ચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014 માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે એમની નિમણૂંક થઈ.[૩]

165 - મજૂરા વિધાનસભા અને મંત્રીમંડળમાં સ્થાન.[ફેરફાર કરો]

2012 માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર 165 મજૂરા વિધાનસભાના ઉમેદવાર તરીકે માત્ર  27 વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે ગુજરાત 2012 વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું જેમાં 1,03,577 જેટલા મતો મેળવી કુલ મતદાનના 73.61% મતો મેળવીને જંગી માર્જીન સાથે વિજેતા બન્યા હતાં. તો 2017 ની વિધાનસભા ચૂંટણીમાં 1,16,741 મતો મેળવીને કુલ થયેલ મતદાનમાંથી 76.65% મતો મેળવીને જંગી માર્જીન સાથે વિજેતા બન્યા હતાં. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજયમાં બીજા ક્રમે કુલ 1,33,335 મતો એટલે કે 81.97% મતો મેળવીને એમણે પ્રચંડ જીત મેળવી હતી.[૪][૫][૬]

2021 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેંદ્રભાઈ પટૅલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી રમત - ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિભાગોની જવાબદારી સોંપાઈ હતી.[૭]

2022 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેંદ્રભાઈ પટૅલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી તરીકે રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે.[૮][૯]

સંદર્ભ[ફેરફાર કરો]