એક્ટિનીયમ

વિકિપીડિયામાંથી

એક્ટિનીયમ એ એક કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ac અને અણુ ક્રમાંક ૮૯ છે, જેની શોધ ૧૮૯૯માં થઈ. આ સૌથી પહેલું મૂળભૂત કિરણોત્સારી તત્વ છે જેને છૂટું પાડી શકાયું હતું. પોલોનીયમ, રેડિયમ અને રેડૉન એક્ટિનીયમ પહેલાં શોધાયાં હતાં, પણ તેને ૧૯૦૨ સુધી છુટાં પાડી શકાયા ન હતાં. એક્ટિનિયમ પરથી આવર્ત્રન કોઠામાં એક અન્ય સમૂહનું નામ પડ્યું - એક્ટિનાઈડ શ્રેણી. આ જૂથ સમાન ગુણધર્મો ધરાવતા ૧૫ તત્વોનું સમુહ છે જે ઇક્ટિનીયમ અને લોરેંસીયમ વચ્ચે આવે છે.

આ એક મૃદુ, ચળકતી-સફેદ કિરણોત્સારી ધાતુ છે. આ ધાતુ ઓક્સિજન અને હવા સાથે રાસાયણિક ક્રિયા કરે છે કે એક સફેદ રંગનો એક્ટિનમ ઓક્સાઈડ બનાવે છે. આ ઓક્સાઈડ અવાહક હોવાથી ધાતુનું વધારે ઓક્સિડેશન રોકાય છે. લેંથેનાઈડની જેમ એક્ટિનાઈડ શ્રેણીના તત્વો પણ +૩ ની ઓક્સિડેશન સ્થિતી ધરાવે છે. આ ધાતુ યુરિનિયમની ખનિજમાં 227Ac સમસ્થાનિક માત્ર આંશિક સ્વરૂપે મળે છે. આ ધાતુનો અર્ધ આયુષ્ય કાળ ૨૧.૭૭૩ વર્ષ હોય છે. આ ધાતુ પ્રમુખ રુપે બીટા કિરણ (કણ) ઉત્સર્જિત કરે છે. એક ટન યુરિનિયમની ખનિજમાં ૦.૨ મિલી ગ્રામ એક્ટિનિયમ હોય છે. એક્ટિનમ અને લેંથેનિયમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમાન હોવાથી તેનું ખનિજમાંથી નિષ્કર્ષણ અશક્ય બનાવે છે. આથી આ તત્વને 226રેડિયમ માંથી ન્યૂટ્રોનનો મારો કરીને આંશિક રીતે મેળવાય છે. આની દુર્લભતા, ઊંચી કિંમત અને કિરણોત્સારી ગુણધર્મને કારણે આનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ નથી. આનો મુખ્ય ઉપયોગ ન્યૂટ્રોનના સ્ત્રોત તરીકે અને રેડિએશન ઈલાજ માટે વપરાય છે.