ગંગારામ

વિકિપીડિયામાંથી
રાયબહાદુર સર

ગંગારામ

CIE, MVO
જન્મની વિગત(1851-04-13)13 April 1851
મંગતાનવાલા, નાનકાના સાહિબ જિલ્લો, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત, (વર્તમાન પાકિસ્તાન)
મૃત્યુ10 July 1927(1927-07-10) (ઉંમર 76)
અંતિમ સ્થાનઅસ્થિના કેટલાક અવશેષો ગંગામાં વહાવી દેવામાં આવેલા જ્યારે બાકીના પાકિસ્તાનના લાહોરમાં સર ગંગા રામની સમાધિમાં સંગ્રહિત છે.
સ્મારકોરાવી નદી, તક્ષાલી દરવાજો, લાહોર નજીક સર ગંગા રામની સમાધિ
અન્ય નામોઆધુનિક લાહોરના પિતા
શિક્ષણ સંસ્થાથોમસન કૉલેજ ઑફ સીવીલ એન્જિનિયરિંગ
વ્યવસાયસિવિલ એન્જિનિયર
પ્રખ્યાત કાર્યજનરલ પોસ્ટઑફિસ, લાહોર
લાહોર સંગ્રહાલય
ઍચિસન કૉલેજ
માયો સ્કૂલ ઑફ આર્ટ
સર ગંગારામ હોસ્પિટલ (પાકિસ્તાન)
માયો હૉસ્પિટલ
સર ગંગારામ હાઈસ્કૂલ
હેઈલી કોમર્સ કૉલેજ
ધ મોલ, લાહોર
સંબંધીઓઅશ્વિન રામ
કેશા રામ

રાય બહાદુર સર ગંગારામ સીઆઈઈ એમવીઓ (૧૩ એપ્રિલ ૧૮૫૧ – ૧૦ જુલાઈ ૧૯૨૭) બ્રિટિશ-ભારતીય સિવિલ એન્જિનિયર અને સ્થપતિ હતા. લાહોરના શહેરી તાણાવાણામાં, પછી સંસ્થાનવાદી ભારતમાં અને હવે આધુનિક પાકિસ્તાનમાં તેમના વ્યાપક યોગદાનને કારણે ખાલેદ અહમદે તેમને "આધુનિક લાહોરના પિતા" તરીકે વર્ણવ્યા છે.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ગંગારામનો જન્મ ૧૩ એપ્રિલ ૧૮૫૧ના રોજ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના નાનકાના સાહિબ જિલ્લાના ગામ મંગતાનવાલામાં (વર્તમાન પાકિસ્તાનમાં) પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો.[૨] તેમના પિતા દૌલત રામ મંગતાનવાલાના એક પોલીસ સ્ટેશનમાં જુનિયર સબઇન્સ્પેક્ટર હતા. બાદમાં તેઓ અમૃતસર સ્થળાંતરિત થયા હતા અને કોર્ટના કોપી રાઇટર તરીકે જોડાયા હતા. અહીં ગંગારામે સરકારી હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને ૧૮૬૯માં લાહોરની સરકારી કોલેજમાં જોડાયા હતા. ૧૮૭૧માં તેમણે રૂરકી ખાતેની થોમસન સિવિલ એન્જિનિયરિંગ કોલેજમાં શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમણે ૧૮૭૩માં સુવર્ણચંદ્રક સાથે અંતિમ પરીક્ષા પાસ કરી હતી.

કારકિર્દી[ફેરફાર કરો]

લાહોર મ્યુઝિયમ બિલ્ડિંગની રચના સર ગંગારામ દ્વારા ભારતીય પુનરુત્થાન સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવી હતી.

એન્જિનિયર[ફેરફાર કરો]

૧૮૭૩માં પંજાબમાં પી.ડબ્લ્યુ.ડી. વિભાગમાં ટૂંકી સેવા બાદ તેમણે વ્યાવહારિક ખેતી માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેમણે મોન્ટગોમરી જિલ્લામાં ૫૦,૦૦૦ એકર (૨૦૦ કિમી) ઉજ્જડ, સિંચાઈ વિનાની જમીન સરકાર પાસેથી ભાડાપટ્ટે (લીઝ પર) મેળવી હતી અને ત્રણ વર્ષમાં તે વિશાળ રણને હસતા ખેતરોમાં ફેરવી નાખ્યું હતું. તેમણે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ દ્વારા સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા કરી આ સફળતા મેળવી હતી. આ પ્રકારનું તે સૌથી મોટું ખાનગી સાહસ હતું. સર ગંગારામે તેના દ્વારા લાખોની કમાણી કરી હતી જેમાંથી મોટા ભાગની કમાણી તેમણે દાનમાં આપી દીધી હતી.

પંજાબના ગવર્નર સર માલ્કમ હેલીના શબ્દોમાં, "તેઓ નાયકની જેમ જીત્યા હતા અને સંતની જેમ (દાનમાં) આપ્યા હતા". તેઓ એક મહાન એન્જિનિયર અને મહાન પરોપકારી હતા.

૧૯૦૦માં, રાજા એડવર્ડ સાતમાના રાજ્યારોહણના સંબંધમાં આયોજીત થનારા શાહી દરબારમાં કાર્ય અધિક્ષક તરીકે કામ કરવા માટે લોર્ડ કર્ઝન દ્વારા ગંગારામની પસંદગી કરવામાં આવી હતી. આ શાહી કાર્યક્રમની અનેક સમસ્યાઓ અને પડકારોને સફળતાપૂર્વક સંચાલિત કરી તેમણે પોતાનું કામ પૂરું કર્યું હતું. તેઓ ૧૯૦૩ માં સેવામાંથી અકાળે નિવૃત્ત થયા હતા.

તેમને ૧૯૦૩માં રાય બહાદુરનું બિરુદ મળ્યું હતું, અને દિલ્હી દરબારમાં તેમની સેવાઓ માટે ૨૬ જૂન, ૧૯૦૩ના રોજ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર (સીઆઈઇ) તરીકે નિમણૂક કરવામાં આવી હતી.[૩] ૧૨ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ દિલ્હી દરબાર પછીની વિશેષ સન્માન યાદીમાં, તેમને રોયલ વિક્ટોરિયન ઓર્ડર (એમવીઓ)ચોથા વર્ગના સભ્ય (હાલના લેફ્ટનન્ટ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૪] તેમને ૧૯૨૨ની જન્મદિવસ સન્માન સૂચિમાં 'નાઇટ' ની પદવી આપવામાં આવી હતી[૫], અને ૮ જુલાઈના રોજ સમ્રાટ જ્યોર્જ પંચમ દ્વારા બકિંગહામ પેલેસમાં તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.[૬]

તેમણે લાહોરની જનરલ પોસ્ટ ઓફિસ, લાહોર મ્યુઝિયમ, એચિસન કોલેજ, મેયો સ્કૂલ ઓફ આર્ટ્સ (વર્તમાન નેશનલ કૉલેજ ઓફ આર્ટ્સ), ગંગારામ હોસ્પિટલ, લેડી મેકલેગન કન્યા શાળા (ગર્લ્સ હાઈસ્કૂલ), સરકારી વિશ્વવિદ્યાલયનો રસાયણશાસ્ત્ર વિભાગ, મેયો હોસ્પિટલની આલ્બર્ટ વિક્ટર વિંગ, સર ગંગારામ હાઈસ્કૂલ (વર્તમાન લાહોર કોલેજ ફોર વુમન) હેલી કોલેજ ઓફ કોમર્સ (વર્તમાન હેલી કોલેજ ઓફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ), રવિ રોડ હાઉસ ફોર ધ ડિસેબલ, "ધ મોલ" રોડ પર ગંગારામ ટ્રસ્ટ બિલ્ડિંગ અને લેડી મેનાર્ડ ઔદ્યોગિક શાળા વગેરે ઇમારતોની ડિઝાઇન તૈયાર કરી તેનું નિર્માણ કર્યું હતું. તેમણે મોડેલ ટાઉન અને ગુલબર્ગ શહેરનું નિર્માણ પણ કર્યું હતું, જે એક સમયે લાહોરના શ્રેષ્ઠ વિસ્તારો હતા.

ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ ૧૯૫૧માં નવી દિલ્હી ખાતે તેમની સ્મૃતિમાં સર ગંગા રામ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૭]

પટિયાલા રજવાડામાં સેવા[ફેરફાર કરો]

નિવૃત્તિ પછી તેઓ રાજધાનીના પુનર્નિર્માણ પ્રોજેક્ટ માટે પટિયાલા સ્ટેટમાં અધિક્ષક એન્જિનિયર તરીકે નિયુક્ત થયા હતા. તેમના નિર્માણ કાર્યોમાં મોતી બાગ મહેલ, સચિવાલય બિલ્ડિંગ, નવી દિલ્હી, વિક્ટોરિયા ગર્લ્સ સ્કૂલ, કાયદાની અદાલતો અને પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

લાયલપુર (હવે ફૈસલાબાદ) જિલ્લાના જરાનવાલા તાલુકામાં ગંગારામે એક અનોખી મુસાફરી સુવિધા ઘોડા ટ્રેન (ઘોડા ખેંચાયેલ ટ્રેન) બનાવી હતી. તે બુચિયાના રેલવે સ્ટેશન (લાહોર જરાનવાલા રેલ્વે લાઇન પર) થી ગંગાપુર ગામ સુધીની રેલવે લાઇન હતી. આઝાદી પછી પણ તે દાયકાઓ સુધી ઉપયોગમાં રહ્યું હતું. તે તેના પ્રકારનું એક અનન્ય નિર્માણ હતું. તે રેલ્વે એન્જિનને બદલે ઘોડા સાથે સાંકડા રેલ ટ્રેક પર ખેંચાયેલા બે સરળ ટ્રોલી હતી. ૧૯૮૦ ના દાયકામાં જરૂરી સમારકામની ઉપેક્ષાના કારણોસર નકામું બની ગયું હતું. ફૈસલાબાદ જિલ્લા સત્તાવાળાઓ દ્વારા તેને સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપીને ૨૦૧૦માં તે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]

કૃષિશાસ્ત્રી[ફેરફાર કરો]

તેઓ એક આશાસ્પદ કૃષિશાસ્ત્રી પણ હતા. તેમણે રેનાલા નજીક સરકાર પાસેથી ભાડાપટ્ટે ૨૦,૦૦૦ એકરથી વધુ જમીન લીધી હતી અને હાઇડ્રો-ઇલેક્ટ્રિક પમ્પિંગથી ઉજ્જડ જમીનને સંપૂર્ણપણે સિંચાઈ કરીને તે જમીનમાં ખેતી કરી હતી. તેમણે લાયલપુરમાં હજારો એકર ઉજ્જડ જમીન લીઝ પર ખરીદી હતી અને એન્જિનિયરિંગ કુશળતા અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને શુષ્ક જમીનોને ફળદ્રુપ ખેતરોમાં ફેરવી દીધી હતી. તેમણે ૨૫૦૦૦ રૂપિયાના બંદોબસ્ત સાથે ૩૦૦૦ રૂપિયાનો માયનાર્ડ-ગંગા રામ એવોર્ડ સ્થાપ્યો હતો. પંજાબમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરનાર કોઈ પણ વ્યક્તિ માટે દર ત્રણ વર્ષે આ એવોર્ડ આપવાનો હતો.[સંદર્ભ આપો]

અવસાન[ફેરફાર કરો]

લાહોરમાં સર ગંગા રામની સમાધિ.
દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં ગંગા રામની પ્રતિમા

૧૦ જુલાઈ ૧૯૨૭ના રોજ લંડનમાં તેમનું અવસાન થયું. તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમની રાખને ભારત પરત લાવવામાં આવી હતી. રાખનો એક ભાગ ગંગા નદીમાં મોકલવામાં આવ્યો હતો અને બાકીનો ભાગ રાવિ નદીના કાંઠે લાહોરમાં દફનાવવામાં આવ્યો હતો.

સાહિત્યમાં ગંગારામ[ફેરફાર કરો]

સર ગંગા રામની આરસપહાણની પ્રતિમા એક સમયે લાહોરના મોલ રોડ પર એક જાહેર ચોકમાં ઊભી હતી. પ્રખ્યાત ઉર્દૂ લેખક સઆદત હસન મન્ટોએ એવી વ્યક્તિઓ પર વ્યંગ લખ્યો હતો જેઓ ભાગલાના રમખાણો દરમિયાન લાહોરમાં કોઈ પણ હિન્દુની કોઈ પણ યાદને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ૧૯૪૭ના ધાર્મિક રમખાણો દરમિયાન રચાયેલી તેમની વ્યંગાત્મક વાર્તા "ધ ગાર્લેન્ડ"માં લાહોરમાં એક રહેણાંક વિસ્તાર પર હુમલો કર્યા બાદ ભડકાઉ ટોળું લાહોરના મહાન લાહોરી હિન્દુ પરોપકારી સર ગંગારામની પ્રતિમા પર હુમલો કરવા તરફ વળ્યું હતું. તેઓએ સૌ પ્રથમ પ્રતિમા પર પથ્થરો ફેંક્યા; પછી કોલસાથી તેનો ચહેરો બગાડી દીધો. પછી એક માણસે જૂના જૂતાની માળા બનાવી અને તેને પ્રતિમાના ગળામાં મૂકવા માટે ઉપર ચઢી ગયો. પોલીસે આવીને ગોળીબાર કર્યો હતો. ઘાયલોમાં જૂના જૂતાની માળા વાળો સાથી પણ હતો. તે પડી ગયો ત્યારે ટોળાએ બૂમ પાડી: "ચાલો આપણે તેને સર ગંગા રામ હોસ્પિટલમાં લઈ જઈએ" તે ભૂલી ગયા કે વક્રતા એ છે કે તેઓ તે વ્યક્તિની યાદને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેણે હોસ્પિટલની સ્થાપના કરી હતી જ્યાં તે વ્યક્તિને પોતાનો જીવ બચાવવા માટે લઈ જવામાં આવશે.[૮][૯][૧૦]

વિરાસત[ફેરફાર કરો]

૨૬ નવેમ્બર, ૧૯૫૭ના રોજ આઇઆઇટી રૂરકી (અગાઉની યુનિવર્સિટી ઓફ રૂરકી અને થોમસન કોલેજ ઓફ સિવિલ એન્જિનિયરિંગ)ખાતે તેમના માનમાં ગંગા ભવન નામના વિદ્યાર્થી છાત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. ૨૭ મે, ૨૦૦૯ના રોજ પાકિસ્તાન ખાતે થયેલા આતંકી હુમલામાં લાહોરની સર ગંગા રામ હોસ્પિટલને આંશિક નુકસાન થયું હતું.

ચિત્ર ઝરૂખો[ફેરફાર કરો]

સર ગંગારામ દ્વારા ડિઝાઇન અને નિર્મિત કેટલીક ઇમારતો
જનરલ પ્સ્ટ ઑફિસ, લાહોર
જનરલ પ્સ્ટ ઑફિસ, લાહોર 
લાહોર સંગ્રહાલય
લાહોર સંગ્રહાલય 
ઍચિસન કૉલેજ
ઍચિસન કૉલેજ 
હેઈલી કૉલેજ ઑફ બેન્કિગ ઍન્ડ ફાઈનાન્સ
હેઈલી કૉલેજ ઑફ બેન્કિગ ઍન્ડ ફાઈનાન્સ 

પૂરક વાંચન[ફેરફાર કરો]

  • Bedi, Baba Pyare Lal, Harvest from the desert. The life and work of Sir Ganga Ram, NCA, Lahore 2003 ISBD 969-8623-07-8 (reprint version)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Khaled Ahmed (2001). Pakistan: behind the ideological mask : facts about great men we don't want to know. Vanguard. ISBN 978-969-402-353-3.
  2. Bureau, Medical Dialogues (15 April 2019). "Sir Ganga Ram Hospital celebrates 64th founders day". medicaldialogues.in (અંગ્રેજીમાં).
  3. The London Gazette, 26 June 1903
  4. The London Gazette, 12 December 1911
  5. The London Gazette, 3 June 1922
  6. The London Gazette, 18 July 1922
  7. "Sir Ganga Ram Hospital New Delhi Official Website" (અંગ્રેજીમાં). SGRH. મેળવેલ 2019-02-23.
  8. "Pakistan down India in volleyball quarterfinal". મૂળ માંથી 2012-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-11-10.
  9. The Public Sculptures of Historic Lahore, Raza Rumi, Posted on April 17, 2007
  10. "The legacy of Sir Ganga Ram". 16 April 2014.