બખ્ત ખાન

વિકિપીડિયામાંથી
બખ્ત ખાન
બખ્ત ખાન
જન્મની વિગત૧૭૯૭[૧]
બિજનૌર, રોહિલખંડ, મોગલ સામ્રાજ્ય[૧]
મૃત્યુ1859 (aged 61–62)[૨][૧]
તેરાઈ, નેપાળ[૧][૩]
વ્યવસાયઈસ્ટ ઇંડિયા કંપનીમાં સુબેદાર, ભારતીય સ્વાતંત્ર્ય સેનામાં મોગલ સેનાના સેનાપતિ[૧]
પ્રખ્યાત કાર્ય૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

બખ્તખાન (૧૭૯૭ – ૧૩ મે ૧૮૫૯)એ ઇસ્ટ ઈન્ડિયા કંપની વિરુદ્ધની ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન દિલ્હી પ્રદેશમાં ભારતીય ક્રાંતિદળોના સેનાપતિ હતા.[૧] [૩]

જીવન ચરિત્ર[ફેરફાર કરો]

બખ્તખાન એક પશ્તુન હતા તેઓ રોહિલાઓની એક શાખા યુસફઝાઈના સેનાપતિ નજીબ-ઉલ-દૌલાનોના કુટુંબી હતા. તેમનો જન્મ રોહિલખંડના બિજનૌરમાં થયો હતો. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યમાં સુબેદાર બન્યા હતા. તેમણે બંગાળના ઘોડેસવાર તોપખાનામાં ચાલીસ વર્ષનો અનુભવ મેળવ્યો હતો અને પ્રથમ એંગ્લો-અફઘાન યુદ્ધ જોયું હતું.[૩] ૧૮૫૯માં તેરાઈમાં તેમનું અવસાન થયું.

ક્રાંતિ પૂર્વે સુબેદાર બખ્તખાન ઘણા બ્રિટિશ અધિકારીઓમાં જાણીતા હતા. તેમાંના ઘણા તો ૧૮૫૭માં દિલ્હીના ઘેરા દરમિયાન તેમની વિરુદ્ધ પણ લડ્યા હતા. એક કર્નલે તેમને "ખૂબ જ બુદ્ધિશાળી પાત્ર" તરીકે વર્ણવ્યા, જે "અંગ્રેજી સમાજનો ખૂબ પ્રેમી" હતો.[૪]

વિપ્લવ[ફેરફાર કરો]

જ્યારે સિપાહીઓને કથિત રીતે ચરબી (ડુક્કરની ચરબી)નું આવરણ લગાડેલી રાઇફલ કારતુસ વાપરવાની સિપાહીઓને ફરજ પાડવામાં આવી ત્યારે ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ શરૂઆત થઈ હતી. આનાથી મુસ્લિમ સૈનિકો નારાજ થયા હતા કારણ કે તેમને ઇસ્લામમાં ડુક્કરનું માંસ ખાવાની મંજૂરી નથી તેમજ શાકાહારી હિન્દુ સૈનિકોની નારાજગી પહેલેથી જ હતી. અંગ્રેજો વિરુદ્ધ દિલ્હીના આસપાસના વિસ્તારોમાં આ ક્રાંતિ ઝડપથી ફેલાઈ હતી.[૩] [૫]

બરેલીમાં ક્રાંતિ ફાટી નીકળતાં, સુબેદાર બહાદુર ખાનને તેમના સેનાપતિ ઘોષિત કરવામાં આવ્યા. જ્યારે બખ્ત ખાને મેરઠમાં ક્રાંતિ વિષે સાંભળ્યું ત્યારે તેમણે મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરની સેનાને ટેકો આપવા માટે દિલ્હી તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું. બખ્તખાન ૧ જુલાઈ, ૧૮૫૭ ના દિવસે મોટી સંખ્યામાં રોહિલા સિપાહીઓ સાથે દિલ્હી પહોંચ્યા ત્યાં સુધીમાં, ક્રાંતિ દળો દ્વારા આ શહેર પહેલેથી જ લઈ લેવામાં આવ્યું હતું અને મોગલ શાસક બહાદુર શાહ ઝફરને ભારતના સમ્રાટ જાહેર કરવામાં આવ્યા હતા.[૩] બખ્તખાનના નેતૃત્વમાં બરેલી બ્રિગેડમાં બંગાળ નેટીવ ઇન્ફન્ટ્રીની ચાર રેજિમેન્ટ, ઘોડેસવારોની એક અને આર્ટિલરીની બેટરી સામેલ હતી. આ નોંધપાત્ર મજબૂત સૈન્યની સારી વ્યવસ્થામાં કૂચ જોઈને, દિલ્હીની ઘેરાબંધી કરનાર અંગ્રેજો નવાઈ પામ્યા હતા અને બહાદુર શાહ ઝફર પણ પ્રભાવિત થયા હતા. બખ્ત અને તેમના અધિકારીઓને ઝડપથી સમ્રાટ સાથે મળવા બોલાવવામાં આવ્યા હતા.[૬]

બાદશાહના મોટા દીકરા, મિર્ઝા મુગલ, જેને મિર્ઝા ઝહીરુદ્દીન પણ કહેવામાં આવે છે, તેમને મુખ્ય સેનાપતિનું પદ આપવામાં આવ્યું હતું. પરંતુ આ રાજકુમારને લશ્કરી અનુભવ નહોતો. નવા પુનઃસ્થાપિત મોગલ વંશને શહેરમાં પહેલેથી જ સિપાહીઓ વચ્ચે લૂંટ અને બિન-શિસ્તની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.[૭] આવા સમયે બખ્તખાન તેમની સેનાઓ સાથે દિલ્હી પહોંચ્યા. તેમના આગમન સાથે, નેતૃત્વની સ્થિતિમાં સુધારો થયો. બખ્તખાનની વહીવટી ક્ષમતાઓ ઝડપથી સ્પષ્ટ થઈ ગઈ, અને બાદશાહે તેમને વાસ્તવિક અધિકાર અને સાહેબ-એ-આલમ બહાદુર, અથવા લોર્ડ ગવર્નર જનરલની પદવી આપી. ખાન સિપાહી દળોના અદૃશ્ય કમાન્ડર હતા, જોકે સેનાપતિ તરીકેનો પદભાર હજુ પણ મિર્ઝા જાહિરુદ્દિન જ સંભાળી રહ્યા હતા.[૩]

બખ્તખાનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેના ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હતી. પ્રથમ અને સૌથી અગત્યની સમસ્યા નાણાકીય હતી, તેનું સમાધાન કરવા માટે તેમણે કર વસૂલવા માટે સમ્રાટ પાસેથી હક્ક મેળવ્યા. બીજી સમસ્યા ખાદ્ય પુરવઠાની હતી, જે સમય જતા સાથે વધુ તીવ્ર બની હતી અને જ્યારે અંગ્રેજ સેનાએ સપ્ટેમ્બર ૧૮૫૭ માં દિલ્હી શહેર પર હુમલો કર્યો હતો ત્યારે તો સમસ્યા અત્યંત વણસી હતી. અંગ્રેજોના દિલ્હીમાં ઘણા જાસૂસો અને એજન્ટો હતા અને તેઓ બહાદુર શાહ પર શરણાગતિ માટે દબાણ લાવતા હતા. દિલ્હીની આસપાસની પરિસ્થિતિ ઝડપથી બગડતી ગઈ; બખ્તખાનનું નેતૃત્વ બળવાખોરોના સંગઠન, પુરવઠા અને લશ્કરી તાકાતના અભાવની ભરપાઇ કરી શક્યું નહીં.[૫] ૮ જૂન ૧૮૫૭ ના દિવસે દિલ્હીનો ઘેરો કરવામાં આવ્યો. ૧૪ સપ્ટેમ્બરના દિવસે, બ્રિટિશરોએ કાશ્મીરી દરવાજા ઉપર હુમલો કર્યો અને ૨૦ સપ્ટેમ્બર ૧૮૫૭ ના રોજ બખ્તખાનની અરજી વિરુદ્ધ અંગ્રેજો સમક્ષ શરણાગતિ આપતાં પહેલાં બહાદુર શાહ હુમાયુના મકબરામાં નાસી ગયા. બાદશાહની ધરપકડ કરવામાં આવી અને બ્રિટિશ નાગરિકોના હત્યાકાંડમાં ફસાયેલા મુઘલ રાજકુમારોને ફાંસી આપી દેવાઈ હતી.[૩] [૮]

બખ્તખાન પોતે દિલ્હી છોડીને લખનૌ અને શાહજહાંપુરમાં ક્રાંતિ દળો સાથે જોડાયા.[૧] ત્યાર બાદમાં, બહાદુર શાહ ઝફર પર રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો અને બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ ૧૮૬૨ માં થયું હતું.[૫] [૮]

દફન[ફેરફાર કરો]

૧૮૫૯માં તેઓ જીવલેણ ઘાયલ થયા અને તેરાઈ, નેપાળમાં તેમનું મૃત્યુ થયું હતું.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Profile of Bakht Khan on GoogleBooks Retrieved 1 January 2018
  2. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા પર બખ્ત ખાન.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ Bakht Khan: shrouded by the sands of time The Express Tribune (newspaper), Published 27 January 2011, Retrieved 1 January 2018
  4. Dalrymple, William. The Last Mughal. પૃષ્ઠ 285. ISBN 978-0-7475-8726-2.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Time check: British India War of independence Dawn (newspaper), Published 17 December 2011, Retrieved 1 January 2018
  6. David, Saul. The Indian Mutiny. પૃષ્ઠ 272. ISBN 0-141-00554-8.
  7. Dalrymple, William. The Last Mughal. પૃષ્ઠ 287. ISBN 978-0-7475-8726-2.
  8. ૮.૦ ૮.૧ Time check: British India: Bahadur Shah Zafar Dawn (newspaper), Published 6 January 2012, Retrieved 1 January 2018