બોડાણો

વિકિપીડિયામાંથી

બોડાણો (મૂળ નામ: વિજયસિંહ બોડાણા) ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગામનો રહેવાસી હતો.

ક્ષત્રિય કુળમાં જન્મેલા બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની ૭૨ વર્ષની વય સુધી તેમણે દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડુ લઇ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી[૧]. બોડાણાની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી છેલ્લી યાત્રા દરમ્યાન તેણે મનમાં ફરી કદાચ નહી આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધિશે તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારિકાપુરી જાય. જ્યારે બોડાણો મહા મુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે, ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્ય રચનામાં સુંદર રીતે ગવાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે રણછોડરાય તરીકે ઓળખાય છે. ડાકોરનું રણછોડજી મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્ગૃહસ્થે તે સમયે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨માં બંધાવ્યું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ shradhhadham (૧ માર્ચ ૨૦૧૨). "ડાકોરના ઠાકોર રાજા રણછોડરાય". દિવ્ય ભાસ્કર.