દ્વારકા

વિકિપીડિયામાંથી
દ્વારકા
द्वारका/Dwarika
રણછોડરાયજીની નગરી
—  નગર  —
દ્વારકાધીશનું મંદિર
દ્વારકાધીશનું મંદિર
દ્વારકાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′N 68°58′E / 22.23°N 68.97°E / 22.23; 68.97
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
વસ્તી ૩૮,૮૭૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

દ્વારકા નગર

દ્વારકા (audio speaker iconઉચ્ચારણ ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ ૨૦૧૩ માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું.

અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

દ્વારકાનું મહત્ત્વ[ફેરફાર કરો]

૪ ધામોમાંનું એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે. અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે.

અયોધ્યા મથુરા, માયા, કાશી કાંચી અવન્તિકા।

પુરી ઘારામતી ચૈવ સપ્તૈકા મોક્ષારયિકા।।

અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાનગરી, કાશી, પુરી, ધારામતીએ સાત નગરીઓ મોક્ષ આપનારી છે.

આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે. અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે. ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે. દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો. આથી કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. આથી વારંવારના આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે કુશસ્થળી પર પસંદગી ઉતારી. કુશસ્થળીમાં આવતાં પહેલાં શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્રતટ પર દ્વારકાનું નિર્માણ કર્યું.

શ્રીમદ્ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતાં પહેલાં શ્રીકૃષ્ણે સમુદ્રને ૧૨ યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી. આથી સાગરદેવે જગ્યા આપી. ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકાનગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. શ્રીકૃષ્ણના જીવનની ઘણી મહત્ત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં જ બની, જેમ કે રુક્મિણીહરણ તથા વિવાહ, જાંબવતી, રોહિણી, સત્યભામા, કાલિન્દી, મિગવિન્દા, સત્યા, નાગ્નજિતી, સુશીલામાદ્રી, લક્ષ્મણા, દતા સુશલ્યા વગેરે સાથે વિવાહ, નરકાસુરવધ, પ્રાગ્જ્યોતિષપુરવિજય, પારિજાતહરણ, બાણાસુરવિજય, ઉષા-અનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલવધ વગેરેનો સમાવેશ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી. પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતાં અનેક ઘટનાઓ બનવા લાગી, જેમ કે યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા. આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો. ઋષિઓના શ્રાપથી શ્રાપિત યાદવો કાળક્રમે નાશ પામવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી. શ્રીકૃષ્ણ દ્વારકા પર આવનારા સંકટને પારખીને યાદવોને લઈને પ્રભાસક્ષેત્ર (હાલના સોમનાથ)માં રહેવા ચાલ્યા ગયા. બીજી બાજુ શ્રીકૃષ્ણે દ્વારકાને છોડી દેતાં સમુદ્રનાં પાણી દ્વારકા પર ફરી વળ્યાં. જાણે કે સમુદ્રે આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય! કાળાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભને શૂરસેન દેશનો રાજા બનાવ્યો. મોટા થયા બાદ વજ્રનાભ દ્વારકા આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગદ્મંદિર દ્વારકા.

દર્શનીય સ્થળો[ફેરફાર કરો]

દ્વારકામાં અનેક જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે.

જગતમંદિર[ફેરફાર કરો]

દ્વારકા જેના મંદિર થી પ્રખ્યાત છે, એવું ભગવાન શ્રીકૃષ્ણનું દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે. જે જગતમંદિર તરીકે ઓળખાય છે. આ ભવ્ય મંદિર ૫ માળનું છે. તથા સુંદર કોતરણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ ૬૦ સ્તંભ છે. જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનુ છે. એક તાર્કીક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભે ઇ.સ. પુર્વે ૧૪૦૦ ની આસપાસ અગાઉ સમુદ્રમા ડુભી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી.જગદ્મંદિર દ્વારકામાં મુખ્ય શ્રી દ્વારકાધીશજીની મૂર્તિ કાળા પથ્થરોની બનેલી છે અને બે ફૂટ ઊંચી છે. આ રૂપમાં ભગવાને પોતાની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલાં છે. એવું માનવામાં આવે છે કે વિદેશી આક્રમણકારોથી બચવા પ્રાચીન મૂર્તિને દ્વારકાના સાવિત્રી નામના કૂવામાં સુરક્ષિત રાખવામાં આવી હતી. મંદિરમાં મૂર્તિ નહિ હોવાથી શ્રીમદ્ વલ્લભચાર્યજીએ લાડવા ગામમાં રાખેલી મૂર્તિને લાવીને મંદિરમાં સ્થાપિત કરી. રુક્મિણીજી આ મૂર્તિની પૂજા કરતાં હતાં, તેવું માનવામાં આવે છે. ૧૬ મી સદીમાં તુર્કોએ મંદિર પર આક્રમણ કરતાં આ મૂર્તિને બેટ દ્વારકા લઈ જવામાં આવી છે અને સાવિત્રી કૂવામાંથી અસલી મૂર્તિ કાઢીને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. દ્વારકાધીશનાં મુખ્ય મંદિરોમાં દ્વારકાધીશ ઉપરાંત અન્ય ૨૪ જેટલાં મંદિરો આવેલાં છે, જેમાં શ્રી શક્તિમાતાજી મંદિર, શ્રી કુશેશ્વર મહાદેવ મંદિર, શ્રી કાશીવિશ્વનાથ મંદિર, શ્રી કોલવા ભગત, શ્રી ગાયત્રી મંદિર, શ્રી પ્રદ્યુમ્ન મંદિર, શ્રી અનિરુદ્ધ મંદિર, શ્રી અંબા મંદિર, શ્રી પુરુષોત્તમ મંદિર, શ્રી દત્તાત્રેય મંદિર, શેષાવતાર શ્રી બલદેવ મંદિર, શ્રી દેવકી માતા મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી માધવરાય મંદિર, શ્રી ત્રિવિક્રમ મંદિર, શ્રી દુર્વાસા મંદિર, શ્રી જાંબુવતી મંદિર, શ્રી રાધિકા મંદિર, શ્રી સત્યભામા મંદિર, શ્રી સરસ્વતિજી મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી જ્ઞાાનમંદિર, નારદપીઠ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શારદાપીઠની પરંપરાના બે શંકરાચાર્યોની પ્રાચીન સમાધિ પણ અહીં છે.શામળશા ભગવાનનું મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ, ભદ્રકાળી માતાજી મંદિર, કુકળશ કુંડ, ગાયત્રી શક્તિપીઠ, ભડકેશ્વર મહાદેવ.

ગોમતી ઘાટ[ફેરફાર કરો]

દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના જ કિનારે છે. ગોમતી ઘાટ પરથી ૫૬ સીડીઓ ચડીને મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી શકાય છે, જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે. ગોમતી નદીના સામેના કિનારે પંચાનંદતીર્થ છે. આ સ્થળની વિશેષતા એ છે કે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં તેના પાંચ કૂવાઓમાં મીઠું પાણી મળે છે. પાંડવોએ આ કૂવાઓનું નિર્માણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે. ગોમતી નદીનો જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે, તે સ્થળે સમુદ્રનારાયણ અથવા સંગમનારાયણ મંદિર છે. આ સ્થળ પાસે જ ચક્રતીર્થ આવેલું છે, જ્યાંથી ચક્રાંકિત શિલાઓ પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શનચક્રને આ સ્થળે પાણીમાં નાખીને સ્વચ્છ કર્યું હતું.

ગોમતી કુંડ[ફેરફાર કરો]

દ્વારકા નગરી જે નદીનાકિનારે વસેલ છે એવા દ્વારકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબું તળાવ જે ‘ગોમતી તળાવ’ તરીકે ઓળખાય છે. તે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે, જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે. નિષ્પાપ કુંડમાં પિતૃતર્પણ અને પિંડદાન નું વિશેષ મહત્ત્વ છે. ગોમતી કુંડથી થોડેજ દૂર કૈલાશ કુંડ આવેલો છે. કૈલાશ કુંડનું પાણી ગુલાબી રંગનું છે. ત્યાં સૂર્યનારાયણ નું સુંદર મંદિર આવેલું છે. ત્યાં પાસે જ ગોપી તળાવ દ્વારકાનું એક ખુબજ પ્રસિદ્ધ તળાવ છે . ગોપી તળાવની આસપાસની માટી પીળી છે. આ માટીને ગોપી ચંદન કહેવાય છે. ગોપી ચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે. ગોપી તળાવની આસપાસ મોર જોવા મળે છે

બેટ દ્વારકા[ફેરફાર કરો]

દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે. બેટ દ્વારકા શંખોદ્ધારતીર્થમાં રણછોડરાયજીની મૂર્તિસ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં જ લક્ષ્મીજી, સત્યભામા અને જાંબુવતીનાં મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યાં. ચોમાસામાં દરેક અગિયારશે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે. મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે. બેટ દ્વારકામાં જ આ શંખ તળાવ આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધુ કર્યો હોવાની માન્યતા છે. શંખ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર આવેલું છે. બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે, જે હનુમાનદાંડી મંદિર તરીકે ઓળખાય છે. આ સ્થળે ભાવિકા રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે. આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાનદાંડીની પૈરાણિક માન્યતા છે.

દ્વારકાની આસપાસનાં દર્શનીય સ્થળો[ફેરફાર કરો]

દ્વારકાની આસપાસ દર્શન કરવા લાયક ઘણાં જ સ્થળો છે, જેમાં નાગેશ્વર જયોર્તિલિંગ મંદિર મુખ્ય છે. દેશના દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીના એક નાગેશ્વર મંદિરનો જીર્ણોધ્ધાર કરીને સ્વ. ગુલશનકુમારના ટ્રસ્ટ દ્વારા રૂ. પાંચ કરોડના અંદાજીત ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને ૮૫ ફુટ ઉંચી શિવપ્રતિમાનું નિર્માણ થયું છે. આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભુતકાળમાં અહિં સમુદ્રકાઠે આવેલા નવમા દારૂક નામના રાક્ષસ અને દ્વારૂકા નામની રાક્ષસીનો આતંક હતો. દ્વારૂકાના આતંકથી પુજાને બચાવવા નાગેશ નામના શિવભક્તે અહીં સરોવર કિનારે માટીનું શિવલીંગ બનાવીને ભગવાન શીવજીની આરાધના કરી હતી. હષૅદ માતા મંદિર

માર્ગ[ફેરફાર કરો]

ભૂમાર્ગ[ફેરફાર કરો]

અમદાવાદથી રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસટી બસો નિયમિતપણે અમદાવાદ-દ્વારકા વચ્ચે દોડે છે. આ ઉપરાંત, ખાનગી ટ્રાવેલ્સની બસો પણ ઉપલબ્ધ છે, બસ દ્વારા ભૂમિમાર્ગે નવ કે ૧૦ કલાકમાં દ્વારકા પહોંચી શકાય છે.

રેલમાર્ગ[ફેરફાર કરો]

હવામાન[ફેરફાર કરો]

હવામાન માહિતી દ્વારકા
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 33
(91)
35
(95)
38
(100)
41
(106)
42
(108)
37
(99)
35
(95)
31
(88)
39
(102)
39
(102)
37
(99)
33
(91)
42
(108)
સરેરાશ મહત્તમ °C (°F) 25
(77)
26
(79)
27
(81)
29
(84)
31
(88)
31
(88)
30
(86)
29
(84)
29
(84)
30
(86)
30
(86)
27
(81)
29
(84)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 15
(59)
17
(63)
21
(70)
24
(75)
27
(81)
27
(81)
27
(81)
26
(79)
25
(77)
24
(75)
20
(68)
16
(61)
22
(73)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 5
(41)
8
(46)
7
(45)
17
(63)
20
(68)
22
(72)
21
(70)
21
(70)
22
(72)
17
(63)
9
(48)
8
(46)
5
(41)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
50
(2.0)
170
(6.7)
60
(2.4)
30
(1.2)
0
(0)
0
(0)
0
(0)
310
(12.3)
સરેરાશ વરસાદી દિવસો 0 0 0 0 0 4 11 6 3 0 0 0 24
Average relative humidity (%) 53 65 71 79 80 79 81 82 80 74 64 53 72
સ્ત્રોત: Weatherbase[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dwarka Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ઓક્ટોબર ૨૦૧૭.
  2. "આબોહવા-દ્વારકા". મેળવેલ ૨ મે ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]