અબુલ ફઝલ

વિકિપીડિયામાંથી
અકબરનો રાજ્ય દરબાર

અબુલ ફઝલ ઇબને મુબારક (૧૪ જાન્યુઆરી ૧૫૫૧-૧૨ ઓગસ્ટ ૧૬૦૨; ફારસી: ابو الفضل) અકબરકાળમાં મુઘલ શાશન ના વજીર હતા. તેઓ અકબરના નવરત્નો માના એક વ્યક્તિ હતા. તેઓ અબુ'લ ફઝલ, અબુ'લ ફદ્લ અને અબુ'લ ફદ્લ 'અલ્લામિ તરીકે પણ ઓળખાય છે. તેમણે "અકબર નામા" નામે પ્રસિદ્ધ ગ્રંથ લખેલ, અકબરનાં રાજ્યનો અધિકૃત ઇતિહાસ ત્રણ ભાગમાં લખેલ, જેનો ત્રીજો ભાગ "આઇને અકબરી" તરીકે વિખ્યાત છે, તેમજ બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરેલ.

જીવન ચરિત્ર[ફેરફાર કરો]

અબુલ ફઝલ સિંધનાં શેખ મુસાનાં પાંચમાં વારસદાર હતા, તેમના દાદા શેખ ખિઝર નાગપૂરમાં આવી રહ્યા, અહીં તેમના પિતા શેખ મુબારકનો જન્મ થયો. શરૂઆતમાં શેખ મુબારક નાગપુરમાં ખ્વાજા અહરાર પાસે ભણ્યા, ત્યાર બાદ તેઓ અમદાવાદ રહ્યા અને અંતે આગ્રામાં વસવાટ કર્યો. અહીં તેમનાં જયેષ્ઠ પુત્ર, કવિ અબુલ ફૈઝ અને બિજા પુત્ર અબુલ ફઝલનો જન્મ થયો. તેઓ અકબરનાં રાજ્ય દરબારમાં ૧૫૭૫ માં આવ્યા અને ડેક્કન યુદ્ધ દરમિયાન મુઘલ શાહી સેનાનું નેતૃત્વ કર્યું. અકબરનાં ધાર્મિક વિચારો વધુ ઉદાર બનવા પર તેમનો પ્રભાવ પણ પડેલો છે.

તેઓ મુઘલ શાહજાદા સલીમ (કે જે પછીથી જહાંગીર તરીકે જાણીતો થયો)ને ગાદી પર બેસાડવાની વિરૂધ્ધમાં હતા, આને કારણે ૧૬૦૨ માં મુઘલ શાહજાદા સલીમ દ્વ્રારા રચાયેલ કાવત્રાનાં ભાગ રૂપે વિરસિંહ બુંદેલા(કે જે પછીથી ઓરછાનાં રાજા બન્યા)એ તેમની 'સરાઇ વિર' અને 'આંત્રી'(નરવાર પાસે) વચ્ચે હત્યા કરી. તેમનું કપાયેલું મસ્તક સલીમનેં અલ્હાબાદ મોકલવામાં આવ્યું. તેમની દફનવિધિ 'આંત્રી'માં કરવામાં આવી. બાદમાં ૧૬૦૮ માં જહાંગીર દ્વારા તેમનાં પુત્ર શેખ અબ્દુર રહેમાન અફઝલ ખાનને બિહારનો સુબો બનાવવામાં આવેલ.