ઇમેન્યુએલ કેન્ટ

વિકિપીડિયામાંથી
ઇમેન્યુએલ કેન્ટ
જન્મ૨૨ એપ્રિલ ૧૭૨૪ Edit this on Wikidata
કોનિસબર્ગ (પ્રુસ્સીયા રાજ્ય) Edit this on Wikidata
મૃત્યુ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૪ Edit this on Wikidata
કોનિસબર્ગ (પ્રુસ્સીયા રાજ્ય) Edit this on Wikidata
અંતિમ સ્થાનકોનિસબર્ગ કેથેડ્રલ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Collegium Fridericianum Edit this on Wikidata
વ્યવસાયતત્વજ્ઞાની, માનવશાસ્ત્રજ્ઞાતા, લેખક Edit this on Wikidata
કાર્યોAnswering the Question: What Is Enlightenment?, Prolegomena to Any Future Metaphysics, Religion within the Bounds of Bare Reason, The Metaphysics of Morals Edit this on Wikidata
સહી

ઇમેન્યુએલ કેન્ટ અથવા ઇમેન્યુએલ કાન્ટ (અંગ્રેજી: Immanuel Kant) (જ. ૨૨ એપ્રિલ ૧૭૨૪, કોનિંગ્સબર્ગ, પ્રશિયા; અ. ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૪, કોનિંગ્સબર્ગ) જર્મન તત્વચિંતક હતા. એમનું નામ આધુનિક તત્ત્વજ્ઞાનીઓમાં સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે. ૧૭૮૧માં એ સત્તાવન વર્ષના હતા ત્યારે એમનો ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન ગ્રંથ પ્રગટ થયો હતો. ત્યારબાદ એમના અન્ય બે અગત્યના ગ્રંથો ધ ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન (૧૭૯૭) અને ધ ક્રિટિક ઓફ જજમેન્ટ (૧૭૯૦) પ્રગટ થયા હતા. કેન્ટે કેવળ બુદ્ધિવાદી મનોવિજ્ઞાનની શક્યતાનો ઇન્કાર કરી અનુભવનિષ્ઠ મનોવિજ્ઞાન પર ભાર મૂક્યો હતો.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

ઇમેન્યુએલ કેન્ટનો જન્મ ૨૨ એપ્રિલ ૧૭૨૪ના રોજ પ્રશિયાના કોનિંગ્સબર્ગ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જોહાન જ્યોર્જ કેન્ટ હતું અને માતાનું નામ એના રેગીના રેઉટર હતું. એ એમનાં માતા-પિતાનાં નવ સંતાનોમાં બીજા ક્રમનું સંતાન હતા. તેમના આઠ ભાઈબહેનોમાંથી ચારનાં અવાસન થયાં હતાં આથી બાકીનાં પાંચ સંતાનો સાથે એમનાં માતા-પિતા કોનિંગ્સબર્ગમા ગરીબ જીવન ગાળતાં હતાં. કેન્ટની માતા ધાર્મિક મનોવૃત્તિ વાળી હતી અને ચુસ્ત નિયમપાલનમાં માનતી હતી. ઇમેન્યુએલ તેર વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયુ હતું. ઇમેન્યુએલ ત્યાર પછી ગરીબીના દિવસોમાં ટ્યૂશનો કરીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા અને એ દરમિયાન એમણે કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનો, તત્ત્વજ્ઞાન અને ઈશ્વર વિચારનો અભ્યાસ કર્યો હતો. શરુઆતમાં તેમણે કેટલાક વિદ્યાર્થીઓને એમના ઘરે શિક્ષણ આપવાનું કાર્ય કર્યુ હતું. ત્યાર પછી એમને કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપવાની મંજૂરી મળી હતી જ્યાં એમને જેટલા વિદ્યાર્થીઓ વ્યાખ્યાનોમાં આવે અને ફી ભરે એટલી જ આવક થતી હતી. કેન્ટનાં વ્યાખ્યાનો શુદ્ધ ગણિત, ભૌતિકશાસ્ત્ર, ભૂગોળ, નૃવંશશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર એમ અનેક વિષયોને આવરી લેતાં હતાં. યુનિવર્સિટીમાં ભણતાભણતા એમણે વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના અનેક નિબંધો લખ્યા હતા અને પ્રગટ કર્યા હતા. એ લખાણોના અધારે એમને "ડૉક્ટર ઓફ ફિલોસોફી"ની પદવી આપવામાં આવી હતી. ૧૭૭૦માં એમને કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાં તર્કશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રના પ્રોફેસર બનાવવામાં આવ્યા હતાં. ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૪ના રોજ કોનિંગ્સબર્ગમાં જ એમનું અવસાન થયું હતું. એ જીવનભર અપરિણીત રહ્યા હતા.[૧][૨]

તત્વજ્ઞાન[ફેરફાર કરો]

કેન્ટ

યુનિવર્સિટીમાં અધ્યાપન દરમિયાન એમણે ઘણું લખ્યું હતું પણ એ તત્ત્વજ્ઞાનને લગતુ ન હતું. પૃથ્વીની ભૂગોળ, નૃવંશશાસ્ત્ર, ગ્રહો, ધરતીકંપ, પવન, જળ, અગ્નિ તથા આવી બીજી અનેક શૈક્ષણિક બાબતો વિશે એમણે લખ્યું હતું. થિયરી ઑફ હેવન્સમાં એમણે નિહારિકામાંથી સૂર્યો, સૂર્યમંડળો, ગ્રહો ઇત્યાદિનું સર્જન થયું છે એવી કલ્પના રજૂ કરી છે. એમના મતે તમામ ગ્રહો પર વસતી હતી અથવા છે કે થશે. એમના એક પુસ્તકમાં માનવીની ઉત્પત્તિ ચોપગાં પ્રાણીઓમાંથી થયાનો ઉલ્લેખ છે. કેવળ છેંતાલીશ વર્ષની વયે લેખક અને વ્યાખ્યાતા તરીકે એ વિખ્યાત થઈ ગયા હતા.[૧]

પંદર વર્ષના લાંબા સંશોધન અને વિચારવિમર્શ પછી એમણે લખેલો ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન ગ્રંથ ૧૭૮૧માં પ્રગટ થયો હતો. એ ગ્રંથને પગલે તત્વજ્ઞાનની દુનિયામા મોટું પરિવર્તન આવેલું.[૧] હજી પણ એ ગ્રંથ કાળગ્રસ્ત થયો નથી.

ઇમેન્યુએલે કેવળ બુદ્ધિવાદી મનોવિજ્ઞાનની શક્યતાનો ઇન્કાર કર્યો અને અનુભવનિષ્ઠ મનોવિજ્ઞાન ઉપર ભાર મૂક્યો. તેમણે આજન્મવાદને ટેકો આપ્યો અને કહ્યું કે અવકાશ અને કાળ પ્રાક્-અનુભવની સ્ફુરણાઓ છે. તેમણે કહ્યું કે આપણો અનુભવ સંવેદનની રીતોથી નિર્ણિત થાય છે અને કાળ અને અવકાશના ચોકઠામાં તેમની ગોઠવણી જે મન તેમને મેળવે અને ગોઠવે છે તેનાથી નક્કી થાય છે. બીજુ કાન્ટે એમ પણ કહ્યું કે વસ્તુઓ જેવી પ્રકૃતિમાં હોય છે તેવી દેખાતી નથી, તે તો આપણા અનુભવમાં જેવી દેખાય તેવી જ આપણે તેને જાણી શકીએ છીએ. તેમણે કહ્યું કે સાચું તત્ત્વવિદ્યાકીય જ્ઞાન અશક્ય છે, કારણ આપણા જાણવાના માર્ગો બહાર જે જગત છે તેને કદી જાણી શકાય નહિં. તેથી આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે એવું બૌદ્ધિક મનોવિજ્ઞાન સંભવી શકે નહિ. આથી તેમણે કહ્યું કે મનોવિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન ની જેમ અનુભવનિષ્ઠ વિજ્ઞાન છે[૩]

ક્રિટિક ઓફ પ્યૂર રીઝન[ફેરફાર કરો]

'ક્રિટિક' એટલે વિવેચન અને 'રીઝન' એટલે શુદ્ધ તર્કબુદ્ધિ. આમ આ પુસ્તક મનુષ્યની શુદ્ધ તર્કબુદ્ધિ પર પ્રકાશ પાડે છે. આ પુસ્તક મુખ્ય બે વિભાગમાં છે: તત્વોનો સિદ્ધાંત અને પદ્ધતિ અંગેનો સિદ્ધાંત. તત્વો અંગેના સિદ્ધાંતમાં તેમણે પ્રાગાનુભવિક જ્ઞાનના સ્વરૂપ અને તેની મર્યાદાનો વિચાર રજૂ કર્યો છે જ્યારે પ્રાગાનુભવિક જ્ઞાનના સ્વરૂપ અને તેની મર્યાદાના ફલિતાર્થો પદ્ધતિ અંગેના સિદ્ધાંતમાં રજૂ કર્યા છે. પદ્ધતિ અંગેના સિધાંતમાં કેન્ટ ગાણિતિક અને તાત્વિક પદ્ધતિના ભેદો તેમજ સૈદ્ધાંતિક અને વ્યાવહારિક ભેદો સ્પષ્ટ કરે છે અને પોતાનો સમીક્ષાત્મક અભિગમ કેવી રીતે મતાગ્રહવાદ, અનુભવવાદ અને સંશયવાદથી જુદો પડે છે તે બાબત સ્પષ્ટ કરે છે. તત્વોનો સિદ્ધાંત બે મુખ્ય વિભાગોમાં રજૂ થયો છે: (૧) મૂળગામી સંવેદનવિચાર અને (૨) મૂળગામી તર્કશાસ્ત્ર. પહેલા વિભાગમાં મનુષ્યની સંવેદનક્ષમતાનું પ્રાગનુભવાત્મક તત્વો એટલે કે દેશ અને કાળનું જ્ઞાનમાં શું યોગદાન છે તેનું નિરૂપણ થયું છે તો બીજા વિભાગમાં આપણી સમજણશક્તિનાં પ્રાગનુભવાત્મક તત્વોનું નિરૂપણ થયું છે અને સમજણશક્તિની પ્રાગનુભવાત્મક વિભાવનાઓ તેમજ તર્કબુદ્ધિના વિચારોનું સ્વરૂપ અને તેની મર્યાદાઓ સ્પષ્ટ કરવામાં આવી છે.[૨]

આ પુસ્તકમાં તેમણે લખ્યુ છે કે,

અનુભવવાદીઓ કહે છે તેમ, જ્ઞાનનો આરંભ અનુભવથી થાય છે. જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો અને સંવેદનો દ્વારા આવે છે, પરંતુ પ્રત્યક્ષીકરણ દ્વારા પદાર્થનું જે ભાન થાય છે તે પદાર્થ જેવો છે તેવા રૂપમાં નહિ, પરંતુ પદાર્થ વ્યક્તિને જે રૂપમાં દેખાય છે તે રૂપમાં થાય છે.

આમ, ઇમેન્યુએલ કેન્ટ અનુભવ કરનાર વ્યક્તિ અને અનુભવાતો પદાર્થ બંનેની વચ્ચે ભેદ પાડે છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ શુક્લ, ચન્દ્રવદન (૧૯૬૯). તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ. મુંબઈ: વિભૂતી પ્રકાશન. પૃષ્ઠ ૧૫૦.
  2. ૨.૦ ૨.૧ બક્ષી, મધુસૂદન (૨૦૧૧). કાન્ટનું તત્ત્વજ્ઞાન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧-૨.
  3. ૩.૦ ૩.૧ પરીખ, ડૉ. બી. એ. (૨૦૧૪). મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો (5th આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૭-૩૮, ૩૨૧. ISBN 978-81-929772-7-0.

વધુ વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]