લખાણ પર જાઓ

ખુસરો બાગ

વિકિપીડિયામાંથી
ખુસરો બાગ
પ્રયાગરાજના ખુસરો બાગ ખાતે સુલતાન-ઉન-નિસા બેગમની કબર
નકશો
સ્થાનપ્રયાગરાજ
અક્ષાંશ-રેખાંશCoordinates: 25°26′32″N 81°49′15″E / 25.4423°N 81.8209°E / 25.4423; 81.8209

ખુસરો બાગ ભારત દેશના પ્રયાગરાજ શહેરના પ્રયાગરાજ જંક્શન રેલવે સ્ટેશનની નજીક મુહલ્લા ખુલદાબાદમાં એક વિશાળ દીવાલોથી ઘેરાયેલો બગીચો અને કબ્રસ્તાન સંકુલ છે. ચાલીસ એકરમાં પથરાયેલો આ બગીચો અકબરના કિલ્લાથી લગભગ ૬ કિ.મી. દૂર આવેલો છે અને ચતુષ્કોણ જેવો આકાર ધરાવે છે.

તે રાષ્ટ્રીય મહત્વના ભારતીય સ્થાપત્ય તરીકે સૂચિબદ્ધ છે.[૧]

તેમાં ૪ કબરોનો સમાવેશ થાય છે:

  • શાહ બેગમ (જન્મ: મનભાવતી બાઈ) (અ. ૧૬૦૪), જહાંગીરની પત્ની અને રાજા ભગવંતદાસની પુત્રી તથા ખુસરો મિર્ઝા (અ. ૧૬૨૨)ની માતા
  • ખુસરો મિર્ઝા, જહાંગીરનો સૌથી મોટો પુત્ર અને થોડા સમય માટે મુઘલ સિંહાસનનો વારસદાર
  • નિઠાર બેગમ (જન્મ: સુલતાન-ઉન-નિસા) (અ. ૧૬૪૬), ખુસરો મિર્ઝાની બહેન અને જહાંગીરની પુત્રી
  • બીબી તમોલાનની કબર[૧]

સ્થાપત્ય

[ફેરફાર કરો]
નિઠારની કબરની શણગારેલી કમાન
નિઠારની કબરનો આંતરિક ભાગ

આ દિવાલોવાળા બગીચાની અંદર રેતીના પત્થરોની ચાર કબરો મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરે છે. તેના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના બગીચાઓ અને ૧૬૦૪માં મૃત્યુ પામેલા શાહ બેગમની ત્રિ-સ્તરીય કબરની ડિઝાઇન જહાંગીરની મુખ્ય દરબાર કલાકાર આકા રેઝાને આભારી છે. શાહ બેગમ, મૂળ મનભાવતી બાઈ, અંબરના રાજા ભગવંત દાસની પુત્રી હતા. પતિ જહાંગીર અને પુત્ર ખુસરો વચ્ચેના વિખવાદથી વ્યથિત થઈને તેણે ૧૬૦૪માં અફીણ ગળીને આત્મહત્યા કરી લીધી હતી. તેની કબર ૧૬૦૬માં આકા રેઝા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તે મુખ્ય મંચ વિનાનો ત્રણ માળનો છતવાળો ચબૂતરો છે, જેની નિષ્ણાતો દ્વારા ફતેહપુર સિક્રી સાથે સરખામણી કરવામાં આવે છે. જો કે કબરમાં એક મોટી છત્રી છે જે ચબૂતરાને વટાવી દે છે અને તેની કબરને શણગારતા અરબી શિલાલેખો જહાંગીરના સૌથી મહાન સુલેખનકાર મીર અબ્દુલ્લા મુશ્કીન કલામ દ્વારા કોતરવામાં આવ્યા હતા.[૨]

બેગમની બાજુમાં ખુસરોની બહેન નિઠારની કબર આવેલી છે. સ્થાપત્યની દ્રષ્ટિએ, આ ત્રણેયમાં તે સૌથી વિસ્તૃત છે. તે એક ઊંચા મંચ પર સ્થિત છે અને છીપ કમાન ભાતને દર્શાવતા ફલકથી શણગારેલું છે. સ્તંભો સાથે જોડાયેલા ઓરડાઓની છતને સમકેન્દ્રી વર્તુળોમાં તારાઓથી વિસ્તૃત રીતે દોરવામાં આવી છે. મધ્ય ખંડની દિવાલો પર પર્શિયન સાયપ્રસ, વાઇન વેસલ, ફૂલો અને છોડને દર્શાવતી ફૂલોની સજાવટ છે.[૨]

ખુસરો બાગની ત્રણ કબરોમાં ખુસરોની કબર છેલ્લી છે. ૧૬૦૬માં પોતાના પિતા જહાંગીર સામે બળવો કર્યા બાદ ખુશરોને સૌપ્રથમ વાર બગીચામાં કેદ કરવામાં આવ્યો હતો. નાસી છૂટવાના પ્રયાસ બાદ જહાંગીરની સૂચનાથી તેને અંધ બનાવી દેવાયો હતો. ૧૬૨૨માં ખુસરોના ભાઈ અને જહાંગીરના ત્રીજા પુત્ર શહેજાદા ખુર્રમના આદેશથી તેની હત્યા કરવામાં આવી, જે પાછળથી સમ્રાટ શાહજહાં બન્યો. કબરમાં જાળીદાર બારીઓ આવેલી છે અને તેની ઘોડીની કબર પણ તેની કબરની પાસે આવેલી છે.[૨]

ખુસરોની કબર ૧૬૨૨માં પૂરી થઈ હતી, જ્યારે નિઠાર બેગમની કબર, જે શાહ બેગમ અને ખુસરોની કબરોની વચ્ચે આવેલી છે, તે ૧૬૨૪-૨૫માં બેગનની સૂચનાથી બનાવવામાં આવી હતી. નિઠારનો મકબરો જોકે ખાલી છે અને તેમાં તેની કબર નથી.[૩]

૧૮૫૭ના વિપ્લવ દરમિયાન ખુસરો બાગ મૌલવી લિયાકત અલીના નેતૃત્વ હેઠળ સિપાહીઓનું વડું મથક બન્યો હતો, જેમણે સ્વતંત્ર થયેલા અલ્હાબાદના રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળી હતી. જોકે, અલ્હાબાદમાં વિપ્લવને ઝડપથી કચડી નાખવામાં આવ્યો હતો અને ખુશરો બાગને અંગ્રેજોએ બે અઠવાડિયામાં ફરીથી પોતાના કબજામાં લઈ લીધો હતો.[૨]

ચિત્રવીથિ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Datta, Rangan (26 April 2023). "Khusro Bagh in Prayagraj: A silent witness of Mughal tradition and heritage" (The Telegraph). My Kolkata. મેળવેલ 7 August 2023.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Rashid, Omar (22 September 2012). "Elegant tombs, unkempt greens". The Hindu.
  3. Khusru Bagh (Garden) at Allahabad, 1870s સંગ્રહિત ૭ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન British Library.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]