ગંગાબાઈ યાજ્ઞિક

વિકિપીડિયામાંથી
ગંગાબાઈ પ્રાણશંકર યાજ્ઞિક
જન્મ૧૮૬૮
મૃત્યુ1937 (aged 68–69)
વ્યવસાયલેખક, શિક્ષક, આયુર્વેદ ચિકિત્સક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • હુન્નર મહાસાગર (૧૮૯૮)

ગંગાબાઈ પ્રાણશંકર યાજ્ઞિક (૧૮૬૮-૧૯૩૭) એ ૧૯મી સદીના ભારતના ગુજરાતી લેખિકા હતા. વ્યવસાયે શિક્ષક અને આયુર્વેદ ચિકિત્સક ગંગાબાઈએ હુન્નર મહાસાગર નામનું પુસ્તક (૧૮૯૮) લખ્યું હતું, જે લગભગ ૨૦૮૦ વેપાર, કૌશલ્યો અને સ્વરોજગાર માટેના નુસખાઓનું સંકલન હતું. તેમને પ્રથમ મહિલા ગુજરાતી લેખક માનવામાં આવે છે.[upper-alpha ૧]

જીવન[ફેરફાર કરો]

ગંગાબાઈ યાજ્ઞિકનો જન્મ ૧૮૬૮માં થયો હતો. તે ગાંધીનગર જિલ્લાના વાવોલના વતની હતાં. ૧૮૮૧માં તેર વર્ષની વયે તેમના પતિનું અવસાન થયું. તેમણે તે સમયના રીતરિવાજ પ્રમાણે માથાનું મુંડન કરાવાની ના પાડી હતી. તેમનાં બહેનના પ્રયાસોથી તેઓએ શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ બાદ તેઓ સહાયક શિક્ષિકા તરીકે એક પ્રાથમિક શાળામાં જોડાયાં. વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની મહાલક્ષ્મી સ્ત્રી તાલીમ કોલેજમાં જોડાયાં. ૧૮૮૭માં તેઓ વાવોલ છોડી માણસા સ્થાયી થયાં. જ્યાં તેમને વિક્ટોરિયા કન્યાશાળાનાં મુખ્ય શિક્ષિકા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. તેઓ સ્વદેશી (સ્થાનિક પેદાશો) અને સ્વરોજગારની હિમાયત કરતાં એક ઉદ્યમી હતાં. તે આયુર્વેદ ચિકિત્સક હતાં અને સ્ત્રીરોગ સમસ્યાઓનો ઇલાજ પણ કરતાં હતાં.[૧][૨] તેમણે ૧૮૭૯ની આસપાસ માણસામાં ગર્ભજીવન ઔષધાલય નામની એક હોસ્પિટલની સ્થાપના કરી હતી અને પછીથી અમદાવાદ ખાતે તેની શાખા શરૂ કરી હતી.

તેમનું મૃત્યુ ૧૯૩૭માં થયું હતું. તેમણે મૃત્યુ પછી હોસ્પિટલની આવકમાંથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું વસિયતનામું કરાવ્યું હતું.[૧]

સર્જન[ફેરફાર કરો]

ગંગાબાઈનું લેખન બળવાખોર અને સુધારાવાદી માનવામાં આવે છે. તેમણે વહેમ ખાનદાન પોથી (૧૮૯૧) અને દેવી ત્રિયા નિષેધ (૧૮૯૨)માં ડાકણ-શિકાર, અંધવિશ્વાસ, બાળલગ્ન અને બહુપત્નીત્વ જેવી અંધશ્રદ્ધાઓ અને સામાજિક દૂષણોનો વિરોધ કર્યો હતો.[૧][૨]

તેમનું પુસ્તક હુન્નર મહાસાગર (૧૮૯૮) લગભગ ૨૦૮૦ જેટલા વેપાર, કૌશલ્ય અને સ્વરોજગાર માટેના ઘરેલું નુસખાઓનું સંકલન છે. તેમાં પરંપરાગત દવાઓ તૈયાર કરવાની પદ્ધતિઓની માહિતી સામેલ છે; જેમ કે કરડવા સંબંધિત, આંખો અને કાન; ધાતુશાસ્ત્ર; તેમજ સાબુ, કાગળ, પાપડ, અત્તર, વાળનું તેલ, કૃત્રિમ મોતી, હર્બલ રંગો, ડિટર્જન્ટ, અગરબત્તી, દાંતનો પાવડર, ગનપાવડર અને વોર્નિશ જેવા સ્વદેશી કુટિર ઉદ્યોગો વિશે માહિતી આપેલ છે.[૧][૩] આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું હતું. પ્રકાશનના માત્ર ત્રણ જ દિવસમાં હજાર નકલો વેચાઈ ગઈ હતી. ૧૯૦૮ સુધીમાં તેની સાતમી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી.[૪]

વારસો[ફેરફાર કરો]

ગંગાબાઈ યાજ્ઞિકને પ્રથમ મહિલા ગુજરાતી લેખક તરીકે ગણવામાં આવે છે. આ દાવો વિવાદસ્પદ છે કારણ કે રઘુવીર ચૌધરી જેવા કેટલાક વિદ્વાનો દ્વારા તેમના લેખનને સાહિત્યિક માનવામાં આવતું નથી.[૧][૨] અમદાવાદ સ્થિત એક ફાઉન્ડેશને તેમના વિશેની માહિતી એકત્રિત કરી અને ૨૦૦૩માં હુન્નર મહાસાગરની નવી આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમની ઓળખ માટે અભિયાન પણ ચલાવામાં આવ્યું હતું.[૪] ઇતિહાસકાર શિરીન મહેતાએ નોંધ્યું હતું કે મહાત્મા ગાંધી પહેલા ગંગાબાઈ યાજ્ઞિકે સ્વદેશી (સ્થાનિક પેદાશો)ની હિમાયત કરી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધો અને સંદર્ભો[ફેરફાર કરો]

  1. આ દાવો તેમના સર્જનકાર્યના વિષયોને કારણે વિવાદાસ્પદ છે જેને વિદ્વાનો સાહિત્યિક માનતા નથી. તેના બદલે નંદકુંવરબાને ૧૮૯૮માં પ્રકાશિત તેમના પ્રવાસ વર્ણન ભૂમંડલનો પ્રવાસ માટે પ્રથમ મહિલા લેખક માનવામાં આવે છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Parekh, Tina (2003-08-13). "Claiming her right in Gujarati writing". The Times of India. મેળવેલ 2018-08-15.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Quest for woman Gujarati writer brings up new name". The Times of India. 2013-08-13. મેળવેલ 2018-08-15.
  3. "Quest for woman Gujarati writer brings up new name". The Times of India. 2013-08-13. મેળવેલ 2018-08-15.
  4. ૪.૦ ૪.૧ Gupta, Anil K, સંપાદક (January–March 2003). "Book Review: A Nationalist-Feminist User's Guide for Swadeshi" (PDF). HoneyBee. Sristi Innovations. 14 (1): 16. મૂળ (PDF) માંથી 2010-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-15.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]