ગઝલ

વિકિપીડિયામાંથી

ગઝલ પદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.[૧] ગઝલ સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તે મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂમાં લખાય છે.

ગઝલનો અર્થ[ફેરફાર કરો]

ગઝલ: (અરેબિક) (સ્ત્રીલિંગ):[૨]

  • પ્રેમની લાગણી દર્શાવવી
  • સ્ત્રીની સુંદરતાનાં વખાણ કરવાં - સ્ત્રીઓ સાથે વાતચીત કે વિલાસ કરવો - પ્રેમયુક્ત ભાષામાં કે કાવ્યરૂપ બોલવું - પ્રિયતમા સાથે પ્રેમવાર્તા કરવી - સ્ત્રીઓની અને એમના પ્રેમની વાત કરનાર વ્યક્તિ - ફારસી અને ઉર્દૂ કાવ્યનો પ્રકાર (જે ગુજરાતીમાં પણ લોકપ્રિય છે)
  • જેની પહેલી અને આઠમી માત્રા જ લઘુ હોય એવો ચૌદમાત્રાનો છંદ.

અંતિમ શબ્દાર્થને બાદ કરતાં બાકીના અર્થ સાથે સંમત થઈ શકાય. બાલકલાપી યુગની ગઝલો મોટે ભાગે અઠ્ઠાવીસ માત્રાના હજ્ઝ ૨૮ છંદમાં લખાતી હોવાથી, એની અર્ધપંક્તિને ચૌદ માત્રાની ગણી આવી વ્યાખ્યા અપાઈ છે, જે ભૂલભરેલી છે. આ તો ગઝલમાં વપરાતા અનેક છંદોમાંથી માત્ર એકની વાત કરાઈ છે. ‘ગુજરાતી પ્રતિનિધી ગઝલો’ના સંપાદકીય વિદ્વત્તાપૂર્ણ લેખમાં ચિનુ મોદી લખે છે કે ‘ગઝલ’ એ અરબી સાહિત્યસંજ્ઞા છે. આ શબ્દ ‘ગઝલ’ એ અરબી શબ્દ પરથી બન્યો છે. ‘ગઝલ’નો અર્થ છે હરણનું બચ્ચું. ફિરાક ગોરખપુરી ‘ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ’માં આથી જ એમ નોંધે છે કે તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગઝલ. હકીકતમાં ‘ગઝલ’ શબ્દનો અર્થ ‘હરણનું બચ્ચું’ થતો નથી. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ શબ્દ છે અને હરણીને ‘ગિઝાલા’ કહેવામાં આવે છે. ધ્વનિસામીપ્ય સિવાય આ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ નથી. ફિરાક ગોરખપુરીના અભિપ્રાયને કાવ્યાત્મક અભિવ્યક્તિ માનીને ચાલવું જોઈએ. એમના જેવા મહાકવિને આવી વ્યાખ્યા કરવાનો અધિકાર છે જ . પણ શાબ્દિક રીતે ‘ગજલ’ અને ‘હરણ’ ને કોઇ સંબંધ નથી, એમ માનવું જ વધુ ઉચિત છે. વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે પણ ગિઝાલ કે ગિઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ બની શકે નહીં.

મુહમ્મદ મુસ્તફાખાન મદ્દાહ સંપાદિત ઉર્દૂ હિન્દી શબ્દકોશમાં ગઝલનો અર્થ આ પ્રમાણે આપ્યો છે.

ગઝલ: (અરેબિક) (સ્ત્રીલિંગ): પ્રેમીકા સાથે વાર્તાલાપ, ઉર્દૂ–ફારસી કવિતાનો એક વિશેષ પ્રકાર જેમાં સામાન્ય રીતે પથી ૧૧ શેર હોય છે. તમામ શેર એક જ રદીફકાફિયામાં હોય છે. દરેક શેરોમાં વિષય અલગ હોય છે. પહેલા શેરને મત્લા કહે છે. છેલ્લા શેરને મક્તા કહે છે જેમાં શાયર પોતાનું ઉપનામ વણી લે છે. આ વર્ણનાત્મક વ્યાખ્યા એકંદરે સ્વીકાર્ય લાગે છે. પ્રિયતમાની સાથેની ગોષ્ઠિ અને રૂપનાં વખાણ જેવા સીમિત વિષયોમાથી શરૂ થયેલો કસીદાનો આ પેટાપ્રકાર આજે જ્યારે એના શાબ્દિક અર્થની સીમાઓને પાર કરી ચૂક્યો છે ત્યારે ગઝલને “ખાસ છંદોમાં લખાતું, વિશિષ્ટ સ્વરૂપ અને સ્વભાવ ઘરાવતું ઊર્મિકાવ્ય” ગણી શકાય. શેર : શેર શબ્દની ઊત્પત્તિ અરબી ભાષાના ‘શઉર’ શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે જાણવું, (૨૩) શેરનો ઉચ્ચાર ‘શેઅર’ જેવો કરવામાં આવે છે. શેરનો સામાન્ય અર્થ જાણવા જેવી વાત એવો કરી શકાય. શેર ગઝલનો મૂળભૂત એકમ છે. ગઝલમાં દરેક શેર પોતે અર્થની દૃષ્ટિએ સ્વતંત્ર હોય છે. અર્થાત કોઈ એક ગઝલનો ત્રીજો શેર સમજવા માટે બીજો કે ચોથો શેર વાંચવાની જરૂર ન પડવી જોઈએ. એક શેરમાં છેડેલી વાત એ જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. એ રીતે શેર ગઝલનો અંશ હોવા છતાં પોતાની રીતે સ્વતંત્રતા એકમ છે.

એક ગઝલના અલગ અલગ શેરો અર્થની દૃષ્ટિએ એકબીજાથી સંબંધિત કે એકબીજા પર આધારિત હોવા જરૂરી નથી. એક ગઝલમાં આવેલા તમામ શેરો એક જ છંદમાં હોય અને રદીફ-કાફિયા જાળવીને લખાયા હોય, એટલું જ અનિવાર્ય છે. એમ કહી શકાય કે એક ગઝલના તમામ શેરો કોઈ એક ભાવ કે વિશેષ અર્થથી નહીં, પરંતુ છંદ, રદીફ અને કાફિયાથી જોડાયેલા હોય છે.

એક ગઝલના તમામ શેરોમાં ભાવસાતત્ય અનિવાર્ય નથી એટલું નોંધ્યા પછી ઉમેરવું જોઈએ કે ગઝલમાં ભાવસાતત્ય વર્જ્ય કે અસ્વીકાર્ય છે, એવું હરગિજ નથી. ખરેખર તો ભાવસાતત્યવાળી ગઝલો ઘણીવાર વધારે ઉચ્ચ રસાનુભૂતિ કરાવે છે.

આ ગઝલ વાંચતાં અચૂક ખ્યાલ આવશે કે સમગ્ર ગઝલ કોઈ એક વિશેષ પ્રસંગે, વતનથી વિદાય લેતાં લખાયેલી હોવાથી સમગ્ર કૃતિમાં ભાવસાતત્ય છે, જે રસાનુભૂતિને સઘન બનાવે છે. સાથે-સાથે આ ગઝલનો દરેક શેર પોતાની જગ્યાએ, અર્થની દૃષ્ટિએ સ્વતંત્ર છે, એ પણ એટલું જ સાચું છે.

શેર બે પંક્તિઓનો બનેલો હોય છે. પંક્તિઓની લંબાઈ પસંદ કરેલા છંદ અનુસાર હોય છે. શેરની બે પંક્તિઓ અર્થની દૃષ્ટિએ એકબીજાની પૂરક હોય છે. ‘એક પંક્તિમાં દાવો હોય છે અને બીજી પંક્તિમાં દલીલ હોય છે.’ એવી પ્રચલિત સમજણ દરેક કિસ્સામાં સાચી નથી હોતી. એ ખરું કે ઘણા ચોટદાર શેરો તપાસતાં એમની સંરચનામાં દાવો અને દલીલની યોજના જોવા મળે છે, પરંતુ શેર રચવાની એ એકમાત્ર તરકીબ નથી. બે પંક્તિઓમાં વિવિધ અર્થછટા નિપજાવી તર્ક, સૌંદર્ય કે ઊર્મિની દૃષ્ટિએ એમની વચ્ચે વિવિધ પ્રકારનો સંબંધ રાખી શેર અનેક રીતે લખી શકાય છે. શાયરનાં સંવેદનશીલતા, ચતુરાઈ અને અભિવ્યક્તિકૌશલ્યના નિચોડરૂપે લખાતા શેર અસંખ્ય પ્રકારે લખી શકાય, શેર લખવાની તરકીબને વ્યાખ્યાના ચોકઠામાં બદ્ધ કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી.

સામાન્યત: શેર ગઝલના અંશરૂપે જ આવે છે, પરંતુ કદીક એવું બને કે કવિ એક શેર લખ્યા પછી બીજો શેર ન લખી શકે ત્યારે, જો એ એકમાત્ર શેર સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ મૂલ્ય ધરાવતો હોય તો એ ‘છૂટા શેર’ તરીકે પ્રસિદ્ધિ પામી શકે. ઘણી વાર સંપૂર્ણ ગઝલમાંથી પણ એકાદ શેર જ લોકપ્રિય થાય છે અને અવતરણ તરીકે એ જ વારંવાર ટાંકવામાં આવે છે. જેમ કે, ‘ઓજસ’ પાલનપુરીનો આ શેર:

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ

આખી ગઝલમાંથી ઘણી વાર આવો એકાદ ચોટદાર શેર જ પોતાની અવતરણ-ક્ષમતાને કારણે પ્રસિદ્ધિ પામે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કવિ પોતાની પસંદગી કે ઇચ્છાથી ‘છૂટો શેર’ નથી લખતો, એમ થઈ જાય છે. ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે એક જ છંદ, રદીફ અને કાફિયા જાળવીને લખાયેલી અનેક શેરોવાળી ગઝલ જ વધુ સ્વીકાર્ય ગણાય. એકાદ છૂટો શેર નહીં, પરંતુ આખી ગઝલ જ શાયરની કવિત્વશક્તિની સાચી કસોટી છે.

શેર ઉપરથી જ ‘શાયર’ અને ‘મુશાયરો’ શબ્દ આવ્યા છે, એ દેખીતું છે. મુશાયરાનો અર્થ છે જ્ઞાનીઓની સભા, જેમાં બોલનાર અને સાંભળનાર બંને જ્ઞાની અથવા જ્ઞાનપિપાસુ હોય એ જરૂરી છે! આટલા વિવરણ પછી એટલું સમજી શકાયું હશે કે ભારતીય પરંપરામાં શ્ર્લોકની વિભાવના અરબી-ફારસીના શેરની ખૂબ નજીક બેસે છે. ફરક માત્ર રદીફ-કાફિયાની યોજનાનો છે. એમ કહી શકાય કે છંદ, રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલાં અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે જ ગઝલ.[૩]

મિસરા[ફેરફાર કરો]

એક શેરની બે પંક્તિઓને બે મિસરા તરીકે ઓળખવામાં આવે છે. ‘મિસરા’ શબ્દનો અરબી ભાષામાં અર્થ છે, બારણાનાં કમાડમાંનું એક કમાડ. (૨૪) કેવો ઉચિત શબ્દ છે! જેમ બે કમાડ બરાબર બેસે તો દરવાજો બરાબર બંધ થાય તેમ બે મિસરા બરાબર બેસે તો શેરરૂપી દરવાજો રચાય.

શેરની પ્રથમ પંક્તિને ‘ઉલા મિસરા’ અને બીજી પંક્તિ ‘સાની મિસરા’ કહેવામાં આવે છે. અરબી ભાષામાં ‘ઉલા’ એટલે પ્રથમ અને ‘સાની’ એટલે દ્વિતિય. એક જ શેરના બંને મિસરાઓ એક જ છંદમાં હોવા અનિવાર્ય છે. આમ તો, એક આખી ગઝલના તમામ મિસરાઓ એક જ છંદમાં હોય છે. એક શેરના બે મિસરામાંથી પહેલો મિસરો સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત હોય છે. એના પર છંદ જાળવવા સિવાય કોઈ બંધન હોતું નથી. પરંતુ શેરના બીજા મિસરામાં આખી ગઝલ માટે જે રદીફ કાફિયાની યોજના નિયત કરી હોય, એનું પાલન કરવું પડે છે. ગઝલના પ્રથમ શેરમાં બંને મિસરાઓમાં રદીફ-કાફિયાની યોજના સ્થાપિત કરવી પડે છે, એ વિશે આગળ સમજ મેળવીશું. બંને મિસરા અર્થની દૃષ્ટિએ એકમેકના પૂરક હોય છે. એક મિસરામાં એક આખું વાક્ય અથવા અધૂરું વાક્ય હોઈ શકે. ઉદાહરણથી જોઈએ તો સંદર્ભ ગઝલ-૧૨ નો એક શેર છે:

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે

અહીં બંને મિસરા બે અલગ અલગ વાક્યરૂપે છે, હવે સંદર્ભ ગઝલ-૧ તરીકે મૂકેલી શેખાદમ આબુવાલાની ગઝલનો આ શેર જુઓ:

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટા પડીને મુલાકાત કરશું

અહીં બંને મિસરા મળીને એક વાક્ય બને છે. પ્રથમ મિસરામાં વાક્ય અધૂરું રહે છે. શેર રચવાની બંને રીત સ્વીકાર્ય છે.

ઘણી વાર આખો મિસરો સંપૂર્ણ કે અધૂરાં વાક્યો તરીકે નહીં, પરંતુ શબ્દો કે શબ્દસમૂહોના ટુકડા તરીકે આવે છે. ઉદાહરણ જોઈએ, સંદર્ભ ગઝલ-૧૬ નો એક શેર છે :

ચિતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિશ્વાસ, નિરાશા, લાચારીએક જીવને માટે જીવનમાં, મૃત્યુનાં ઘણા યમ રાખું છું

મિસરા તરીકે વિશિષ્ટ પંક્તિ લઈને આવેલો મનહર મોદીનો એક શેર જુઓ (સંદર્ભ ગઝલ- ૧૧):

એ જ છે મારા પરિચયની કથા ગાલગા ગાગાલગા ગાગાલગા

ગઝલના એક મિસરામાં કોઈ એક દ્દષ્ટાંત કે પ્રતીકયોજના હોય અને એના આધારે બીજા મિસરામાં કોઈ સત્યનું પ્રતિપાદન થાય, એવું બની શકે. એક મિસરામાં કોઈ વિધાન કે દાવો હોય બીજામાં એના સમર્થન માટે કોઈ દલીલ રજૂ કરવામાં આવી હોય એમ પણ બને. કેટલીક વાર એક મિસરો કોઈ ‘પ્લેટફૉર્મ’ કે ‘રન-વે’ તૈયાર કરી આપે છે, જેના ઉપરથી બીજો મિસરો કાવ્યાત્મક ઉડ્ડયન કરે છે. બે મિસરા વચ્ચે અનેક પ્રકારનો સંબંધ હોઈ શકે, શરતમાત્ર એટલી જ રહે છે કે અન્યોન્યના આધારથી શેરને અર્થસાધકતા મળે.[૨][૩]

રદીફ[ફેરફાર કરો]

રદીફ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના ‘રદ’ શબ્દ પરથી થઈ છે. જેનો શાબ્દિક અર્થ છે ‘ફરીથી આવવું’ ‘પાછા આવવું’ (૨૫) સંગીતકાર જેમ ફરી ફરીને અંતે સમ પર આવે છે, ગાયક ફરી ફરીને જેમ મુખડા પર આવે છે એ રીતે ગઝલકાર શેરને અંતે ‘રદીફ’ પર આવે છે. રદીફનો અર્થ ઘોડા પર સવાર થયેલ ઘોડેસવારની પાછળ બેઠેલા માણસ એવો પણ કરવામાં આવ્યો છે. અર્થાત કાફિયાને ઘોડેસવાર ગણીએ તો રદીફ હંમેશા એની પાછળ બેઠેલા સાથી તરીકે હોય જ.

સંદર્ભ ગઝલ ક્રમ-૧૩ ‘ક્ષણોને… ને ધ્યાનમાં રાખીએ તો પ્રાસરૂપે આવતા શબ્દો ‘તોડવા’ ‘જોડવા’ વગેરે પછી પ્રથમ શેરના બંને મિસરામાં અને ત્યાર બાદના શેરોમાં બીજા મિસરામાં આવતો ‘બેસું તો વરસોના વરસ લાગે’ એ આખો શબ્દ સમૂહ કોઈ પણ ફેરફાર વગર પુનરાવર્તિત થાય છે, એ જ ગઝલનો રદીફ છે. સંદર્ભ ગઝલ ક્રમ- ૬ની વાત કરીએ તો એમાં ‘મળે ન મળે’ શબ્દસમૂહ પ્રથમ શેરના બંને મિસરામાં અને ત્યાર બાદના દરેક શેરના બીજા મિસરામાં પુનરાવર્તિત થતો હોવાથી એ રદીફ છે. રદીફ ગમે તેટલો લાંબો કે ગમે તેટલો ટૂંકો હોઈ શકે.

રદીફ ગઝલને એકસૂત્રથી બાંધે છે. લાંબો રદીફ ગઝલને એક આગવું ભાવવિશ્વ આપે છે. જેમ કે, ‘બેસું તો વરસોના વરસ લાગે’ જેવો રદીફ અનિવાર્યપણે પ્રલંબ પ્રયાસોની નિ:સહાયતાનો ભાવ દરેક શેરમાં લઈ આવે. એ જ રીતે ‘મળે ન મળે’ જેવો રદીફ દરેક શેરમાં અનિશ્ચિતતાનો ભાવ લઈ આવે. રદીફ જેમ વધુ લાંબો* તેમ રદીફ વધુ ચુસ્ત ગણાય, કેમ કે એ ગઝલના અર્થવિસ્તાર કે વ્યાપની ક્ષમતાને એટલે અંશે સીમિત કરે છે, પરંતુ એ સીમિત પટાંગણમાં જે વિવિધ અર્થછટાઓના ખેલ ખેલવાની ગઝલકારની ક્ષમતાને લલકારે છે અને ચુનંદા ગઝલકારો આ પડકાર ઝીલીને મેદાન મારી જાય છે, એ વાતની પ્રતીતિ આ બંને ગઝલોમાં થાય છે. રદીફ જેમ વધુ ટૂંકો તેમ વધુ મુકત ગણાય. રદીફ વિનાની ગઝલોને ‘ગેર-મુરદફ’ ગઝલો કહેવામાં આવે છે. કેટલાક આવી ગઝલો માટે ‘હમરદીફ હમકાફિયા’ શબ્દનો પ્રયોગ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સંદર્ભ ગઝલ-૧૪ ‘તમારા પગ મહી જ્યારે પડ્યો છું’માં રદીફ ‘છું’ માત્ર એકાક્ષરી છે. આવો રદીફ ગઝલના અર્થવિશ્વને ખૂબ મુક્ત કરી દે છે. સંદર્ભ ગઝલ તરીકે મૂકેલી મરીઝની ગઝલ ગઝલ-૫ ‘એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે’, ગઝલ- મનહર મોદીની ગઝલ-૧૧ ‘એ જ મારા પરિચયની કથા’, તેમ જ શ્રી રમેશ પારેખની ગઝલ-૨ ‘આપણે આપણો ધર્મ સંભાળીએ’- આ ત્રણે ગઝલોમાં રદીફ નથી. એટલે કે આ ગઝલો ‘ગેરમુરદદૂક ‘ છે. આવી ગઝલો પણ સ્વીકાર્ય છે. અર્થાત ગઝલમાં રદીફ અનિવાર્ય નથી.

રદીફ ટૂંકા હોય ત્યારે,અથવા રદીફ ન હોય ત્યારે ગઝલકાર પર ખાસ બંધન રહેતું નથી. રદીફને કારણે ગઝલના અર્થ-ઉડ્ડયનના વ્યાપની જે સીમા બંધાય છે, તેને કારણે ઘણી વાર ગઝલનો એકસૂત્ર ભાવપિંડ બંધાય છે. રદીફની ગેરહાજરીમાં, જો ગઝલકાર સભાન ન રહે તો આખી ગઝલ અર્થ કે ભાવની દૃષ્ટિએ વિચ્છિન થઈ જવાની સંભાવના રહે છે. સમગ્રતાનો અનુભવ થતો નથી અને અલગ અલગ વિષયના શેરોને કારણે રસાનુભૂતિમાં વિક્ષેપ પડવાની સંભાવના રહે છે. સિદ્ધ ગઝલકારો જ્યારે પણ ટૂંકા રદીફનો ઉપયોગ કરે અથવા રદીફ વગરની ગઝલો લખે ત્યારે મોટે ભાગે સમગ્ર ગઝલનો ભાવપિંડ અન્ય રીતે કોઈક સૂક્ષ્મ અન્વીતિથી બાંધી ગઝલનું એક કૃતિ તરીકેનું પોત જાળવી રાખે છે. ગઝલના શેરોના વિષયની પસંદગી અને ક્રમની ગોઠવણીમાં સૂક્ષ્મ પ્રકારે સાતત્ય દાખવીને તેઓ રચનાને વિચ્છિન થતી બચાવી લે છે. ઉદાહરણની ત્રણે ગઝલોમાં આ તથ્યની પેઅતીતિ કરી શકાશે. આમ, લાંબા રદીફમાં સીમિત પટાંગણમાં ખેલવાની ક્ષમતાની કસોટી થાય છે.

  • રદીફ શબ્દને અમુક ગઝલકારો સ્ત્રીલિંગમાં ઉલ્લેખી ‘લાંબી રદીફ અથવા ટૂંકી રદીફ’ એ પ્રકારે શબ્દપ્રયોગ કરે છે. ‘કાફિયા’ શબ્દ ‘પુલ્લિંગ’ હોવા વિશે એકમતી છે. કદાચ, ઘોડા પર આગળનાં ‘પુલ્લિંગ’ હોય અને પાછળનો સવાર ‘સ્ત્રીલિંગ’ હોય, એ કલ્પના વધુ રોમેન્ટિક લાગે, પરંતુ એવા કોઈ દાક્ષિણ્ય વગર અહીં ‘રદીફ’ શબ્દને પુલ્લિંગ ગણવાનું વલણ રાખ્યું છે.

ટૂંકા રદીફ તરીકે ઘણી વાર રેતી, રણ, પીછું, ટહુકો, માણસ, પવન, પગ વગેરે શબ્દો-સંજ્ઞાઓ-પ્રતીકોનો ઉપયોગ થાય છે. આ શબ્દોને પ્રતીકો તરીકે વાપરી કવિ પોતાની કલ્પનાશક્તિથી દરેક શેરમાં જુદી જુદી અર્થછટાઓ નિપજાવે છે. મનોજ ખંડેરિયાની ગઝલ ‘પીંછું’ના થોડા શેર આ સંદર્ભમાં જોઈ શકાય. અહીં રદીફ ‘જાય પીંછું’ એમ બે શબ્દનો છે.

ગગન સાથ લઈ ઊતરે એ ફરકતુંવિહગ-પાંખથી જે ખરી જાય પીંછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાંઝીણાં શિલ્પ કંઈ કોતરી જાય પીંછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બહાર આવેકદી આંખમાં જો તરી જાય પીંછું

રદીફ-કાફિયાની જુગલબંધીથી રચાતી એક પ્રકારની ચમત્કૃતિની પણ વાત કરી લઈએ. પ્રથમ ઉદાહરણ જોઈએ. ધારો કે એક ઉર્દૂ ગઝલમાં પતા ના લગે, દુઆ ના લગે, વફા ના લગે,- પ્રકારની રદીફ-કાફિયાની યોજના હોય અને એ ગઝલનો એક શેર આ પ્રમાણે આવે..

તુમ્હારે શહેર કા મોસમ બડા સુહાના લગે, મૈં એક શામ ચૂરા લૂં અગર બૂરા ના લગે

અહીં ગઝલની તમામ અન્ય પંક્તિઓમાં ‘ના લગે’ રદીફ નકારાત્મકતા સૂચક છે, પરંતુ આ શેરની પ્રથમ પંક્તિમાં ‘સુહાના’ શબ્દમાં કાફિયા અને રદીફ બંનેનો સમાસ થઈ જાય છે. ‘સુહા’ શબ્દાંશ કાફિયાની ગરજ સારે છે અને ‘ના’ શબ્દાંશ ‘લગે’ સાથે મળી રદીફ નિભાવે છે.

જો આ ગઝલમાં આગળ જણાવ્યું તેમ પતા ના લગે, વફા ના લગે, દુઆ ના લગે, એ પ્રકારની પ્રાસયોજના હોય, એમાં ‘સુહાના લગે’ જેવા કાફિયા-રદીફ આવે તો એને ‘કાફિયાએ મામુલા તહલીલી’ નામનો અલંકાર ગણવામાં આવે છે. પરંતુ જો આખી ગઝલમાં જમાના લગે, ખઝાના લગે, સુહાના લગે જેવી પ્રાસયોજના હોય અને એમાં ‘બૂરા ના લગે’ જેવા કાફિયા-રદીફ આવે તો એને ‘કાફિયાએ મામુલા તરકીબી’ નામનો અલંકાર ગણવામાં આવે છે.

આપણે ઉદાહરણ તરીકે મૂકેલ સંદર્ભ ગઝલ-૪ આ દ્દષ્ટિએ જોઈએ. આ ગઝલમાં વિચાર દે, દ્વાર દે, ઉધાર દે, પ્રકારની કાફિયા-રદીફની યોજના છે. થોડી ગુસ્તાખી કરીને આપણે આ કાફિયા-રદીફ જાળવીને એક આવો શેર લખીએ….

નાનકડું ઘર છે મારું, ઉતારો ક્યાં આપવો
?મારી ગઝલમાં આવી વસો માત શારદે !

અહીં ‘શારદે’ શબ્દના બે અંશ થઈ, પ્રથમ શબ્દાંશ ‘શાર’ કાફિયાની ગરજ સારે છે અને બીજો શબદાંશ ‘દે’ રદીફ નિભાવે છે. આ પણ કાફિયાએ મામુલા તહલીલીનું ઉદાહરણ થયું. આ અલંકાર ઘણી વાર ઉચ્ચ કક્ષાની રસાનુભૂતિ જન્માવે છે, પણ આવી પ્રયુક્તિઓના અતિરેક સામે પણ સાવધ રહેવું જોઈએ. રદીફ વિશેની ચર્ચાનું સમાપન કરતાં એક ઇશારો ‘તકાબીલ રદીફ’ એટલે કે રદીફના સંઘર્ષ તરીકે ઓળખાતા એક દોષ પ્રત્યે કરી લઈએ. મરીઝની ઉપરોક્ત ગઝલમાં એક શેર આ પ્રમાણે છે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે?

ફરી એક વાર ગુસ્તાખી કરી આ શેરમાં થોડો ફેરફાર કરીએ.

પીઠામાં દઉં જો હાજરી, સઘળાં ય માન દે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે?

અહીં રદીફ ‘દે’ પહેલી પંક્તિમાં જરૂરી નથી, તો પણ લાવવામાં આવ્યો છે. તેથી એ દોષ બને છે. રદીફ સાથે જો કાફિયો પણ હોત તો આ શેર મત્લાનો શેર થઈ જાત, પણ અહીં એવું નથી. આ રીતે મત્લાના શેરો સિવાયના શેરોમાં, શેરની પ્રથમ પંક્તિના અંતે રદીફ લાવવાથી શેરનું સૌંદર્ય જોખમાય છે. આ દોષને ‘તકાબીલ રદીફ’ તરીકે ઓળખવામાં આવે છે. પત્તાની રમતમાં કસમયે પત્તાં ખોલી દેવાની નાદાની કરવા જેવા આ દોષને જાણકારો રદીફનો મોટો દોષ ગણે છે. ગઝલકારે આ દોષ બાબતે સભાન રહેવું જોઈએ.[૨][૩]

કાફિયા[ફેરફાર કરો]

કાફિયા શબ્દનો ઉદભવ અરબી શબ્દ ‘કફુ’ પરથી થયો છે, જેનો અર્થ છે પાછળ આવવા માટે તૈયાર, (૨૬) ready to follow. કાફિયા એક અસવારની માફક, પોતાની પાછળ રદીફ નામના સાથીને બેસાડીને, દરેક શેરની પાછળ આવવા તૈયાર હોય છે, એવો સંકેત આ નામકરણની પાછળ છે. ગુજરાતીમાં જેને આપણે ‘પ્રાસ’ અથવા ‘તૂકાન્ત’ તરીકે ઓળખીએ છીએ, એ જ ગઝલમાં કાફિયા છે. શરૂઆતમાં અરબી પરંપરામાં પણ, ભારતીય પરંપરાની જેમ જ પ્રાસ તરીકે પંક્તિના અંતે જ કાફિયા લાવવાનું વલણ હતું, પરંતુ ફારસી અને ઉર્દૂ પરંપરામાં રદીફનો વપરાશ વધ્યો અને કાફિયા રદીફની આગળ આવતા થયા. સંદર્ભ ગઝલ-૧માં વાત, મુલાકાત, જાત, રાત વગેરે કાફિયા છે અને ‘કરશું’ રદીફ છે. કાફિયા તરીકે વપરાતો શબ્દ બદલાતો રહે છે, રદીફ એક જ રહે છે. સંદર્ભ ગઝલ-૩માં પણ કાફિયા આ જ પ્રકારના છે, વલોપાત, શરૂઆત, વાત, મુલાકાત, રજૂઆત, વસૂલાત વગેરે. રદીફ તરીકે ‘વગર’ શબ્દ છે, સંદર્ભ ગઝલ-૪માં પરવરદિગાર, વિચાર, દ્વાર, આવકાર વગેરે કાફિયા છે, અને રદીફ તરીકે ‘દે’ શબ્દ છે. સંદર્ભ ગઝલ-૬માં નગર, ઉપર, અસર, નજર, કબર વગેરે કાફિયાની સાથે ‘મળે ન મળે’ રદીફ છે. ગઝલ-૨માં સંભાળીએ, પંપાળીએ, ટાળીએ, ગાળીએ, જાળીએ વગેરે કાફિયા છે. આ ગઝલ રદીફ વગરની છે. ગઝલ-૫માં આવે, બનાવે, બતાવે, મનાવે વગેરે કાફિયા છે અને રદીફ નથી.

કાફિયા તરીકે વપરાયેલા શબ્દમાંથી શબ્દનો પાછળનો જે અંશ તમામ કાફિયામાં સામાન્ય (common) હોય છે એને આપણે ‘કાફિયાનો આધાર’ કહીશું. પ્રથમ ગઝલમાં વાત, મુલાકાત, જાત, રાત વગેરે કાફિયા હોવાથી ‘આત’ શબ્દાંશ કાફિયાનો આધાર ગણાશે. બીજી ગઝલમાં સંભાળીએ, પંપાળીએ, ટાળીએ વગેરે કાફિયાઓમાં ‘આળીએ’ શબ્દાંશ કાફિયાના આધાર તરીકે છે. ચોથી ગઝલમાં કાફિયાનો આધાર ‘આર’ શબ્દાંશ છે, પાંચમી ગઝલમાં ‘આવે’ શબ્દાંશ કાફિયાનો આધાર છે. છઠ્ઠી ગઝલમાં ‘અર’ શબ્દાંશ કાફિયાનો આધાર છે.

કાફિયાનો આધાર લાંબો હોય તો એ કાફિયાને તંગ અથવા ચુસ્ત કાફિયા કહેવાય, ગઝલ-૨માં ‘આળીએ’ કાફિયાનો આધાર પ્રમાણમાં ચુસ્ત કહેવાય. સંભાળીએ, પંપાળીએ, જાળીએ વગેરેને બદલે સંભાળીએ, દર્શાવીએ, શણગારીએ જેવા કાફિયાઓ પસંદ કરીએ તો કાફિયા પ્રમાણમાં મુક્ત બને. કાફિયાનો આધાર ‘આળીએ’ ને બદલે ‘ઇએ’ થવાથી કાફિયાને પસંદગી માટે વધુ શબ્દોનો વ્યાપ મળે, તેથી ગઝલ રચવાનું સહેલું બને. ગઝલ-૧૧માં કથા, લગા, થયા, વેગળા, જગા વગેરે કાફિયામાં કાફિયાનો આધાર માત્ર ‘આ’ શબ્દાંશ હોવાથી આ કાફિયા પ્રમાણમાં ખૂબ મુક્ત છે, કવિને ઘણા વિકલ્પો મળી રહે છે. કાફિયો ચુસ્ત કે તંગ હોય, વધુ વિકલ્પો ન હોય ત્યારે કાફિયાનુસારી શેરો લખવાની શક્યતા વધી જાય છે.

‘શોભા’ની સાથે કોરા, ધોયા, નોખા, બોદા જેવા કાફિયા આવે ત્યારે કાફિયાનો આધાર માત્ર ‘આ’ શબ્દાંશ છે તેથી પડઘા, જૂઠા, ભીના જેવા આકારાન્ત કાફિયા પણ નભે. છતાં કાફિયાના આધારની આગળનો સ્વર પણ સાચવીએ તો કાફિયામાં થોડી ચુસ્તી આવે છે. તેથી શોભાની સાથે પડઘા, જૂઠા, ભીના વગેરે કાફિયા થોડા મુક્ત ગણાય અને કોરા, ધોયા, નોખા, બોદા વગેરે પ્રમાણમાં ચુસ્ત ગણાય.

પતીલની ગઝલ ‘હતા કાફીશાળાઓ મહીં સાથે થનારા’માં થનારા, આપનારા, સિતારા, તમારા વગેરે કાફિયાઓ દ્વારા કાફિયાનો આધાર ‘આરા’ સ્થાપિત થાય છે, પરંતુ આ જ ગઝલમાં ‘ખારાં’ કાફિયા આવે છે જેમાંથી ‘આરાં’ શબ્દાંશ છૂટો પડે છે. આમ, અનુસ્વારને કારણે કાફિયાની શુદ્ધતા ખોડંગાય છે. ભગવતીકુમાર શર્માની ગઝલ ‘માણસ’ માં ઘટના, સમસ્યા, તડકા, ટહુકા વગેરે કાફિયાઓમાં ‘આ’ કાફિયાનો આધાર છે, જ્યારે એક કાફિયો ‘તણખલાં’માંથી ‘આં’ શબ્દાંશ છૂટો પડે છે. આ પ્રકારના દોષને ગુજરાતી ભાષામાં દોષ ન ગણવો જોઈએ, કેમ કે આપણી ભાષામાં અનુસ્વાર વિશિષ્ટ રીતે વપરાય છે. લિંગ કે વચન બદલાતાં અનુસ્વારનો ફરક પડી જાય છે, તેથી અનુસ્વાર પૂરતી, કાફિયાઓમાં છૂટછાટ માન્ય હોવી જોઈએ. ગયા, થયા, રહ્યા જેવા કાફિયાવાળી અથવા આમાંથી એકાદ શબ્દ રદીફ હોય ત્યારે પણ અનુસ્વારને કારણે કાફિયા અને રદીફની શુદ્ધતાની સમસ્યા થાય છે, પણ આપણી ભાષાની લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ આ છૂટછાટ ક્ષમ્ય ગણવી જોઈએ..

કાફિયાના બીજા એક મહત્વના દોષ માટે પણ ‘પતીલ’ની ઉપરોક્ત ગઝલ જ જોઈએ. મત્લાના શેરમાં ‘થનારા’ અને ‘આપનારા’ કાફિયાઓ દ્વારા ‘અનારા’ શબ્દાંશ સ્થાપિત (establish) થાય છે, પછીના શેરોમાં સિતારા, તમારા વગેરે કાફિયાઓમાંથી ‘અનારા’ શબ્દાશં નીકળતો નથી. આખી ગઝલમાં કાફિયાનો આધાર ‘આરા’ સચવાય છે, પરંતુ પ્રથમ શેરમાં જે કાફિયાનો આધાર સ્થાપિત થયો હોય, એ જ આખી ગઝલમાં જળવાય એ જરૂરી છે.

નઝીર ભાતરીની એક ગઝલનો પ્રથમ શેર આ પ્રમાણે છે :

કદી ન્હોતો થયો પહેલાં હું એવો કેમ રોષિત છું
મને લાગી રહ્યું છે આજ હું પોતે જ દોષિત છું

અહીં ‘રોષિત’ અને ‘દોષિત’ કાફિયાઓ દ્વારા ‘ઓષિત’ શબ્દાંશ કાફિયાના આધાર તરીકે સ્થાપિત(establish) થાય છે. હવે ગઝલને આગળ વધારવા માટે કવિ સુવાસિત, પરિચિત, સુરક્ષિત કે પ્રભાવિત જેવા કાફિયા વાપરે છે જેમાં કાફિયાનો આધાર ‘ઓષિત’ જળવાતો નથી માત્ર ‘ઇત’ જળવાય છે. આ દોષ ગણાય.

ભગવતીકુમાર શર્માની એક ગઝલનો પ્રથમ શેર છે:

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી

અહીં પણ ‘અવેશ’ જેવો કાફિયાનો આધાર સ્થાપિત કર્યા પછી આદેશ, ઝુંબેશ, હંમેશ જેવા કાફિયા શાસ્ત્રીય રીતે ન વાપરી શકાય. જલ્દી ધ્યાનમાં ન આવતો આ દોષ ઉર્દૂ – ફારસીમાં મહત્વનો દોષ ગણાય છે. આ દોષ નિવારવા માટે મત્લાના શેરમાં અતિચુસ્ત કાફિયા ન રાખવા જોઈએ. પતીલની ગઝલમાં પહેલા શેરમાં ‘થનારા’ની સાથે ‘આપનારા’ ને બદલે ‘સિતારા’; નઝીર ભાતરીની ગઝલમાં ‘રોષિત’ની સાથે ‘સુવાસિત’ અને ભગવતીકુમાર શર્માની ગઝલમાં દરવેશની સાથે આદેશ જેવા કાફિયા વપરાયા હોત, તો પ્રમાણમાં મુક્ત એવી કાફિયાની યોજના સ્થાપિત થાત. અને આ દોષનું નિવારણ થઈ શક્યું હોત. કદીક આવી ચુસ્ત યોજનાવાળા કાફિયા મત્લામાં વપરાઈ જાય અને પછી એને નિભાવી શકાય એમ ન હોય, તો શ્રેષ્ઠ ઉપાય પછી એ છે કે એ મત્લાને બીજા ક્રમે મૂકી, એક નવો મત્લો રચવો જેમાં પ્રમાણમાં મુક્ત એવી કાફિયાની યોજના હોય.

ઉપરછલ્લી નજરે એકસરખા કાફિયા પણ ચુસ્તતાની દ્દષ્ટિએ તપાસવા જેવા હોય છે. આવતો, ચાલતો, ભાવતો, મારતો જેવા કાફિયાની સરખામણીમાં આવતો, ભાવતો, લલચાવતો, શોભાવતો વગેરે કાફિયાઓની યોજના વધુ ચુસ્ત ગણાય. એ જ રીતે રટણ, બાળપણ, વ્યાકરણ જેવા કાફિયાની સરખામણીમાં ઝરણ, શરણ, મરણ, આવરણ, સ્મરણ જેવા કાફિયા વધુ ચુસ્ત ગણાય.

ઉર્દૂ-ફારસી પરંપરામાં કાફિયાશુદ્ધિ માટે આખું ‘કાફિયાશાસ્ત્ર’ રચાયું છે.

કેટલીક ગઝલોમાં કાફિયાના સ્થાન ઉપરાંત અન્ય સ્થાને પણ પ્રાસ જોવા મળે છે, એનો નિર્દેશ કરી લઈએ. રમેશ પારેખની એક ગઝલનો મત્લો આ પ્રમાણે છે:

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ,
ગમે તે ઉઠાવ તું, લૂછી લે ભીની આંખ,
ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું

અહીં ઉઠાવ, સજાવ કાફિયા ઉપરાંત દરેક પંક્તિમાં તમામ-નામ, આંખ-રાખ જેવો આંતરિક પ્રાસ છે.

મરીઝની એક ગઝલના બે શેર જોઈએ:

કોશિશની કોઈ ભાવના પ્રેમ જગતમાં લાવ ના
આવી શકાય આવ ના, આવી જવાય આવ તું

કંગાળ છું કૃપા ન કર, પાપ કરું ક્ષમા ન કર
દૂર રહી દયા ન કર, પાસ રહી સતાવ તું

અહીં પણ આવ, સતાવ વગેરે કાફિયાઓ ઉપરાંત પ્રથમ શેરમાં ભાવના, લાવ ના, આવ ના અને બીજા શેરમાં કૃપા, ક્ષમા અને દયા જેવા આંતરિક પ્રાસ જોવા મળે છે. આ વધારાની પ્રાસયોજના અતિરિક્ત શોભા માટે છે. હજારોમાં એકાદ ગઝલમાં આવી પ્રાસરચના જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલ તરીકે ઓળખાવાયેલી કલાપીની ગઝલ ‘આપની યાદી’માં ‘આપની’ રદીફ તો દરેક શેરમાં જળવાયો છે, પરંતુ કાફિયા જળવાયો નથી. આ ગઝલમાં કાફિયા નથી, એ ક્ષતિને બાદ કરતાં આ રચના ગઝલના અન્ય માપદંડો પર ખરી ઉતરે છે. વળી, ગુજરાતી ગઝલ ઇતિહાસના શરૂઆતના તબક્કાની આ ગઝલનું ઐતિહાસિક મૂલ્ય પણ છે, પરંતુ હવે ગુજરાતી ભાષામાં ગઝલના આટલા વિકાસ પછી આજનો શાયર કાફિયા વિનાની ગઝલ લખે તો તે અક્ષમ્ય ગણાય.

અમુક વિદ્વાનો ગઝલમાં ઓછામાં ઓછા પાંચ શેરો જરૂરી માને છે. જોકે ગુજરાતી ભાષામાં ઓછામાં ઓછા ત્રણ શેરોની ગઝલો પણ લખાઈ છે અને સ્વીકારાઈ છે, એ જોતાં કાફિયાની પસંદગી કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ શેર રચી શકાય તે માટે ઓછામાં ઓછા ચાર કાફિયા ઉપલબ્ધ હોવા જોઈએ. પાંચ શેરની લઘુતમ મર્યાદા સ્વીકારીએ તો છ કાફિયા જરૂરી ગણાય. નવા ગઝલકારો લાંબી ગઝલ લખવાનું વલણ ધરાવતા નથી, પરંતુ પરંપરાના કેટલાક ગઝલકારો ડઝનબંધ શેરોવાળી ગઝલો લખવાનું પસંદ કરતા. ઉપલબ્ધ હોય એવા તમામ કાફિયાઓ વાપરી લાંબી લચક ગઝલો લખતા જેમાં કાફિયાનુસારી ભરતીના શેરોનો ખડકલો જોવા મળતો. સદભાગ્યે આ વૃતિ હવેના શાયરોમાં નથી. શ્રેષ્ઠ શાયરની એ ખાસિયત હોય છે કે તે પસંદ કરેલા પ્રત્યેક કાફિયા પર જ્યાં સુધી શ્રેષ્ઠ શેર ન લખી શકાય ત્યાં સુધી ફરી ફરી પ્રયત્નો કરે છે. સારા શાયરો ઉપલબ્ધ કાફિયાને ઉતાવળે વેડફી નાખવાના બદલે ધૈર્યપૂર્વક એ કાફિયાની તમામ શક્યતાઓ તાગી, એમાંથી શ્રેષ્ઠ શક્યતા પસંદ કરી શેર નિપજાવે છે.

ગઝલને જો તંબૂનું રૂપક આપીએ તો કાફિયા એનો વાંસ છે. કાફિયાના યોગ્ય સંતુલન વગર ગઝલની ઇમારત ધરાશાયી થઈ જાય. કાફિયાને અનુસરવું પડે છે એ ગઝલકાર માટે એક મર્યાદા છે. આ મર્યાદામાં રહીને ગઝલકાર એકાધિક ઉત્તમ શેરોનું એક મજાનું ભાવવિશ્વ ખડું કરી દે છે એ ગઝલકારની ઉપલબ્ધિ છે. આમ, સર્જનાત્મકતાના ઉચિત સ્પર્શથી કાફિયાનું બંધન, બંધન રહેતું નથી.

રદીફ ગઝલને એકસૂત્રની અથવા એક વિષય કે વિચારની આસપાસ બાંધી રાખે છે. કાફિયા, રદીફના ખૂંટે બંધાઈને પણ વિવિધ વિષયો કે વિચારોની સફર કરી લે છે. રદીફ અને કાફિયાની આ લીલાથી આકાર ધારણ કરતી ગઝલનો આ જ રોમાંચ છે. રદીફ, કાફિયા અને છંદના બંધનમાં રહીને કશુંક નિર્બંધ તાકવું એ જ ગઝલની ઉપલબ્ધિ છે.[૩]

મત્લા[ફેરફાર કરો]

‘મત્લા’ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ ‘તુલુઅ’ પરથી થઈ છે, જે સામાન્યત : ‘સૂર્યના ઉદય થવા’ નો સંકેત કરે છે. (૨૭) આમ, ‘મત્લા’ શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે, અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મત્લાનો અર્થ ‘આકાશ’ અથવા ‘નભોમંડળ’ જેવો પણ થઈ શકે. ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.

મત્લાના શેરથી શાયરને રદીફ-કાફિયાની કઈ યોજના અભિપ્રેત છે એનો વાચક કે શ્રોતાને ખ્યાલ આવે છે. ગઝલના રદીફ-કાફિયા મત્લાના શેરથી સ્થાપિત થાય છે. ઘણી વાર આખી ગઝલના અન્ય શેરો લખાઈ જાય છે, પરંતુ મત્લા રચી શકાતો નથી. બંને પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવાના હોવાથી મત્લા શાયર માટે મોટી કસોટી બની રહે છે. વળી, મત્લાથી ગઝલનો ઉપાડ થતો હોવાથી એ શેર સારો હોય, ચોટદાર હોય, પ્રભાવશાળી હોય એવી અપેક્ષા પણ રહે છે.[૩][૨]

મક્તા અને તખલ્લુસ[ફેરફાર કરો]

મક્તા સંજ્ઞા મૂળ અરબી શબ્દ ‘કત્અ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે, કાપીને પૂરું કરવું, અટકવું. (૨૮) અર્થાત્ જે શેર પર ગઝલ પૂરી થાય એ શેરને મક્તા કહે છે.

અમુક વિદ્ધવાનો માને છે કે ગઝલના અંતિમ શેરમાં જો શાયરનું ઉપનામ એટલે કે તખલ્લુસ વણી લેવાયું હોય તો જ એ શેરને ‘મક્તા’ કહેવાય, અન્યથા તખલ્લુસ વિનાના અંતિમ શેરને ‘આખિરી શેર’ કહેવાની પરંપરા છે, પરંતુ ‘મક્તા’ શબ્દના અર્થમાં ક્યાંય એવો કોઈ ભાવ અભિપ્રેત નથી કે એમાં તખલ્લુસ અનિવાર્ય છે. પરંતુ કોઈ પણ સ્વરૂપના વિકાસમાં નર્યા શબ્દાર્થો ઉપરાંત પરંપરાઓનું પણ મહત્વ હોય છે. તેથી કોઈ ‘મક્તા’ના શેરમાં તખલ્લુસ અનિવાર્ય ગણે તો એ માન્યતા પરંપરાથી રૂઢ થઈ હોવાથી એને પડકારી ન શકાય. ઉર્દૂ – ફારસીમાં લગભગ દરેક શાયર્નું આગવું તખલ્લુસ હોય છે અને છેલ્લા શેરમાં લગભગ અચૂકપણે તખલ્લુસ જોવા મળે છે. ગુજરાતીના ઘણા આધુનિક શાયરો તખ્લ્લુસ રાખતા નથી. ટૂંકમાં, ગઝલમાં તખ્લ્લુસ અનિવાર્ય નથી.

તખલ્લુસનો ઇતિહાસ રસપ્રદ છે. ગઝલના વિકાસના શરૂઆતના તબક્કામાં છેલ્લા શેરમાં તખલ્લુસ મૂકવાનો રિવાજ ન હતો. આ ગઝલો જ્યારે તવાયફોના કંઠે ગવાતી ત્યારે ગઝલની તમામ ખૂબીઓ માટે દાદ તવાયફને મળતી અને શાયર બિચારાનો નામોલ્લેખ પણ થતો નહિ. આમ, ગઝલ પરનું પોતાનું કર્તૃત્વ સિદ્ધ કરવાના મરણિયા પ્રયાસરૂપે શાયરોએ છેલ્લા શેરમાં પોતાનું તખ્લ્લુસ મૂકવાનું શરૂ કર્યું, એમ કહેવાય છે.

ગાલિબની શરૂઆતની ગઝલોમાં ‘અસદ’ તખ્લ્લુસ જોવા મળે છે, પછી ‘અસદ’ તખ્લ્લુસ ધરાવતા અન્ય એક સામાન્ય કક્ષાના શાયર પ્રકાશમાં આવતાં, ગાલિબે એ તખ્લ્લુસનો ત્યાગ કરી ‘ગાલિબ’ તખ્લ્લુસ અપનાવ્યું. ( ‘અસદ’ તખલ્લુસ ગાલિબના મૂળ નામ અસદુલ્લાહખાનનું ટૂંકુ રૂપ હતું.)

તખલ્લુસ ટૂંકુ હોય છે, છંદસાધ્ય હોય છે, એટલે કે ગઝલના એકાધિક છંદોમાં બંધ બેસે એવું હોય છે. તખ્લ્લુસ અર્થસભર પણ હોય તો મક્તાના શેરોમાં ખૂબીપૂર્વક એનો ઉપયોગ કરી શકાય. જેમકે, બરકત વીરાણીનું તખલ્લુસ ‘બેફામ’ એમની ગઝલોમાં સાર્થક રીતે પ્રયોજાયેલું જોવા મળે છે.

કેટલીક ગઝલોમાં અંતિમ શેર સિવાયના શેરોમાં પણ કવિનું તખલ્લુસ જોવા મળે છે. મીર તકી મીરની એક ગઝલના પ્રથમ શેરમાં જ તખલ્લુસ જોવા મળે છે.

જો ઇસ શોર સે ‘મીર’ રોતા રહેગા તો હમસાયા કાહે કો સોતા રહેગા!

કવિ રમેશ પારેખે તખલ્લુસનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે.[૩]

‘ર’ નિરંતર ‘મેશ’ માં સબડે અને સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે

ફર્દ[ફેરફાર કરો]

શાયરો કેટલાક એવા છૂટા શેર રચી નાખે છે, જેને પૂરી ગઝલનું સ્વરૂપ આપી શકાતું નથી. આવા શેરોને ‘ફર્દ’ અથવા છૂટા શેરો સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. મોટા ભાગે જરૂરી સંખ્યામાં કાફિયા ન મળે ત્યારે અથવા આખી ગઝલમાં એકાદ શેર જ સારો લખાયો હોય ત્યારે વિવેકયુક્ત શાયર નબળા શેરોને રદ કરી માત્ર એક છૂટો શેર ‘ફર્દ’ તરીકે પ્રગટ કરે છે.[૩]

કત્આ[ફેરફાર કરો]

આમ તો બે મિસરાનો બનેલો એક શેર એ જ ગઝલકારનું પટાંગણ છે. એણે જે કોઈ વાત કહેવી હોય તે એક જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. પરંતુ અપવાદરૂપે કોઈક વાર વિચાર દીર્ધસૂત્રી હોય ત્યારે શેર બે ને બદલે ચાર, છ કે આઠ પંક્તિ સુધી લંબાવી શકે છે. જ્યારે એક વિચાર એકથી વધુ શેરમાં સળંગ ફેલાયેલો હોય, એવા શેરોના સમૂહને કત્આ કહેવામાં આવે છે. કત્આ ગઝલથી અલગ પણ રજૂ કરી શકાય. કત્આની બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવા અનિવાર્ય છે. ગુજરાતીમાં કત્આનું ચલણ ઓછું છે. ઉર્દૂમાંથી પણ કત્આની પરંપરા લુપ્ત થઈ રહી છે. મુશાયરામાં ગઝલ રજૂ કરતાં પહેલાં કેટલીક વાર વાતાવરણ જમાવવા માટે શાયર બે શેરનું ‘મુક્તક’ રજૂ કરે છે. ‘મુક્તક’ સંસ્કૃત પરંપરાનો શબ્દ છે. ચાર પંક્તિનું આ ‘મુક્તક’ કત્આના નિયમો જાળવતું હોવાથી એને ‘કત્આ’ કહીને રજૂ કરી શકાય. ચાર પંક્તિના ‘કત્આ’માં બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયા અનિવાર્ય ગણાય. પહેલી પંક્તિમાં પણ રદીફ-કાફિયા હોય તો શોભા વધે. ‘કત્આ’ ગઝલના છંદોમાં લખાય છે. (અને એ રીતે રુબાઈથી ભિન્ન છે.)[૩]

રુબાઈ[ફેરફાર કરો]

રુબાઈનો અર્થ છે ચાર પંક્તિની કવિતા. રુબાઈમાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયાની યોજના સાચવવામાં આવે છે. રુબાઈના છંદો ગઝલના છંદો કરતા જુદા છે. રુબાઈના છંદોમાં એક ગુરુ પછી ષટ્કલોનાં ત્રણ આવર્તનો હોય છે. ૨૦ કે ૨૧ માત્રાના છંદોના રુબાઈ લખી શકાય છે. રુબાઈના ૧૨-૧૨- છંદોનાં બે જૂથ પાડવામાં આવ્યાં છે. એક રુબાઈની ચાર પંક્તિ એક જૂથના કોઈ પણ ચાર અલગ અલગ છંદોમાં પણ લખી શકાય. આમ, રુબાઈની ચાર પંક્તિઓ છંદની દ્દષ્ટિએ અલગ અલગ હોઈ શકે, પણ એના વિશિષ્ટ બંધારણને કારણે લય અને તાલની દ્દષ્ટિએ એકરૂપ લાગે છે.[૨]

ગઝલના બાહ્યસ્વરૂપનું સંક્ષિપ્ત વિવરણ[ફેરફાર કરો]

ગઝલનો મૂળભૂત એકમ શેર છે. એક ગઝલ ત્રણ કે તેથી વધુ શેરોની બનેલી જોવા મળે છે. એક ગઝલના શેરો એક જ સરીખા રદીફ, એક જ પ્રકારના કાફિયા અને એક જ છંદથી જોડાયેલા હોય છે. એક શેરની બે પંક્તિઓને બે મિસરા કહે છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, જેના બંને મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. મત્લામાં સ્થાપિત કરેલ રદીફ-કાફિયાની યોજના ત્યાર બાદ આખી ગઝલમાં નિભાવવી પડે છે. મત્લા એકથી વધુ હોઈ શકે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી. બીજા મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. દરેક શેરના અંતે કોઈ પરિવર્તન વગર અચૂક આવતાં શબ્દ કે શબ્દસમૂહને રદીફ કહે છે. રદીફ ગમે તેટલો લાંબો કે ટૂંકો હોઈ શકે. ગઝલ રદીફ વિનાની પણ હોઈ શકે. રદીફ કરતાં આગળ આવતા પ્રાસના શબ્દને કાફિયા કહેવામાં આવે છે, કાફિયા તરીકે વપરાતા શબ્દોમાં પાછળનો અમુક શબ્દાંશ એકસરખો હોય છે, જેને કાફિયાનો આધાર કહે છે. આખી ગઝલમાં કાફિયાનો આધાર એકસરખો રહેવો જોઈએ. ગઝલના અંતિમ શેરમાં કેટલીક વાર શાયર પોતાનું તખલ્લુસ વણી લે છે. આ શેરને ‘મક્તા’નો શેર કહે છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગઝલ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ શકીલ કાદરી (૧૯૯૪). "પ્રકરણ ૧". ગઝલનું પીંગળશાસ્ત્ર. વડોદરા.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ રઈશ મનીઆર (૨૦૦૬). "પ્રકરણ 5:ગઝલ : બાહ્ય સ્વરૂપ : પરિભાષાની સમજ". ગઝલ : રૂપ અને રંગ. અમદાવાદ: અરૂણોદય પ્રકાશન. પૃષ્ઠ ૨૭-૪૧. ISBN 9789380468099.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]