ઝવેરચંદ મેઘાણી

વિકિપીડિયામાંથી
ઝવેરચંદ મેઘાણી
જન્મઝવેરચંદ કાળીદાસ મેઘાણી
(1896-08-28)28 August 1896
ચોટીલા, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ9 March 1947(1947-03-09) (ઉંમર 50)
બોટાદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
ઉપનામદ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
વ્યવસાય
  • કવિ
  • નાટ્યલેખક
  • સંપાદક
  • લોકવાર્તાકાર
શિક્ષણબી.એ. (સંસ્કૃત)
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક
(૧૯૨૮)
જીવનસાથીઓદમયંતીબેન, ચિત્રદેવી
સંતાનોજયંત મેઘાણી
માતા-પિતાધોળીબાઈ-કાળીદાસ
સહી

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬[૧] માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણિક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.[૨] ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.[૩] તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.[૪]

સર્જન[ફેરફાર કરો]

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમણે રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.

  • સૌરાષ્ટ્રની રસધાર
  • સોરઠી બહારવટિયા
  • સોરઠી સંતવાણી
  • દાદાજીની વાતો
  • કંકાવટી
  • રઢિયાળી રાત
  • ચૂંદડી
  • હાલરડાં
  • ધરતીનું ધાવણ
  • લોકસાહિત્યનું સમાલોચન
  • યુગવંદના
  • તુલસીક્યારો
  • વેવિશાળ
  • બોળો
  • કિલ્લોલ
  • વેણીના ફૂલ
  • સમરાંગણ
  • સોરઠ તારા વહેતા પાણી.
  • માણસાઈ ના દીવા

અવસાન[ફેરફાર કરો]

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

સન્માન[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી,૧૯૯૯, ભારતીય ટપાલ ટિકિટ

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Jhaverchand Meghani". jhaverchandmeghani.com. મૂળ માંથી 2012-05-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૭.
  2. "Print | Other Section | Akilanews.com". akilanews.com. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. Meghani, Pinaki (૧૪ માર્ચ ૨૦૦૯). "Jhaverchand Meghani – Honour received during his life-time". Meghani Family. મૂળ માંથી 2018-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ઓક્ટોબર ૨૦૦૯. CS1 maint: discouraged parameter (link)
  4. Parishad, Author: Gujarati Sahitya. "સવિશેષ પરિચય: ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Zaverchand Meghani, Gujarati Sahitya Parishad". gujaratisahityaparishad.com. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]