નવકાર મંત્ર

વિકિપીડિયામાંથી

નવકાર મંત્ર ૯ (નવ) પદો અને ૬૮ (અડસઠ) અક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે, જેનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આ આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે. આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. મંત્રમાં કોઇનું પણ, અરિહંત કે સિધ્ધોનું પણ, નામ લેવામાં આવેલ નથી. મંત્રપાઠનાં સમયે, જૈન ભક્ત તેમનાં ગુણોને યાદ કરે છે અને તેમનું અનુસરણ કરવાની કોશિશ કરે છે. આ વાત જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતની પુષ્ટી કરે છે.

નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવાય છે. મૂળ રૂપે નવકાર પાંચ પદોનો બનેલો છે. આના પ્રથમ પાંચ પદોમાં દેવ-ગુરુને નમસ્કાર કરાયા છે.

મંત્ર[ફેરફાર કરો]

પ્રાકૃત ગુજરાતી લિપ્યંતરણ અર્થ
णमो अरिहंताणं નમો અરિહંતાણં નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને.
णमो सिद्धाणं નમો સિધ્ધાણં નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને.
णमो आइरियाणं નમો આયરિયાણં નમસ્કાર હોજો આચાર્યજી ને.
णमो उवज्झायाणं નમો ઉવજઝાયાણં નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને.
णमो लोए सव्व साहूणं નમો લોએ સવ્વસાહૂણં નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને.
एसो पंच णमोक्कारो, सव्व पावप्पणासणो એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે. બધા પાપોનો નાશ કરનાર છે.
मंगला णं च सव्वेसिं, पढमं हवई मंगलं મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં અને બધાં જ મંગલોમાં, પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.

એક અન્ય પરંપરામાં છેલ્લાં ચાર પદોમાં ચૂલિકાને બદલે આ ચાર પદો વપરાય છે, જે પાછળથી એ ધર્મ ગુરુઓ દ્વારા ઉમેરાઈ છે.

પદ અર્થ
નમો નાણસ્સ જ્ઞાનને નમસ્કાર હો.
નમો દંસણસ્સ દર્શનને નમસ્કાર હો.
નમો ચરિત્તસ્સ ચારિત્રને નમસ્કાર હો.
નમો તવસ્સ તપને નમસ્કાર હો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]