મહાપ્રસ્થાન

વિકિપીડિયામાંથી
મહાપ્રસ્થાન
લેખકઉમાશંકર જોશી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારપદ્યનાટ્ય
માધ્યમ પ્રકારછાપેલું પુસ્તક
પાનાં૮૦
પુરસ્કારોઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૧૯૬૩-૬૪-૬૫)

મહાપ્રસ્થાન એ ૧૯૬૫માં પ્રકાશિત ઉમાશંકર જોશીની ૭ પદ્યનાટિકાઓનો સંગ્રહ છે.[૧] આ પુસ્તકને ૧૯૬૩-૬૪-૬૫નો ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. [૨]

પુસ્તક વિષે[ફેરફાર કરો]

આ પુસ્તક પહેલાં, ૧૯૪૪માં ઉમાશંકર જોશીનો ‘પ્રાચીના’ નામે એક પધ્ય નાટિકાઓનો સંગ્રહ છપાયો હતો. ‘મહાપ્રસ્થાન’ તેનો અનુસંધાન ગ્રંથ છે. આ પુસ્તકમાં ૭ કૃતિઓ છે જે મહાભારત, રામાયણ અને બુદ્ધના જીવનમાંથી લીધેલી નાટ્યવસ્તુઓ પર આધારિત છે. પુસ્તકમાં સમાવિષ્ટ ૭ કૃતિઓ આ મુજબ છે: ‘મહાપ્રસ્થાન’, ‘યુધિષ્ઠિર’, ‘મંથરા’, ‘ભરત’, ‘કચ’, ‘અર્જુન-ઉર્વશી’ અને ‘નિમંત્રણ’.[૨][૧]

‘મહાપ્રસ્થાન’ એ એક પદ્યનાટિકા તેમજ આ પુસ્તકનું પણ શીર્ષક છે. મહાપ્રસ્થાન મહાભારતના અંતિમ ખંડ સ્વર્ગારોહણપર્વની ઘટના દર્શાવે છે જેમાં પાંડવો જીવન કર્મો પૂર્ણ થતા જીવનનો અંતિમ સમય વ્યતીત કરવા હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. જ્યાં એક પછી એક એમ દ્રૌપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ મૃત્યુ પામે છે અને છેવટે યુધિષ્ઠિર અને શ્વાન બચે છે. યુધિષ્ઠિર તેમના શ્વાન સાથે જ સ્વર્ગમાં પ્રવેશ કરવાના આગ્રહી હોય છે. તે માટે યમદેવ તેમની પરીક્ષા લે છે. આ કથા ભીમ અને યુધિષ્ઠિરના સંવાદ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. આ ઘટનાનો આગળનો ભાગ (?) નામની કૃતિમાં આગળ ચાલે છે. તેમાં નરકદર્શન અને આત્મશોધન પછી યુધિષ્ઠિર તેમના ભાઈઓ સાથે સ્વર્ગમાં સ્થાન પામે છે. આ નાટિકા વનવેલી છંદમાં રચવામાં આવેલી છે.[૧]

રામાયણના યોધ્યા કાંડની ઘટનાને આધારે ‘મંથરા’ અને ‘ભરત’ વચ્ચે એક કૃતિ રચવામાં આવી છે. મંથરામાં રહેલાં તેનાં બે વ્યક્તિત્વોને કવિએ ઋજુલા અને કાલરાત્રિની કલ્પના દ્વારા વર્ણવ્યા છે. મંથરા કેવી રીતે કૈકેયીને રામને વનવાસ અને ભરને ગાદી મળે તે માંગણી કરવા તૈયાર કરે છે તે ઘટનાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ સાથે ભરત અને રામના ચિત્રકૂટના સંવાદો પણ અહીં દર્શાવ્યા છે. આ પદ્યનાટિકા ભજવવામાં આવી છે.[૧]

આ સિવાય ‘અર્જુન-ઉર્વશી’માં અર્જુનના ઉર્વશીના પ્રેમપ્રસ્તાવનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કૃતિ ૧૨ શ્રુતિ ધરાવે છે.[૧]

‘કચ’ નામની કૃતિમાં દેવયાનીના તેવાજ પ્રસંગનું વર્ણન છે. આ કૃતિ શિખરિણી છંદમાં લખાઈ છે. તે ૩૦૦ પંક્તિઓ ધરાવે છે અને તેમાં ૨૯૭ પંક્તિઓ તો કથા નાયિકા જ બોલે છે. જે નાટકનો મોનોલોગ સ્વરૂપ દર્શાવે છે.[૧]

બૌદ્ધ સાહિત્યને આધારે ‘નિમંત્રણ’ નામની કૃતિ રચવામાં આવી છે. અહીં વૈશાલીની નગરવધૂ આમ્રપાલીએ ગૌતમ બુદ્ધને આપેલા નિમંત્રણની ઘટનાનું વર્ણન છે.[૧]

સન્માન[ફેરફાર કરો]

આ પુસ્તકને ૧૯૬૩-૬૪-૬૫નો ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "મહાપ્રસ્થાન (1965) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-15.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ દેસાઈ, પારુલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૦.