રણજીત વિલાસ પેલેસ

વિકિપીડિયામાંથી
૨૦મી સદીમાં મહારાજા અમરસિંહજી દ્વારા બંધાવેલો રણજીત વિલાસ મહેલ

ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર આવેલા વાંકાનેર નગરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવેલો. મહેલ ૨૨૫ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે. આ મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વપરાયા છે. મહેલનો દીવાનખંડ ખુબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રખાયેલા પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ અને બખ્તરો છે. મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓનાં શરીરો તથા રાજાઓનાં તૈલચિત્રો છે. અહીં કાઠીયાવાડી ઘોડાઓનો તબેલો પણ છે. બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ‘મટરૂ કી બીજલી કા મંડોલા’ નામનાં હિંદી ચલચિત્રનાં કેટલાંક દ્રશ્યોનું શુટીંગ આ મહેલમાં થયેલું.[૧]

હાલ રાજાના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટેલ ઉભી કરવામાં આવી છે. ભારતનાં પ્રાચીન સ્મારકોમાં આ મહેલ અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રવાસીઓ માટે આ મહેલ એક અગત્યનું આકર્ષણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પેલેસ..." ૨૫ નવેમ્બર ૨૦૧૫. મેળવેલ ૩૧ મે ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]