રાણકદેવી

વિકિપીડિયામાંથી

રાણકદેવી પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૨મી સદીના ચુડાસમા શાસક રા’ ખેંગારના મહારાણી હતા. ચુડાસમા રાજા રા’ ખેંગાર અને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનું યુદ્ધ વર્ણવતી કરુણ પ્રણયકથામાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૧] જોકે, આ દંતકથા વિશ્વસનીય નથી.[૨]

દંતકથા[ફેરફાર કરો]

રાણકદેવી ચુડાસમાની રાજધાની જૂનાગઢ નજીક મજેવડી ગામના કુંભારના પુત્રી હતી. તેમની સુંદરતાની ખ્યાતિ સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી. રાજા જયસિંહે રાણકદેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. આ દરમિયાન રા’ ખેંગારે તેમની સાથે લગ્ન કર્યા જેનાથી જયસિંહ ગુસ્સે ભરાયા.[૧][૩] એક દંતકથા કહે છે કે તેમનો જન્મ કચ્છના રાજાને ત્યાં થયો હતો, પરંતુ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, કારણ કે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે જે પણ તેમની સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવી દેશે અને યુવાન મૃત્યુ પામશે. ત્યજી દેવાયેલી બાળ રાણકદેવી હડમત અથવા જામ રાવલ નામના કુંભારને મળી આવી હતી, જેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરી હતી.[૪][૫] આ દરમિયાન ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા.[૬][૫]

ખેંગાર જૂનાગઢના ઉપકોટના કિલ્લામાં રહેતા હતા, પરંતુ રાણી રાણકાદેવીને જૂનાગઢ નજીક આવેલા ગિરનારના પહાડી કિલ્લામાં રાખ્યા હતા. તેમના ભત્રીજા વિશળ અને દેશળ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. ખેંગાર ઉપરકોટથી ગિરનારના કિલ્લા સુધી રાણકદેવીની મુલાકાતે જતા હતા. એક દિવસ તેમણે જોયું કે દેશળ ત્યાં નશામાં હતો અને રાણીના તમામ વિરોધ છતાં તેણે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના બાદ તેમણે દેશળ અને વિશળ બંનેને જૂનાગઢમાંથી હાંકી કાઢ્યા.[૬][૫]

અપમાનિત દેશળ-વિશળ જયસિંહ પાસે ગયા અને તેમને જૂનાગઢ પર હુમલો કરવા કહ્યું. તેઓ અનાજ લઈને ઉપરકોટમાં પ્રવેશ્યા, ચોકીદારોને મારી નાખ્યા અને મહેલ પર હુમલો કર્યો. હુમલામાં ખેંગાર મૃત્યુ પામ્યા અને ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો. ત્યારબાદ દેશળ અને વિશળ જયસિંહને ગિરનારના કિલ્લા સુધી લઈ ગયા અને રાણકદેવીને દરવાજો ખોલવા કહ્યું. દરવાજો ન ખોલતાં જયસિંહ અંદર આવ્યો અને તેમના બે પુત્રોને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો. જયસિંહ રાણકદેવીને પોતાની સાથે લઈ ગયા અને અણહિલવાડ પાટણ તરફ પાછા ફર્યા.[૬][૫]

માર્ગમાં ભોગાવો નદીના કિનારે આવેલા વર્ધમાનપુરા (વર્તમાન વઢવાણ) ખાતે જયસિંહે રાણકદેવીને પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણકદેવીએ જયસિંહને શાપ આપ્યો કે તે નિઃસંતાન મૃત્યુ પામશે. રાણકદેવી રાખેંગાર પછળ સતી થયાં. તેમનો શાપ પૂરો થયો અને જયસિંહ નિઃસંતાન મૃત્યુ પામ્યા.[૬][૫][૭]

ઐતિહાસિક પરિપેક્ષ[ફેરફાર કરો]

સોરઠી સાહિત્યમાં રાણકદેવી દ્વારા કહેવાયેલા કેટલાક દુહાઓ છે, પરંતુ ઐતિહાસિક સામગ્રી તરીકે તેમની ઉપયોગિતા શંકાસ્પદ છે. રાણકદેવીનું અસ્તિત્વ પણ શંકાસ્પદ છે. 'પુરાણપ્રબંધ સંગ્રહ' અથવા મેરુતુંગાની 'પ્રબંધ-ચિંતામણી' જેવા ચાલુક્ય યુગના ઇતિહાસમાં રાણકદેવીનો ઉલ્લેખ નથી, પરંતુ તેના બદલે તેઓ અનુક્રમે સોનલદેવી અને સુનલાદેવીનું નામ આપે છે. ખેંગારના મૃત્યુ બાદ સુનલાદેવીએ ઉચ્ચારેલા અપભ્રંશ દુહાઓનો 'પુરાણપ્રબંધ સંગ્રહ' (આઠ દુહા) અને 'પ્રબંધ-ચિંતામણી' (અગિયાર દુહા)માં ઉલ્લેખ જોવા મળે છે.[૧][૩]

રાણકદેવીનો પાળિયો અને એક મંદિર હજુ પણ વઢવાણમાં ભોગાવો નદીના દક્ષિણ કિનારે આવેલો છે, જોકે આ મંદિર સંભવતઃ છપ્પા વંશના શાસન કાળ (૯મી સદીના ઉત્તરાર્ધમાં) બાંધવામાં આવ્યું હોય તેમ લાગે છે.[૮]

રાણકદેવીનું મંદિર[ફેરફાર કરો]

રાણકદેવી મંદિર, વઢવાણ, ૧૮૯૯

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં વઢવાણ તાલુકામાં રાણકદેવીનું મંદિર અથવા સતીની દેરી આવેલી છે. આજુબાજુના વિસ્તારમાં કોતરણી કામ કરેલ મોટું શિખર છે અને ફરતે વઢવાણ ગઢની દીવાલ આવેલી છે જેમાં અનેક પાળિયાઓ આવેલા છે. આ સ્થળ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ‍(N-GJ-183) છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Parikh, Rasiklal C. (1938). "Introduction". Kavyanushasana by Acharya Hemachandra. II Part I. Bombay: Shri Mahavira Jaina Vidyalaya. પૃષ્ઠ CLXXVIII–CLXXXIII.
  2. Majumdar 1956, p. 69.
  3. ૩.૦ ૩.૧ Campbell, James Macnabb (1896). Gazetteer Of The Bombay Presidency: History of Gujarat. I. Part I. Bombay: The Government Central Press. પૃષ્ઠ 175–177.
  4. Pai (1 April 1971). Ranak Devi. Amar Chitra Katha Pvt Ltd. ISBN 978-93-5085-089-3.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ Alaka Shankar (2007). "Ranak Devi". Folk Tales Of Gujarat. Children's Book Trust. પૃષ્ઠ 43–49. ISBN 978-81-89750-30-5.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Watson, James W., સંપાદક (1884). Gazetteer of the Bombay Presidency : Kathiawar. VIII. Bombay: Government Central Press. પૃષ્ઠ 493–494.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  7. Poonam Dalal Dahiya (15 September 2017). ANCIENT AND MEDIEVAL INDIA EBOOK. MGH. પૃષ્ઠ 540. ISBN 978-93-5260-673-3.
  8. Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 10–12.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]