વલ્લભરાજ

વિકિપીડિયામાંથી
વલ્લભરાજ
ગુજરાતના રાજા
શાસનઈ.સ. ૧૦૦૮
પુરોગામીચામુંડરાજ
અનુગામીદુર્લભરાજ
વંશસોલંકી વંશ (ચાલુક્ય)
પિતાચામુંડરાજ

વલ્લભરાજ (ઈ.સ. ૧૦૦૮) એક ભારતીય રાજા હતા જેમણે હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેઓ ચાલુક્ય (સોલંકી) વંશના સભ્ય હતા. તેમણે એક વર્ષથી પણ ઓછા સમય સુધી શાસન કર્યું અને દુશ્મન સામે કૂચ કરતી વખતે શીતળાના કારણે મૃત્યુ પામ્યા હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

વલ્લભરાજ તેમના પુરોગામી ચામુંડરાજ (ચાલુક્ય વંશ)ના પુત્ર હતા. ૧૩મા જૈન વિદ્વાન અભયતિલક ગનીના જણાવ્યા અનુસાર, જ્યારે ચામુંડરાજ રાજ્યનું શાસન કરવામાં અસમર્થ બન્યા ત્યારે તેમની બહેન વાચિનીદેવીએ વલ્લભરાજને નવા રાજા તરીકે નિયુક્ત કર્યા હતા.[૧] બીજી તરફ ૧૪મી સદીના લેખક મેરુતુંગાનો દાવો છે કે વલ્લભરાજે તેમના પિતાના મૃત્યુ પછી સિંહાસન પર ચડ્યા હતા અને છ મહિના સુધી શાસન કર્યું હતું.[૨]

ચાલુક્ય વંશના કેટલાક શિલાલેખો વંશની યાદીમાં કદાચ તેમના ટૂંકા શાસનને કારણે તેમનું નામ દર્શાવતા નથી. જોકે, મોટા ભાગના શિલાલેખો (વડનગર પ્રશસ્તિ સહિત) તેમને ચામુંડરાજના ઉત્તરાધિકારી તરીકે ઉલ્લેખ કરે છે. ૧૨મી સદીના જૈન વિદ્વાન હેમચંદ્ર એ એક પ્રશસ્તિ શ્લોકની રચના કરી હતી, જે તેમને સમર્પિત હતી. આવા કાવ્યો માત્ર ચૌલુક્ય રાજાઓ માટે જ રચવામાં આવ્યા હતા, જે સૂચવે છે કે વલ્લભરાજે બહુ ટૂંકા ગાળા માટે રાજ્ય પર શાસન કર્યું હતું.[૨]

અવસાન[ફેરફાર કરો]

પછીના જૈન ઇતિહાસ મુજબ, દુર્લભરાજે એક રાજ્યની વિરુદ્ધ કૂચ કરી હતી કારણ કે તેના શાસકે તેમના પિતા ચામુંડરાજનું અપમાન કર્યું હતું. જોકે, આ કૂચ દરમિયાન તેમનું શીતળાના રોગને કારણે મૃત્યું થયું હતું. આમાંના કેટલાક ઇતિહાસકારો શત્રુ રાજ્યને માળવા તરીકે ઓળખાવે છે, જેના પર પરમાર વંશનું શાસન હતું.[૩]

૧૨મી સદીના લેખક હેમચંદ્ર જણાવે છે કે ચામુંડરાજ નિવૃત્તિ પછી વારાણસીની યાત્રા માટે નીકળ્યા હતા. રસ્તામાં, તેમની શાહી છત્રી (કદાચ રસ્તામાં આવેલા રાજ્યના શાસક દ્વારા) જપ્ત કરવામાં આવી હતી. તેઓ ગુજરાત પાછા ફર્યા અને વલ્લભરાજને તેમના આ અપમાનનો બદલો લેવા માટે કહ્યું.[૧] ૧૪મી સદીના લેખક મેરુતુંગાએ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમણે ચામુંડરાજની સ્થાને દુર્લભરાજ અને વલ્લભરાજને સ્થાને ભીમદેવ સોલંકીનો ઉલ્લેખ કર્યો છે. મેરુતુંગાની આવૃત્તિ ઐતિહાસિક ભૂલો માટે જાણીતી છે.[૧]

૧૨મી સદીના વડનગર પ્રશસ્તિ શિલાલેખમાં જણાવવામાં આવ્યું છે કે વલ્લભરાજની કૂચ વિશે સાંભળીને માળવાના રાજાઓ હચમચી ગયા હતા. શિલાલેખમાં એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે તે ખરેખર માળવા પહોંચ્યા હતા. ૧૩મી સદીના લેખક અભયતિલકા ગનીએ હેમચંદ્રની કૃતિ પર ટિપ્પણી લખી હતી, જેમાં લખ્યું હતું કે માળવા એ રાજ્ય હતું જેની વિરુદ્ધ વલ્લભરાજે ચામુંડરાજના અપમાનનો બદલો લેવા કૂચ કરી હતી. જોકે, તેમનું તારણ એક ચોક્કસ શ્લોક પર આધારિત હતું જેમાં હેમચંદ્ર જણાવે છે કે વલ્લભરાજ પારા અને સિંધુ નદીઓના સંગમમાંથી પસાર થયા હતા. ૧૨મી સદીના લખાણ સરસ્વતી-કંઠભારણ અનુસાર, આ બંને નદીઓનો જે પ્રદેશમાં સંગમ થતો હતો ત્યાં નાગ રાજાઓનું શાસન હતું. ઈતિહાસકાર એ. કે. મજુમદાર અનુમાન લગાવે છે કે વલ્લભરાજનું મૃત્યુ માળવા વિરુદ્ધ કૂચ દરમિયાન નહીં, પરંતુ ઉત્તરીય રાજ્યની કૂચ દરમિયાન થયું હતું, જ્યાં તેઓ માળવા વિરુદ્ધ તેમના આગામી અભિયાન માટે સાથીદારો સુનિશ્ચિત કરવા માગતા હતા.[૪]

૧૪મી સદીના લેખક મેરુતુંગા અગાઉના પ્રકરણોને આગળ વધારતા જણાવે છે કે વલ્લભરાજ માત્ર માળવા જ નહીં, પરંતુ પરમાર રાજાઓની રાજધાની ધારને પણ ઘેરી લે છે. પછીના લેખક જયસિંહ સૂરી જણાવે છે કે વલ્લભરાજે જેની વિરુદ્ધ કૂચ કરી હતી તે રાજા પરમાર વંશના રાજા મુંજ હતા. પછીના લેખકોના લખાણ ઐતિહાસિક રીતે સચોટ નથી. ઉદાહરણ તરીકે, એવું જાણવા મળે છે કે ઈ.સ. પૂર્વે ૧૦૦૮ની આસપાસ થયેલી ઉક્ત કૂચના લગભગ એક દાયકા પહેલાં રાજા મુંજનું ઈ.સ. ૯૯૦ના દાયકામાં મૃત્યુ થયું હતું. હેમચંદ્રની વૈયશ્રાય એ સ્પષ્ટ કરે છે કે આ અભિયાનમાં કોઈ નક્કર સફળતા હાંસલ કરતાં પહેલાં વલ્લભરાજનું મૃત્યુ થયું હતું.[૫]

ચૌલુક્ય વંશના પ્રભાવ હેઠળ લખાયેલી અન્ય કેટલીક રચનાઓ, જેમ કે અરિસિંહ કૃત સુક્રિત સંકિર્તન અને ઉદયપ્રભા કૃત સુક્રિતા-કીર્તિકલ્લોલિની જેવી અન્ય કેટલીક રચનાઓમાં દાવો કરવામાં આવ્યો છે કે વલ્લભરાજે માળવાના રાજાને હરાવ્યો હતો. આ દાવાઓને કોઈ ઐતિહાસિક પુરાવા દ્વારા પણ સમર્થન મળતું નથી. વલ્લભરાજે માળવા વિરુદ્ધ કૂચ કરી હતી તે હકીકત ઐતિહાસિક રીતે સત્યની નજીક છે.[૬]

વલ્લભરાજ સૈન્ય કૂચ દરમિયાન ગંભીર બીમારીઓથી પીડાતા હતા અને તેમણે પોતાની સેનાને ચૌલુક્યની રાજધાની પાછા ફરવા કહ્યું હતું. હેમચંદ્ર આ રોગનું નામ નથી આપતા, પરંતુ વલ્લભરાજનું મૃત્યુ થયું તે રોગના લક્ષણોનું વર્ણન કરે છે. તેના આધારે અભયતિલકા ગનીએ આ રોગને શીતળા તરીકે ઓળખી કાઢ્યો હતો.[૭]

વલ્લભરાજના મૃત્યુ પછી, તેમના ભાઈ દુર્લભરાજ રાજા બન્યા.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.CS1 maint: ref=harv (link)
  • Krishna Narain Seth (1978). The Growth of the Paramara Power in Malwa. Progress.CS1 maint: ref=harv (link)