બાપાલાલ વૈધ
બાપાલાલ વૈધ | |
|---|---|
| જન્મ | બાપાલાલ ગ. શાહ ૧૭ જાન્યુઆરી ૧૮૯૬ - સણસોલી, પંચમહાલ જિલ્લા, ગુજરાત |
| મૃત્યુ | ૧૦ ડિસેમ્બર ૧૯૯૩ |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| નોંધપાત્ર સર્જનો | આયુર્વેદ સાહિત્ય, વનસ્પતિ શાસ્ત્ર |
બાપાલાલ વૈધ અથવા વૈદ્ય બાપાલાલ ગ. શાહ (૧૭ જાન્યુઆરી ૧૮૯૬ - ૧૦ ડિસેમ્બર ૧૯૯૩) એ ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય હતા. ગુજરાતમાં આયુર્વેદ અને ઔષધી વનસ્પતિશાસ્ત્રના ક્ષેત્ર તેઓ એક જાણીતું વ્યક્તિત્વ છે. તેમને ૧૯૬૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૭ જાન્યુઆરી ૧૮૯૬ના દિવસે દશા ખડાયતા વણિક કુટુંબમાં પંચમહાલ જિલ્લાના સણસોલી ગામે ગરબડદાસને ઘેર થયો હતો. ૧૨ વર્ષની ઉંમરમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી આગળનો અભ્યાસ કરવા તેઓ વડોદરા ગયા. ત્યાં તેઓ વ્યાયમ શિક્ષક અંબાભાઈ પુરાણીના સંપર્મમાં આવ્યા અને તેમનામાં વ્યાયામ અને રાષ્ટ્રીયતાની ભાવનાનો વિકસ થયો. શાલેય શિક્ષણ દરમ્યાન તેમણે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણકરી પિતાજીના ધંધે ન જોડાતા તેમણે રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે કારકીર્દીની શરૂઆત કરી. તેમને એમ.બી.બી.એસ. કરવાની ઇચ્છા હતી અને તેના અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા પણ ત્યાં તેમની તબિય બગડી આથી તેમણે ગુજરાત પાછા આવવું પડ્યું. ત્યાર બાદ તેમણે ઝાડેશ્વર હૉસ્પિટલમાં વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રાણશંકર પટ્ટણીને ત્યાં આયુર્વેદની તાલીમ લેવાની શરૂઆત કરી. દિવસ દરમ્યાન તેઓ રાષ્ટ્રીય શાળામાં ભણાવતા, સાંજે વ્યાયમ શીખવતા અને રાત્રે આયુર્વેદનો અભ્યાસ કરતા. તેમણે આયુર્વેદમાં સંશોધનાત્મક કાર્ય પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સૌરાષ્ટ્રના લીંબડીના આયુર્વેદિક દવાખાનામાં સેવા આપવા લાગ્યા. તેમણે અમદાવાદના ડો. દેસાઈ પાસેથી એલોપથીનો પણ અભ્યાસ કર્યો હતો. [૧] [૨]
તેમનું કાર્યક્ષેત્ર સુરત રહ્યું. અહીં હાંસોટ ખાતે તેમણે ૧૯ વર્ષ સુધી વૈદ્ય તરીકે સેવા આપી અને તેઓ ખૂબ જાણીતા બન્યા. કચ્છના જાણીતા વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજીના પરિચયમાં આવ્યા બાદ તેમણે તેમની પાસે રહી વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન પણ મેળવ્યું. વિવિધ જંગલોમાં ફરી આધુનિક બૉટનિકલ ગ્રંથોમાં આપેલા વનસ્પતિ-જ્ઞાનનો અભ્યાસ પણ કર્યો. વચ્ચે તેઓ છ વર્ષ માટે ભરૂચ ગયા અને સ્વામી આત્માનંદ સરસ્વતીના આગ્રહથી તેઓ ફરી સુરત આવ્યા. તેમણે અહીં શ્રી ઓચ્છવલાલ હી. નાઝર આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપનામાં યોગદાન આપ્યું અને ૧૯ વર્ષ સુધી તેના આચાર્ય તરીકે સેવા આપી. તેમણે સુરતમાં સ્વામી આત્માનંદ સરસ્વતીના નામે આસ્ફા નામ ધરાવતી આયુર્વેદીક ઔષધિઓ બનાવનાર ફાર્મસી ટ્રસ્ટ શરૂ કરાવ્યું. લોકો તેમને બાપાજી કે બાપાલાલ વૈદ્યરાજ જેવા માનભર્યા નામથી ઓળખતા. પોતાના વનસ્પતિજ્ઞાનનો ફાયદો લોકો સુધી પહોંચાડવા તેમણે અમદાવાદમાં ‘અખિલ ભારતીય વનૌષધિ અભ્યાસ મંડળ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને પોતાની હયાતી સુધી તેઓ તેના પ્રમુખ પદે રહ્યા. સૂરતની આયુર્વેદ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ તેઓ આયુર્વેદ હૉસ્પિટલના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. ગુજરાત રાજ્ય સરકારે તેમને કૉન્ટ્રૉવર્શિયલ ડ્રગ્ઝ કમિટીના ચૅરમૅન તરીકે તથા મુંબઈ સરકારે તેમને ‘સ્ટાન્ડર્ડ ડ્રગ્ઝ ઍન્ડ હર્બ્ઝ કમિટી’ના ચૅરમૅન પદે નિયુક્ત કર્યા હતા. ૧૦ ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે તેમનું અવસાન થયું.[૧]
લેખન
[ફેરફાર કરો]તેમણે આયુર્વેદ પર ૨૫ જેટલા ગ્રંથો લખ્યા છે. તેમણે ભિષગ ભારતી નામનું એક વૈદકીય માસિક ૧૯૫૪માં શરૂ કર્યું હતું. એ માસિકમાં તથા ગુજરાતી તથા હિન્દી ભાષાનાં બીજાં અનેક આયુર્વેદિક માસિકોમાં તેમણે ૫૦૦થી વધુ લેખો લખ્યા હતા. [૧]
ગ્રંથો
[ફેરફાર કરો]
|
|
|
નિઘંટુ આદર્શ એ બે ભાગમાં લખાયેલો હિન્દી તથા ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલો વનસ્પતિશાસ્ત્રનો ગ્રંથ છે. [૧]
સન્માન
[ફેરફાર કરો]તેમની ૬૦ વર્ષની વય પૂર્ણ થતાં એક ષષ્ઠિપૂર્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તેમને એક ગૌરવગ્રંથ તથા ૬૦ હજાર રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી હતી. તેમણે તે રકમ ‘તાપી બ્રહ્મચર્યાશ્રમ’ને દાનમાં આપી દીધી હતી. ગુજરાત મિલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ બૉર્ડના ફેડરેશને તેમને સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો ‘આયુર્વેદિક ન્યાયશાસ્ત્ર’ નામના તેમણે લખેલા પુસ્તક માટે તેમને વૈદ્ય શ્રી જાદવજી ત્રિકમજી આચાર્યનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય સભાએ સાહિત્યક્ષેત્રે તેમના આયુર્વેદના સાહિત્ય ક્ષેત્રના યોગદાન માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી(જામનગર)એ આયુર્વેદના ક્ષેત્રમાં તેમના યોગદાનને ધ્યાનમાં લઈને, તેમને ડી.લિટ.(ડૉક્ટર ઑફ લિટરેચર)ની માનાર્હ પદવી પ્રદાન કરી હતી. અમદાવાદના વૈદ્ય શ્રી શોભનના આયુ ટ્રસ્ટે તેમના જન્મ દિવસને ‘દિવ્ય ઔષધિ દિન’ તથા સમગ્ર વર્ષને ‘દિવ્ય ઔષધિ વર્ષ’ તરીકે ઊજવ્યો હતો.[૧] તેમનીની ૧૨૫મી વર્ષગાંઠે ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા અખંડઆનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદના સથવારે તેમના નામ અને ફોટા સાથે પોસ્ટલ સ્ટેમ્પ લોંચ કરી હતી. [૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 3 4 5 "વૈદ્ય બાપાલાલ ગ. શાહ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Dr. Bhavesh R. Modh - Kutch: શ્રી બાપાલાલ ગ. વૈદ્ય - વ્યક્તિત્વ પરીચય". Dr. Bhavesh R. Modh - Kutch. શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018. મેળવેલ 2021-10-03.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Gujaratmitra (2020-10-01). "આયુર્વેદના ભિષ્મપિતામહ: બાપાલાલ વૈદ્ય". Gujaratmitra Daily Newspaper (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-03.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)