અકબરના નવરત્નો

વિકિપીડિયામાંથી
અકબરના નવરત્નો : અબુલ ફઝલ, ફૈઝી, તાનસેન, બીરબલ, ટોડરમલ, માનસિંહ, અબ્દુલ રહીમ, ફકીર અઝીઓ-દિન, મુલ્લાહ દો પિયાઝા

ભારતના મુઘલ બાદશાહ અકબર પોતે અભણ હોવા છતાં પણ ઇતિહાસકારો, ચિત્રકારો, સુલેખનકારો, વિચારકો, ધાર્મિક ગુરુઓ, કલાકારો અને બુદ્ધિજીવીઓના ખાસ પ્રેમી હતા. કહેવાય છે કે અકબરની સભામાં આવા નવ (૯) ગુણી વિદ્ધાનો હતા જેઓ પછીથી અકબરના નવરત્નો તરીકે જાણીતા થયા.

નવ રત્નો[ફેરફાર કરો]

અબુલ ફઝલ[ફેરફાર કરો]

ઇતિહાસકાર અબુલ ફઝલે (૧૫૫૧ - ૧૬૦૨) અકબરના શાસનકાળની મુખ્ય ઘટનાઓ વર્ણવી હતી. તેમણે અકબરનામા અને આઇન-એ-અકબરીની રચના કરેલી. તેમનો જન્મ આગ્રામાં થયો હતો.

ફૈઝી[ફેરફાર કરો]

ફૈઝી (૧૫૪૭ - ૧૫૯૫) મધ્યકાલિન ફારસી કવિ હતા, જેઓ અબુલ ફઝલના ભાઈ હતા અને તેમને અકબરે પોતાના દિકરાના ગણિતના શિક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. તેમનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૫૪૭ના રોજ આગ્રા ખાતે થયો હતો, જન્મનું નામ શેખ અબુ અલ-ફૈઝ હતું અને ૫ ઓક્ટોબર ૧૫૯૫ના રોજ લાહોર (હાલ પાકિસ્તાનમાં) ખાતે તેમનું અવસાન થયું.

તાનસેન[ફેરફાર કરો]

અકબરના દરબારમાં કવિ તાનસેન એક નોંધપાત્ર સંગીતજ્ઞ અને ગાયક હતા. તેમનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું. સંગીતના બાદશાહ તાનસેનના શહેર ગ્વાલિયરમાં એક કહેવત પ્રખ્યાત છે કે,

અહીં બાળકો રડે છે સુરમાં અને પથ્થરો ગબડે છે તાલમાં

તાનસેનનો ગુજરાત સાથેનો નાતો પણ હતો. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા દેશમાં ફર્યા પણ તેમની બળતરા કોઈ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાતનાં વડનગર ખાતે રહેતી બે બહેનો - તાના અને રીરીએ એ રાગ મલ્હાર ગાઈ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી.

રાજા બીરબલ[ફેરફાર કરો]

ઉચ્ચ જ્ઞાની રાજા બીરબલ (૧૫૨૮ - ૧૫૮૬) (વાસ્તવિક નામ: મહેશ દાસ અથવા મહેશ દાસ ભટ્ટ), મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર (વઝીર-એ-આઝમ) હતા અને અકબરના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતાઅકબરના યુદ્ધ સલાહકાર હતા. રમૂજ-મજાકમાં તેમના અકબરના સાથેની કાલ્પનિક વાર્તાઓ આજે પણ કહેવામાં આવે છે. તેઓ એક કવિ પણ હતા. કવિ તરીકે બ્રહ્મ નામથી તેમણે અનેક કવિતાઓ લખી છે જે ભરતપુર સંગ્રહાલય, રાજસ્થાનમાં સુરક્ષિત છે.

અકબર ઉપરાંત તે બીજા વ્યક્તિ હતા, કે જે દિન-એ-ઇલાહી ધર્મ માનતા હતા.

રાજા ટોડરમલ[ફેરફાર કરો]

રાજા ટોડરમલ અકબરના મહેસૂલ અને નાણાંમંત્રી હતા. તેમણે વિશ્વમાં પ્રથમ વખત જમીન માપન માટે માપન પદ્ધતિ તૈયાર કરી હતી. તેઓ ભરતપુર અલવર નજીક હરસાના ગામના હતા. અકબરના રાજ્યનું માપન તેમણે કર્યુ હતું. ઉત્તર પ્રદેશ રાજ્યની એકમાત્ર મહેસૂલ તાલીમ સંસ્થાનું નામ તેમના નામ પરથી રાજા ટોડરમલ ભૂલેખ તાલીમ સંસ્થા આપવામાં આવ્યું છે જ્યાં આઇએએસ, આઇપીએસ, પીસીએસ, પીપીએસ તેમજ મહેસૂલ કર્મચારીઓને ભૂલેખ સંબધિત તાલીમ આપવામાં આવે છે.

રાજા માનસિંહ[ફેરફાર કરો]

અકબરની સેનાના મુખ્ય સેનાપતિ મહારાજા માનસિંહ (જયપુર) ના આમેર (આમ્બેર) કચ્છવાહા રાજપૂત રાજા હતા અને તેમની ફોઈ/બહેન જોધાબાઇ અકબરની પટરાણી હતા.

અબ્દુલ રહીમ ખાન-એ-ખાના[ફેરફાર કરો]

રહિમ એક પ્રખ્યાત કવિ અને અકબરના પાલક બૈરમ ખાનના પુત્ર હતા.

ફકીર અઝીઓ-દિન[ફેરફાર કરો]

ફકીર અઝીઓ-દિન એ રાજા અકબરના સલાહકાર હતા.

મુલ્લાહ દો પિયાઝા[ફેરફાર કરો]

મુલ્લાહ દો પિઅઝા અકબરના સલાહકાર હતા. તેઓ રાજા બીરબલ જેટલા જ બુદ્ધિ વાળા હતા એવું કહેવાય છે.