મુઘલ સામ્રાજ્ય

વિકિપીડિયામાંથી
(મુઘલ યુગ થી અહીં વાળેલું)
મુઘલ સામ્રાજ્ય
شاهان مغول
શાહાન-એ મોઘૂલ
સામ્રાજ્ય
1526–1858
Flag of the Mughal Empire
ધ્વજ
Map of Mughal Empire in 1700 CE
Location of મુઘલ સામ્રાજ્ય
નકશો: મુઘલ સામ્રાજ્ય પોતાના રાજ્યક્ષેત્રીય ચરમ પર હતું, c. 1700
રાજધાની આગ્રા; ફતેહપૂર સિક્રી; દિલ્હી
ભાષાઓ ફારસી ભાષા (છગાતાઈ ભાષા એને ઉર્દૂ ભાષા પણ)
ધર્મ સુન્ની ઇસ્લામ અને સમન્વયતા
સત્તા સંપૂર્ણ રાજાશાહી, એકરૂપ રાજ્ય
સંઘીય સંરચનાસાથે
બાદશાહ
 •  1526–1530 બાબર
 •  1530–1539, 1555–1556 હુમાયું
 •  1556–1605 અકબર
 •  1605–1627 જહાંંગીર
 •  1628–1658 શાહજહાંં
 •  1658–1707 ઓરંઝેબ
ઐતિહાસિક યુગ દક્ષિણ એશિયા પર ઇસ્લામી ચઢાઈ
 •  પાણીપતનું પ્રથમ યુદ્ધ 21 એપ્રિલ 1526
 •  ૧૮૫૭નો ભારતીય વિપ્લવ 20 જૂન 1858
વિસ્તાર
 •  1600 3,200,000 km2 (1,200,000 sq mi)
વસ્તી
 •  1600 est. ૧૫,૦૦,૦૦,૦૦૦ 
     ગીચતા 47/km2 (121/sq mi)
 •  1800 est. ૨૦,૦૦,૦૦,૦૦૦ 
ચલણ રૂપિયો
પહેલાનું શાસન
પછીની સત્તા
તૈમુરી રાજવંશ
દિલ્હી સલ્તનત
સૂરી રાજવંશ
આદિલ શાહી રાજવંશ
દક્કન સલ્તનતો
મરાઠા સામ્રાજ્ય
દુરાની સામ્રાજ્ય
કંપની રાજ
બ્રિટિશ રાજ
હૈદરાબાદ રિયાસત
સાંપ્રત ભાગ  ભારત
 પાકિસ્તાન
 બાંગ્લાદેશ
 અફઘાનિસ્તાન
વસ્તી સ્રોત:[૧]

મુઘલ સામ્રાજ્ય (ફરસી: شاهان مغول; ઉર્દૂ: مغلیہ سلطنت મુઘલિયા સલ્તનત)[૨][૩] એક એવું ભારતીય સામ્રાજ્ય હતું જેણે ભારતીય ઉપખંડના એક વિશાળ હિસ્સા ઉપર શાસન કર્યું હતું. 1526માં સ્થપાયેલા આ સામ્રાજ્યએ 17મી સદીના અંતભાગ અને 18મી સદીના પ્રારંભ સુધીમાં મોટા ભાગના દક્ષિણ એશિયા ઉપર આક્રમણ કર્યું હતું અને શાસન કર્યું હતું, તેનો અંત 19મી સદીના મધ્યભાગમાં આવ્યો હતો.[૪]

મુઘલ સમ્રાટો તિમુરિદના વંશજો હતા, અને 1700ની આસપાસ જ્યારે તેમની સત્તાનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે મોટાભાગનો ભારતીય ઉપખંડ તેમના અંકુશ હેઠળ હતો –જે પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં બલુચિસ્તાન સુધી અને ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કાવેરી સુધી લંબાતો હતો.[૫] તે સમયે આશરે 32 લાખ ચોરસ કિલોમીટર(1.2 મિલિયન ચોરસ માઇલ)ના વિસ્તારમાં ફેલાયેલા આ સામ્રાજ્યની વસતી 11 અને 15 કરોડની વચ્ચે હતી એવો અંદાજ છે.

આ સામ્રાજ્યનો “ઉત્તમ સમયગાળો” 1556માં જલાલુદ્દીન મોહમ્મદ અકબરના રાજ્યારોહણની સાથે શરૂ થયો, જે મહાન અકબર તરીકે વધુ જાણીતો છે. 1707માં મજબૂત બનતા જતા હિંદુ મરાઠા સામ્રાજ્ય દ્વારા સમ્રાટ ઔરંગઝેબની હાર અને મોત થતાંં આ સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું,[૬] અલબત્ત આ રાજવંશ વધુ 150 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મુઘલ સામ્રાજ્યએ ઉચ્ચકક્ષાના કેન્દ્રિત વહીવટીતંત્રની સ્થાપના કરીને વિવિધ પ્રદેશોને જોડ્યા હતા. ઉત્કૃષ્ટ કક્ષાના સાહિત્ય, કલા અને સ્થાપત્ય સાથે મુઘલોના તમામ મહત્વપૂર્ણ સ્મારક, હાલ જોવા મળતો તેમના મોટા ભાગનો વારસો, આજે પણ ભારતીય ઉપખંડમાં પર્શિયાના સાંસ્કૃતિક પ્રભાવની છાંટના દર્શન કરાવે છે.

1725 બાદ આ સામ્રાજ્યનો ઝડપથી અસ્ત થયો, ઉત્તરાધિકારી બનવા માટે ખેલાયેલા યુદ્ધોથી આ સામ્રાજ્ય નબળું પડ્યું, જમીન-મિલકતને લગતી કટોકટીથી સ્થાનિક બળવાઓને ઉત્તેજન મળ્યું, ધાર્મિક અસહિષ્ણુતામાં વધારો થયો, મરાઠા, દુર્રાની અને શીખ સામ્રાજ્ય અને આખરે બ્રિટિશ સંસ્થાનવાદનો ઉદય થયો. છેલ્લા રાજા બહાદુર ઝફર શાહ બીજાની સત્તા માત્ર દિલ્હી શહેર પૂરતી જ મર્યાદિત હતી. 1857ના ભારતીય વિપ્લવ બાદ બ્રિટિશે તેમને કેદ કરીને દેશવટો આપ્યો હતો.

મુઘલ નામ તિમુરિદની મૂળ માતૃભૂમિ પરથી ઉતરી આવ્યું છે, મધ્ય એશિયાના મેદાનો પર એકવાર ચંગીઝ ખાને આક્રમણ કર્યું હતું અને તેથી તે મોઘલિસ્તાન મોંગલોની ભૂમિ” તરીકે ઓળખાતો હતો. પ્રારંભમાં મુઘલો ચગતાઈ ભાષા બોલતા હતા અને તૂર્ક-મોંગોલ રસમો પાળતા હતા, તેમ છતાં, તેઓ નોંધપાત્ર રીતે પર્શિયન સંસ્કૃતિના પ્રભાવ હેઠળ હતા.[૭] તેઓ ભારતમાં પર્શિયાના સાહિત્ય અને સંસ્કૃતિને લાવ્યા હતા,[૭] તેના દ્વારા ઇન્ડો-પર્શિયન સંસ્કૃતિનો આધાર તૈયાર થયો.[૭]

પ્રારંભિક ઇતિહાસ[ફેરફાર કરો]

ઝહીર ઉદ-દીન મુહમ્મદ બાબરે હિંદુસ્તાનની સમૃદ્ધિ વિશે જાણ્યું હતું અને તેના પૂર્વજ તિમુર લંગે 1503માં ટ્રાન્સોઝિયાના પ્રદેશમાં આવેલા સ્થળ દિખ-કતને જીતી લીધું હતું. તે સમયે, આ સમયે પોતાનું રાજ્ય ફરઘાના ગુમાવી દેનારો બાબર રઝળપાટ કરી રહ્યો હતો. પોતાની યાદગીરીઓમાં બાબરે લખ્યું છે કે તેણે (1514માં) કાબુલ જીતી લીધાં બાદ એક સમયે તુર્કોના કબ્જામાં રહેલાં હિન્દુસ્તાનના પ્રદેશોને પુનઃ હાંસલ કરવાની તેને ઇચ્છા હતી. સપ્ટેમ્બર 1519થી તેણે તપાસ માટે છાપામાર હુમલાઓ કરવા શરૂ કર્યાં, ત્યારે તે યુસુફઝાઈ ટોળકીના બળવાને શાંત પાડવા માટે ભારત-અફઘાન સીમાની મુલાકાતે આવ્યો હતો. તેણે 1524 સુધી આ પ્રકારના હુમલાઓ કર્યાં અને પેશાવરમાં પોતાનું મુખ્ય થાણું સ્થાપ્યું હતું. 1526માં, બાબરે છેલ્લા દિલ્હીના સુલતાન ઈબ્રાહિમ શાહ લોદીને પાણીપતના પ્રથમ યુદ્ધમાં હરાવ્યો હતો. ત્યારપછી પોતાની નવસ્થાપિત હકુમતને બચાવવા માટે બાબરે ખાનવાની લડાઈમાં ચિત્તોડના જોરાવર રાજપુત રાણા સાંગાનો સામનો કરવો પડ્યો હતો. રાણા સાંગાએ તીવ્ર પ્રતિકાર કર્યો પણ તે હારી ગયો.

1530માં બાબરનો પુત્ર હુમાયુ તેના સ્થાને આવ્યો, પરંતુ પશ્તુન રાજા શેર શાહ સુરીએ તેને ઉથલાવી પાડ્યો અને તેનું નવનિર્મિત સામ્રાજ્ય વિકસીને એક નાનું પ્રાદેશિક રાજ્ય બની શકે તે પૂર્વે જ તેણે મોટાભાગનું સામ્રાજ્ય ગુમાવી દીધું. 1540થી હુમાયું દેશવટો પામેલો શાસક બન્યો અને 1554માં સફવિદ શાસનના દરબારમાં પહોંચ્યો, જ્યારે તેની સેના હજુ પણ કેટલાક કિલ્લાઓ અને નાના પ્રદેશો પર કાબુ ધરાવતી હતી. શેર શાહ સુરીના મોત સાથે પશ્તુનોમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ, તે સમયે હુમાયું મિશ્ર લશ્કર સાથે પાછો ફર્યો, તેણે વધુ સૈનિકો એકત્ર કર્યાં, અને 1555માં દિલ્હી પર ફરી આક્રમણ કર્યું. હુમાયુએ પોતાની પત્ની સાથે મકરણનો પહાડી પ્રદેશ પાર કર્યો. પુનરુત્થાન પામેલા હુમાયુએ ત્યારબાદ દિલ્હીની આસપાસના ઉચ્ચ પ્રદેશ પર હુમલો કર્યો, પરંતુ થોડા મહિનાઓ બાદ તે પોતાનાં રાજ્યને અસ્થિર સ્થિતિમાં અને યુદ્ધ વચ્ચે મૂકીને એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો.

દિલ્હીના તખ્તને બચાવવા માટે સિકંદર શાહ સુરી સામેનું એક યુદ્ધ ચાલુ હતુ તેની અધવચ્ચે, 14 ફેબ્રુઆરી 1556ના રોજ અકબર પોતાના પિતાના સ્થાને આવ્યો. ટૂંક સમયમાં જ 21 અથવા 22 વર્ષની વયે તેણે પોતાનો અઢારમો વિજય પ્રાપ્ત કર્યો. તે અકબર તરીકે ઓળખાતો થયો, કારણ કે તે એક શાણો શાસક હતો, તેણે ઊંચા પણ વ્યાજબી કરવેરા સ્થાપ્યા હતા. તે એક હિંદુ રાજપૂતના ઘરે જન્મ્યો હતો. સામ્રાજ્યના બિન-ઇસ્લામિક વિષયોમાં તે વધુ ઉદાર અભિગમ ધરાવતો હતો. તેણે એક ચોક્કસ વિસ્તારના ઉત્પાદનની તપાસ કરી હતી અને ત્યાના રહેવાસીઓ ઉપર તેમની કૃષિ પેદાશના એક-પંચમાંશ હિસ્સાનો કર લાદ્યો હતો. તેણે એક કાર્યક્ષમ વહીવટીતંત્ર સ્થાપ્યું હતું અને તે ધાર્મિક મતભેદો પ્રત્યે ઉદાર હતો, જેના લીધે સ્થાનિક લોકોનો પ્રતિકાર કૂણો પડ્યો હતો. તેણે રાજપૂતો સાથે જોડાણ રચ્યું હતું અને હિંદુ સેનાપતિઓ તથા વહીવટદારોની નિમણૂંક કરી હતી. જીવનમાં પાછળથી, તેણે હિંદુ ધર્મ અને ઈસ્લામના દ્વષ્ટિકોણોથી પ્રેરિત થઈને સહિષ્ણુતા પર આધારિત પોતાનાં એક આગવાં ધર્મની રચના કરી હતી. તેના મૃત્યુ બાદ, આ ધર્મ લોકપ્રિય બન્યો નહોતો, પરંતુ લોકો અને તેમના મનોને એકબીજા સાથે જોડવાના આ ધર્મના ઉમદા હેતુઓને લીધે તેને હજુ પણ યાદ કરાય છે.

સમ્રાટ અકબરના પુત્ર જહાંગીરે 1605-1627 સુધી આ સામ્રાજ્ય પર શાસન કર્યું. ઓક્ટોબર 1627માં, સમ્રાટ જહાંગીરના પુત્ર શાહ જહાં ગાદીએ આવ્યો, તેને વારસામાં એક વિશાળ અને સમૃદ્ધ સામ્રાજ્ય મળ્યું હતું. સદીના મધ્યભાગમાં, કદાચ તે વિશ્વનું સૌથી મહાન સામ્રાજ્ય હતું. શાહજહાંએ આગ્રામાં પ્રસિદ્ધ તાજ મહેલ (1630-1653)નું કામ શરૂ કરાવ્યું, જેને પર્શિયાના સ્થપતિ ઉસ્તાદ અહમદ લાહૌરીએ શાહજહાંની પત્ની મુમતાઝ મહલની કબર તરીકે બનાવ્યો હતો. મુમતાઝ તેના 14મા બાળકને જન્મ આપીને મૃત્યુ પામી હતી. 1700 સુધીમાં આ સામ્રાજ્ય ઔરંગઝેબ આલમગીરના નેતૃત્વ હેઠળ પોતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું, તે સમયે આજનું ભારત, પાકિસ્તાન અને મોટાભાગનું અફઘાનિસ્તાન આ સામ્રાજ્ય હેઠળ હતું. મહાન મુઘલ સમ્રાટો તરીકે ઓળખાતા સમ્રાટોમાં ઔરંગઝેબ છેલ્લો હતો, તે એક કઠોર જીવન જીવ્યો હતો પરંતુ તેનું મોત શાંતિપૂર્ણ હતું.

મુઘલ રાજવંશ[ફેરફાર કરો]

16મી સદીના મધ્યભાગમાં અને 18મી સદીના પ્રારંભની વચ્ચેના ગાળામાં ભારતીય ઉપખંડમાં મુઘલ સામ્રાજ્ય એ એક વર્ચસ્વપૂર્ણ રાજસત્તા હતી. 1526માં સ્થપાયેલું આ સામ્રાજ્ય, સત્તાવાર રીતે 1858 સુધી ટકી રહ્યું હતું, તે વખતે બ્રિટિશ રાજે કપટપૂર્વક તેનું સ્થાન લઈ લીધું હતું. કેટલીક વખત આ રાજવંશનો ઉલ્લેખ તિમુરિદ રાજવંશ તરીકે થાય છે કારણ કે બાબર તિમુરનો વંશજ હતો.

ફેરઘાના (આજનું ઉઝબેકિસ્તાન)નાં વતની બાબરે ઉત્તરીય ભારતના ભાગો પર આક્રમણ કર્યું અને 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં દિલ્હીના શાસક ઇબ્રાહિમ શાહ લોદીને હરાવ્યો ત્યારે મુઘલ રાજવંશની સ્થાપના થઈ હતી. ઉત્તરીય ભારતના શાસક તરીકે દિલ્હી સલ્તનતની જગ્યાએ મુઘલ સામ્રાજ્ય આવ્યું. સમય સાથે બાબરે સ્થાપેલું રાજ્ય દિલ્હી સલ્તનતના સીમાડાં વટાવીને, ધીરેધીરે ભારતના મહત્વના હિસ્સાઓમાં ફેલાઈ ગયું અને સામ્રાજ્યના નામનો સિક્કો જામ્યો. બાબરના પુત્ર હુમાયુના સત્તાકાળ દરમિયાન અરાજકતાના એક ટૂંકા ગાળા (1540-1555) દરમિયાન, એક સક્ષમ અને કાર્યક્ષમ શાસક શેર શાહ સુરીના નેજા હેઠળ અફઘાન સુરી રાજવંશનો અને હિંદુ રાજા હેમ ચંદ્ર વિક્રમાદિત્ય, જે હેમુ તરીકે પણ ઓળખાય છે, તેનો ઉદય થયો. જો કે, શેર શાહના કસમયના મૃત્યુ અને તેના અનુગામીઓની લશ્કરની અણઆવડતને લીધે હુમાયુંએ 1555માં પોતાની ગાદી પરત મેળવી લીધી. જો કે, કેટલાક મહિનાઓ બાદ હુમાયું મૃત્યુ પામ્યો, અને તેના સ્થાને તેનો પુત્ર, 13 વર્ષનો મહાન અકબર આવ્યો હતો.

મુઘલ સામ્રાજ્યના વિસ્તરણનો અધિકાંશ ભાગ અકબર (1556-1605)ના શાસનકાળ દરમિયાન સંપન્ન થયો હતો. અકબરના અનુગામીઓ જહાંગીર, શાહ જહાં અને ઔરંગઝેબે વધુ એકસો વર્ષ સુધી આ સામ્રાજ્યને આજના ભારતીય ઉપખંડના વર્ચસ્વપૂર્ણ શાસન તરીકે યથાવત રાખ્યું હતું. વાસ્તવિકપણે સત્તા ભોગવનારા સૌપ્રથમ છ સમ્રાટો પૈકીના પ્રત્યેક સમ્રાટ સામાન્ય રીતે તેઓ રાજ્યારોહણ વખતે જે નામ અપનાવતા હતા તે એક જ નામે ઓળખાય છે. નીચેની યાદીમાં સુસંગત શીર્ષક ઘાટા અક્ષરે દર્શાવવામાં આવ્યું છે.

મહાન અકબરે ધાર્મિક ઉદારવાદ (જજિયા વેરાની નાબૂદી), સામ્રાજ્યની બાબતોમાં હિંદુઓનો સમાવેશ, હિંદુ રાજપૂત જ્ઞાતિ સાથે રાજકીય જોડાણ/લગ્ન જેવી કેટલીક મહત્વની નીતિઓ શરૂ કરી હતી જે તે સમયની સામાજિક પરિસ્થિતિમાં નવી જ હતી; તેણે સામ્રાજ્યના સરકાર રાજમાં વિભાગ પાડી દેવા જેવી શેર શાહ સુરીની કેટલીક નીતિઓ પણ અપનાવી હતી. આ નીતિઓ બેશકપણે સામ્રાજ્યની સત્તા અને સ્થિરતા ટકાવી રાખવા માટે કામ લાગી હતી કારણ કે આ વર્ષોમાં ભારતીય ઉપખંડમાં ઇસ્લામિક આક્રમણ સામે હિંદુ વસતીએ પ્રતિકાર દર્શાવ્યો હતો. અકબર પછીના બે અનુગામીઓએ આ નીતિ ચાલુ રાખી હતી પરંતુ ઔરંગઝેબે તેને કોરે મૂકી દીધી, તે ઇસ્લામના વધુ ચુસ્ત અર્થઘટનને અનુસર્યો અને ધર્મ પાળવા અંગે વધુ ચુસ્ત અને અસહિષ્ણુ નીતિનું પાલન કર્યું. વધુમાં, ઔરંગઝેબે દખ્ખણ તથા દક્ષિણ ભારત, પૂર્વમાં આસામમાં પોતાના પ્રદેશને વિસ્તારવામાં પોતાની લગભગ સંપૂર્ણ કારકિર્દી વિતાવી; આ પગલાએ સામ્રાજ્યના સંસાધનોની ઘોર ખોદી નાખી, તેમજ મરાઠાઓ, રાજપૂતો, પંજાબના શીખો, આસામના અહોમનો તીવ્ર પ્રતિકાર વ્હોરી લીધો હતો. આસામના અહોમ લોકોએ મુઘલ આક્રમણોનો સફળતાપૂર્વક પ્રતિકાર કર્યો, તેમની છેલ્લી લડાઈ સરાઇઘાટની લડાઇ રહી હતી. અત્રે આ સંદર્ભમાં એ વાત નોંધવી રસપ્રદ થઈ પડશે કે મુઘલોએ ભારત ઉપર લગભગ ત્રણસો વર્ષ રાજ કર્યું હતું, પણ તેમણે ભારતીય ઉપખંડના સંપૂર્ણ ભૌગૌલિક પ્રદેશ ઉપર ક્યારેય શાસન કર્યું નહોતું. તેમની સત્તા ઘણુ કરીને દિલ્હીની આસપાસ કેન્દ્રિત હતી, જે ઐતિહાસિક કારણોસર વ્યૂહાત્મક ગઢ મનાતો હતો.

પતન[ફેરફાર કરો]

મુઘલ સામ્રાજ્યનાં પતન બાદ શીખ અને મરાઠા રાજ્યોએ મેળવેલા વિસ્તારો.1700 અને 1792માં હકુમતના વિસ્તારો દર્શાવતો નકશો

1707માં સમ્રાટ ઔરંગઝેબના મૃત્યુ બાદ, આ સામ્રાજ્ય અવગતિમાં સરી પડ્યું. બહાદુરશાહ પહેલાથી શરૂ કરીને, મુઘલ સમ્રાટોની સત્તા ક્ષીણ થતી ગઈ અને તેઓ શોભાના ગાંઠિયા જેવા બની ગયા, પ્રારંભમાં પરચુરણ દરબારીઓના ચીંધ્યે અને બાદમાં વિવિધ ઉભરી રહેલા લશ્કરી સરદારો તેમના ઉપર અંકુશ ધરાવતા હતા. 18મી સદીમાં, પર્શિયાના નાદિર શાહ અને અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલી જેવા હુમલાખોરોની લૂંટફાટનો આ સામ્રાજ્યને ભોગવવી પડી, તેમણે વારંવાર મુઘલ સામ્રાજ્યની રાજધાની દિલ્હી ઉપર હુમલો કર્યો. સામ્રાજ્યની ભારતીય સીમાનો મોટાભાગનો હિસ્સો મરાઠાઓ પાસે ચાલ્યો ગયો હતો, જેમણે દિલ્હી ઉપર ક્રમણ કરીને એક વખતના શક્તિશાળી અને મહાન સામ્રાજ્યને એક શહેર પૂરતું સીમિત રાખી દીધું હતું, ત્યારબાદ આ શહેર બ્રિટિશના હાથમાં ચાલ્યું ગયું. અન્ય પડકારોમાં શીખ સામ્રાજ્ય અને હૈદરાબાદ નિઝામનો સમાવેશ થતો હતો. 1804માં, અંધ અને શક્તિવિહીન શાહ આલમ બીજાએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રક્ષણનો ઔપચારિક સ્વીકાર કર્યો. બ્રિટિશે પહેલેથી જ આ નબળાં સમ્રાટનો “ભારતના સમ્રાટ”ની બદલે “દિલ્હીના રાજા” તરીકે ઉલ્લેખ કરવાનું શરૂ કરી દીધું હતું. એક સમયના ભવ્ય અને જોરાવર મુગલ સૈન્યને 1805માં બ્રિટિશરોએ વિખેરી નાખ્યું; માત્ર લાલ કિલ્લાના ચોકિયાતોને દિલ્હીના રાજાની ચાકરી માટે ફાળવવામાં આવ્યા. ભારતીય રાજાની સર્વોપરિતા બ્રિટિશથી વધુ હતી એવી પ્રતિકૂળ પરિસ્થિતિની બ્રિટિશરોએ અવગણના કરી હતી. આટલું જ નહીં, ત્યારપછીના કેટલાક દશક સુધી, બીઇઆઇસી (BEIC) (બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની)એ સમ્રાટના સામાન્ય સેવક તરીકે અને તેના નામે સમ્રાટના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં શાસન કરવાનું ચાલુ રાખ્યું. 1857માં, આ ઔપચારિકતા પણ ખતમ થઈ ગઈ. બળવાખોર સિપાઈઓ પૈકીના કેટલાકે શાહ આલમના વંશજ બહાદુર શાહ ઝફર (મહદઅંશે પ્રતીકાત્મક રીતે, બળવાના હેતુથી તેને ફક્ત નામનો વડો જ બનાવાયો હતો) પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કર્યા બાદ, બ્રિટિશે આ પ્રથાને પણ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે છેલ્લાં મુઘલ સમ્રાટને 1857માં પદભ્રષ્ટ કર્યો અને તેને દેશવટો આપીને બર્મા મોકલી દીધો, જ્યાં તે 1862માં મૃત્યુ પામ્યો. તે સાથે મુઘલ રાજવંશનો અંત આવ્યો અને તે ભારતના ઇતિહાસનું એક યાદગાર પ્રકરણ બની ગયું.

ભારતીય ઉપખંડમાં હજુ પણ ઘણાં મુઘલ રહે છે. વર્તમાન સામાજિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં મુઘલ શબ્દનો કોઇ નિર્ણાયક મતલબ રહ્યો નથી, કારણ કે મૂળ મુઘલોનું લોહી હવે ભારતની અન્ય મુસ્લિમ વસતી સાથે મિશ્ર થઈ ગયું છે અને હવે તેઓ દક્ષિણ-એશિયાનાં ઓળખચિહ્નો ધરાવે છે. આ ચિહ્નો હવે મૂળ તૂર્કી અથવા મોંગોલોઇડ વંશના ચિહ્નો કરતા વધુ પાક્કા બની ગયા છે.[સંદર્ભ આપો]

મુઘલ સમ્રાટોની યાદી[ફેરફાર કરો]

મુઘલ સમ્રાટોને લગતી કેટલીક મહત્વની વિગતો નીચે કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે.

સમ્રાટ જન્મ શાસનકાળ મૃત્યુ નોંધ
ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર ફેબ્રુઆરી 23, 1483 1526–1530 ડિસેમ્બર 26, 1530 મુઘલ રાજવંશનો સ્થાપક.
નસિરુદ્દીન મુહમ્મદ હુમાયુ માર્ચ 6, 1508 1530–1540 જાન્યુઆરી 1556 સુરી રાજવંશ દ્વારા શાસનમાં વિક્ષેપ. રાજ્યારોહણ વખતે યુવાન અને બિનઅનુભવી હોવાને કારણે તેના પુરોગામી શેર શાહ સુરીની તુલનાએ તેનો ઓછા કાર્યક્ષમ શાસક તરીકે ઉલ્લેખ થાય છે.
શેરશાહ સુરી 1472 1540–1545 મે 1545 હુમાયુંને પદભ્રષ્ટ કર્યો અને સુરી રાજવંશ સ્થાપ્યો.
ઈસ્લામ શાહ સુરી સી. 1500 1545–1554 1554 સુરી રાજવંશનો બીજો અને છેલ્લો શાસક, તેના પુત્રો સિકંદર અને આદિલ શાહના દાવાઓ હુમાયુ ગાદીએ પરત ફરતા જ સમાપ્ત થઈ ગયા.
નસિરુદ્દીન મુહમ્મદ હુમાયુ માર્ચ 6, 1508 1555–1556 જાન્યુઆરી 1556 પ્રારંભમાં 1530-1540ના શાસનની તુલનાએ તેણે ફરી કરેલું શાસન વધુ એકરૂપ અને કાર્યક્ષમ હતું; પોતાના પુત્ર અકબર માટે એકરૂપતા સાથેનું સામ્રાજ્ય છોડી ગયો.
જલાલુદ્દીન મુહમ્મદ અકબર નવેમ્બર 14, 1542 1556–1605 ઓક્ટોબર 27, 1605 અકબરે સામ્રાજ્યનો ભારે વિસ્તાર કર્યો અને તેનો મુઘલ રાજવંશના સૌથી નામાંકિત શાસક તરીકે ઉલ્લેખ કરાય છે કારણ કે તેણે સામ્રાજ્યમાં વિવિધ પ્રથાઓ દાખલ કરી હતી; તેણે એક રાજપુત રાજકુમારી મરિયમ-ઉઝ-ઝમાની સાથે લગ્ન કર્યા હતા. લાહોરનો કિલ્લો એ તેના સૌથી પ્રસિદ્ધ બાંધકામ પૈકીનું એક છે.
નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીર ઓક્ટોબર 1569 1605–1627 1627 પોતાના સમ્રાટ પિતા સામે પુત્રોના બળવાનો પૂર્વ-આધાર જહાંગીરે સ્થાપ્યો. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સૌપ્રથમવાર તેણે સંબંધો સ્થાપ્યા. એવી નોંધ છે કે તે શરાબી હતો, અને તેની પત્ની સમ્રાજ્ઞી નૂર જહાન વાસ્તવમાં સિંહાસન પાછળની મુખ્ય સત્તારૂપ હતી અને નૂર જહાંએ જહાંગીરની બદલે કુશળતાપૂર્વક શાસન કર્યું.
શાહાબુદ્દીન મુહમ્મદ શાહ જહાં જાન્યુઆરી 5, 1592 1627–1658 1666 તેના કાળમાં, મુઘલ કલા અને સ્થાપત્ય પરાકાષ્ટાએ હતું; તેણે તાજ મહલ, જામા મસ્જિદ, લાલ કિલ્લો, જહાંગીર મકબરો અને લાહોરનો શાલીમાર બાગનું નિર્માણ કરાવડાવ્યું હતું. પુત્ર ઔરંગઝેબે તેને પદભ્રષ્ટ કરી કેદ કર્યો હતો.
મોહિયુદ્દીન મુહમ્મદ ઓરંગઝેબ આલમગીર ઓક્ટોબર 21, 1618 1658–1707 માર્ચ 3, 1707 તેણે ઈસ્લામી કાયદાઓનું પુર્નઅર્થઘટન કર્યું અને ફતવા-એ-આલમગીરી રજૂ કર્યો; તેણે ગોલકોન્ડાની સલ્તનતની હિરાની ખાણો કબ્જે કરી; તેણે પોતાના જીવનના 20 કરતા વધુ વર્ષો દક્ષિણ એશિયાના મહત્વના બળવાખોર જૂથો સામે લડવામાં વિતાવ્યા હતા; તેણે મેળવેલી જીતોને લીધે સામ્રાજ્ય તેની મહત્તમ સીમા સુધી વિસ્તર્યું; વધુ પડતા વિસ્તરેલા સામ્રાજ્યનો અંકુશ નવાબો કરતા, ઓરંગઝેબના મોત બાદ પડકારો ઊભા થયા. તેણે પોતાના હસ્તાક્ષરોમાં કુરાનની બે નકલો બનાવી હતી.
બહાદુર શાહ પહેલો ઓક્ટોબર 14, 1643 1707–1712 ફેબ્રુઆરી,1990 સ્વાયત્ત બનેલા નવાબોની વધતી જતી તાકાતને લીધે સામ્રાજ્યના અંકુશ અને સરહદોમાં નિરંતર અને વ્યાપક ઘટાડો થવા સાથે સત્તા ભોગવનાર સૌપ્રથમ મુઘલ સમ્રાટ. તેના સત્તાકાળ બાદ, સમ્રાટ વધુને વધુ પ્રમાણમાં બિનમહત્વપૂર્ણ અને શોભાના ગાંઠિયા જેવા બની ગયા.
જહાંદર શાહ 1664 1712–1713 ફેબ્રુઆરી 1713 તે પોતાના મુખ્ય વઝીર ઝુલ્ફીકાર ખાનના ઊંડા પ્રભાવ હેઠળ હતો.
ફર્રુખસિયાર 1683 1713–1719 1719 1717માં તેણે ઈંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફરમાન જારી કરીને તેમને બંગાળમાં વેરામુક્ત વેપાર કરવાની છૂટ આપી અને ભારતમાં તેમનું સ્થાન પાકું કર્યું.
રફી ઉલ-દરજાત અજાણ્યું 1719 1719  
રફી ઉદ- દૌલત
ઉર્ફે શાહ જહાં બીજો
અજાણ્યું 1719 1719  
નિકુસિયાર અજાણ્યું 1719 1743  
મુહમ્મદ ઈબ્રાહિમ અજાણ્યું 1720 1744  
મુહમ્મદ શાહ 1702 1719–1720, 1720–1748 1748 1739માં પર્શિયાના નાદિર શાહનું આક્રમણ વેઠ્યું
અહમદ શાહ બહાદુર 1725 1748–54 1754 સિકંદરાબાદની લડાઇમાં મરાઠાએ મુઘલ દળોની કત્લેઆમ કરી.
આલમગીર બીજો 1699 1754–1759 1759  
શાહ જહાં ત્રીજો અજાણ્યું 1759માં 1770નો દાયકો બક્સરના યુદ્ધમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાના નિઝામને એક કર્યાં. 1761માં હૈદર અલી મૈસૂરનો નવાબ બન્યો.
શાહ આલમ બીજો 1728 1759–1806 1806 1761માં અહમદ શાહ અબ્દાલીએ પાણીપતની ત્રીજી લડાઈમાં મરાઠાઓને હરાવ્યા; 1799માં મૈસૂરમાં ટિપુ સુલ્તાનનું પતન.
અકબર શાહ બીજો 1760 1806–1837 1837 બ્રિટિશ રક્ષણ હેઠળનો કેવળ નામનો સમ્રાટ
બહાદુર શાહ ઝફર 1775 1837–1857 1862 છેલ્લો મુઘલ સમ્રાટ જેને 1857માં સૌપ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટિશરો દ્વારા પદભ્રષ્ટ કરીને બર્મા દેશવટો આપવામાં આવ્યો.

ભારતીય ઉપખંડ પર પ્રભાવ[ફેરફાર કરો]

મુઘલ સમ્રાટ શાહ જહાંએ ભારતના આગ્રામાં બનાવરાવેલો તાજ મહલ
શાહ જહાંના શાસન રમિયાન સામ્રાજ્યનો મુખ્ય મહેલ રહેલો દિલ્હીનો લાલ કિલ્લો.
ઔરંગઝેબના શાસન દરમિયાન 17મી સદીના મધ્યભાગમાં ઢાકા ખાતે બનાવરાવવામાં આવેલો લાલબાગ કિલ્લો
ઔરંગઝેબના શાસન દરમિયાન બનેલા લાહોરના કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર આલમગિરી ગેટ હતો.

ભારતીય ઉપખંડમાં મુઘલોનું સૌથી મોટું જો કોઈ યોગદાન હોય તો તે તેમની અનોખી સ્થાપત્યકલા છે. મુઘલ યુગ દરમિયાન મુસ્લિમ સમ્રાટોએ, ખાસ કરીને શાહજહાં, અનેક મકબરાઓ બનાવ્યા છે, જેમાં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ તાજ મહલનો સમાવેશ થાય છે, તે મુઘલ સ્થાપત્યના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણો પૈકીનું એક મનાય છે. અન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં હુમાયુનો મકબરો, ફતેહપુર સિક્રી, લાલ કિલ્લો, આગ્રા કિલ્લો અને લાહોરના કિલ્લાનો સમાવેશ થાય છે.

આ રાજવંશે બનાવરાવેલા મહેલો, મકબરા અને કિલ્લા આજેપણ દિલ્હી, ઔરંગાબાદ, ફતેહપુર સિક્રી, આગ્રા, જયપુર, લાહોર, કાબુલ, શેખુપુરા અને ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના અનેક અન્ય શહેરોમાં અડીખમ ઊભા છે.[૮] મધ્ય એશિયાના કેટલાક સ્મારકોમાં, બાબરના વંશજોએ ભારતીય ઉપખંડની ખૂબીઓ અને રીતોને અનુસરી છે[૯] અને વત્તેઓછે અંશે સ્થાનિક સ્વરૂપમાં ઢાળ્યાં છે.

નીચેની સાંસ્કૃતિક બાબતોમાં મુઘલોનો પ્રભાવ જોઇ શકાય છે[૧૦]:

  • અનેક નાના રજવાડાંઓમાં એકસાથે સમ્રાટની કેન્દ્રવર્તી સરકાર લાવવામાં આવી.[૧૧]
  • ભારતીય કલા અને સંસ્કૃતિમાં પર્શિયાની કલા અને સંસ્કૃતિનો સંગમ.[૧૨]
  • આરબ અને તુર્કીક ભૂમિમાં વેપારનો નવો માર્ગ.
  • મુગલાઈ વાનગીનો વિકાસ.[૧૩]
  • સ્થાનિક ભારતીય સ્થાપત્યકલામાં, મુઘલ સ્થાપત્યકલાનો પેસારો, ખાસ કરીને રાજપુત અને શીખ શાસકો દ્વારા તૈયાર કરવામાં આવેલા મહેલોમાં આ સ્થાપત્યકલા ઉત્તમ રીતે પચાવાઈ હતી.
  • નયનરમ્ય બગીચાઓ

મુઘલોએ ક્યારેક જે ભૂમિ પર શાસન કર્યું હતું તે ભૂમિ હવે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વિભાજિત થઈ ગઈ છે, તેમછતાં તેમનો પ્રભાવ આજે પણ વ્યાપક પણે જોઈ શકાય છે. સમ્રાટોની કબરો ભારત, અફઘાનિસ્તાન[૧૪] અને પાકિસ્તાનમાં ફેલાયેલી છે. સમગ્ર ઉપખંડમાં અને કદાચ વિશ્વમાં તેમના આશરે 16 મિલિયન વંશજો છે.[૧૫][નોંધનીયતા શંકાસ્પદ?]

ઉર્દૂ ભાષા[ફેરફાર કરો]

આ સામ્રાજ્યની વર્ચસ્વ ધરાવતી અને “સત્તાવાર” ભાષા પર્શિયન હતી, તેમ છતાં બાદમાં ભદ્ર વર્ગની આ ભાષાના હિન્દુસ્તાની સ્વરૂપનો વિકાસ થયો, જે આજે ઉર્દૂ તરીકે ઓળખાય છે. પર્શિયન ભાષાનો ભારે પ્રભાવ ધરાવતી અને અરેબિક તથા તુર્કીક છાંટ ધરાવતી, આ ભાષા પર્શો-અરેબિકની એક પ્રકારની લિપિમાં લખાય છે જે નાસ્તાલિક તરીકે ઓળખાય છે. સાહિત્યિક પરિભાષા અને ખાસ પ્રકારનું શબ્દ ભંડોળ પર્શિયન, અરેબિક અને તુર્કીશ ભાષામાંથી લેવામાં આવ્યા છે; આ નવા ઉચ્ચારણોને ધીરે ધીરે તેમનું પાતનું નામ મળ્યું – ઉર્દૂ. હિંદીની સાથે સરખામણી કરવામાં આવે તો, ઉર્દૂ ભાષામાં પર્શિયન અને અરેબિક (વાયા પર્શિયન) અને (ઘણાં ઓછાં પ્રમાણમાં) તુર્કીક ભાષામાંથી વધુ શબ્દો લેવામાં આવ્યા છે જ્યારે હિંદીમાં સંસ્કૃત ભાષાના શબ્દોનું પ્રમાણ ઘણું વધારે છે.[૧૬] આધુનિક હિંદી, જેમાં પર્શિયન અને અરેબિક ભાષામાંથી લેવાયેલા શબ્દોવાળી ઉર્દૂ ઉપરાંત સંસ્કૃત આધારિત શબ્દભંડોળનો ઉપયોગ થાય છે. આધુનિક હિંદી પણ ઉર્દૂ જેટલી જ સમજી શકાય એવી છે.[૧૭]

મુઘલ સમાજ[ફેરફાર કરો]

માર્ગ પદ્ધતિ અને એક સમાન ચલણની રચનાને કારણે તથા દેશને એકરૂપ કરવાને લીધે મુઘલ યુગ દરમિયાન ભારતીય અર્થતંત્ર સમૃદ્ધ બનતું રહ્યું. ઉત્પાદિત ચીજવસ્તુઓ અને ખેડૂતોએ ઉગાડેલા રોકડિયા પાકોનું વિશ્વભરમાં વેચાણ થતું હતું. મહત્વના ઉદ્યોગોમાં જહાજવાડા (ભારતનો જહાજવાડા ઉદ્યોગ યુરોપ જેટલો જ વિકસિત હતો, અને ભારતીયો યુરોપની કંપનીઓને જહાજો વેચતા હતા), કાપડ અને પોલાદનો સમાવેશ થતો હતો. મુઘલોએ એક નાનો નૌકાકાફલો રાખ્યો હતો, જે માત્ર યાત્રાળુઓને મક્કા લઈ ગયો હતો, અને સુરતમાં થોડાક આરબ ઘોડાઓ આયાત કર્યા હતા. સિંધમાં દેબલ મહદ્અંશે સ્વાયત્ત હતું. મુઘલોએ નદીઓ માટે જહાજોનો કાફલો પણ રાખ્યો હતો, જે બળવાખોરો સામે લડવા માટે નદીઓમાં થઈને સૈનિકોને લઈ જતો હતો. તેના નૌકા સેનાપતિઓમાં યાહ્યા સાલેહ, મુનાવર ખાન અને મુહમ્મદ સાલેહ કમ્બોહનો સમાવેશ થતો હતો. મુઘલોએ જંજીરાના સિદીઓને પણ રક્ષણ આપ્યું હતું. મુઘલોના નાવિકો સુવિખ્યાત હતા અને ઘણીવાર ચીન તથા પૂર્વ આફ્રિકાના સ્વાહિલી તટની મુસાફરી ખેડતા હતા, જ્યાં તેઓ ખાનગી ક્ષેત્રના વેપાર માટે મુઘલોની કેટલીક ચીજવસ્તુઓ લઇ જતા. મુઘલોના યુગ હેઠળ શહેરો અને નગરોનો ભારે વિકાસ થયો હતો; જો કે, મોટાભાગના સમય દરમિયાન આ શહેરો ઉત્પાદન અથવા વાણિજ્યના કેન્દ્ર તરીકે નહીં પણ સૈન્ય અને રાજકીય કેન્દ્ર રહ્યાં હતા. વહીવટીતંત્ર માટે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારા મહાજનો જ આ નગરોમાં ચીજવસ્તુઓ બનાવતા હતા; મોટાભાગના ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં હતા. પોતાના આધિપત્ય હેઠળના દરેક પ્રાંતમાં મુઘલોએ મક્તાબનું બાંધકામ પણ કર્યું હતું, જ્યાં યુવાનોને તેમની સ્થાનિક ભાષામાં ફતવા-એ-આલમગિરી જેવા ઇસ્લામિક કાનૂનો અને કુરાન ભણાવવામાં આવતું હતું.

ઉમરાવ વર્ગમાં વિષમ જાતિના લોકો હતા; આ વર્ગ મુખ્યત્વે રાજપુત શ્રીમંતો અને મુસ્લિમ રાષ્ટ્રોના વિદેશીઓના લોકોનો સમાવેશ થતો હતો, જ્યારે સમ્રાટ પાસેથી કોઇ પણ જાતિ, સમાજ કે રાષ્ટ્રના લોકો ખિતાબ મેળવી શકતા હતા. દેખીતી રીતે જ શ્રીમંત વેપારીઓનો બનેલો મધ્યમ વર્ગ અમુક સંપત્તિવાન વેપારીઓનો બનેલો હતો જેઓ કિનારાના નગરોમાં રહેતા હતા; ઘણાં વેપારીઓ કરવેરામાંથી બચવા માટે ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા. ઘણાં લોકો ગરીબ હતા. મુઘલ યુગના ગરીબોનું જીવન ધોરણ બ્રિટિશ રાજના ભારતીય ગરીબોના જીવન ધોરણની તુલનાએ સમકક્ષ અથવા થોડું ઘણું ઊંચું હતું; વધતી જતી વસતી, ઊંચા કરવેરા અને પરંપરાગત ઉદ્યોગ-ધંધા પડી ભાંગવાને કારણે 19મી સદીમાં કેનાલો અને આધુનિક ઉદ્યોગો સાથે બ્રિટિશરોએ જે લાભો સર્જ્યા તે બિનઅસરકારક રહ્યાં.

વિજ્ઞાન અને ટેકનોલોજી[ફેરફાર કરો]

ખગોળશાસ્ત્ર[ફેરફાર કરો]

16મી અને 17મી સદીઓમાં ઇસ્લામિક ખગોળશાસ્ત્રનો સમન્વય જોવા મળ્યો, જેમાં ઈસ્લામિક નિરીક્ષણ સંબંધી રીતો અને સાધનોનો ઉપયોગ થયો. આ સમયે સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર સાથે ઓછો નિસ્બત હતો તેવું જણાય છે, તેવા સમયે મુઘલ ખગોળશાસ્ત્રીઓએ નિરીક્ષણ સંબંધી ખગોળશાસ્ત્રમાં પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું અને લગભગ એક સો ઝિજ ગ્રંથો તૈયાર કર્યાં. હુમાયુએ દિલ્હીની નજીક એક અંગત નિરીક્ષણ કેન્દ્ર બનાવરાવ્યું, જ્યારે જહાંગીર અને શાહ જહાં પણ નિરીક્ષણ કેન્દ્રો બનાવવામાં રસ ધરાવતા હતા, પરંતુ તેઓ એવું કરી શક્યા નહોતા. મુઘલ નિરીક્ષણ કેન્દ્રોમાં વપરાતા સાધનો અને નિરીક્ષણની રીતો મુખ્યત્વે ઈસ્લામિક પરંપરામાંથી ઉતરી આવી હતી.[૧૮][૧૯] ખાસ કરીને, મુઘલ યુગના ભારતમાં શોધાયેલા સૌથી યાદગાર ખગોળશાસ્ત્રીય સાધનોમાં સાંધાવિહીન અવકાશ સંબંધી ગોળા (જુઓ નીચે, પ્રૌદ્યોગિકી)નો સમાવેશ થાય છે.

પ્રૌદ્યોગિકી[ફેરફાર કરો]

ફતહુલ્લાહ શિરાઝી (સી. (c.) 1582), એક પર્શિયન-ભારતીય કુશળ પંડિત અને મિકેનિકલ ઇજનેર હતો જેણે મુઘલ સામ્રાજ્યમાં મહાન અકબર માટે કામ કર્યું હતું અને એક વૉલિ ગન વિકસાવી હતી.[૨૦]

998 એએચ (1589-90 સીઇ (CE))માં કાશ્મીર ખાતે અલી કશ્મીરી ઇબ્ન લુકમાને કરેલી સાંધાવિહીન ગોળાની શોધ એ ધાતુવિદ્યામાં થયેલી સૌથી નોંધનીય કામગીરી પૈકીની એક મનાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન પાછળથી લાહોર અને કાશ્મીરમાં આ પ્રકારના 20 અન્ય ગોળા બનાવવામાં આવ્યા હતા. 1980ના દશકમાં તેની પુનઃ શોધ થઈ તે પૂર્વે, આધુનિક ધાતુશાસ્ત્રીઓ એવું માનતા હતા કે એક પણ સાંધા વિનાનો ધાતુનો ગોળો બનાવવો તક્નિકી દ્વષ્ટિએ અશક્ય છે, આધુનિક ટેક્નોલોજીની સહાયથી પણ નહીં. મુઘલ સામ્રાજ્યમાં 1070 એએચ (AH) (1659-1690 સીઇ (CE)) દરમિયાન, મુહમ્મદ સાલિહ તાહતવી દ્વારા અરેબિક અને પર્શિયન શિલાલેખો સાથે લોસ્ટ-વૅક્સ કાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને સાંધાવિહીન અવકાશ સંબંધી ગોળાની વધુ એક શ્રેણીનું નિર્માણ કરવામાં આવ્યું. ધાતુશાસ્ત્રમાં આ એક મહત્વની કામગીરી માનવામાં આવે છે. આ સાંધાવિહીન ગોળાઓનું નિર્માણ કરીને મુઘલ ધાતુશાસ્ત્રીઓએ વૅક્સ કાસ્ટિંગની પદ્ધતિનો પાયો નાખ્યો હતો.[૨૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ
  1. Richards, John F. (March 26, 1993). Johnson, Gordon; Bayly, C. A. (સંપાદકો). The Mughal Empire. The New Cambridge history of India: 1.5. I. The Mughals and their Contemporaries. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ 1, 190. doi:10.2277/0521251192. ISBN 978-0521251198. |access-date= requires |url= (મદદ)
  2. Zahir ud-Din Mohammad (September 10, 2002). Thackston, Wheeler M. (સંપાદક). The Baburnama: Memoirs of Babur, Prince and Emperor. New York: Modern Library. પૃષ્ઠ xlvi. ISBN 978-0375761379. In India the dynasty always called itself Gurkani, after Temür's title Gurkân, the Persianized form of the Mongolian [kürägän] Error: {{Lang}}: text has italic markup (help), 'son-in-law,' a title he assumed after his marriage to a Genghisid princess. CS1 maint: discouraged parameter (link)
  3. Balfour, E.G. (1976). Encyclopaedia Asiatica: Comprising Indian-subcontinent, Eastern and Southern Asia. New Delhi: Cosmo Publications. S. 460, S. 488, S. 897. ISBN 978-8170203254. CS1 maint: discouraged parameter (link)
  4. "ધ મુઘલ એમ્પાયર"
  5. "menloschool.org". મૂળ માંથી 2008-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  6. "Mughal Empire (1500s, 1600s)". bbc.co.uk. London: British Broadcasting Corporation. Section 5: Aurangzeb. મેળવેલ 18 October 2010.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ રોબર્ટ એલ. કેનફીલ્ડ, તુર્કો-પર્શિયા ઇન હિસ્ટરિકલ પર્સ્પેક્ટિવ , કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ, 1991. પાનું 20: "ધ મુઘલ્સ – પર્શિયનાઇઝ્ડ તુર્ક્સ હૂ ઇનવેડેડ ફ્રોમ સેન્ટ્રલ એશિયા એન્ડ ક્લેમ્ડ ડિસન્ટ ફ્રોમ બોધ તિમુર એન્ડ ચંગીસ – સ્ટ્રેન્થન્ડ ધ પર્શિયનેટ કલ્ચર ઓફ મુસ્લિમ ઇન્ડિયા"
  8. મોરસ માર્લે, ક્લાર્ક ડી. નેહેર. 'પેટ્રિયોટ્સ એન્ડ ટાયરન્ટ્સ: ટેન એશિયન લીડર્સ' પાના.269 ISBN 0-8476-8442-3
  9. webindia123.com-ઇન્ડિયન હિસ્ટરી-મેડીયવલ-મુઘલ પિરીયડ-અકબર
  10. "ભારતીય સાહિત્યમાં મુઘલ યોગદાન | રાઇટિંગહૂડ". મૂળ માંથી 2009-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  11. "Mughal Empire - MSN Encarta". મૂળ માંથી 2009-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  12. "ઇન્ડો-પર્શિયન લિટરેચર કોન્ફરન્સ: એસઓએએસ (SOAS): નોર્થ ઇન્ડિયન લિટરરી કલ્ચર (1450-1650)". મૂળ માંથી 2009-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  13. મુઘલાઇ રેસિપ્સ, મુઘલાઇ ડિશીસ - કુઝીન, મુઘલાઇ ફૂડ
  14. "ધ ગાર્ડન ઓફ બાગે બાબર: ટોમ્બ ઓફ ધ મુઘલ એમ્પરર". મૂળ માંથી 2012-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  15. ડિસેન્ડન્ટ્સ ઓફ મુઘલ કેમ ટુગેધર ટુ રિહેબિલેટ ધ મુઘલ ડાયનેસ્ટી | TwoCircles.net
  16. "A Brief Hindi - Urdu FAQ". sikmirza. મૂળ સંગ્રહિત માંથી 2007-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  17. ઉર્દૂ ડિક્શનરી પ્રોજેક્ટ ઇસ અન્ડર થ્રેટ : ઓલ થિંગ્સ પાકિસ્તાન
  18. Sharma, Virendra Nath (1995), Sawai Jai Singh and His Astronomy, Motilal Banarsidass Publ., pp. 8–9, ISBN 8120812565 
  19. Baber, Zaheer (1996), The Science of Empire: Scientific Knowledge, Civilization, and Colonial Rule in India, State University of New York Press, pp. 82–9, ISBN 0791429199 
  20. Bag, A. K. (2005). "Fathullah Shirazi: Cannon, Multi-barrel Gun and Yarghu". Indian Journal of History of Science. New Delhi: Indian National Science Academy. 40 (3): 431–436. ISSN 0019-5235.
  21. Savage-Smith, Emilie (1985), Islamicate Celestial Globes: Their history, Construction, and Use, Smithsonian Institution Press, Washington, D.C. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]