અનંતરાય મણિશંકર રાવળ

વિકિપીડિયામાંથી
(અનંતરાય રાવળ થી અહીં વાળેલું)
અનંતરાય મણિશંકર રાવળ
જન્મ(1912-01-01)January 1, 1912
અમરેલી, ગુજરાત, ભારત
મૃત્યુDecember 18, 1988(1988-12-18) (ઉંમર 76)
વ્યવસાયઅધ્યાપન, વિવેચન, સંપાદન
શિક્ષણબી.એ., એમ.એ.
નોંધપાત્ર સર્જનમધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
નોંધપાત્ર પુરસ્કારો

અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું વતન ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા વલભીપુર ખાતે હતું. તેમનો જન્મ તેમના મોસાળ અમરેલી ખાતે ૧ જાન્યુઆરી, ૧૯૧૨ના રોજ થયો હતો. એમણે અનુસ્નાતક (એમ. એ.) સુધી અભ્યાસ કર્યા બાદ અધ્યાપક તરીકે લાંબા સમય સુધી સેવા બજાવી હતી. સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકના લેખન દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરી તેમણે અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ એમનું શ્રેષ્ઠ સર્જન છે.

એમને તારતમ્ય વિવેચન સંગ્રહના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જીવન[ફેરફાર કરો]

જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામકપદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાદ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેશી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૮૦માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ.

એમનું અવસાન ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

એમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘સાહિત્યવિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયેલો; તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહીત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪) પ્રગટ થયા. એમણે કોઈ એકાદ સાહિત્યસ્વરૂપનું જ વિવેચન કર્યું નથી; એમની વિવેચક તરીકેની ગતિ લલિત ને લલિતેતર બંને પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં લગભગ એકસરખી છે. એમના વિભિન્ન વિવેચનસંગ્રહોમાં કવિતા, નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સાહિત્યપ્રકારનાં પુસ્તકોના પ્રવેશકો છે; અધ્યયનગ્રંથો માટે લખાયેલા લેખો તથા યુનિવર્સિટી વ્યાખ્યાનો છે; આકાશવાણી માટે અપાયેલા વાર્તાલાપો છે તથા સામયિકોમાં કરેલાં લાંબાં-ટૂંકાં અવલોકનો છે. ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ ની વાર્ષિક વાઙમયસમીક્ષાનું કાર્ય કરેલું. આ ચારેય વાર્ષિક સમીક્ષાઓ ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. ‘કવિવર્ય ન્હાનાલાલ’ (૧૯૮૫)માં એમનો કવિ ન્હાનાલાલ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે.

ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દ્રષ્ટિ, વિશાળ સમભાવ એ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ઉપચય’ (૧૯૭૧) એમનો વિવિધ પ્રયોજને લખાયેલાં શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યવિશેનાં તથા સાહિત્યકારોને અધ્યર્યરૂપ લખાયેલાં છત્રીસ લેખો-પ્રવચનોનો સંગ્રહ છે. સંગ્રહમાંનાં સાહિત્યેતર લખાણોના કેન્દ્રમાં પણ તેઓ સાહિત્યમીમાંસક જ રહેલા છે.

‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’ (૧૯૫૪)માં સાહિત્યના ઇતિહાસની દ્રષ્ટિ-પદ્ધતિને કેન્દ્રમાં રાખીને એમણે મધ્યકાળની રાજ્કીય, સામાજિક પશ્વાદભૂ, એ સાહિત્યની લાક્ષણિકતાઓ-મર્યાદાઓ, વિવિધ સાહિત્યસ્વરૂપો વગેરેની ચાર પ્રકરણોમાં ચર્ચા કરી છે ને પછીનાં આઠ પ્રકરણોમાં શતકવાર વ્યક્તિલક્ષી સાહિત્યસર્જનનો પરિચય કરાવ્યો છે. અનેક વિષયોની વિશદ-સઘન માહિતી તેમાં છે ને છતાં શૈલીની સમતાની જાળવણી સાથે, સર્વ વણર્યવિષય અંગેનાં માહિતી-મૂલ્યાંકન-તારણ-સૂચન તેમાં સહજસુલભ છે.

સંપાદક તરીકેની એમની કામગીરી પણ ખાસ ઉલ્લેખનીય છે. ‘બોટાદકરની કાવ્યસરિતા’ (૧૯૫૬), ‘ન્હાનાલાલ મધુકોશ’ (૧૯૫૯), ‘નળાખ્યાન’ (૧૯૬૦), ‘ગુજરાતનો એકાંકીસંગ્રહ’ (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’ (૧૯૬૦), ‘મદનમોહના’ (૧૯૬૬), ‘કલાપીનો કાવ્યકલાપ’ (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમનાં મહત્વનાં સંપાદનો છે. એમનાં સહસંપાદનોમાં ‘બુદ્ધિપ્રકાશ-લેખસંગ્રહ’- ભા. ૧-૨, પ્રેમાનંદ કૃત ‘ચંદ્રહાસાખ્યાન’, ‘રમણલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારકગ્રંથ’, ‘મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા’, ‘કરસનદાસ માણેકની અક્ષર આરાધના’, ‘કાલેલકર અધ્યયનગ્રંથ’, ‘સરકારી વાચનમાળા’: ૧-૪, ‘દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે. ર. વ. દેસાઈકૃત નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ પણ એમણે કર્યો છે; સાહિત્ય અકાદમી માટે ‘સાહિત્યચર્ચા’ (૧૯૮૧)નું સંપાદન કર્યું છે; ૧૯૮૪માં ‘નરસિંહ મહેતાનાં પદો’નું પણ સંપાદન કર્યું છે. આ સંપાદનો નિમિત્તે એમણે વિસ્તૃત પ્રવેશકો લખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાસંકર જોશી વગેરે સાથે કર્યું છે. આ ઉપરાંત એમણે વિશ્વનાથ મ. ભટ્ટની સાથે ‘ટોલ્સટોયની નવલિકાઓ’નો અનુવાદ કર્યો છે તથા જે. ડી. પાઠક સાથે ‘આહારવિજ્ઞાન’ નામનું પુસ્તક લખ્યું છે. એમણે ‘ચા ઘર’ (૧૯૪૪)માં વાર્તાઓ આપી છે.

સન્માન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]