આલ્બેર કેમ્યૂ

વિકિપીડિયામાંથી
આલ્બેર કેમ્યૂ
ન્યૂયોર્ક વર્લ્ડ-ટેલિગ્રાફ અને સનમાંથી છબી, ૧૯૫૭.
ન્યૂયોર્ક વર્લ્ડ-ટેલિગ્રાફ અને સનમાંથી છબી, ૧૯૫૭.
જન્મ(1913-11-07)7 November 1913
મંડોવી, ફ્રેન્ચ અલ્જિરિયા
મૃત્યુ4 January 1960(1960-01-04) (ઉંમર 46)
વિલેબ્લેવીન, ફ્રાન્સ
વ્યવસાયફિલોસોફર, નવલકથાકાર
માતૃ શિક્ષણ સંસ્થાયુનિવર્સિટી ઑફ અલ્જિરિયા
વિષયોએબ્સર્ડિઝમ
અસ્તિત્વવાદ
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારોનોબૅલ પારિતોષિક (૧૯૫૭)

આલ્બેર કેમ્યૂ (અંગ્રેજી: Albert Camus) (જ. ૭ નવેમ્બર ૧૯૧૩, મંડોવી, ફ્રેન્ચ અલ્જિરિયા; અ. ૪ જાન્યુઆરી ૧૯૬૦, વિલેબ્લેવીન, ફ્રાન્સ) વીસમી સદીના એક અગ્રણી ફ્રેન્ચ સાહિત્યકાર અને ફિલોસોફર હતા. તેમના સર્જનોમાં સમસામયિક જીવનના પ્રશ્નોના વિશ્લેષણ દ્વારા જનસમાજને તેના યથાર્થ પરિપ્રેક્ષમાં મૂલવવાનો પ્રયત્ન કરાયો છે, જે ધ્યાનમાં લઈને તેમને ૧૯૫૭ માં નોબૅલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું.[૧]

પ્રારંભનું જીવન[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધમાં કેમ્યૂના પિતા માર્યા ગયા હતા. માતાએ કેમ્યૂના ઉછેર અને કેળવણી પાછળ ખંતથી ધ્યાન આપ્યું હતું. અલ્જિરિયાની વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી તેમણે ફિલસૂફીની ડિગ્રી મેળવી. અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવાની કેમ્યૂની તીવ્ર ઈચ્છા હતી પરંતુ માંદગીને કારણે અભ્યાસ પડતો મૂક્યો.[૧]

સાહિત્યસર્જન[ફેરફાર કરો]

આલ્બેર કેમ્યૂના મૌલિક લખાણોમાં તેમજ કથાસાહિત્યમાં જીવનની વ્યર્થતાનો ભાવ મુખ્યત્વે રજૂ થયો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયેલી તેમની નવલકથા ધી આઉટસાઇડર (૧૯૪૨) વિશ્વપ્રસિદ્ધિ પામેલી ફ્રેન્ચ કૃતિ છે. આ નવલકથા દ્વારા તેમને અસંગત (એબ્સર્ડ)ની દાર્શનિક વિભાવના રજૂ કરી છે. આ નવલકથાનો નાયક મરસોલ સમગ્ર નવલકથામાં અલિપ્ત ભાવે વર્તે છે. માતાની દફનક્રિયા તથા ઉત્તરક્રિયા, માળામાં રહેતા માણસની મૈત્રી, સ્નાનાગારમાં મળી જતી યુવતી - આ બધી જ પ્રક્રિયાઓમાં તે જીવનને નિષ્ક્રિય ભાવે જોવાનું વલણ ધરાવે છે, પરિણામે એને હાથે સાગરકાંઠે એક આરબની હત્યા થાય છે. આ નવલકથામાં પરંપરાગત અર્તમાં કોઈ નાયક નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ પણ નથી, એ નીતિમાન નથી કે નીતિહીન પણ નથી, એ એબ્સર્ડ છે. કુટુંબ, શાસનવ્યવસ્થા અને ધર્મ - આ ત્રણેય જોહુકમી સ્વીકારવા ન માંગતો નાયક મરણને એકમાત્ર વાસ્તવિકતા માનીને ચાલે છે. સમથળ ભાષામાં લખાયેલ આ નવલકથા એબ્સર્ડ નાયકના જીવનની અન્-અર્થકતા (absurdity) દ્વારા માનવજીવનની અન્-અર્થકતા પ્રગટ કરે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ રાવળ, નલિન (નવેમ્બર ૧૯૯૩). "કૅમ્યૂ, આલ્બેર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૫ (કે – ખ્વા) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૬૩–૧૬૪. OCLC 164915270.
  2. પટેલ, બિપીન (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૯ - ૪૦.

બાહ્ય કડી[ફેરફાર કરો]