પારસી

વિકિપીડિયામાંથી

પારસીઓ ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં ઇ.સ. ૭૧૧ માં ભારત આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.

આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ. તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું.’ રાણાએ એમને વસવાટની છૂટ આપી.[૧] એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દુધના પ્યાલામાં સાકર ભેળવી, પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા સમજાવ્યા હતા.

પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ સુરતમાં, ૧ નવસારીમાં અને ૪ મુંબઈમાં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

પારસી સમાજ ફાસ્લિસ, કાદિમ્સ અને સહેન્સાહિસ એમ ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો હતો. તેમાંથી ફાલ્સિસ લોકો વસંતઋતુના પ્રથમ દિવસે નવરોઝની ઉજવણી કરે છે, જે રાજા દ્વારા શરૂ કરવામાં આવી હતી. બાકીના બે સંપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે એક જમશેદી નવરોજના દિવસે અને બીજા ભારતમાં જ્યારે આવ્યા તે દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. તેમના ઘણા રીત રીવાજો સ્થાનિક રીત રીવાજો સાથે ભળી ગયા છે, તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભારત દેશમાં વસતા પારસી લોકો ઇરાનથી આવ્યા તે વખતે સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા". ગુજરાત પર્યટન વિકાસ નિગમ. મૂળ માંથી 2011-10-19 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર ૦૮, ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]