સૂર્ય સેન

વિકિપીડિયામાંથી
સૂર્ય સેન
જન્મની વિગત(1893-10-18)18 October 1893
નોઆપારા, રાઓઝાન, ચિત્તાગોંગ જિલ્લો, બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત
(હવે બાંગ્લાદેશ)
મૃત્યુની વિગત12 January 1934(1934-01-12) (ઉંમર 40)
ચિત્તાગોંગ, બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત
હુલામણું નામમાસ્ટર દા
જન્મ સમયનું નામসূর্য সেন (સૂરજો સેન) સૂર્ય કુમાર સેન
નાગરીકતાભારતીય
વ્યવસાયશિક્ષક
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, અનુશીલન સમિતિ
નોંધ

સૂર્ય સેન, અથવા સૂરજ્ય સેન (બંગાળી: সূর্য সেন, સુરજો સેન) (૧૮ ઑક્ટોબર ૧૮૯૩ - ૧૨ જાન્યુઆરી ૧૯૩૪) એ એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પ્રરભાવશાળી ક્રાંતિકારી હતા. ખાસ કરીને ઈ.સ. ૧૯૩૦ના ચિત્તાગોંગ (હવે બાંગ્લાદેશમાં)શસ્ત્રાગાર પરના દરોડામાં તેમની અગ્રણી ભૂમિકા હતી.

સૂર્ય સેન વ્યવસાયે શાળાના શિક્ષક હતા અને તેઓ માસ્ટર દા ("દા" બંગાળી ભાષામાં એક સન્માનજનક પ્રત્યય છે) તરીકે જાણીતા હતા. ઈ.સ. ૧૯૧૬માં તેઓ બહેરામપોર કૉલેજમાં બી.એ.નો અભ્યાસ કરતા હતા તે સમયે તેઓ રાષ્ટ્રવાદી આદર્શોથી પ્રભાવિત હતા.[૧] ઈ.સ. ૧૯૧૮માં, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચિત્તાગોંગ શાખાના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા.[૨]

સૂર્ય સેને અનંત સિંહ, ગણેશ ઘોષ અને લોકેનાથ બાઉલ જેવા જુસ્સાદાર યુવાન ક્રાંતિકારીઓ શોધી કાઢ્યા હતા. તેઓ ચિત્તાગોંગ જૂથ તરીકે જાણીતા બન્યા. તેમણે ચિત્તાગોંગ ખાતે કાર્યરત બ્રિટિશરો સામે લડત ચલાવી.[૩]

તેઓ અસહકારની ચળવળમાં સક્રિય ભાગ લેતા હતા. બાદમાં તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે તેમની ધરપકડ કરી, ૧૯૨૬ થી ૧૯૨૮ દરમિયાન ૨ વર્ષ કેદની સજા કરવામાં આવી હતી. તેજસ્વી અને પ્રેરણાદાયી આયોજક સેન કહેતા હતા કે " માનવતાવાદ ક્રાંતિકારીઓનો વિશેષ ગુણ છે." [૩]

ઈ.સ. ૧૯૩૦માં ચિત્તાગોંગ શસ્ત્રાગાર પરના દરોડામાં ૮૦ થી વધુ બ્રિટિશ સૈનિકો અને ૧૨ ક્રાંતિકારીઓ માર્યા ગયા હતા. તે ભયંકર યુદ્ધ પછી સેન અને અન્ય બચેલા ક્રાંતિકારીઓ નાના જૂથોમાં છૂટા થયા, નજીકના ગામોમાં છુપાયા અને સરકારી કર્મચારીઓ અને સંપત્તિ પર દરોડા પાડવા માંડ્યા. ૧૬ એપ્રિલ ૧૯૩૩ ના દિવસે સેનની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર ખટલો ચાલ્યો. છેવટે ૧૨ જાન્યુઆરી ૧૯૩૪ ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. તેમની સાથે ઘણા સાથી ક્રાંતિકારીઓને પણ પકડવામાં આવ્યા હતા અને લાંબા ગાળાની કેદની સજા પણ કરાઈ હતી.[૩]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સૂર્ય સેન માટે ૧૦,૦૦૦ ટાકાનું ઈનામ, ૧૯૩૨ માં અવિભાજિત બંગાળના પોલીસ વિભાગના મહાનિરીક્ષક દ્વારા પોસ્ટ કરાયેલું પોસ્ટર.

સૂર્ય સેનનો જન્મ ચિત્તાગોંગમાં રાઓઝણ ઉપ-જિલ્લામાં નાઓપારા ખાતે કાયસ્થ કુટુંબમાં ૧૮ ઑક્ટોબર ૧૮૯૩ ના દિવસે થયો હતો.[૪] તેમના પિતા રામાણીરંજન સેન શિક્ષક હતા. ઈ.સ. ૧૯૧૬માં, જ્યારે તેઓ બેરહામપોર કૉલેજમાં બી. એ. ના વિદ્યાર્થી હતા ત્યારે તેઓ તેમના એક શિક્ષક પાસેથી ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ વિશે શીખ્યા. તેમણે ક્રાંતિકારી આદર્શો પ્રત્યે આકર્ષણની લાગણી અનુભવી અને ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિમાં જોડાયા. તેમના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈ.સ. ૧૯૧૮માં તેઓ ચિત્તાગોંગ પરત ફર્યા અને નેશનલ સ્કૂલ, નંદનકાનન ખાતે ગણિતના શિક્ષક બન્યા. તે સમયે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ત્યાંનો સૌથી પ્રખ્યાત રાજકીય પક્ષ હતો.[સંદર્ભ આપો]

ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડો[ફેરફાર કરો]

સૂર્ય સેને ૧૮ એપ્રિલ ૧૯૩૦ ના દિવસે ક્રાંતિકારીઓના એક જૂથની આગેવાની હેઠળ ચિત્તાગોંગ શસ્ત્રાગારમાંથી પોલીસ અને સહાયક દળોના શસ્ત્રાગાર પર દરોડો પાડ્યો.[૫] આ યોજના વિસ્તૃત હતી તેમાં શસ્ત્રાગારમાંથી શસ્ત્રો કબજે કરવા તેમજ શહેરની વાતચીત પ્રણાલીનો વિનાશ (જેમાં ટેલિફોન, ટેલિગ્રાફ અને રેલ્વે સહિત)નો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી બ્રિટિશ કબજા હેઠળના ભારતને ચિત્તાગોંગથી અલગ પાડી દેવાય. જો કે, જૂથે શસ્ત્રો મેળવ્યા પણ તેઓ દારૂગોળો મેળવવામાં નિષ્ફળ ગયા. તેઓએ શસ્ત્રાગારના પરિસરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, અને ત્યારબાદ તે છટકી ગયા. થોડા દિવસ પછી, ક્રાંતિકારી જૂથનો મોટો ભાગ બ્રિટીશ સૈનિકો દ્વારા નજીકની જલાલાબાદ ટેકરીઓમાં ઘેરી લીવાયો. અને પછીની લડતમાં, બાર ક્રાંતિકારીઓ મૃત્યુ પામ્યા, ઘણાની ધરપકડ કરવામાં આવી, જ્યારે સેન સહિત કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા.

ધરપકડ અને મૃત્યુ[ફેરફાર કરો]

સૂર્ય સેન ભૂગર્ભમાં રહ્યા, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહ્યા. કેટલીકવાર તેઓ એક કામદાર, ખેડૂત, પૂજારી, મકાન કામદાર અથવા ધર્મનિષ્ઠ મુસ્લિમ તરીકે છુપાઈને નોકરી લેતા હતા. આ રીતે તેમણે બ્રિટિશરોના હાથમાં પકડાવવાનું ટાળ્યું.

આ દરમ્યાન તેઓ નેત્ર સેન નામના વ્યક્તિના ઘરે સંતાયા હતા. પરંતુ નેત્ર સેને બ્રિટિશરોને તેની છુપાવાની જગ્યાની જાણકારી આપી અને પોલીસે ફેબ્રુઆરી ૧૯૩૩ માં તેમને પકડી લીધા. બ્રિટિશરો દ્વારા નેત્ર સેનને પુરસ્કાર અપાય તે પહેલાં એક ક્રાંતિકારી તેમના ઘરે આવ્યો અને દા (લાંબી છરી) વડે તેનું માથું કાપી નાખ્યું. નેત્ર સેનની પત્ની સૂર્ય સેનની મોટી ટેકેદાર હોવાથી, તેમણે નેત્ર સેનની હત્યા કરનારા ક્રાંતિકારકનું નામ ક્યારેય જાહેર કર્યું નહીં. બ્રિટિશરો દ્વારા નિર્દય રીતે ત્રાસ આપ્યા બાદ તારકેશ્વર દસ્તીદાર નામના અન્ય એક ક્રાંતિકારીને પણ સેન સાથે મળીને ફાંસી આપવામાં આવી. તેને ફાંસી આપતા પહેલા, બ્રિટિશરોએ તેને વારંવાર નાચવા કહ્યું.

તેમનો છેલ્લો પત્ર તેના મિત્રોને લખવામાં આવ્યો હતો અને તેમાં તેમણે કહ્યું હતું: "મૃત્યુ મારો દરવાજો ખટખટાવી રહી છે. મારું મન સનાતન તરફ ઉડી રહ્યું છે. આવી સુખદ, આવી દુઃખદ, આવી ગૌરવપૂર્ણ ક્ષણે, હું તમારી માટે પાછળ શું છોડીશ? માત્ર એક જ વસ્તુ, મારું સ્વપ્ન, એક સુવર્ણ સ્વપ્ન - મુક્ત ભારતનું સ્વપ્ન. તારીખ, ૧૮મી એપ્રિલ ૧૯૩૦, ચિત્તાગોંગ, પૂર્વીય ક્રાંતિની આગળનો દિવસ. તમારા હૃદયની પર લાલ અક્ષરો વડે એ દેશભક્તોના નામ કોતરી લેજો જેમણે ભારતની આઝાદીની વેદી પર પોતાનું જીવન બલિદાન આપ્યું છે."

લોકપ્રિય માધ્યમમાં[ફેરફાર કરો]

ભારતીય ફિલ્મ દિગ્દર્શક આશુતોષ ગોવારિકરે સેનના જીવન પર ખેલેં હમ જી જાન સે (૨૦૧૦)નું નિર્દેશન કર્યું હતું. અભિનેતા અભિષેક બચ્ચને સેનની ભૂમિકા ભજવી હતી. [૬] વેદબ્રાતા પેઇન દ્વારા આ વિષય પર ચિત્તાગોંગ નામની વધુ એક ફિલ્મ દિગ્દર્શીત કરવામાં આવી હતી. મનોજ બાજપેયીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. [૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Islam, Asiatic Society of Bangladesh. Chief ed. Sirajul (2003). "Mastarda" Surya Sen (1. publ. આવૃત્તિ). Dhaka: Asiatic Society of Bangladesh. ISBN 9843205766. મેળવેલ 28 June 2015.[હંમેશ માટે મૃત કડી]
  2. Chakrabarti, Bidyut (1990). Subhas Chandra Bose and Middle Class Radicalism: A Study in Indian Nationalism, 1928-1940. I. B. Tauris & Co. Ltd. પૃષ્ઠ 108. ISBN 1850431493.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Chandra, Bipan (1988). India's struggle for independence 1857-1947. Penguin. ISBN 9788184751833. OCLC 983835276.
  4. Kumar, Vijay (2008). हर दिन पावन. लोकहित प्रकाशन. ISBN 9788189606350.
  5. Chandra, Bipan (1989). India's Struggle for Independence: 1857-1947. Penguin Books India. પૃષ્ઠ 251–252. ISBN 978-0-14-010781-4.
  6. "Ashutosh Gowariker's Khelein Hum Jee Jaan Sey to be released on December 3". Daily News & Analysis. 22 April 2010. મેળવેલ 11 October 2011.
  7. "'Chittagong': Manoj Bajpayee took no money for the film". The Times of India. 28 September 2012. મૂળ માંથી 3 જાન્યુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 28 September 2012.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]