અશ્વિન મહેતા

વિકિપીડિયામાંથી
અશ્વિન મહેતા
જન્મઅશ્વિન મહેતા
૧૯૩૧
મૃત્યુ૨૮ જુલાઈ ૨૦૧૪
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનોછબી ભીતરની
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૪)

અશ્વિન મહેતા (૧૯૩૧ - ૨૮ જુલાઈ ૨૦૧૪) એ આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા એક ગુજરાતી છાયાચિત્રકાર (ફોટોગ્રાફર) હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ લગભગ ૧૯૩૧માં થયો હતો. તેમનો બાલ્યકાલ અને અભ્યાસકાળ મુંબઈ શહેર ખાતે વીત્યો. નાનપણમાં તેઓ સમવયસ્કોથી દૂર અને શરમાળ રહેતા હતા, તેમનું વલણ શરૂઆતથી જ અધ્યાત્મ તરફ રહ્યું હતું. ઈ.સ. ૧૯૫૨માં તેમણે મુંબઈની જી. એસ. મેડિકલ કૉલેજમાંથી બાયોટૅકનૉલૉજીમાં એમ.એસસી.નો અભ્યાસ કર્યો. આ સાથે તેઓ પ્રકૃતિમાં અને તેની ફોટોગ્રાફીમાં રસ ધરાવતા થયા હતા. અભ્યાસ પછી તેમણે મુંબઈમાં કૉર્પોરેટ ફોટોગ્રાફી અને ઍડ્વર્ટાઇઝિંગ ફોટોગ્રાફી-ક્ષેત્રે વ્યવસાય શરૂ કર્યો. તેમના લગ્ન તીલુબહેન સાથે થયા હતા.[૨]

તેઓ જે. કૃષ્ણમૂર્તિ, વિનોબા ભાવે, ઉમાશંકર જોશી અને સ્વામી આનંદ જેવી વ્યક્તિઓના પરિચયમાં આવ્યા. સ્વામી આનંદ સાથે તેમને ઘણી મિત્રાચારી રહી હતી અને તેમની સાથે તેઓ હિમાલયના પ્રવાસે પણ ગયા હતા. ફોટોગ્રાફી માટે તેઓ ભારતના લદ્દાખ, આંદામાન, નિકોબાર, લક્ષદ્વીપ જેવા અંતરિયાળ વિસ્તારો તેમજ વિદેશમાં બ્રિટન, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્કૉટલૅન્ડ, અમેરિકા, થાઇલૅન્ડ, કૅનેડા, ઉત્તર ધ્રુવ, ઇત્યાદિ પ્રદેશોમાં ભ્રમ્ણ કર્યા હતા.[૧] ૧૯૭૩માં તેમણે વ્યાવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી અને તેઓ શોખ માટે ફોટોગ્રાફી કરતા રહ્યા. તેઓ મુંબઈ છોડી વલસાડ નજીક તિથલ ખાતે સ્થાયી થયા.[૩] ૧૯૫૨માં હિમાયલના ફોટોગ્રાફ સાથે તેમણે શરૂ કરેલી ફોટોગ્રાફી ૧૯૯૯ના ડિસેમ્બરમાં દક્ષિણ ભારતના ફોટોગ્રાફ સાથે અટકી અને ૨૦૦૦માં એમણે તેમની ફોટોગ્રાફી બંધ કરીને બધા કૅમેરા વેચી નાખ્યા હતા. તેઓ ૨૮ જુલાઈ ૨૦૧૪ના દિવસે અવસાન પામ્યા.[૨] [૪] [૫]

પ્રદર્શનો[ફેરફાર કરો]

તેમણે ૧૯૫૫ થી ૧૯૮૦ દરમ્યાન મુંબઈ, નવી દીલ્હી અને લંડનની આર્ટ ગેલેરીઓમાં પોતાના પ્રદર્શન યોજ્યા હતા. તે સિવાય તેમણે ભારત, રશિયા, જર્મની, નેધરર્લૅન્ડ્ઝ, યુ.એસ. ખાતે યોજાયેલા સમૂહ પ્રદર્શનોમાં ભાગ પણ લીધો હતો. તેમનના છાયા ચિત્રો કૅબિનેટ દ ઍસ્તાશ્પે, બિબ્લિયૉથેક નૅશનાલે, પૅરિસ; મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ આર્ટ, ન્યૂયૉર્ક; સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ; તથા ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, નવી દિલ્હી ખાતે કાયમી કૃતિઓ તરીકે સ્થાન પામ્યા છે. દેશવિદેશનાં અનેક સામયિકોમાં તથા અનેક કૉર્પોરેટ કૅલેન્ડરમાં તેમણે પાડેલા છાયાચિત્રો પ્રકાશિત થયા છે. તેમણે ઉતારેલા છાયાચિત્રો યુનિસેફ અને વકીલ્સના ગ્રીટિંગ કાર્ડ પર પણ છપાયા છે.[૩]

લેખન અને પુસ્તકો[ફેરફાર કરો]

ફોટોગ્રાફી આલ્બમ[ફેરફાર કરો]

તેમના ૯ કોફી ટેબલ પુસ્તકો પ્રકાશિત થયા હતા.

  • હિમાલય-એન્કાઉન્ટર્સ વિથ ઇટરનિટી (૧૯૮૫, ૧૯૯૧)
  • કોસ્ટ્સ ઑવ્ ઇન્ડિયા (૧૯૮૭)
  • ગિફ્ટસ ઑવ્ સૉલિટ્યૂટ (૧૯૯૧)
  • હન્ડ્રેડ હિમાલયન ફ્લાવર્સ (૧૯૯૨)

નિબંધ[ફેરફાર કરો]

  • છબી ભીતરની

સન્માન[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૮૨ અને ૧૯૮૭માં તેમણે પાડેલા હિમાલયના ફૂલોના છાયાચિત્રોને ભારત સરકારે ટપાલ ટિકિટ પર છાપ્યા હતા. તેમના લખેલા નિબંધ 'છબી ભીતરની' સાહિત્ય અકાદમી, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪નો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર મળ્યો છે.[૬] [૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "છબી ભીતરની - પુસ્તક સમીક્ષા - દિવ્ય ભાસ્કર" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
  2. ૨.૦ ૨.૧ "અશ્વિન મહેતા… ગમતા 'ડોસલા'ની વિદાય ટાણે… – આજનો e-Shabda…" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-03.
  3. ૩.૦ ૩.૧ "મહેતા, અશ્વિન – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
  4. Tripathi, Salil (2014-07-30). "Ashvin Mehta: An unremembered master". mint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
  5. "Landscape Photographs and Books by Ashvin Mehta". www.archerindia.com. મેળવેલ 2021-10-03.
  6. "છબી ભીતરની". rangdwar.com. મૂળ માંથી 2021-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-03.
  7. "..:: SAHITYA : Akademi Awards ::." web.archive.org. 2016-03-04. મૂળમાંથી અહીં સંગ્રહિત 2016-03-04. મેળવેલ 2021-10-03.CS1 maint: bot: original URL status unknown (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]