કમણગિરી કળા

વિકિપીડિયામાંથી
કમણગિરી કળા
મેકમર્ડોનો બંગલો, અંજારમાં, રામાયણના અંતિમ યુદ્ધનું વર્ણન કરતી કમણગિરી કળા
કળાકારકમણગારા~ધનુષ્ય બનાવનારા
વર્ષ૧૮મી થી ૨૦મી સદી
વિષયહિંદુ અને જૈન દંતકથાઓ ● રોજિંદા જીવનના દ્રશ્યો
સ્થાનકચ્છ અને ગુજરાતના અન્ય ક્ષેત્રો ; પાકિસ્તાન

કમણગિરી કળા અથવા કમાનગિરી કળા અથવા કમણગિરી ભીંત ચિત્રો મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં મળી આવતા ભીંતચિત્રોનું એક સ્વરૂપ છે. આ કળા ગુજરાત તેમજ પાકિસ્તાનના કેટલાક પ્રદેશોમાં પણ જોવા મળે છે. [૧] [૨]

ઉત્પત્તિ[ફેરફાર કરો]

પર્શિયન શબ્દ કમાન કામઠા અથવા ધનુષ્ય માટે વપરાય છે અને વ્યુત્પત્તિશાસ્ત્રના એક સિદ્ધાંત અનુસાર આ ચિત્રકળાના ૧૮મી સદીમાં સ્થળાંતર કરી કચ્છમાં સ્થાયી થયેલી ધનુષ્ય બનાવનારી મુસલમાન જ્ઞાતિ દ્વાર કરવામાં આવતી હતી. આ કળાના ઉદ્ભવનો સમયગાળો અને જ્ઞાતિના સ્થળાંતરનો કાળ સમકાલીન છે. આ કળા કરનારને અનુલક્ષીને આ કળાનું નામ કમાન ગિરી પડ્યું હશે. ધનુષ્ય ઉત્પાદકો મુસ્લિમ હોવા છતાં હિન્દુ તેમજ જૈન પરંપરાના સારી રીતે જાણકાર હતા અને તેમને સ્થાનિક ભાટિયા અને જૈન સમુદાયો ચિત્રકળા કરી આપવાનું કામ સોંપતા હતા. [૩] [૪]

જો કે બીજી માન્યતાઓ પણ છે અને તે અનુસાર કચ્છી ભાષામાં શબ્દ "કમ" શબ્દનો અર્થ કાર્ય એવો થાય છે. આ અનુસાર કામણગર કે કમણગારો "કોઈપણ પ્રકારનું કાર્ય કે ચિત્રકામ કરી આપનાર"ના નામ પરથી કમણગારી ચિત્રકળા એવું પડ્યું હોઈ શકે. ચિત્રકારોનો વર્ગ શરૂઆતમાં મુસ્લિમોનો રહ્યો પણ પછીથી 'ગુર્જર સુતાર' અને 'રૂપગડા સલાટ' સમુદાયોના હિન્દુ કલાકારો પણ આ ચિત્રકારી કરવા લાગ્યા. કહેવામાં આવે છે કે કમણગરો ધનુષ અને ઢાલના નિર્માણ સાથે ચિત્રકારીમાં ઉપરાંત સ્થાપત્ય કાર્યોમાં નિપુણ હતા. કમણગીરના કાર્યથી પ્રદેશના અન્ય સમુદાયો પણ અસર થઈ. જેમાંના કેટલાકમાં "સોની" સમુદાય શામેલ છે, જેઓ સોના-ચાંદી પર કામ કરે છે અને આભૂષણ બનાવવાની સાથે સંકળાયેલા છે જ્યારે અન્ય વર્ગ ચામડા પર કાર્ય કરનારો "મોચી " અને હાથીદાંતના પર કોતરણી કરનારા કામદારોનો સમુદાય છે. [૩]

કમણગર બે પ્રકારના હતા. એક કડિયા સાથે દિવાલો પર ચિત્રકળા કરવાનું કામ કરતા જ્યારે કમણાગરોનો બીજો વર્ગ શાસક વર્ગ માટે કાગળ પર ચિત્રકળા કરતો. જૈન અને ગુજરાતના ભાટિયાઓ સિવાય જાડેજા રાજપૂતો અને "મિસ્ત્રી" સમુદાયોએ પણ તેમને સમર્થન આપ્યું હતું. કમણગરોની કળામાં કલાત્મ શ્રેષ્ઠતા હોવા છતાં, સમાજમાં તેમને યોગ્ય મહત્વ આપવામાં આવતું ન હતું અને એકવાર કરાર પૂરો થયા પછી તેઓએ "રમકડા બનાવવા" જેવા પરંપરાગત કાર્યોનો આશરો લેતા. [૩]

વિશેષતા[ફેરફાર કરો]

આ ચિત્રકળાનો સૌથી સામાન્ય વિષય લોક વાર્તાઓ હતી. જેમાં રામાયણ અને કૃષ્ણના જીવનની પ્રધાનતા રહી. પરંતુ, વિષયવસ્તુ કાળખંડ, સ્થળ અને આશ્રયદાતાની પસંદગી અનુસાર અલગ અલગ રહેતી હતી. કમણગિરીની કલા કૃતિ કચ્છના વિવિધ ક્ષેત્રમાં જોવા મળે છે, પરંતુ અંજાર, મુન્દ્રા, ભારપર, તેરા, લાલા, ફરાદ્રી, બીબર અને વરાપધરમાં તે નોંધપાત્ર છે. ૨૦૦૧ ની સાલના ભૂકંપને કારણે આમાંની કેટલીક ઈમારતો તૂટી ગઈ પરિણામે તેમાંની ચિત્રકારી પણ નાશ પામી. આંતરિક અને બાહ્ય દિવાલની ચિત્રકારી એ કળાની સૌથી વધુ આવર્તક વિષયવસ્તુ હતી, જોકે પાછળથી બ્રિટિશ સૈનિકો તેમના કૂતરા સાથે અને વિમાન, રેલ્વે એન્જિન, ઘરેલુ પ્રાણીઓ અને જૈન પૌરાણિક કથાઓની ઘટનાઓ જેવા વિષયો પણ દોરવામાં આવ્યા હતા. [૩] [૫]

આજે પણ સચવાયેલી નોંધપાત્ર ચિત્રકળામાંની એક અંજાર ખાતેના કેપ્ટન મૅકમર્ડોના બંગલાની છે, જેમાં કચ્છી પૃષ્ઠભૂમિમાં શાહી શોભાયાત્રા, હિન્દુ દેવી-દેવીઓ અને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને દર્શાવવામાં આવ્યા છે. કચ્છના હાજપર ગામમાં ટ્રેનને રેલ્વે સ્ટેશનની પૃષ્ઠભૂમિમાં દોરવામાં આવી છે જ્યારે તેરા નામના એક કચ્છીના રજવાડામાં કિલ્લાના ઉપરના માળે શયન ખંડની ચાર દિવાલો પર મહાકાવ્ય રામાયણની વિષયવસ્તુ ધરાવતી ચિત્રકારી છે. ભારતમાં રામાયણની સંપૂર્ણ કથાનું નિરૂપણ અન્ય કોઈ સ્થળે આવી સતત રીતે થતું નથી. [૬]

મૅકમર્ડોના બંગલા પર શાહી સરઘસનું ચિત્રણ.

બીબર ગામના રામ મંદિરમાં રાજસ્થાન અને ગુજરાતની શૈલીનું સંયોજન છે. મુન્દ્રા નજીકના દેશલપર ગામ જેવા સ્થળોએ "રાસ મંડળ" દર્શાવતા ચિત્રો છે, જે મુખ્યત્વે કૃષ્ણના ઉપાસકો દ્વારા કરવામાં આવે છે. કમણગરો અભણ હતા પણ તેઓએ મુંદ્રા શહેરમાં આવેલા "કાળુભાઇ વાઘેલા" ના મહેલમાં તેમની જાણકારીની હદ બતાવી,અહીં તેમણે શાહી શોભાયાત્રા, યુરોપિયન કેપ્ટન, ભાગવત પુરાણ ના "ગોપી વસ્ત્ર હરણ" અને રામાયણના દ્રશ્ય જોવા મળે છે. [૩]

કમણગરોએ કાગળ, લાકડા, કાચ અને ચામડા પર પણ ચિત્રો દોર્યા છે. ભુજના આઈના મહેલ અને કચ્છ મ્યુઝિયમના પ્રખ્યાત લાંબા ચિત્રો કમણગરો દ્વારા દોરવામાં આવ્યા છે. એક દીર્ધ ચિત્રમાં તાજિયાનું સરઘસ બતાવવામાં આવ્યું છે જે મોહરમ દરમિયાન કાઢવામાં આવે છે. જ્યારે અન્ય એક ચિત્રમાં નાગ પંચમીના સરઘસનું વર્ણન છે, જે ગુજરાત લશ્કર પર કચ્છ લશ્કરની વિજયની યાદમાં દોરવામાં આવ્યું હતું. [૩]

પડતી[ફેરફાર કરો]

કમણગિરી કળા ૨૦ મી સદી સુધી લોકપ્રિય હતી, પરંતુ મહા મંદી પછી, આશ્રયદાતાઓ મકાનોને તાળુ મારીને કચ્છની બહાર ગયા અને કમણગારનું આજીવિકાનું સાધન દૂર થતા તેઓ અન્ય કામ ધંધા તરફ વળ્યા. આ કળાને બીજો જીવલેણ ફટકો ૨૦૦૧ નો ધરતીકંપ લાગ્યો. આ ભૂકંપને કારણે કેટલાક નોંધપાત્ર કાર્યોને નાશ પામ્યા. હવે, ગુજરાતમાં ફક્ત ત્રણ સ્થળે કમણગિરી ભીંતચિત્રો સારી રીતે સાચવવામાં આવ્યા છે. તે છે "તેરાનો કિલ્લો", અંજાર ખાતેનો મૅકમૂર્ડો બંગલો અને "મુન્દ્રા" માં કાળુભાઈ વાઘેલાનું ઘર. [૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Rahman, Azera Parveen. "The walls have years". The Hindu. મેળવેલ 2020-08-16.
  2. Ikram Bukhari, I. A. Rehman (1994). "Arts and Crafts of Pakistan". Export Promotion Bureau, Government of Pakistan Original from the University of Michigan. મેળવેલ 2020-08-16.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "Kamangari_Wall_Paintings_Of_Kachchh_district_of_Gujarat_India". academia.edu. મેળવેલ 2020-08-16.
  4. Shashtri, Pawan. "Kamangari Chronicles". Times of India. મેળવેલ 2020-08-16.
  5. Zaveri, Pradip. "Kamangari Wall Paintings of Kutch (Guj.) India: An Extinct Tradition". West Zone Cultural Centre. મેળવેલ 2020-08-16.
  6. "Gujarat Art". gujaratdekho.com. મેળવેલ 2020-08-16.