તેરા (તા. અબડાસા)
| તેરા (તા. અબડાસા) | |||
| — ગામ — | |||
| અક્ષાંશ-રેખાંશ | 23°17′13″N 68°56′17″E / 23.286903°N 68.938158°E | ||
| દેશ | |||
| રાજ્ય | ગુજરાત | ||
| જિલ્લો | કચ્છ | ||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
|
કોડ
| |||
તેરા (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
ભૂગોળ
[ફેરફાર કરો]આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે. ગામમાં ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. અહીં આવેલા તેરા કિલ્લાની તરત બહાર રાજા-રાણીની બેઠક સુમરાસર તળાવને અડીને આવેલી છે. ૨૦૦૧ના ભુકંપ પછી આ સ્થળ ખંડેર હતું. ત્યાર બાદ તેનું પુનઃ નિર્માણ થયું છે. સુમરાસર તળાવને સામે કિનારે એક સનસેટ પોઇન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, રામાયણ આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસરને કારણે 'હેરીટેજ વિલેજ' તરીકે ખુબ જ જાણીતું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી ભુજ જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલો છે. દરબારગઢમાં આવેલા મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે. આ ચિત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન, કચ્છ સંગ્રહાલયમાં ભાવનગરના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સગવડ છે. અહીં મોઢેશ્વરી માતાનું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે.


