કમલાદેવી ચટ્ટોપાધ્યાય
કમલાદેવી ચટ્ટોપાધ્યાય | |
|---|---|
| જન્મની વિગત | ૩ એપ્રિલ ૧૯૦૩ |
| મૃત્યુ | ૨૯ ઓક્ટોબર ૧૯૮૮ (ઉંમર 85) બોમ્બે, મહારાષ્ટ્ર, ભારત |
| શિક્ષણ સંસ્થા | ક્વીન મેરી'ઝ કોલેજ (ચેન્નાઈ), બેડફોર્ડ કોલેજ (લંડન) |
| જીવનસાથી | ક્રિષ્ણા રાવ (લ. 1917–1919) હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (લ. 1923–1955) |
| સંતાનો | રામક્રિષ્ણા ચટ્ટોપાધ્યાય |
| પુરસ્કારો | રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૬) પદ્મભૂષણ પુરસ્કાર (૧૯૫૫) પદ્મવિભૂષણ (૧૯૮૭) |
કમલાદેવી ચટ્ટોપાધ્યાય ( ૩ એપ્રિલ ૧૯૦૩ – ૨૯ ઓક્ટોબર ૧૯૮૮) ભારતીય સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતીય હસ્તકલાના ક્ષેત્રમાં પુનરુત્થાન લાવનારા ગાંધીવાદી મહિલા હતા. તેઓ ભારતની સ્વતંત્રતા ચળવળમાં યોગદાન માટે તેમજ સ્વતંત્ર ભારતમાં હસ્તશિલ્પ, હાથસાળ તથા રંગમંચના પુનર્જાગરણ પાછળની પ્રેરણાશક્તિ માટે અને ભારતીય મહિલાઓના સામાજીક–આર્થિક ઉત્થાન માટે જાણીતા છે.
સંગીત નાટક અકાદમી, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, કેન્દ્રીય કુટિર ઉદ્યોગ એમ્પોરિયમ તથા ભારતીય શિલ્પ પરિષદ જેવી સંસ્થાઓની સ્થાપનામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. ૧૯૭૪માં તેમણે સંગીત નાટક અકદમી ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧] ૧૯૫૫ અને ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા અનુક્રમે પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જીવન પરિચય
[ફેરફાર કરો]પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]કમલાદેવીનો જન્મ ૩ એપ્રિલ ૧૯૦૩ના રોજ મેંગલોર ખાતે થયો હતો. તેમના પિતા અનંથૈયા ધારેશ્વર મેંગલોરના જિલ્લા કલેક્ટર હતા તથા તેમના માતા ગિરજાબાઇ તટીય કર્ણાટકના જમીનદાર ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધિત હતા. કમલાદેવી બાળપણથી જ એક અસાધારણ વિદ્યાર્થી હતા અને ખૂબ જ ઓછી ઉંમરે દૃઢ નિશ્ચય અને સાહસના ગુણો ધરાવતા હતા. તેમના માતાપિતાને મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, રામાબાઈ રાનડે, એની બેસન્ટ જેવા પ્રમુખ સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા બુદ્ધિજીવીઓ સાથે મિત્રતા હતી. જેથી યુવા કમલાબાઈ પ્રારંભથી જ રાષ્ટ્રવાદી આંદોલન માટે ઉત્સાહી હતા.
કમલાદેવીએ તેમના ગુરુ અભિનય નાટ્યરાજ પદ્મશ્રી મણીમાધવ ચાક્યાર પાસેથી પ્રાચીન સંસ્કૃત નાટ્યપરંપરા કેરળ કુટિયાત્તમની તાલીમ મેળવી હતી.[૨]
તેમના મોટા બહેન સગુણા કે જેમને તેઓ બાળપણથી જ આદર્શ માનતા હતા, કિશોર વયે જ મૃત્યુ પામ્યા. સાત વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. તેમના પિતાના અવસાન બાદ વારસાઈ હક-દસ્તાવેજના અભાવે તે સમયના સંપતિ કાનૂન હેઠળ તેમની વિપુલ સંપત્તિ તેમના સાવકા પુત્રને મળી તથા કમલાદેવીની માતાને નિર્વાહ માટે માસિક ભથ્થુ આપવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ ગિરજાબાઈએ માસિક વળતર ભથ્થા લેવાનો ઇન્કાર કરી જાત મહેનતથી બાળકોનો ઉછેરે કર્યો. ૧૯૧૭માં ૧૪ વર્ષની નાની ઉંમરમાં તેમના બાળવિવાહ કરવામાં આવ્યા તથા લગ્નના બે વર્ષ બાદ પતિનું અવસાન થતા વિધવા બન્યા.[૩]
દ્વિતીય વિવાહ
[ફેરફાર કરો]ક્વીન મેરી કોલેજ, ચેન્નાઈ ખાતેના તેમના અભ્યાસકાળ દરમિયાન તેઓ સરોજિની નાયડુના નાના બહેન તથા સાથી વિદ્યાર્થીની સુહાસિની ચટ્ટોપાધ્યાયના સંપર્કમાં આવ્યા. બાદમાં તેમની મુલાકાત સુહાસિનીના ભાઈ પ્રસિદ્ધ કવિ–નાટ્યકાર–અભિનેતા હરિન ચટ્ટોપાધ્યાય સાથે થઈ. કલા પ્રત્યેના તેમના સમાન રસરુચિના પરિણામે તત્કાલીન રુઢિવાદી સમાજના વિરોધ વચ્ચે તેમણે હરિન સાથે લગ્ન કર્યા.
જે સમયે ફિલ્મ-નાટકોમાં કામ કરવું સન્માનજનક પરિવારોની મહિલાઓ માટે અયોગ્ય ગણાતુ હતું ત્યારે તેમણે કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. તેમણે બે મૂક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જે પૈકી ૧૯૩૧માં રજૂ થયેલી કન્નડ ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મૂંગી ફિલ્મ મૃચ્છકટિકા મુખ્ય હતી. ૧૯૪૩માં તેમણે કે. એલ. સાયગલ સાથે તાનસેન નામની હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.[૪] આ ઉપરાંત શંકર-પાર્વતી (૧૯૪૩) તથા ધના ભગત (૧૯૪૫) તેમની જાણીતી ફિલ્મો છે.[૫] લાંબા લગ્નજીવન બાદ પરસ્પર સૌહાર્દપૂર્વક તેઓ એકબીજાથી અલગ થઈ ગયા.
લગ્નના થોડા સમય બાદ હરિન તેમની પહેલી વિદેશયાત્રા પર લંડન રવાના થયા. થોડા સમય બાદ કમલાદેવી પણ તેમની સાથે લંડન ચાલ્યા ગયા. અહીં તેમણે બેડફોર્ડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો તથા સમાજશાસ્રમાં ડિપ્લોમાની પદવી મેળવી.[૬]
સામાજીક કાર્યકર્તા
[ફેરફાર કરો]લંડન ખાતેના વસવાટ દરમિયાન કમલાદેવીને મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલન વિશે જાણકારી મળી. સામાજિક ઉત્થાનને ઉત્તેજન આપવા તથા ગાંધીવાદી સંગઠનોમાં પોતાના સક્રિય યોગદાન માટે તેઓ ભારત પાછા ફર્યા. ૧૯૨૬માં તેમની મુલાકાત અખિલ ભારતીય મહિલા સંમેલનના સહસંસ્થાપક માર્ગારેટ ઇ. કઝિન્સ સાથે થઈ. તેઓએ મદ્રાસ પ્રાંતીય વિધાનસભાના સભ્યપદ માટે પ્રેરીત કર્યા. પરિણામે તેઓ વિધાનસભામાં ઉમેદવારી નોંધાવનારા દેશના પ્રથમ મહિલા બન્યા. જોકે તેઓ આ ચૂંટણી ૫૫ મતની પાતળી સરસાઇથી હારી ગયા હતા.
પછીના વર્ષે તેઓએ અખિલ ભારતીય મહિલા સંમેલનની સ્થાપના કરી તથા સંમેલનના પ્રથમ આયોજન સચિવ તરીકે નિયુક્ત થયા. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલાક યુરોપીય દેશોનો પ્રવાસ કર્યો તથા સામાજીક સુધાર અને સામાજીક કલ્યાણની યોજનઓ કાર્યાન્વિત કરી. મહિલાઓ દ્વારા મહિલાઓ માટે જ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. લેડી ઇરવીન કોલેજ ફોર હોમ સાયન્સીઝ, દિલ્હી એ તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.
૧૯૩૦માં મહાત્મા ગાંધીની દાંડી કૂચ દરમિયાન મુંબઈના દરિયાકિનારે મીઠાના કાયદાનો ભંગ કરનાર સાત સદસ્યોની ટૂકડીના સભ્ય હતા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારત વિભાજન થતાં શરણાર્થીઓના પુનર્વસનમાં સક્રીય ભૂમિકા ભજવી. આ માટે તેમણે ભારતીય સહકારી સંઘની સ્થાપના કરી સંઘના માધ્યમથી શરણાર્થીઓના પુનર્વસન માટે ટાઉનશીપની યોજનાઓ બનાવી. સરકારી સહાયતા વિના જ દિલ્હીની બહાર ફરીદકોટ ખાતે ૫૦,૦૦૦ જેટલા શરણાર્થીઓના વસવાટ, રોજગાર તથા સ્વાસ્થ્ય સુવિધાઓ સ્થાપિત કરવામાં અથાગ યોગદાન આપ્યું. આઝાદી બાદના સમયમાં હસ્તશિલ્પ, હાથસાળ તથા રંગમંચના પુનર્જાગરણ પાછળની પ્રેરણાશક્તિ માટે અને ભારતીય મહિલાઓના સામાજીક–આર્થિક ઉત્થાન તેમને જવાબદાર માનવામાં આવે છે.[૭]
તેમણે ભારતીય કલા અને શિલ્પોના સંરક્ષણ માટે સંગ્રહાલયોની એક શૃંખલાની સ્થાપના કરી. કલા અને શિલ્પ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર માટે રાષ્ટ્રીય પુરસ્કારોની શરૂઆત કરી. ૧૯૬૪માં તેમણે બેંગલોર ખાતે નાટ્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કથક એન્ડ કોરીઓગ્રાફી (NIKC)ની શરૂઆત કરી. ઉપરાંત અખિલ ભારતીય હસ્તકલા મંડળની સ્થાપનામાં પણ અગત્યની ભૂમિકા ભજવી. તેઓ વિશ્વ શિલ્પ પરિષદના એશિયા પેસેફિક ક્ષેત્રના પ્રથમ અધ્યક્ષ પણ બન્યા.[૮] કમલાદેવીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના પણ કરી હતી. ૧૯૮૬માં તેમની આત્મકથા : ઇનર રીસેસ એન્ડ આઉટર સ્પેસીસ - મેમ્વાર પ્રકાશિત થઈ. ૨૯ ઓક્ટોબર ૧૯૮૮માં ૮૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.[૯]
પુરસ્કાર અને સન્માન
[ફેરફાર કરો]- ૧૯૫૫ અને ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા અનુક્રમે પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૦]
- સામુદાયિક નેતૃત્ત્વ માટે ૧૯૬૬માં રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
- ૧૯૭૪માં તેમણે સંગીત નાટક અકાદમી ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા.[૧૧]
- હસ્ત શિલ્પકળાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના યોગદાન બદલ ૧૯૭૭માં યુનેસ્કો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
- શાંતિનિકેતન દ્વારા તેમના સર્વોચ્ચ પુરસ્કાર દેસીકોટ્ટામાથી સન્માનિત કરવામાં આવ્યા.[૧૨]
- ૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમની ૧૧૫મી વર્ષગાંઠ પર ગુગલના હોમપેજ પર ડુગલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.[૧૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "SNA: List of Sangeet Natak Academy Ratna Puraskarwinners (Academy Fellows)". Official website. મૂળ માંથી 4 March 2016 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ Das Bhargavinilayam, Mani Madhaveeyam. 1999. p. 272. ISBN 81-86365-78-8. મૂળ માંથી 15 February 2008 પર સંગ્રહિત.
{{cite book}}: Check date values in:|archive-date=(મદદ);|work=ignored (મદદ) - ↑ "A Freedom Fighter With a Feminist Soul, This Woman's Contributions to Modern India Are Staggering!". The Better India. 3 April 2017. મૂળ સંગ્રહિત માંથી 7 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2017.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "International Film Festival of India". મૂળ સંગ્રહિત માંથી 21 July 2011 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2007.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ કમલાદેવી ચટ્ટોપાધ્યાય ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- ↑ "Kamaladevi Chattopadhyaya | Making Britain". www.open.ac.uk. મૂળ સંગ્રહિત માંથી 7 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2017.
{{cite news}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Kamaladevi Chattopadhyaya at IGNCA". મૂળ સંગ્રહિત માંથી 7 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 4 November 2007.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Kamala centenary, World Craft Council સંગ્રહિત ૨૬ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ વેબેક મશિન
- ↑ Bhatt, S. C.; Bhargava, Gopal K. (2006). Land and People of Indian States and Union Territories. Gyan Publishing House. p. 675. ISBN 9788178353722.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Ratna Sadsya સંગ્રહિત ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ વેબેક મશિન Sangeet Natak Akademi website.
- ↑ Reporter, Staff (21 April 2016). "A tribute to Kamaladevi Chattopadhyay". The Hindu (Indian Englishમાં). મૂળ સંગ્રહિત માંથી 7 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2017.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Kamaladevi Chattopadhyay's 115th Birthday - Google Doodle". મૂળ સંગ્રહિત માંથી 3 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 3 April 2018.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કમલાદેવી ચટ્ટોપાધ્યાય - સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર
- ગૂગલ બુક્સ પર કમલાદેવી ચટ્ટોપાધ્યાયનું સર્જન ગુગલ બુક્સ પર