તારાબાઈ

વિકિપીડિયામાંથી
તારાબાઈ
તારાબાઈ
પ્રખ્યાત મરાઠી ચિત્રકાર એમ. વી. ધુરંધર દ્વારા લડાઈ લડતાંતારાબાઈનું ચિત્રણ (૧૯૨૭)
જન્મ(1675-04-14)April 14, 1675
મૃત્યુ9 December 1761(1761-12-09) (ઉંમર 86)
સાતારા
જીવનસાથીરાજારામ છત્રપતિ
વંશજશિવાજી II
પિતાહમ્બીરાવ મોહિતે

તારાબાઈ ભોસલે (૧૪ એપ્રિલ ૧૬૭૫—૯ ડિસેમ્બર ૧૭૬૧[૧] ) એ ઇ.સ. ૧૭૦૦ થી ૧૭૦૮ દરમિયાન ભારતના મરાઠા સામ્રાજ્યના સંરક્ષક શાસક હતા. તે છત્રપતિ રાજારામ ભોસલેની રાણી, સામ્રાજ્યના સ્થાપક શિવાજીની પુત્રવધૂ અને શિવાજી દ્વિતીયની માતા હતા. તેઓ તેમના પતિના મૃત્યુ બાદ મરાઠા પ્રદેશો પર મુઘલ સામ્રાજ્ય દ્વારા કબજો જમાવવાના પ્રયાસો સામેના પ્રતિકારને જીવંત રાખવામાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. પુત્રની સગીર વય દરમિયાન તેમણે રાજ્યના સંરક્ષક શાસક રૂપે જવાબદારી સંભાળી હતી.

જીવન[ફેરફાર કરો]

તારાબાઈ પ્રખ્યાત મરાઠા સેનાપતિ હમ્બીરાવ મોહિતેના પુત્રી હતા તથા મોહિતે કુળમાંથી આવતા હતા[૨] તેઓ સોયરાબાઈની ભત્રીજી અને તેના પતિ રાજારામના પિતરાઈ હતા.

માર્ચ ૧૭૦૦માં રાજારામના મૃત્યુ પર, તારાબાઈએ તેમના નવજાત પુત્ર શિવાજી દ્વિતીયને રાજારામના અનુગામી તરીકે જાહેર કર્યો અને પોતાને કાર્યવાહક શાસક જાહેર કરી.[૩]

મરાઠા દળોના કમાન્ડર[ફેરફાર કરો]

કાર્યવાહક તરીકે, તેણે ઔરંગઝેબની સેનાઓ સામેના યુદ્ધનો હવાલો સંભાળ્યો. તારાબાઈ ઘોડેસવારીમાં કુશળ હતા અને યુદ્ધ દરમિયાન વ્યૂહરચના જાતે જ તૈયાર કરતાં. તેમણે વ્યક્તિગત રીતે યુદ્ધનું નેતૃત્વ કર્યું અને મોગલો સામેની લડત ચાલુ રાખી. મુગલોને મોકલવામાં આવેલ સંઘર્ષ વિરામ પ્રસ્તાવને મુગલ બાદશાહે તાત્કાલિક નકારી કાઢ્યો આથી તારાબાઈએ મરાઠા પ્રતિકાર ચાલુ રાખ્યો હતો. ૧૭૦૫ સુધીમાં, મરાઠાઓએ નર્મદા નદી પાર કરી અને માલવામાં નાના નાના આક્રમણ શરૂ કર્યા. ૧૭૦૭માં ઔરંગાબાદના ખુલ્દાબાદ ખાતે મુઘલ સમ્રાટ ઔરંગઝેબનું મૃત્યુ થતાં આ સંઘર્ષનો અંત આવ્યો.[૪]

ઇતિહાસકાર જાદુનાથ સરકારના મતાનુસાર ૧૭૦૦ થી ૧૭૦૭ના વર્ષોમાં મહારાષ્ટ્રમાં સર્વોચ્ચ માર્ગદર્શક બળ કોઈ મંત્રી નહિ પરંતુ રાણી તારાબાઈ મોહિતે હતા. તેમની પ્રશાસનિક પ્રતિભા અને વ્યક્તિગત ક્ષમતાએ રાજ્યને ભયાનક સંકટમાંથી ઉગાર્યું.[૫]

શાહુ સાથે યુદ્ધ[ફેરફાર કરો]

મરાઠા આક્રમણને વિભાજીત કરવા માટે, મોગલોએ સંભાજીના પુત્ર અને તારાબાઈના ભત્રીજા શાહુજીને અમુક શરતો પર મુક્ત કર્યા. શાહુજીએ તરત જ મરાઠા સામ્રાજ્યના રાજનૈતિક નેતૃત્વ માટે તારાબાઈ અને શિવાજી દ્વિતીયને પડકાર્યા. આખરે શાહુ તેની કાયદેસરની સ્થિતિને કારણે તથા પેશ્વા બાલાજી વિશ્વનાથની મુત્સદ્દીગીરીને પરિણામે તારાબાઈને પદચ્યુત કરવામાં સફળ રહ્યા. તેમણે ૧૭૦૯માં કોલ્હાપુરમાં પ્રતિદ્વંધી શાસનની સ્થાપના કરી પરંતુ રાજારામની બીજી વિધવા, રાજસાબાઇ દ્વારા તેમને પદભ્રષ્ટ કરી પોતાના પુત્ર સંભાજી દ્વિતીયને ગાદી પર બેસાડ્યા. તારાબાઈ અને તેના પુત્રને સંભાજી દ્વિતીય દ્વારા કેદ કરવામાં આવ્યા હતા. શિવાજી દ્વિતીયનું ૧૭૨૬માં અવસાન થયું. ત્યારબાદ તારાબાઈએ ૧૭૩૦માં છત્રપતિ શાહુ સાથે સમાધાન કર્યું અને કોઈ રાજકીય ઇચ્છાશક્તિ વિના સાતારામાં રહેવા ગયા ચાલ્યા ગયા.[૬]

પેશ્વા બાલાજી બાજીરાવ સાથે સંઘર્ષ[ફેરફાર કરો]

૧૭૪૦ના દાયકામાં, શાહુના જીવનના છેલ્લા વર્ષો દરમિયાન, તારાબાઈ તેમની પાસે એક બાળક રાજારામ દ્વિતીયને (જેને રામરાજા તરીકે પણ ઓળખવામાં આવે છે) લાવ્યા. તેણે બાળકને તેના પૌત્ર અને શિવાજીના વંશજ તરીકે રજૂ કર્યો, તેણે દાવો કર્યો હતો કે તેની રક્ષા માટે તેના જન્મ પછી તેને છુપાવવામાં આવ્યો હતો અને રાજપૂત સૈનિકની પત્નીએ ઉછેર્યો હતો. [૭] શાહુને પુત્ર ન હોવાથી આ બાળકને તેના દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.

૧૭૪૯માં શાહુના મૃત્યુ પછી, રાજારામ દ્વિતીયએ છત્રપતિ તરીકે સફળતા પ્રાપ્ત કરી. જ્યારે પેશ્વા બાલાજી બાજી રાવ મોગલ સરહદ તરફ રવાના થયા ત્યારે તારાબાઈએ બાલાજી રાવને પેશ્વા પદ પરથી દૂર કરવા રાજારામ દ્વિતીયને વિનંતી કરી. રાજારામે તેમની આ માંગણી અસ્વીકાર કરતાં તારાબાઈએ ૨૪ નવેમ્બર ૧૭૫૦ના રોજ રાજારામ દ્વિતીયને સાતારા ખાતેની અંધારકોટડીમાં કેદ કરી દીધા. તેણે દાવો કર્યો હતો કે રાજારમ ગોંડલી જાતિનો ઢોંગી છે અને તેણે ખોટી રીતે તેને શાહુના પૌત્ર તરીકે રજૂ કર્યો હતો. તારાબાઈએ અન્ય પ્રધાનો, જેવા કે પ્રતિનિધિ અને પંત સચિવને પેશ્વા સામે બળવો કરવા વિનંતી કરી, પરંતુ તેઓએ તેને મદદ કરવાનો ઇન્કાર કર્યો. તેણીએ નિઝામ સલાબત જંગની સેવામાં રહેતા બ્રાહ્મણ રામદાસને પેશ્વાપદ આપવાના પ્રસ્તાવ સાથે મદદ માંગણી કરી. જો કે, નિઝામની પેશ્વા સાથેની સંધિએ તેમને સતારામાં સૈન્યબળ મોકલવાથી રોક્યા.[૮]

આ પહેલા, ઓક્ટોબર ૧૭૫૦માં, તારાબાઈએ ઉમાબાઈ દાભાડે સાથે મુલાકાત કરી હતી. ઉમાબાઈને પેશ્વા સાથે ખટરાગ હતો આથી તેણે તારાબાઇના સમર્થનમાં દમાજી રાવ ગાયકવાડની આગેવાની હેઠળ ૧૫,૦૦૦ સૈનિકો રવાના કર્યા. ગાયકવાડે સાતારાની ઉત્તરે આવેલા નાનકડા શહેર નિમ્બ ખાતે પેશ્વાના વફાદાર ત્રિમ્બકરાવ પુરંદરેની આગેવાની હેઠળના ૨૦,૦૦૦ સૈનિકોના મજબૂત સૈન્યને હરાવ્યું. ત્યારબાદ તે સતારા પરત ફર્યા, જ્યાં તારાબાઈ દ્વારા તેમનું સ્વાગત કરાયું. જોકે, ત્રિમ્બકરાવે ફરીથી તેમની સેના બનાવી અને ૧૫ માર્ચના રોજ વેન્ના નદીના કાંઠે પડાવ નાંખેલી ગાયકવાડની સેના પર હુમલો કર્યો. આ યુદ્ધમાં ગાયકવાડનો પરાજય થયો અને ભારે નુકસાન સાથે પીછેહઠ કરવાની ફરજ પડી. [૮]

તે દરમિયાન, પેશ્વા મોગલ સીમાથી પરત ફર્યો, ૨૪ એપ્રિલના રોજ સાતારા પહોંચ્યો. તેણે તારાબાઇની સેનાઓને પરાજિત કરી સાતારા કિલ્લો ઘેરી લીધો, અને તારાબાઈને છત્રપતિ રાજારામ દ્વિતીયને મુક્ત કરવા કહ્યું. તારાબાઈએ ઇન્કાર કર્યો તથા મજબૂત સાતારા કિલ્લાને ઘેરી લેવો સરળ ન હોવાથી પેશ્વા પૂના જવા રવાના થયા. દરમિયાન, દામાજી ગાયકવાડ, ઉમાબાઇ દાભાડે અને તેમના સંબંધીઓની પેશવાના શખ્સોએ ધરપકડ કરી હતી.[૮]

તારાબાઈના સતાધાર રક્ષકદળના એક ભાગે તેની સામે બળવો કર્યો. તેણે બળવાખોરોના નેતા આનંદરાવ જાધવનો શિરચ્છેદ કર્યો અને બળવો દબાવી દીધો. દરમિયાન તેણીને સમજાયું કે તે પેશ્વા સામે લડી શકશે નહીં, આથી શાંતિ સમજૂતી માટે પુણેમાં પેશ્વાને મળવા સંમત થઈ. પેશવાના હરીફ જાનોજી ભોંસલે સશસ્ત્ર સૈન્ય સાથે પૂણેના પડોશમાં હતા અને તે તારાબાઈને કોઈપણ નુકસાનથી બચાવવા સંમત થયા હતા. પૂણેમાં પેશ્વાએ તેની સાથે આદરપૂર્વક વર્તન કર્યું અને થોડીક અનિચ્છા પછી, તારાબાઈએ પેશ્વાની શ્રેષ્ઠતા સ્વીકારી. તે તેમના લેફ્ટનન્ટ બાબુરાવ જાધવને બરતરફ કરવા સંમત થઈ, જેને પેશ્વા નાપસંદ કરતા હતા. બદલામાં પેશ્વાએ તેને માફ કરી દીધી. ૧૪ સપ્ટેમ્બર ૧૭૫૨ના રોજ બંનેએ પરસ્પર શાંતિના વચન આપીને જેજુરીના ખંડોબા મંદિરમાં શપથ લીધા. આ શપથ સમારોહમાં, તારાબાઈએ એમ પણ શપથ લીધા કે રાજારામ દ્વિતીય તેનો પૌત્ર નથી, પરંતુ ગોંડલી જાતિનો ઢોંગી છે.[૮] તેમ છતાં, પેશ્વાએ રાજારામ દ્વિતીયને નામમાત્રના છત્રપતિ તરીકે જાળવી રાખ્યો.[૯]

પ્રચલિત માધ્યમોમાં[ફેરફાર કરો]

પેશવા બાજીરાવમાં પલ્લવી જોશીએ તારાબાઇની ભૂમિકા નિભાવી હતી.[૧૦]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jadhav, Bhagyashree M (1998). "Ch. 5 - His Contribution to Maratha History". Dr. Appasaheb Pawar a study of his life and career. Shivaji University. પૃષ્ઠ 224.
  2. Pati, Biswamoy (editor); Guha, Sumit; Chatterjee, Indrani (2000). Issues in modern Indian history : for Sumit Sarkar. Mumbai: Popular Prakashan. પૃષ્ઠ 30. ISBN 9788171546589.CS1 maint: extra text: authors list (link)
  3. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 201. ISBN 978-9-38060-734-4.
  4. Eaton, Richard M. (2005). A Social History of the Deccan, 1300–1761: Eight Indian Lives, Volume 1. Cambridge, England: Cambridge University Press. પૃષ્ઠ 177–203. ISBN 0-521-25484-1.
  5. Life and letters under the Mughals, Pran Nath Chopra, p.122
  6. Sumit Sarkar (2000). Issues in Modern Indian History: For Sumit Sarkar. Popular Prakashan. પૃષ્ઠ 30. ISBN 978-81-7154-658-9.
  7. Biswamoy Pati, સંપાદક (2000). Issues in Modern Indian History. Popular. પૃષ્ઠ 30. ISBN 9788171546589.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ Charles Augustus Kincaid and Dattatray Balwant Parasnis (1918). A History of the Maratha People Volume 3. Oxford University Press. પૃષ્ઠ 2–10.CS1 maint: uses authors parameter (link)
  9. Biswamoy Pati, સંપાદક (2000). Issues in Modern Indian History. Popular. પૃષ્ઠ 30. ISBN 9788171546589.
  10. "Peshwa Bajirao Review: Anuja Sathe shines as Radhabai in the period drama", India Today, 25 January 2017, http://indiatoday.intoday.in/story/peshwa-bajirao-review-anuja-sathe-shines-as-radha-bai-in-the-period-drama-lifetv/1/866331.html