તિરુનેલવેલી

વિકિપીડિયામાંથી
Tirunelveli
திருநெல்வேலி
—  Municipal Corporation  —
Paddy Fields around Tirunelveli-Palayamkottai area
Paddy Fields around Tirunelveli-Palayamkottai area
Tirunelveliનું
તમિલનાડુ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 8°44′N 77°42′E / 8.73°N 77.7°E / 8.73; 77.7
દેશ ભારત
રાજ્ય તમિલનાડુ
જિલ્લો Tirunelveli
Mayor Mr. A.L.Subramanian B.Sc, B.L
વસ્તી

• ગીચતા

Expression error: Unexpected number. (2010)

• 3,781/km2 (9,793/sq mi)

અધિકૃત ભાષા(ઓ) તમિલ[૨]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

108.65 square kilometres (41.95 sq mi)

• 47 metres (154 ft)

કોડ
વેબસાઇટ tirunelvelicorp.tn.gov.in

તિરુનેલવેલી(તમિળ: திருநெல்வேலி), નેલ્લાઇ(તમિળ: நெல்லை) તરીકે પણ ઓળખાય છે. તે ભારતના તામિલનાડુનું ચેન્નાઈ, મદુરાઈ, કોઇમ્બતોર, ત્રિચી અને સાલેમ બાદનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શહેર છે. અને તિરુનેલવેલી જિલ્લોનું મુખ્યમથક છે. તિરુનેલવેલી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું પૌરાણિક શહેર છે તથા તેમાં તમિલનાડુનાં સૌથી વિશાળ શિવ મંદિર – નેલ્લાઇઅપ્પાર મંદિર સહિત ઘણાં મંદિરો અને મસ્જિદો આવેલા છે.આ શહેર ભારતીય ઉપખંડનાં સૌથી જુના શહેર પૈકીનું એક મનાય છે તથા તેનો ઇતિહાસ 1,000 બી.સી. સુધી લંબાયેલો છે. બારેમાસ વહ્યાં કરતી થમિરાબરની નદીની પશ્ચિમ બાજુએ આ શહેર વસેલું છે, જ્યારે નદીની પૂર્વ બાજુએ તિરુનેલવેલીનું જોડકું શહેર પલયમકોટ્ટાઇ વસેલું છે. આ શહેર તેની નામાંકિત સંસ્થાઓને લીધે પ્રસિદ્ધ છે અને તેથી જ પલયમકોટ્ટાઈ “દક્ષિણ ભારતનાં ઓક્સફર્ડ” તરીકે ઓળખાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

નદીના પટ પર આવેલા પ્રાચીન મંદિરો

1840થી, શહેરની ભાગોળે આદિચનાલ્લુર (જે હવે તુતીકોરન જિલ્લામાં છે)માં ચાલી રહેલા પૂરાતત્વીય ઉત્ખનનનાં તારણોમાં મળેલા પુરાવા અનુસાર તિરુનેલવેલી પૌરાણિક શહેર છે. આ સ્થળ પરથી પુરાતત્વશાસ્ત્રીઓને એક પાત્ર મળી આવ્યું છે, જે 500 બી.સી.ના સમયગાળાનું હોઇ શકે છે,[૧] તેમાં એક માનવ ખોપરી તથા માટીના વાસણો મળ્યા હતા, જેના પર પ્રારંભિક સ્વરૂપની તામિલ બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. આ જ જિલ્લામાંથી આ પ્રકારનાં બીજાં પૌરાણિક પાત્ર પણ મળી આવ્યા છે જેમાં વયસ્ક લોકોને દફન કરવામાં આવતા હતા.[૨]હાડપિંજર ઉપરાંત છોતરાં, ચોખાના દાણાં, શેકેલાં ચોખાં તથા ફરસી જેવી ધાર વાળું પૌરાણિક ઓજાર પણ મળી આવ્યું છે.[૩]

આ સ્થળે તાજેતરમાં કરાયેલા વધુ ઉત્ખનનને પરિણામે લોહ યુગનાં લોકોનાં વસવાટનું સ્થળ મળ્યું છે. પુરાતત્વવિદોના મત અનુસાર આ સ્થળ ઉત્તર પાષાણ યુગથી આશરે 3,000-3,800 વર્ષ જૂનું છે. [૪][૫] આના પરથી આપણને ખાતરી થાય કે તિરુનેલવેલી 3,000 વર્ષ અથવા વધુ સમયથી માનવ વસવાટનું સ્થળ છે. હવે, વધુ ઉત્ખનન તથા અભ્યાસ માટે આદિચનાલ્લુરને પુરાતત્વીય સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.[૬][૭]

પોથીગઇ મલઈ (પર્વત), કે જે અગસ્થિયાર મલઇ તરીકે પણ જાણીતો છે, દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટનાં દક્ષિણી હિસ્સામાં આવેલા અન્નામલાઇ પર્વતના અશામ્બુ હિલ્સનો એક હિસ્સો છે, જે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલો છે. દંતકથા પ્રમાણે, ઋષિ અગત્સ્યએ (જેમને અગસ્થ્યાર અથવા અગથિયાર પણ લખવામાં આવે છે) અહીં તમિલ ભાષાની રચના કરી હતી. 1,866 મીટરની ઉંચાઇ ધરાવતો પોથીગઇ મલઇ અશામ્બુ હિલ્સનો સૌથી ઊંચો પર્વત છે. અશામ્બુ હિલ્સ પર જે જૈવિક વિવિધ્ય જોવા મળે છે તે પશ્ચિમ ઘાટ પરની સૌથી સમૃદ્ધ જૈવિક વિવિધતા પૈકીની એક છે. આ વિસ્તાર આકર્ષક નજારો, સુંદર જંગલો અને પાણીના ધોધ, પૌરાણિક મંદિરો અને આ પ્રદેશની જીવાદોરી થમિરાબરની નદી માટે જાણીતો છે. મહાભારતમાં જણાવવામાં આવ્યા અનુસાર[૮], ભગવાન શિવે સંસ્કૃત તથા તમિલ જેવી દિવ્ય ભાષાઓની રચના કરવા માટે બે સંતો વ્યાસ તથા અગસ્ત્યને મોકલ્યાં હતા. ભગવાન મુરુગને ઋષિ અગથિયારને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. ભગવાન મુરુગનની સૂચના પ્રમાણે ઋષિ અગથિયારે તમિલ ભાષાની રચના કરી. અગથિયાર પોથીગિ આવ્યા અને તમિલ સંસ્કૃતિની સ્થાપના કરી. તિરુનેલવેલી જિલ્લામાં બોલાતી તમિલ ભાષા અત્યંત શુદ્ધ મનાય છે. વૈજ્ઞાનિક સંશોધન માટેનું સિધર જ્ઞાન કૂડમ કેન્દ્ર સ્થાપ્યા બાદ અને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વિશ્વભરમાં ફરીને ફેલાવો કર્યા બાદ, અગથિયાર પોથીગઇ હિલ્સનાં દશિના મેરુ તરીકે ઓળખાતાં સ્થળે પરત આવ્યા, જ્યાં તેઓ બ્રહ્માંડમાં વિલિન થઇ ગયા. આ સ્થળે તેમનું એક મંદિર બનાવવામાં આવ્યું છે, જે તમિરબરની નદીના કિનારે પાપનાશમ ધોધની નજીક આવેલું છે. એવું કહેવાય છે કે નિષ્ઠાવાન અભિલાષીઓ તથા ભક્તોને સંત અગથિયાર અવારનવાર દર્શન આપે છે. તિરુનેલવેલીનાં ઇતિહાસનું બિશપ રોબર્ટ કોલ્ડવેલે વ્યાપક સંશોધન કર્યું હતું.[૯](19મી સદીમાં ખ્રિસ્તી મંડળીઓએ તિન્નેવેલીમાં શિક્ષણના વિકાસ તથા ધાર્મિક પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.[૧૦][૧૧])

જાણીતા ઇતિહાસમાં જણાવવામાં આવ્યા પ્રમાણે તિરુનેલવેલી પાંડ્ય રાજાઓનાં વર્ચસ્વ હેઠળ હતું,[૧૨] અને આ શહેર તેમની બીજી રાજધાની હતી જ્યારે મદુરાઇ તેમની મુખ્ય રાજધાની હતી. ચોલ સામ્રાજ્ય (900-1200) તથા વિજયનગરસામ્રાજ્યનું આ મુખ્ય વાણિજ્યિક શહેર હતું.[૧૩] આર્કોટ નવાબ તથા નાયકોના સમયગાળામાં આ શહેર મુખ્ય વાણિજ્યિક નગર હતું. આ લોકોનો તામિલનાડુના વિવિધ શાસક રાજવંશ પૈકી સમાવેશ થતો હતો. વાસ્તવમાં, તેમણે આ શહેરનું ‘‘નેલ્લાઇ ચીમઇ’’ નામ પાડ્યું હતું, જેમાં ચીમઇનો અર્થ વિકસિત પરદેશી નગર એવો થાય છે.[૧૪] 1781માં, નાયકોએ પોતાની આવકો તથા સ્થાનિક વહીવટ બ્રિટીશરોને આપી દીધો હતો. 1801માં, આ શહેર બ્રિટીશરો સાથે જોડાઇ ગયું હતું, જેમણે ભારતને 1947માં સ્વતંત્રતા મળી ત્યાં સુધી આ શહેર ઉપર શાસન કર્યું.

1801માં, આર્કોટના નવાબ પાસેથી હસ્તાંતરણ વખતે, બ્રિટીશરોએ આ શહેરનું નામ અંગ્રેજી સ્વરૂપમાં ઢાળીને તિન્નેવેલી કર્યું અને તેને તિરુનેલવેલી જિલ્લાનું મુખ્ય મથક બનાવ્યું. પલયકારોની વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન, બ્રિટીશરોનું વહીવટી અને લશ્કરી મુખ્ય મથક પલયમકોટ્ટાઇ (જેનું નામ પણ અંગ્રેજી સ્વરૂપમાં ઢાળીને પલનકોટ્ટાહ કરવામાં આવ્યું હતું.)માં હોવા છતાં આમ બન્યું હતું. સ્વતંત્રતા બાદ, બન્ને નગરોના નામનું અંગ્રેજી સ્વરૂપ બદલીને પાછાં મૂળ નામ રાખવામાં આવ્યા અને આ બન્ને શહેરો જોડિયાં શહેર તરીકે વિકસ્યાં. આ શહેરની ઐતિહાસિક ધરોહરોમાં સ્વામી નેલ્લાઇઅપ્પાર મંદિર તથા શ્રી કાંદિમથી અમ્બલના મંદિરનો સમાવેશ થાય છે, આ બન્ને પૌરાણિક મંદિરો છે. આ સ્થળે એશિયાનો બીજા ક્રમનો સૌથી મોટો દ્વિ-સ્તરીય બ્રિજ – તિરુવલ્લુવર બ્રિજ પણ છે, જે તિરુનેલવેલી નગર અને જંક્શનને જોડે છે. દર વર્ષે તમિલ માસ ઔડીમાં નેલ્લાઇઅપ્પાર મંદિર રથ ઉત્સવ યોજાય છે. નેલ્લાઇઅપ્પાર રથ તમિલનાડુમાં તિરુવરૂર અને શ્રીવિલ્લીપુત્તુર પછીનું ત્રીજા ક્રમનું સૌથી વિશાળ રથરૂપી મંદિર છે. થરુકલ્યાણમ, કાર્થિગઇ, આરુથરા ઉત્સવ વગેરે જેવા મહત્વના તહેવારો દરમિયાન'સુવર્ણ મંદિર રથ' (નેલ્લાઇઅપ્પાર મંદિર સુવર્ણ રથની સૌપ્રથમ પ્રારંભિક સફર 2 નવેમ્બર, 2009ના રોજ યોજાઇ હતી) ફેરવવામાં આવે છે. નેલ્લાઇઅપ્પાર (શિવ) સન્નાધિની સામે સ્વામી સન્નધિ સ્ટ્રીટ છે. ગાંધીમથી અમ્માન (પાર્વતી) સામે અમ્માન સન્નાધિ સ્ટ્રીટ છે. યાહૂ (yahoo) તમિલ ચેટ રૂમનાં સ્થાપક આ સ્ટ્રીટનાં જ છે.

સિટીસ્કેપ[ફેરફાર કરો]

Panoramic view of Tirunelveli as viewed from the Palayamkottai bank of river Thamirabarani. Sulochana Mudaliar bridge, the 12-arch link between both cities, is on the far right of this Diwali 2009 image.

વ્યુત્પત્તિશાસ્ત્ર[ફેરફાર કરો]

તિરુનેલવેલીને નેલ્લાઇ પણ કહેવામાં આવે છે. તમિલમાં ડાંગર (ચોખાના ખેતરો) નો અનુવાદ ‘નેલ’ એવો થાય છે. તિરુનેલ વેલી અને નેલ્લા ઇ, બન્ને નામ સીધા જ ચોખાંના ખેતરો સાથે જોડાયેલા છે. સેટેલાઇટની તસવીરોમાં પણ, આ શહેર બારેમાસ વહ્યાં કરતી ‘તમિરબરની’ નદીનાં જળ વડે સમૃદ્ધ થયેલા ડાંગરના ફળદ્રુપ ખેતરો વડે ઘેરાયેલું જોઇ શકાય છે.[૧૫] આ નદીની નહેરોનું માળખું તથા જળમાર્ગો વિસ્તૃત છે જે અસંખ્ય ચોખાનાં ખેતરોને સિંચાઇ પૂરી પાડે છે તથા આ જિલ્લાની આસપાસના ગામોને આધાર પૂરો પાડે છે, જેઓ મુખ્યત્વે ચોખાની ખેતી ઉપર નિર્ભર છે. જિલ્લો વરસાદી પાણી ઉપર પણ ભારે નિર્ભરતા ધરાવે છે.

તિરુનેલવેલીના વ્યૂત્પત્તિશાસ્ત્રને પૌરાણિક સમય સાથે પણ સંબંધ છે. એવું કહેવાય છે કે એક ભક્તને સ્વપ્નમાં ભગવાને તમિરબરની નદીની નજીક પોતાના કુટુંબ સાથે સ્થાયી થવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રદેશમાં લાંબા સમય સુધી દુષ્કાળ પડ્યો હતો અને આ ભક્તે અન્ય લોકો પાસેથી ભિક્ષા માંગીને ડાંગર એકત્ર કર્યાં હતા. આ ભક્તે ડાંગરને સૂર્યપ્રકાશમાં સૂકાવા માટે જમીન ઉપર વેરી દીધા અને ધાર્મિક સ્નાનવિધિ માટે નદીમાં ગયો. ત્યારપછી તે ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરતો રહ્યો. અચાનક, વાદળોના ગડગડાટ સાથે વરસાદી પવન ફુંકાવા લાગ્યો અને ભારે વરસાદ પડ્યો. પોતાની પ્રાર્થના સ્વીકારાઇ ગઇ હોવા છતાં, તેને જમીન પર સૂર્યપ્રકાશમાં સૂકાવા માટે વેરેલી પોતાની ડાંગરની ચિંતા થઇ આવી. તેથી તેણે ડાંગર એકઠી કરી લેવા દોટ મૂકી પણ ત્યાં પહોંચી તેણે જે જોયું તે ચમત્કારથી ઓછું નહોતું. જમીન ઉપર સૂકાવા માટે વેરેલી ડાંગર ઉપર વરસાદનું એક ટીપું પણ પડ્યું નહોતું. ત્યારથી લઇને, આ શહેર તિરુનેલવેલી કહેવાય છે—‘તિરુ’નો અર્થ થાય છે સન્માનપાત્ર, ‘નેલ’નો અર્થ થાય છે ડાંગર, અને ‘વેલી’નો અર્થ થાય છે રક્ષણાત્મક વાડ. અન્ય શબ્દોમાં કહીએ તો, આ શહેરના વ્યૂત્પત્તિશાસ્ત્ર પ્રમાણે ચોખાના ખેતરોનો આ શહેરની સાથેનો સંબંધ રક્ષણાત્મક વાડની જેવો છે. હલવા સિટી એ તિરુનેલવેલીનું આધુનિક સમયનું ઉપનામ છે. હલવા તરીકે ઓળખાતી ઘઉં આધારિત ગળચટ્ટી વાનગીએ આ શહેરને દક્ષિણ ભારતીય રાજ્યોમાં જાણીતું બનાવી દીધું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

તિરુનેલવેલી,8°44′N 77°42′E / 8.73°N 77.7°E / 8.73; 77.7[૧૬] સમુદ્ર સપાટીની સરખામણીએ 47 મીટર (154 ફીટ) ની ઉંચાઇએ આવેલું છે. આ પ્રદેશ ડેક્કન ઉચ્ચપ્રદેશની દક્ષિણની ટોચે વસેલો છે. તિરુનેલવેલી ઉત્તર અને દક્ષિણ ભારતને (કાશ્મીરથી કન્યાકુમારી) જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 7 ઉપરનું મહત્વનું મથક છે. તેની નજીકનાં મહત્વના નગરો પૈકી, ઉત્તરે ગંગાઇકોન્દન, પૂર્વમાં તુતીકોરન, પશ્ચિમમાં એલનગુલમ, દક્ષિણપશ્ચિમે કલક્કડ અને દક્ષિણમાં નંગુનેરી છે. તિરુનેલવેલીની પશ્ચિમે કેરળ રાજ્ય, મન્નારનો અખાત તથા વિરુધુનગર, થુથુકુડી તથા કન્યાકુમારી જિલ્લા આવેલા છે. name="http://www.નેલ્લાઇ.tn.nic.in/general.html#ori_dist">http://www.નેલ્લાઇ.tn.nic.in/general.html[હંમેશ માટે મૃત કડી]#ori_dist</ref> તમિરપરની નદી શહેરને તિરુનેલવેલી પ્રદેશ અને પલયમકોટ્ટાઇ વિસ્તારને વિભાજિત કરે છે. આ શહેરમાં આવેલા મુખ્ય તળાવોમાં નૈનાર તળાવ તથા ઉદયાપેટ્ટી તળાવનો સમાવેશ થાય છે. શિવલાઇ નામના સ્થળે ત્રણ નદીઓ (ચૈતારુ, થમિરાબરની અને કોથાંદારામા નદી) ભેગી થાય છે, અને આ પ્રદેશને અત્યંત ફળદ્રુપ બનાવે છે. આ સ્થળથી સૌથી નજીકનું નગર અલનગેરાપેરી છે.

આબોહવા[ફેરફાર કરો]

અગસ્થિયામલાઇની પર્વતમાળા તિરુનેલવેલીને નૈઋત્યના ચોમાસાથી છૂટું પાડે છે અને વર્ષાવિમુખ ક્ષેત્ર વિસ્તાર રચે છે.

તિરુનેલવેલીનું વાતાવરણ સામાન્યરીતે ઉષ્ણકટિબંધનું – ગરમ અને ભેજવાળું રહે છે.[૧૭] .ઊનાળા દરમિયાન (માર્ચથી જૂન) સરેરાશ તાપમાન 23 થી 36 અંશ સેલ્શિયસ અને બાકીના સમગ્ર વર્ષ દરમિયાન 18 થી 30 અંશ સેલ્શિયસ જેટલું રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ 680 મિલીમીટર વરસાદ પડે છે, આ પૈકીનો મોટાભાગનો વરસાદ ઉત્તરપૂર્વીય ચોમાસાં (ઓક્ટોબર-ડિસેમ્બર) દરમિયાન પડે છે. આ જિલ્લાની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી આધારિત હોવાથી, વરસાદી પાણીમાં વધઘટ અથવા થમિરબરની નદીમાં પૂરની પરિસ્થિતિથી આ વિસ્તારની આજીવિકા ઉપર ત્વરિત અસર થાય છે. આ પ્રદેશના ઇતિહાસમાં એક પણ ભૂકંપ નોંધાયો નથી. જો કે, વરસાદને કારણે પૂર તથા ચક્રવાતનાં કેટલાક દાખલા બનેલા છે.

વસ્તી-વિષયક માહિતી[ફેરફાર કરો]

૨૦૦૧ મુજબ ભારતની વસતી ગણતરી અનુસાર તિરુનેલવેલીની વસતી 4,11,298ની હતી.[૧૮] વસતીમાં પુરૂષોનો હિસ્સો 49 ટકા અને સ્ત્રીઓનો હિસ્સો 51 ટકા હતો. આ શહેરનો સાક્ષરતાનો સરેરાશ દર 78 ટકા છે, જે 59.5 ટકાની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ વધારે છેઃ પુરૂષોનો સાક્ષરતા દર 83 ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 73 ટકા છે. તિરુનેલવેલીમાં, વસતીનો 6 ટકા હિસ્સો 6 વર્ષથી ઓછી વયના બાળકોનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પૈકી, તિરુનેલવેલીની સ્ત્રીઓનો ઊંચો ગુણોત્તર ધરાવતા નગર તરીકે ગણના થાય છે, કેમકે આ શહેરમાં પ્રત્યેક 1000 પુરૂષ સામે સ્ત્રીઓની સંખ્યા 1,024 છે.[૧૯] આ નગરનો અર્બન અગ્લોમરેશનનો વિકાસ દર 20.22 ટકાનો છે. [૨૦]આ શહેર 128.65 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ શહેરની વસતી ગીચતા 2001માં વધીને પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 3,781 વ્યક્તિની થઇ છે, જે 1971માં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 2,218 હતી. 2001ની વસતી ગણતરી પ્રમાણે, આ શહેરના અસક્ષમ લોકોની સંખ્યા 13,08,246 હતી, જે પૈકી 6,45,142 પુરૂષો અને 6,63,104 સ્ત્રીઓ હતી. શહેરની વસતીમાં હિંદુઓનું પ્રમાણ સૌથી વધુ છે. ત્યારપછી અનુક્રમે મુસ્લિમ અને ખ્રિસ્તીઓ આવે છે. શહેરમાં મુખ્યત્વે તમિલ ભાષા બોલવામાં આવે છે. અંગ્રેજીનો વપરાશ પણ એટલો જ સામાન્ય છે. ઓફિસોમાં મોટાભાગના કામકાજ અને મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતરનું માધ્યમ અંગ્રેજી છે. આ પ્રદેશમાં બોલાતી તમિલનાં ઉચ્ચારણો અત્યંત સ્પષ્ટ છે અને તે સમગ્ર તમિલનાડુમાં લોકપ્રિય છે.

અંદાજિત વસતી

વર્ષ વસ્તી પ્રકાર સ્ત્રોત
1991 345,772 વસ્તી ગણતરી સત્તાવાર
2001 431,603 વસ્તી ગણતરી સત્તાવાર
2009 431,603 597,979 [૨૧]
ક્રમ ડોમેન વસતી ક્રમ યુએમાં ક્રમ સ્ત્રોત
1 વિશ્વ લાગુ પડતું નથી લાગુ પડતું નથી લાગુ પડતું નથી
2 એશિયા 440 400 [૨૨][૨૩]
3 ભારત 89 87 [૨૪][૨૫]
4 તામિલનાડુ 7 [૨૬][૨૭]

અર્થતંત્ર[ફેરફાર કરો]

તિરુનેલવેલી જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતીવાડી ઉપર નિર્ભર છે અને લોકો મગફળી, કઠોળ, આદુ, નારિયેળ, મરચાં, ગળી અને કપાસ જેવા તેજાનાં અને મીઠાં મસાલાં (દાખલા તરીકે કમ્બુ અને રેગી) ની ખેતી સાથે જોડાયેલા છે. આ પ્રદેશ ચૂનાનાં પત્થરો, ગંધક અને લિમોનાઇટ-ગાર્નેટ યુક્ત રેતી જેવી ખનિજ સંપત્તિ વડે સમૃદ્ધ છે. [૨૮] તિરુનેલવેલી શહેરના વિસ્તારમાં [૩][હંમેશ માટે મૃત કડી] સિમેન્ટ ફેક્ટરીઓ, સ્ટીલ પ્રોડક્ટ્સ, કોટન ટેક્સટાઇલ મિલો, સ્પિનીંગ અને વિવીંગ મિલો, બિડી (તમાકું)ની કંપનીઓ જેવા અન્ય કેટલાક ઉદ્યોગો છે. આ પ્રદેશમાં નેલ્લાઇ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (નેલ્સિયા)ના ટેકાથી ચાલતા નાના કદનાં ઉદ્યોગો પણ સક્રિય છે. અહીં ચામડું પકવવાનાં નાના કદનાં ઉદ્યોગો પણ મળી આવે છે. આ ઉદ્યોગો ઉપરાંત, અહીંના ઔદ્યોગિક વિસ્તારમાં ઇંટો તથા ઓઇલ મિલોનાં કેટલાક નાના કદનાં એકમો પણ પ્રવર્તે છે. તિરુનેલવેલી શહેરમાં મધ્યમ વર્ગની વસતી પૈકીના મોટાભાગના સરકારી નોકરિયાત, શિક્ષક, અધ્યાપક અથવા તો શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરનારા લોકો છે. આ શહેરનું જીવન જીવવાનો ખર્ચ તમિલનાડુના અન્ય મોટાં શહેરોની તુલનાએ નોંધપાત્રપણે નીચો છે. ખાવાપીવાની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે સરળતાથી ઉપલબ્ધ છે. તાજેતરમાં ટાટા ગ્રુપે અંદાજિતપણે રૂ. 2,500 કરોડના ખર્ચે તિરુનેલવેલી અને તુતીકોરન જિલ્લામાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યા છે. આ યોજનાને લીધે પ્રત્યક્ષપણે આશરે 1,000 લોકો માટે અને પરોક્ષરીતે અંદાજે 3,000 લોકો માટે નોકરીની તકોનું સર્જન થાય તેવી સંભાવના છે.

પ્રશાસન[ફેરફાર કરો]

શહેર સત્તાવાળા (સપ્ટેમ્બર 2009ના અંતે)
મેયર
એ. એલ. સુબ્રમણ્યમ(દ્રવિડ મુનેત્ર કઝઘમ (ડીએમકે))
નાયબ મેયર
કે.મુથુરામલિંગમ (ડીએમકે)
કલેક્ટર
જયરામન આઇ.એ. એસ.
પોલીસ કમિશનર
અભય કુમાર સિંઘ આઇ.પી. એસ
ધારાસભ્ય (તિરુનેલવેલી)
એન. મલાઇ રાજા (ડીએમકે)
ધારાસભ્ય (પલયમકોટ્ટાઇ)
ટી.પી.એમ. મોહૈદીન ખાન (ડીએમકે)
જિલ્લા અધિકારી - ડો. પૂંગોથઇ અલાદી અરૂણા (ડીએમકે)
સાંસદ
શહેરમાં કુલ મતદાતા '
વોર્ડની સંખ્યા(વર્ષ 2001 મુજબ)
55
કુલ વસતી
411,832
પુરૂષની સંખ્યા
203,232
સ્ત્રીની સંખ્યા
208,599

તિરુનેલવેલી વિધાનસભા મતવિસ્તાર તિરુનેલવેલી (લોકસભા મતવિસ્તાર)નો એક ભાગ છે.[૨૯] આ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા પ્રશાસનનું મુખ્ય મથક છે. હાલમાં આ શહેરની વસતી આશરે પાંચ લાખથી વધુની છે. આ શહેર મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય નગરસેવકોને જે તે વહીવટી વોર્ડના લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. શહેરનો વહીવટ કોર્પોરેશન કમિશનર ચલાવે છે, જેનો ઉપરી જિલ્લા કલેક્ટર છે. 2001ની વસતી ગણતરી અનુસાર, તિરુનેલવેલી શહેરની કુલ વસતી 4,11,832 છે, જે પૈકી પુરુષ સામે સ્ત્રીનો રેશિયો સ્ત્રીઓની બહુમતિ દર્શાવે છે. તેવી જ રીતે, તિરુનેલવેલીમાં શિક્ષકથી લઇ નગરનો વહીવટ કરનારા સુધીના કામ કરનારા લોકોમાં સ્ત્રી જાતિની સંખ્યા ઘણી વિશાળ છે.

પરિવહન[ફેરફાર કરો]

તમિલનાડુના દક્ષિણ ભાગમાં વસેલું તિરુનેલવેલી, પરિવહન માટેનું વિસ્તૃત માળખું ધરાવે છે. અન્ય મહત્ત્વના શહેરો સાથે આ નગર માર્ગ, રેલવે અને વિમાની સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે.

માર્ગો[ફેરફાર કરો]

આ શહેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 7 પર આવેલું છે અને તે મદુરાઇથી 150 કિ.મી. દક્ષિણે તથા કન્યાકુમારીથી 80 કિ.મી. ઉત્તરે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 7ની વિસ્તરણ શાખારૂપ નેશનલ હાઇવે 7-એ, પલયમકોટ્ટઇ અને તુતીકોરન બંદરને જોડે છે. હાલમાં, ફોર લેન માર્ગનું કામ ચાલી રહ્યું છે અને નેશનલ હાઇવે 7-એનું વિસ્તૃતીકરણ લગભગ આખરી તબક્કામાં છે. માર્ગ દ્વારા તિરુનેલવેલી જવા માટે મદુરાઇથી (3 કલાક) અને નાગેરકોઇલ (દોઢ કલાક)થી જઇ શકાય છે. કોલ્લમ, તિરુચેન્દુર, રાજાપલયમ, સંકરનકોવિલ, અંબાસમુદ્રમ અને નેઝારથ સાથે પણ તિરુનેલવેલી મહત્વના ધોરીમાર્ગો વડે જોડાયેલું છે.

બસ સ્ટેન્ડ્સ[ફેરફાર કરો]

વૈન્થાનકુલમ (નવું બસ સ્ટેન્ડ) ખાતે શહેરની બહારનું મુખ્ય બસ સ્ટેન્ડ આવેલું છે. જાહેર વપરાશ માટે આ બસ સ્ટેન્ડને 2003માં ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. શહેરમાં આવવા-જવા માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. શહેરની અંદરના અન્ય સ્થાનિક બસ સ્ટેન્ડ્સમાં જંક્શન (નેલ્લાઇ સંથિપુ પેરુન્થુ નિલયમ) બસ સ્ટેન્ડ અને પલય બસ સ્ટેન્ડ (પલય પેરુન્થુ નિલયમ)નો સમાવેશ થાય છે. શહેરમાં મુસાફરી માટે સરકારી તથા ખાનગી બસો દિવસ-રાત દોડતી રહે છે. તિરુનેલવેલીથી રાજ્ય અંદર અને રાજ્ય બહારના વિવિધ સ્થળોએ બસોનું વિશાળ નેટવર્ક આવજા કરે છે.આ શહેરમાં દિનરાત ખાનગી અને જાહેર પરિવહનનાં સાધનો મળી રહે છે. સ્થાનિક અને શહેર બહારની શ્રેણીબદ્ધ સેવાઓ સાથે ટીએનએસટીસી (તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)'નું તિરુનેલવેલી પેટા-ડિવિઝન તથા મદુરાઇ ડિવિઝન તિરુનેલવેલી જિલ્લાની માર્ગ પરિવહનની જરૂરિયાતો સંતોષે છે. સ્ટેટ એક્સપ્રેસ બસ કોર્પોરેશન (એસઇટીસી) ચેન્નાઈ, બેંગલોર, સાલેમ, કોઇમ્બતુર, તિરુપુર, નાગપટ્ટીણમ, ઇરોડ, વિલ્લુપુરમ અને તિરુપતિની એક્સપ્રેસ સેવાઓનું સંચાલન કરે છે. ટીએનએસટીસીનું નવું તિરુનેલવેલી ડિવિઝન ટૂંક સમયમાં જ ચાલુ થવા જઇ રહ્યું છે. શહેરમાં 24 સેમિ લો ફ્લોર બસો તિરુનેલવેલી નગરની સીમાની અંદર દોડે છે. તિરુનેલવેલી સેમિ લો ફ્લોર બસ ધરાવતા તમિલનાડુના શહેરો પૈકીનું એક શહેર છે.

રેલવે[ફેરફાર કરો]

ઉચ્ચ કક્ષાનો દેખાવ સહિત ભવ્ય માળખું ધરાવતું, તિરુનેલવેલી જંક્શન (ટીઇએન) ભારતનાં સૌથી જૂનાં અને લોકપ્રિય રેલવે સ્ટેશન પૈકીનું એક છે. તમિલનાડુંના સૌથી વ્યસ્ત અને મહત્વના સ્ટેશનો પૈકીનું આ એક સ્ટેશન છે.[૩૦][૩૧]


tirunelveli railway junction.
ધ વિકિપેડી એડિટ્સ તિરુનેલવેલી જેએન.

રેલવે માર્ગે તિરુનેલવેલી ચારેય દિશાઓના મહત્વના શહેરો, ઉત્તરમાં મદુરાઇ/સંકરનકોવિલ, દક્ષિણમાં નાગરકોઇલ, પશ્ચિમમાં તેનકાસી/ કોલ્લમ અને પૂર્વમાં તિરુચેન્દુર સાથે જોડાયેલું છે. આ રેલવે સ્ટેશન કમ્પ્યૂટર આધારિત ટિકિટ બૂકિંગ અને ટ્રેનોનો કાર્યક્રમ તથા ટ્રેનોની તત્કાલિન પરિસ્થિતિ જાણવા માટેના ટચ સ્ક્રીનની સુવિધા ધરાવે છે. જંક્શન સ્ટેશનમાં વધારે ધસારાને હળવો કરવા માટે પલયમકોટ્ટાઇ ખાતે એક કમ્પ્યૂટરાઇઝ્ડ ટિકિટ બૂકિંગ સેન્ટરની દરખાસ્ત કરવામાં આવી છે.

હવાઇમથકો[ફેરફાર કરો]

તિરુનેલવેલીની સૌથી નજીકનું હવાઇમથક, પૂર્વમાં આશરે 22 કિ.મી. દૂર થૂથુક્કુડી જિલ્લાના વાગઇકુલમ ખાતેનું તુતીકોરન એરપોર્ટ (ટીસીઆર) છે. એર ડેક્કન અને કિંગફિશર રેડ દ્વારા ચેન્નાઇની દૈનિક ઉડાનો હાથ ધરવામાં આવે છે. મદુરાઇ હવાઇમથક અને થિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, તિરુનેલવેલીથી ભૂમિમાર્ગે આશરે 150 કિ.મી. દૂર છે. એકવાર ગંગઇકોન્દન ખાતેનો આઇટી પાર્ક સ્થપાઇ જાય, એટલે તિરુનેલવેલી શહેરથી 22 કિ.મી. ઉત્તરે ગંગઇકોન્દન ખાતેની હવાઇપટ્ટી પણ શરૂ થશે.[૩૨]

મિડીયા અને કમ્યુનિકેશન[ફેરફાર કરો]

જિલ્લાનું મુખ્ય મથક હોવાથી તિરુનેલવેલીમાં મનોરંજનને લગતા ઘણા સમારોહ યોજાય છે. તિરુનેલવેલીમાં દર વર્ષે સરકારી પ્રદર્શન યોજાય છે જે એક લોકપ્રિય આકર્ષણ છે અને તિરુનેલવેલીના તથા આસપાસના સેંકડો લોકો તેની મુલાકાત લે છે. મનોરંજનના અન્ય મહત્વના સમારંભોમાં ભારે માનવમેદની આકર્ષિત કરતું વાર્ષિક સરકસ તથા વીઓસી મેદાન અને અન્ના સ્ટેડિયમમાં યોજાતી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની રમતોનો સમાવેશ થાય છે.

સિનેમા થિયેટરો[ફેરફાર કરો]

ચિત્ર:CentralTheatreTvli.jpg
તિરુનેલવેલી શહેરમાં આવેલું એક મધ્યસ્થ થિયેટર

તિરુનેલવેલીમાં સંખ્યાબંધ સિનેમા થિયેટરો છે જે મુખ્યત્વે આર્ટ ડેકો શૈલીમાં નિર્માણ પામેલા છે.આ થિયેટરો તિરુનેલવેલીના લોકપ્રિય સ્થળો છે. લોકપ્રિય થિયેટરોમાં બોમ્બે થિયેટર – ફૂલ એ.સી. ડીટીએસ, પુર્ણાકલા-ડીટીએસ, પાર્વથી-ડીટીએસ, પેરિન્બાવિલાસ- ફૂલ એ.સી. ડીટીએસ, રામ અને મુથુરામ- ફૂલ એ.સી. ડીટીએસ, શ્રી રથ્ના- ફૂલ એ.સી. ડીટીએસ, સેન્થિવેલ, અરુણાગિરી-ડીટીએસ અને ગણેશ-ડીટીએસનો સમાવેશ થાય છે. બોમ્બે થિયેટર તિરુનેલવેલીમાં સૌથી નવું બનેલું અને કદાચ તિરુનેલવેલીમાં સૌથી શ્રેષ્ઠ થિયેટર છે. તિરુનેલવેલી અને જંકશન વચ્ચે આવેલા સેન્ટ્રલ, રથ્ના અને પાર્વથી સૌથી જૂના થિયેટરો પૈકીના અમુક થિયેટરો છે.

પ્રિન્ટ[ફેરફાર કરો]

હાલમાં તિરુનેલવેલીમાં મુદ્રિત થતા મુખ્ય તમિલ અખબારોમાં વનક્કમ ઇન્ડિયા ,[૪] સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન દિના થંથી, દિના મલાર, દિના મુરાસુ, દિનાકરન, દિના મણિ, દિના વેલ, તમિલ સુદાર, કથિરાવન, તમિલ મુરાસુ, માલઇ મલાર, મલઇ મુરાસુનો સમાવેશ થાય છે. ધી હિંદુ એ સૌથી વધુ વંચાતુ અંગ્રેજી અખબાર છે.

સ્થાનિક કેબલ ટેલિવિઝન[ફેરફાર કરો]

સ્થાનિક કેબલ ટેલિવિઝન નેટવર્કસમાં એર મિડીયા નેટવર્ક, નેલ્લાઇ ટીવી, કરન ટીવી, સથ્યા અને ક્રિષ્ના ટીવીનો સમાવેશ થાય છે.

રેડિયો સ્ટેશન્સ[ફેરફાર કરો]

તિરુનેલવેલીની એફએમ ચેનલોમાં સન નેટવર્ક દ્વારા સંચાલિત સુર્યન એફએમ (ફ્રિકવન્સી 93.5 મેગાહર્ટઝ), મલાઇ મલાર જૂથ દ્વારા સંચાલિત હેલ્લો એફએમ (ફ્રિકવન્સી 106.5 મેગાહર્ટઝ) અને ભારત સરકાર દ્વારા સંચાલિત તિરુનેલવેલી વનોલી નિલયમ (ઓલ ઇન્ડિયા રેડિયો)નો સમાવેશ થાય છે. ભારતના એફએમ સ્ટેશન ધરાવતા 40 શહેરોમાં તિરુનેલવેલીનો સમાવેશ થાય છે.ઇગ્નોએ એફએમ તિરુનેલવેલી મારફત પોતાનાં દૂર શિક્ષણના લેક્ચર (જ્ઞાન વાણી)નું પ્રસારણ કરવાનું આયોજન કર્યું છે.

રમત ગમત[ફેરફાર કરો]

અન્ના સ્ટેડિયમ અને વીઓસી મેદાનમાં હોકી, કબડ્ડી, વોલીબોલ, ખો-ખો ટુર્નામેન્ટ જેવી ઘણી રમતો યોજાય છે. બન્ને સ્થળ પલયમકોટ્ટઇમાં આવેલા છે અને મુખ્યત્વે શાળાના બાળકો નવરાશના સમયમાં અને રજાના દિવસોમાં ક્રિકેટ રમવા માટે આ સ્થળોનો ઉપયોગ કરે છે. પલયમકોટ્ટઇના અન્ના સ્ટેડિયમમાં એક શ્રેષ્ઠ કક્ષાનો જાહેર સ્વિમીંગ પૂલ તથા એક હોકીના એક સારા મેદાન જેવી સુવિધાઓ છે.

ધર્મ[ફેરફાર કરો]

તિરુનેલવેલી સમૃદ્ધ ધાર્મિક વારસો ધરાવે છે. આ શહેરનો સંબંધ હિંદુ પુરાણો સાથે હોવા છતાં, તિરુનેલવેલીમાં ભારતના તમામ મહત્વના ધર્મ – હિંદુ, ખ્રિસ્તી, ઇસ્લામ અને જૈન ધર્મના અનુયાયીઓ કોઇપણ પ્રકારના મતભેદ વિના સંપથી રહે છે. પરિણામે, આ શહેરમાં આ તમામ ધમોર્ના લોકોના ધાર્મિક સ્થળો છે, જે પૈકીના નેલ્લાઇઅપ્પાર મંદિર અને કેથેડ્રલ જેવા સ્થળો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મેલાપલયમ અને પલયમકો્ટઇ જેવા તિરુનેલવેલીના કેટલાક વિસ્તારોમાં અપ્રમાણસર રીતે વિશાળ માત્રામાં ધાર્મિક વસતી જોવા મળે છે. મેલાપલયમમાં મુસ્લિમ ધર્મના લોકોનું વર્ચસ્વ છે, જ્યારે પલયમકોટ્ટઇમાં ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ પ્રમાણ છે. 17મી અને 18મી સદીમાં પલયમકોટ્ટઇ ખ્રિસ્તી મંડળીઓનું કેન્દ્ર હતું.

નેલ્લાઇઅપ્પાર મંદિર[ફેરફાર કરો]

નેલ્લાઇઅપ્પાર ગોપૂરમ

તમિલનાડુમાં શિવના સૌથી વિશાળ મંદિરો પૈકીના એક મંદિર તરીકે નેલ્લાઇઅપ્પાર મંદિર પ્રસિદ્ધ છે, આ મંદિર પગથિયા ઉતરીને અંદર જવાની પદ્ધતિ તથા પોતાના વૈભવશાળી સ્થાપત્યને લીધે પણ જાણીતું છે. આ મંદિર તિરુનેલવેલી શહેરના મધ્યસ્થાને આવેલું છે તથા રેલવે સ્ટેશનથી તે બે કિલોમીટરના અંતરે આવેલું છે. આ એક જોડિયું મંદિર છે જે માતા પાર્વતી અને ભગવાન શિવને સમર્પિત છે.મંદિરથી ઘણે દૂર ઉભેલો માણસ, મંદિરનાં ગોપુરમ (ટાવર) સારી રીતે જોઇ શકે છે. રામા પાંડયન દ્વારા અમલી બનાવાયેલા આગમ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બન્ને ગોપુરમ બનાવવામાં આવ્યા હતા. આ મંદિરમાં અસામાન્ય રત્નો, ગોલ્ડન લિલી ટેન્ક, સંગીતમય સ્તંભો અને હજાર સ્તંભોનો હોલ જોવા જેવો છે. આ મંદિરનો ઇતિહાસ 700 એ.ડી. સુધી વિસ્તરેલો છે અને તેમાં 950 એ.ડી.ની સાલની આસપાસ લખાયેલા શિલાલેખો છે. એવું માનવામાં આવે છે કે પાંડ્ય રાજાઓ દ્વારા ભગવાન શિવ અને તેમની પત્ની માતા પાર્વતી માટે બે અલગ મંદિર બનાવવામાં આવ્યા હતા. આ બન્ને મંદિરોને જોડતી કડીરૂપ સંગિલી મંડપમ એક મોટો છતવાળો હોલ છે, જે 17મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.મંદિરના ટાવરનો ઇતિહાસ 17મી સદીના પ્રારંભિક ગાળા સુધી વિસ્તરેલો છે.અહિં ભગવાન વિષ્ણુ અને અગસ્ત્ય મુનિએ ભગવાન શિવની આરાધના કરી હતી તેવી માન્યતા છે.

નેલ્લાઇઅપ્પાર મંદિરનો સુવર્ણ રથ

નેલ્લાઇઅપ્પાર મંદિર રથનું વજન આશરે 400 ટનનું છે અને તે તમિલનાડુમાં ત્રીજા ક્રમનો સૌથી વિશાળ મંદિરરૂપી રથ છે. એવું કહેવામાં આવે છે તે દક્ષિણ ભારતમાં માણસો દ્વારા ખેંચાતો આ સૌથી વિશાળ રથ છે. આ રથના પૈડાને જોડતો દાંડો બ્રિટીશરોના સમયગાળા દરમિયાન સ્ટીલમાંથી બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ, આ મંદિરના જીર્ણ બનેલા રાક્ષસી કદના પૈડાને મજબૂત બનાવવા માટે સ્ટીલની રિમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર સાથે જોડાયેલા ઉત્સવોમાં સૌથી લોકપ્રિય ઉત્સવ છે આની કાર ફેસ્ટિવલ . આ શહેરમાં વિનાયકર, મુરુગન, નેલ્લાઇઅપ્પાર, કાંથિમથી અને સંદિકાએશ્વરરનાં પાંચ રથરૂપી મંદિરો જાણીતા સ્થળો છે. સાતમી સદી એ.ડી.માં અહીં શાસન કરી ગયેલા નિંદ્રાસિર નેદુમારને (நின்றசீர் நெடுமாறன்), આ મંદિરનાં મહત્વના ભાગોનું બાંધકામ અને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. મંડપમ પછીના સુંદર બગીચાની રચના થિરુવેન્ગાદાક્રિશ્ના મુદલિયારે 1756માં બનાવી હતી, આ બગીચો અનેક રંગબેરંગી અને સુગંધીદાર પુષ્પો સાથે મુલાકાતીઓનું સ્વાગત કરે છે. આ બગીચાની મધ્યમાં 100 સ્તંભ ધરાવતી વસંથ મંડપમ નામની ચોરસ ઇમારત આવેલી છે.મદુરાઇના મીનાક્ષી અમ્માન મંદિરની તુલનાએ નેલ્લાઇઅપ્પાર મંદિર વિશાળ છે, તેમછતાં પોતાના ઐતિહાસિક મહત્વને લીધે મીનાક્ષી અમ્માન મંદિર ઘણું વધારે લોકપ્રિય છે.'

તિરુનેલવેલીની નજીક ભગવાન વિષ્ણુને સમર્પિત નવ વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો (અલ્વર નવા તિરુપતિ) ઉત્કૃષ્ટ સ્થાપત્ય કારીગરી ધરાવતું ક્રિશ્નાપુરમ વેંકટચલપતિ મંદિર, સુબ્રમણ્યને સમર્પિત ભવ્ય અને દૈદિપ્યમાન મંદિર તિરુચેન્દુર તથા નયનરમ્ય ધોધ અને વિપુલ કુદરતી સૌંદર્ય ધરાવતા લોકપ્રિય પ્રવાસન સ્થળ જેવા કુત્રાલમનો સમાવેશ થાય છે.તિરુનેલવેલી અને કુત્રાલમ વચ્ચેના પ્રદેશ ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવે છે. અહીંના ભવ્ય સ્થળોમાં તેનકાશી, પાપનાશમ અને અંબાસમુદ્રમનો ઉલ્લેખ કરવો જ પડે.વધુમાં, ભારતનાં દક્ષિણી છેડે આવેલું કન્યાકુમારી તિરુનેલવેલીથી માત્ર થોડા કલાકના અંતરે જ છે.

શ્રી વરદરાજા પેરુમલ મંદિર[ફેરફાર કરો]

બારેમાસ વહ્યાં કરતી થમિરબરની (தாமிரபரணி) નદીના તટે, તિરુનેલવેલી જંક્શન વિસ્તારમાં શ્રી વરદરાજા પેરુમલ કોવિલનું મંદિર છે. વિષ્ણુ ભગવાનનું આ એક પૌરાણિક અને પ્રતિષ્ઠિત મંદિર છે.

મેલા થિરુનેંકટનાથપુરમ મંદિર[ફેરફાર કરો]

તિરુનેલવેલીની દક્ષિણપશ્ચિમ દિશાએ 7 થી 10 કિ.મી.ના અંતરે બારેમાસ વહ્યાં કરતી થમિરબરની નદીના કિનારે મેલા થિરુનેંકટનાથપુરમ મંદિર આવેલું છે.થિરનાનકોવિલ તરીકે જાણીતા આ મંદિરના મુખ્ય મૂળનાયક ભગવાન પ્રભુ શ્રીનિવાસ છે.

હોલિ ટ્રિનિટી કેથેડ્રલ[ફેરફાર કરો]

પલયમકોટ્ટાઇનું હોલિ ટ્રિનિટી કેથેડ્રલ વિશાળ, ભવ્ય અને સુંદર ચર્ચ છે, જે 1826માં તિરુનેલવેલીના સૌપ્રથમ ખ્રિસ્તી ધર્મપ્રચારક રેવરન્ડ ચાર્લ્સ થિયોફિલસ એવલ્ડ રેનિયસે બનાવરાવ્યું હતું. આ ચર્ચ 26મી જૂન, 1826ના રોજ જાહેર લોકો આરાધના કરી શકે તે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બિશપ કોરીએ 30મી જાન્યુઆરી, 1836ના રોજ આ ચર્ચને હોલિ ટ્રિનિટી ચર્ચ નામ આપ્યું હતું. બિશપ સ્ટીફન નીલે આ ચર્ચનું પદ વધારીને તેને કેથેડ્રલનો દરજ્જો આપ્યો હતો. આ ચર્ચના માળખામાં ઘણાં જીર્ણોદ્ધાર અને સુધારાવધારા થયા છે. આ ચર્ચ હજુ પણ ભવ્ય કેથેડ્રલના મુખ્ય કેન્દ્ર તરીકેની કામગીરી બજાવે છે. ચર્ચ બન્યાના વર્ષો પછી કેથેડ્રલ બન્યું હતું.

શિક્ષણ[ફેરફાર કરો]

તિરુનેલવેલી જિલ્લો, અથવા વધુ સ્પષ્ટતાપૂર્વક કહીએ તો, પલયમકોટ્ટાઇ દક્ષિણ ભારતના ઓક્સફર્ડ તરીકે ઓળખાય છે કેમકે આ શહેરમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. મનોનમણિયમ સુંદરનાર યુનિવર્સિટીનું નામ તમિલનાડુ રાજ્યનું સત્તાવાર ગીત તમિલ થાઇ વઝુથુ લખનારા પ્રસિદ્ધ કવિના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. આ યુનિવર્સિટી 24થી વધુ વિભાગો ધરાવે છે, તથા તેમાં ક્રિમિનોલોજી અને ક્રિમિનલ જસ્ટીસ જેવા કેટલાક વિશિષ્ટ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. આ યુનિવર્સિટીના હાલના વાઇસ-ચેરમેન પ્રોફેસર આર.ટી. સુબાપથિ મોહન છે.

તિરુનેલવેલી મેડિકલ કોલેજનું ઓડિટોરીયમ

તમિલનાડુના દક્ષિણી હિસ્સામાં ટેકનીકલ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાના દૃષ્ટિકોણ સાથે 2007માં તિરુનેલવેલીમાં અન્ના યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં એન્જિનયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વૈવિધ્યસભર અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. પલયમકોટ્ટાઇ નજીક યુનિવર્સિટીના નમૂનેદાર સંકુલમાં સંશોધનની સુવિધા સ્થાપવામાં આવી રહી છે. તિરુનેલવેલીના શ્રી સી.વી. રામન નગરમાં આઇન્સ્ટીન કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે. આ શહેરમાં મેડિકલ, કાયદો, ઇજનેરી, આર્ટસ, ફાર્માસ્યુટીકલ અને ફિઝીયોથેરેપીનાં ક્ષેત્રની ઘણી જૂની સરકારી અને ખાનગી કોલેજો આવેલી છે. તિરુનેલવેલી મેડિકલ કોલેજ[૩૩] અને ગર્વમેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, તિરુનેલવેલી[૩૪] એ તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વ્યવસાયિક કોલેજો છે. અહીંની જાણીતી આર્ટસ કોલેજોમાં જેસ્યુઇટ્સ દ્વારા સંચાલિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સીએસઆઇ ડાયસિઝ દ્વારા સંચાલિત સેન્ટ જ્હોન’સ કોલેજ અને સારાહ ટકર કોલેજ, એમડીટી હિંદુ કોલેજ અને સદકતુલ્લા અપ્પા કોલેજનો સમાવેશ થાય છે. પલયમકોટ્ટઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજ એવી થોડી કોલેજો પૈકીની એક છે કે જે ઘણા સમય પહેલાં સ્વતંત્ર બની ગઇ હતી. આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં વેઇકો, પીટર આલ્ફોન્સ અને અરુણાચલમ (ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન) જેવી ગૌરવવંતી રાજકીય હસ્તીઓનો સમાવેશ થાય છે.

તિરુનેલવેલીની લોકપ્રિય ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જયેન્દ્ર ગોલ્ડન જ્યુબિલી, જયેન્દ્ર સિલ્વર જ્યુબિલી, પુષ્પલથા સ્કૂલ, રોઝ મેરી સ્કૂલ, બેલ સ્કૂલ, એમડીટી હિંદુ કોલેજ સ્કૂલ (જ્યાં પ્રતિષ્ઠિત તમિલ કવિ ભરતિયારે અભ્યાસ કર્યો હતો અને બાદમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું), શેફ્ટર સ્કૂલ, સેન્ટ ઝેવિયર’સ સ્કૂલ, સેન્ટ જ્હોન’સ સ્કૂલ, લિટલ ફ્લાવર સ્કૂલ, ચિન્મય વિદ્યાલય, સારાહ ટકર સ્કૂલ અને સેન્ટ ઇગ્નેશિયસ કોન્વેન્ટનો સમાવેશ થાય છે. બેલ સ્કૂલ, જયેન્દ્ર ગોલ્ડન જ્યુબિલી સ્કૂલ અને સારાહ ટકર જેવી કેટલીક સ્કૂલોએ વિદેશની શાળાઓ સાથે આંતરરાષ્ટ્રીય જોડાણ કર્યું છે અને સક્રિયપણે વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન કરવા માટેની યોજના ચલાવે છે. જયેન્દ્ર ગોલ્ડન જ્યુબિલી સ્કૂલ યુનાઇટેડ કિંગડમનાં લંડન શહેરની “મિલ હિલ” સ્કૂલ સાથે નિયમિતપણે આદાનપ્રદાન કરે છે. આ પ્રકારની શૈક્ષણિક ગતિવિધિઓને કારણે, સ્થાનિક વિદ્યાર્થીઓમાં તિરુનેલવેલીમાં અભ્યાસનો અનુભવ અજોડ બની રહે છે.

સંખ્યા શૈક્ષણિક સંસ્થાઓ સંસ્થાની કુલ સંખ્યા
1 યુનિવર્સિટીઓ 2 (મનોનમનિયમ સુંદરનર યુનિવર્સિટી, અન્ના યુનિવર્સિટી તિરુનેલવેલી)
2 આર્ટ્સ અને સાયન્સ કોલેજો 21
3 મેડિકલ કોલેજો 2 (તિરુનેલવેલી મેડિકલ કોલેજ, સિદ્ધા મેડિકલ કોલેજ)
4 ફિઝીયોથેરાપી કોલેજો 1 દેવેન્દ્રર કોલેજ ઓફ ફિઝીયોથેરાપી
5 એન્જિનિયરિંગ કોલેજો 12
6 લો કોલેજો 1
7 પ્રિ કિન્ડરગાર્ટન સ્કૂલો 201
8 પ્રાથમિક શાળાઓ 1521
9 માધ્યમિક શાળા 394
10 હાઇસ્કૂલ્સ 114
11 ઉચ્ચ માધ્યમિક શાળા 148
12 શિક્ષક તાલીમ સંસ્થાઓ 6

વિજ્ઞાન કેન્દ્રો[ફેરફાર કરો]

આ શહેરમાં એક જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર છે, જે વિશ્વેશ્વરાય ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેક્નોલોજિકલ મ્યુઝિયમ, બેંગલોરનું સેટેલાઇટ યુનિટ છે.[૩૫] આ કેન્દ્ર ગમ્મત અને મનોરંજન મારફત વિજ્ઞાનનાં શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ કેન્દ્રમાં વન આધારિત વાતાવરણમાં સદાબહાર સાયન્સ પાર્ક આવેલો છે. આ કેન્દ્ર બારેમાસ વહ્યાં કરતી થમિરભરની નદીની નજીક તથા કન્યાકુમારી તરફ જતા ધોરીમાર્ગની પડખે આવેલો છે. આ કેન્દ્રની કેટલીક પ્રવૃત્તિઓમાં સ્થાયી પ્રદર્શનો, સાયન્સ શો, ઇન્ટરેક્ટિવ ગાઇડ ટૂર્સ, નાનું પ્લેનિટોરિયમ અને ટેલિસ્કોપ દ્વારા અવકાશ નિરીક્ષણનો સમાવેશ થાય છે. આ સંકુલમાં ઘણાં વિજ્ઞાન આધારિત પ્રયોગાત્મક નમૂના મૂકવામાં આવ્યા છે. આ કેન્દ્રની ઇમારત બે માળની છે. અહીં શાળા સ્તરનાં પ્રદર્શનો અને સ્પર્ધાઓ પણ યોજાય છે. તેની મુલાકાત માટેનો ચાર્જ નજીવો છે.`ફન સાયન્સ ગેલેરીનું તિરુનેલવેલીમાં ઉદઘાટન — ધ હિન્દુ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન.

ભાષા[ફેરફાર કરો]

પરંપરાગત રીતે, તમિલ ભાષાનો ઉદભવ તિરુનેલવેલી જિલ્લાના નાના ગામ પાપનાસમ નજીકના પશ્ચિમી ઘાટમાં આવેલા પર્વત પોથિગઇ મલાઇમાં થયો હતો એવી નોંધ મળે છે. બ્રાહ્મણ દંતકથા અનુસાર, ભગવાન શિવે બે દિવ્ય ભાષા- સંસ્કૃત અને તમિલની રચના કરવા માટે વ્યાસ અને અગત્યાર (સંસ્કૃતમાં અગસ્ત્ય)ને મોકલ્યાં હતા. અગત્યાર સૌપ્રથમ પાપનાશમ આવ્યા અને પોથિગઇ મલાઇમાં તમિલ સંસ્કૃતિની સ્થાપના કરી. આજે, તિરુનેલવેલી જિલ્લામાં બોલાતી તમિલ ભાષાને નેલ્લાઇ તમિલ કહેવામાં આવે છે. નેલ્લાઇ તમિલમાં અન્નાચી (વરિષ્ઠ વ્યક્તિઓ પ્રત્યે આદર વ્યક્ત કરતું અભિવાદન) જેવા શબ્દનો ઉપયોગ થાય છે, જે આ પ્રદેશની વિશિષ્ટતા છે. તમિલ ભાષાના અન્ય ઉચ્ચારણોની તુલનાએ નેલ્લાઇ તમિલ ઝડપથી બોલવામાં આવે છે. તિરુનેલવેલી ઉચ્ચારણો તમિલ બોલનારા તમામ લોકોમાં લોકપ્રિય છે અને તે મદ્રાસ બષાઇ કરતા ખાસ્સી અલગ છે. જેમાં તમિલ ભાષાને અંગ્રેજી સ્વરૂપમાં ઢાળીને ઉચ્ચારણ કરવામાં આવે છે. પોથિગઇ મલઇમાં તમિલનો ઉદભવ થયો છે તેવી ધારણા છે. નેલ્લાઇ તમિલને તમિલ ભાષાનું સૌપ્રથમ અને સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે છે. નેલ્લાઇ તમિલને તમિલ ભાષાનું આ સૌથી મધુર સ્વરૂપ પણ કહેવાય છે.[સંદર્ભ આપો].જો કે, તમિલ ફિલ્મોમાં અવારનવાર તિરુનેલવેલીના તમિલ લઢણની કટાક્ષમયરીતે ઠેકડી ઉડાડવામાં આવે છે.

વ્યંજન[ફેરફાર કરો]

હલવા[ફેરફાર કરો]

તિરુનેલવેલી પોતાના પ્રસિદ્ધ હલવા (સ્થાનિક લોકો દ્વારા અલવા બોલાય છે) માટે રાજ્યભરમાં લોકપ્રિય છે. આ મીઠી વાનગી મુખ્યત્વે ઘઉં અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. તિરુનેલવેલીનો હલવો સોનેરી રાતાશ ધરાવે છે, તેનું સ્વરૂપ જેલી જેવું હોય છે અને તેમાં ઘી (શુદ્ધ કરેલું માખણ) હોય છે, જે તેને ચીકાશવાળો દેખાવ આપે છે. ગરમાગરમ પીરસેલો હોય ત્યારે આ હલવાને ખાવાનો શ્રેષ્ઠ સમય હોય છે અને તેને ડેઝર્ટ તરીકે માણવામાં આવે છે. થમિરબરની નદીનાં જળની સુવિખ્યાત મધુરતાનું મિશ્રણ ધરાવતા તિરુનેલવેલીના હલવાનો વિશિષ્ટ અને સમૃદ્ધ સ્વાદ આ પ્રદેશની એક ખાસ વાનગીને આભારી છે તેવું કહેવાય છે. આશરે 300 વર્ષ કરતા પણ વધુ સમય પૂર્વે અહીં આવીને વસેલા એક મારવાડી કુટુંબે આ હલવાને પ્રસિદ્ધ બનાવ્યો હતો. લક્ષ્મી વિલાસ એ આ કુટુંબે શરૂ કરેલી મૂળ દુકાન છે. આગળ જતા, અન્ય નાના વેપારીઓએ આ વાનગી બનાવવાની રીત મેળવી અને હવે આ હલવો આ શહેરનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે.

તિરુનેલવેલી હલવો ખરીદવાનું શ્રેષ્ઠ સ્થળ નેલ્લાઇઅપ્પાર મંદિરની આસપાસનો વિસ્તાર અને સેન્ટ્રલ રેલવે સ્ટેશને જતા માર્ગનો વિસ્તાર છે.[૩૬] હલવાના બે સૌથી જાણીતા સ્ટોર છે તે પૈકીનો ઇરુતુ કડાઇ હલવા (જેનું ભાષાંતર ઘેરા હલવાની દુકાન એવું થાય છે) નેલ્લાઇઅપ્પાર મંદિરનની નજીક આવેલો છે અને બીજો સ્ટોર ચંદ્ર વિલાસ છે. પહેલાં સ્ટોરનું નામ ઇરુતુ કડાઇ તે દુકાન પરથી જ પડેલું છે કેમકે આ દુકાન જ્યારે શરૂ થઇ હતી તે દિવસથી અત્યાર સુધી આ દુકાનનો દેખાવ બદલાયો નથી. આજદિન સુધી, આ દુકાનમાં કોઇ ઇલેક્ટ્રીકલ લાઇટ્સ નથી કે દુકાનની બ્રાન્ડ દર્શાવતું એકપણ બોર્ડ નથી. આ ઉપરાંત, તિરુનેલવેલી નગરમાં અન્ય ઘણી સારી મીઠાઇની દુકાનો છે જે આ મજાની સ્થાનિક મધુર વાનગીનું વેચાણ કરે છે.

સ્થાનિક વાનગીઓ[ફેરફાર કરો]

તિરુનેલવેલીની કેટલીક અનોખી અને લોકપ્રિય વાનગીઓમાં સોધી , કૂતન ચોરુ અને યેલ્લુ થોવાયલ સાથેના ઉલંથમ્પારુપુ ચોરુ નો સમાવેશ થાય છે. સોથી એ નારિયેળના દૂધ અને શાકભાજીમાંથી બનાવવામાં આવતી એક સ્વાદિષ્ટ ગ્રેવી છે. આ વાનગી લગ્ન ઉત્સવો, ખાસ કરીને લગ્નનાં એક દિવસ બાદ યોજાતા મારુવીદુ (સત્કાર સમારંભ) સમારોહ દરમિયાન પીરસવામાં આવે છે. કૂતન કોરુ એ દાળ, ચોખા, શાકભાજી અને નારિયેળ તથા લાલ મરચાંના મિશ્રણ વડે બનાવવામાં આવતા ગરમ તીખી શાકભાજી ધરાવતી ચોખાની વાનગી છે. ઉલંથમ્પારુપુ કોરુચોખા અને ઉલંથમ્પારુપુ (અડદની દાળ)ને જોડે રાંધીને બનાવવામાં આવે છે. ઉલંથમ્પારુપુ કોરુ યેલ્લુ (તલનાં દાણાં) અને થોવાયલ (તીખી ચટણી) સાથે ખાવામાં આવે છે. શાકાહારી વાનગીઓ પૈકી, અવેયલ સ્થાનિક શાકભાજીઓ સાથે કશાક વતી હલાવીને બનાવવામાં આવતી તીખી વાનગીનો એક સ્થાનિક પ્રકાર છે. તિરુનેલવેલી અવેયલનો સ્વાદ તીખો છે અને કેટલીકવાર તેને નેલ્લાઇ અવેયલ પણ કહેવામાં આવે છે.

ઇજનેરી અજાયબી[ફેરફાર કરો]

રેલવે જંક્શન ખાતે વાહનોની ભારે અવરજવરને હળવી કરવા માટે, તિરુનેલવેલીનો 1973માં થિરુવલ્લુવર બ્રિજ બાંધવામાં આવ્યો હતો. બે સ્તરનો આ બ્રિજ 800 મીટરની લંબાઇ ધરાવે છે. ભારતમાં આ પ્રકારનો આ સૌથી પહેલો બ્રિજ હતો. આ બ્રિજના એક છેડાથી બીજા છેડા સુધી 25 સ્તંભ છે, જે પૈકીના 13 બાઉસ્ટ્રિંગ આર્ક/કમાન (પ્રત્યેક કમાનની પહોળાઇ 30.3 મીટર) છે અને 1 સીંગલ સ્તરના આરસીસી ગર્ડર છે, જે પૈકીના પ્રત્યેકની પહોળાઇ 11.72 મીટરની છે.

પલયમકોટ્ટાઇ[ફેરફાર કરો]

તિરુનેલવેલીનું જોડીયું શહેર[ફેરફાર કરો]

તિરુનેલવેલી અને પલયમકોટ્ટઇ થમિરબરની નદીના સામસામાં કાંઠે વસેલા છે, આ બન્ને નગરોનો અવારનવાર જોડિયાં શહેર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. પલયમ કોટ્ટઇ તેના શૈક્ષણિક માળખા માટે ખૂબ જાણીતું છે અને તેને દક્ષિણ ભારતનું ઓક્સફર્ડ કહેવામાં આવે છે.[૩૭][૩૮][૩૯]. આ શહેર મોટી સંખ્યામાં રહેલી અત્યંત સ્પર્ધાત્મક અને સક્રિય શાળાઓ, કોલેજો તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે અભ્યાસ ક્ષેત્રે સમૃદ્ધ વારસો ધરાવે છે. આ પૈકીની કેટલીક સંસ્થાઓ 150 વર્ષ કરતા પણ વધુ સમયથી અસ્તિત્વમાં છે, અને તેમની નામના બ્રિટીશ રાજના સમયથી ચાલી આવે છે. સૌથી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તિરુનેલવેલી મેડિકલ કોલેજ, ગર્વમેન્ટ સિદ્ધા કોલેજ, ગર્વમેન્ટ એન્જિનયરિંગ કોલેજ, સેન્ટ ઝેવિયર’સ કોલેજ, સેન્ટ જોન’સ કોલેજ તથા સારાહ ટકર કોલેજ (તમિલનાડુની સૌપ્રથમ મહિલા કોલેજ)નો સમાવેશ થાય છે[૪૦][૪૧].

સંદર્ભો[ફેરફાર કરો]

ઢાંચો:Cleanup-link rot

  1. "ધ હિન્દુ: નેશનલ: આદિચનાલ્લુર ખાતે 'તામિલ-બ્રાહ્મી લેખ' મળી આવ્યા". મૂળ માંથી 2010-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  2. "ધ ટેલિગ્રાફ - કોલકાતા: નેશનલ". મૂળ માંથી 2010-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  4. સ્ટોન પેજીસ આર્કિયો ન્યૂઝ: 3,800 વર્ષ જૂનું ભારતીય હાડપિંજર ઉત્ક્રાંતિ પર વધુ પ્રકાશ પાડે છે
  5. સ્ટોન પેજીસ આર્કિયો ન્યૂઝ: ભારતમાં લોહ યુગ સમયની વસાહત મળી આવી
  6. "ધ હિન્દુ: નેશનલ: આદિચનાલ્લુર ખાતે લોહ યુગના સમયની વસાહત મળી આવી". મૂળ માંથી 2005-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  7. "વધુ માટીના વાસણો મળી આવ્યા". મૂળ માંથી 2010-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  8. http://indianheartbeat.fws1.com/agathiyar.htm સંગ્રહિત ૨૦૧૦-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન Biography of Sage Agathiyar
  9. "તિન્નેવેલીનો ઇતિહાસ બિશપ આર. કાલ્ડવેલ દ્વારા". મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  10. તિન્નેવેલીમાં ક્રિશ્ચિયન મિશન
  11. "તિન્નેવેલીનો ટૂંકો ઇતિહાસ રેવ. ડાયરોન બી. ડોરિટી દ્વારા" (PDF). મૂળ (PDF) માંથી 2007-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  12. "તિરુનેલવેલી". મૂળ માંથી 2011-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  13. ચોલા સામ્રાજ્યનું શહેર
  14. "400 વર્ષ શેરડી દબાણ". મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  15. થમિરબારાણી
  16. ફોલિંગ રેઇન જીનોમિક્સ, ઇન્ક - તિરુનેલવેલી
  17. તિરુનેલવેલીની આબોહવા
  18. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
  19. "ભારત સરકારની વસતિ ગણતરી". મૂળ માંથી 2008-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  20. "શહેરી કેન્દ્રીકરણ વૃદ્ધિ દર". મૂળ માંથી 2008-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  21. [૧][હંમેશ માટે મૃત કડી]
  22. "એશિયન શહેરોનું વર્લ્ડ ગેઝેટર વસતિ અંદાજીકરણ- યોગ્ય સ્થળ". મૂળ માંથી 2007-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-16.
  23. એશિયન શહેરોનું વર્લ્ડ ગેઝેટર વસતિ અંદાજીકરણ-કેન્દ્રીકરણ[હંમેશ માટે મૃત કડી]
  24. "ભારતીય શહેરોનું વર્લ્ડ ગેઝેટર વસતિ અંદાજીકરણ - યોગ્ય સ્થળ". મૂળ માંથી 2007-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-16.
  25. "ભારતીય શહેરોનું વર્લ્ડ ગેઝેટર વસતિ અંદાજીકરણ- કેન્દ્રીકરણ". મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-16.
  26. "તામિલનાડુના શહેરોનું વર્લ્ડ ગેઝેટર વસતિ અંદાજીકરણ- યોગ્ય સ્થળ". મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-16.
  27. "તામિલનાડુના શહેરોનું વર્લ્ડ ગેઝેટર વસતિ અંદાજીકરણ- કેન્દ્રીકરણ". મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-16.
  28. તિરુનેલવેલીનું અર્થતંત્ર
  29. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. મૂળ (PDF) માંથી 2008-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-13.
  30. ભારતનો રેલવે નકશો - 1893
  31. ભારતના જાણીતા રેલવે સ્ટેશનોની યાદી
  32. કયાટર એર સ્ટ્રિપ
  33. તિરુનેલવેલી મેડિકલ કોલેજ - (ટીવીએમસી)
  34. "ગવર્નમેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, તિરુનેલવેલી". મૂળ માંથી 2011-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  35. "Visvesvaraya Industrial & Technological Museum Bangalore India: Satellite Units". મૂળ માંથી 2008-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-14.
  36. ""પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ ગયા" — ધ હિન્દુ". મૂળ માંથી 2010-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  37. http://tirunelveli.nic.in/education.html સંગ્રહિત ૨૦૦૯-૦૬-૧૯ ના રોજ વેબેક મશિન A Brief History of Missions in tirunelveli
  38. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-07-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  39. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  40. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  41. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-26.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]