આંકડો (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી

કેલોટ્રોપિસ જાઇજેન્શિયા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: સપુષ્પ વનસ્પતિ
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: જેન્શિએનેલ્સ
Family: એપોસાયનેસી
Subfamily: એસ્ક્લેપિએડોઇડી
Genus: કેલોટ્રોપિસ (Calotropis)
Species: જાયજેન્શિયા (C. gigantea)
દ્વિનામી નામ
કેલોટ્રોપિસ જાયજેન્શિયા (Calotropis gigantea)
(લિનિયસ (L.)) W.T.Aiton

આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે. ફળમાં નરમ, સુંવાળું, પોસું, રેશમી રૂ હોય છે. આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ વરસે ત્યારે તે સૂકાઇ જતો હોય છે.

આંકડો એ શ્રવણ નક્ષત્રના સમયનું આરાધ્ય વૃક્ષ ગણાય છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

આકડો શબ્દ સંસ્કૃતના "અર્ક" શબ્દ પરથી પ્રાકૃત "અક્ક" અને તેને છેડે લઘુતાદર્શક પ્રત્યય "ડો" લાગવાથી બનેલ છે. [૧]

પ્રકાર[ફેરફાર કરો]

આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો.

મૂળનો ઉપયોગ[ફેરફાર કરો]

આંકડાનો પુષ્પધારી છોડ

આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે. આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે. આંકડાના મૂળ ૨ શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા. જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા. આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા બાદ દૂર થાય છે. ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે. આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મેળવી અને ૨-૨ રતી વજનની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ ખાવાથી ખાંસી દૂર થાય છે. આંકડાના મૂળની છાલના ચૂર્ણમાં આદુનો અર્ક તથા મરી પીસીને મેળવી અને ૨-૨ રતીની ગોળીઓ બનાવી આ ગોળીઓ લેવાથી હૈજાનો રોગ દૂર થાય છે. આંકડાની રાખમાં કડુઆનું તેલ મેળવીને લગાવવાથી ખંજવાળ મટી જાય છે.

ધાર્મિક ઉપયોગો[ફેરફાર કરો]

ભારત દેશના વિવિધ ભાગોમાં આંકડાના ફૂલની માળા હનુમાનજી અને શનિદેવને ચઢાવવામાં આવે છે.

સાહિત્યમાં[ફેરફાર કરો]

  • કહેવતો
૧. ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો
  • રૂઢિપ્રયોગો
૧. આકડા વાવવા = ઠેકઠેકાણ વેર કરવું; લડાઇનું મૂળ રોપવું.
૨. આકડાના તૂરની માફક ઊડી જવું = (૧) કશા લેખામાં નહિ ગણાતાં નાશ પામવું. (૨) પાયમાલ થઇ જવું.
૩. આકડાનો માંડવો = જલદી તૂટી જાય તેવી બનાવટ; તકલાદી વસ્તુ.
૪. આકડે મધ = સહેલાઇથી મળતી કીમતી વસ્તુ. મધ હમેશાં ઝાડની ઊંચી ડાળે મુશ્કેલીથી મેળવી શકાય. પણ આકડાની ડાળે મધ હોય તો તે સહેલાઇથી મળી શકે. માટે સહેલાઈથી મળતી વસ્તુ માટે આમ બોલાય છે.
૫. આકડે મધ ને માખીઓ વિનાનું = ઘણી સુંદર બાબત જે સહેલાઇથી મળી શકે. આકડાના છોડ ઉપર મધનું પોડું હોય અને માખીઓ વગરનું હોય તો લેવાનું ઘણું સહેલું થઇ પડે.
૬. આકડો ખાવો = છકી જવું; ઉપાડો લેવો.

સંદર્ભો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]