જલારામ બાપા

વિકિપીડિયામાંથી
જલારામ બાપા
જલારામ જયંતિના દિવસે સુંદર વસ્ત્રો દ્વારા શણગારેલી તેમની મૂર્તિ
જન્મની વિગત(1799-11-04)November 4, 1799 (કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬)
વીરપુર, ગુજરાત, ભારત
મૃત્યુની વિગતFebruary 23, 1881(1881-02-23) (ઉંમર 81) (વિક્રમ સંવત ૧૯૩૭)
વીરપુર , ગુજરાત, ભારત
જીવનસાથીવીરબાઈ ઠક્કર
માતા-પિતાપ્રધાન ઠક્કર, રાજબાઈ ઠક્કર

જલારામ બાપા (૪ નવેમ્બર ૧૭૯૯ - ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧) કે જેઓ સંત જલારામ બાપા અને ફક્ત જલારામ તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત છે.

જીવન વૃત્તાંત[ફેરફાર કરો]

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.

૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા.

૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે 'સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.[૧][૨] આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં.[૩] ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.[૩]

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને "બાપા" કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું.[૪] આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો, દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".[૫][૬]

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે.[૭][૮]

વીરપુર[ફેરફાર કરો]

જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ ના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે.[૭] પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે. જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે.[૧]

અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈપણ જાતનું દાન લેતુ નથી.[૩]

પરચા[ફેરફાર કરો]

આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હ્રદયથી જલારામબાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને "પરચા" કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામબાપાના મંદિરે જશે.[૫][૯][૧૦] અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામાયિક "જલારામ જ્યોત"માં છપાવશે. આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે. આવા પરચાઓને તે સામાયિકમાં ભક્તના નામ આને સરનામા સાથે વિના મૂલ્યે છપાવાય છે.[૧૧]

આજે જલારામ બાપાની ભક્તિ કરનારો એક બહોળો વર્ગ છે.[૧૨]

જલારામ જયંતિ[ફેરફાર કરો]

જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે.[૧][૨][૧૩] આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.[૧૪]

જલારામ મંદિરો[ફેરફાર કરો]

જલારામ મંદિરમાં પ્રાયઃ જલારામ બાપાની પ્રતિમા હોય છે. આ પ્રતિમા હસમુખી, સફેદ પાઘડી, કુર્તો અને ધોતીયું પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે.[૧૫] તે સાથે તેમના પૂજનીય એવા રામ લક્ષમણ સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ હોય છે. ભારતના દરેક નાના મોટાં શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે. [૧૬][૧૭] ભારત બહાર આમના મંદિરો પૂર્વ આફ્રિકા,[૫][૧૮] યુનાઇટેડ કિંગડમ,[૧૯][૨૦] સંયુક્ત રાજ્ય અમેરિકા[૨૧][૨૨] અને ન્યુ ઝિલેન્ડમાં પણ[૨૨] જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Census of India, 1961: Volume 5. ૧૯૬૫. પૃષ્ઠ ૧૯૯.
  2. ૨.૦ ૨.૧ Fairs and Festivals of India: Chhattisgarh, Dadra and Nagar Haveli, Daman and Diu, Goa, Gujarat, Madhya Pradesh, Maharashtra by Madan Prasad Bezbaruah, Dr. Krishna Gopal, Phal S. Girota - 2003, page:104
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Sages Through Ages - Volume IV: India's Heritage By K. K. Nair. ૨૦૦૭.
  4. Saints and sages of India. ૧૯૯૨.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Shree Jalaram Bapa : Life & Message". મૂળ માંથી 2012-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-02.
  6. "Life-sketch of Jalarambapa by Councillor Dhiraj Kataria" (PDF). મૂળ (PDF) માંથી 2013-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-02. સંગ્રહિત ૨૦૧૩-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન
  7. ૭.૦ ૭.૧ Holy people of the world: a cross-cultural encyclopedia, Volume 1 By Phyllis G. Jestice. ૨૦૦૪.
  8. This is Hinduism By Dave Symmons. ૧૯૯૮.
  9. Today we will go to Jalaram temple near Paldi railway crossing, as hundreds of devotees will pay visit on Thursday.:Be aware of fake cops: Police Daily Bhaskar, Ahmedabad 23-12-2011
  10. Hinduism in Great Britain: the perpetuation of religion in an alien cultural ... By Richard Burghart. ૧૯૮૭. પૃષ્ઠ ૫૬.
  11. "Parchas". મૂળ માંથી 2011-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-02.
  12. Jainism: the world of conquerors, Volume 2 By Natubhai Shah. ૧૯૯૮.
  13. "Jalaram Jayanti's big celebration at Virpur". મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૨.
  14. Liluah (Howrah), will hold religious procession on the birth day of Guru Shree Jalaram Bapa at about 08.00 hours on 14.11.2010. સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૫ ના રોજ archive.today Kolkata Police Press Release
  15. Intercultural education: ethnographic and religious approaches By Eleanor M. Nesbitt. ૨૦૦૪.
  16. "List of some Jalaram temples spread in various cities of India". મૂળ માંથી 2012-06-21 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-02. સંગ્રહિત ૨૦૧૨-૦૬-૨૧ ના રોજ વેબેક મશિન
  17. www.jalaramonline.org સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન : Has list of Jalaram temples in India]
  18. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-02. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન
  19. The spiritual traveler: England, Scotland, Wales : the guide to sacred sites ... By Martin Palmer, Nigel Palmer. ૨૦૦૦.
  20. Hinduism in Great Britain: the perpetuation of religion in an alien cultural ... By Richard Burghart. ૧૯૮૭.
  21. "Hindu temples in USA". મૂળ માંથી 2012-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-02. સંગ્રહિત ૨૦૧૨-૦૯-૦૫ ના રોજ વેબેક મશિન
  22. ૨૨.૦ ૨૨.૧ Hind temples worldwide

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]