દિવાળી

વિકિપીડિયામાંથી
દિવાળી
રંગોળી અને દીવા
ઉજવવામાં આવે છેધાર્મિક રીતે, હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો. સાંસ્કૃતિક રીતે અન્ય ભારતીયો.
પ્રકારધાર્મિક, ભારત અને નેપાળ
મહત્વભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાશ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા.
ઉજવણીઓદીવડાઓ, ફટાકડા, મિઠાઇ અને ભેટ-સોગાદની વહેંચણી, રંગોળી
ધાર્મિક ઉજવણીઓપ્રાર્થના, ધાર્મિક પૂજા વગેરે
તારીખચંદ્ર પંચાંગ વડે

દિવાળી અથવા દીપાવલીહિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.[૨]

વિગત[ફેરફાર કરો]

માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.[૩] ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.[૪]સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. જૈન ધર્મ માં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.

છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.[૫]

દિવાળીના પર્વ પર તેલના દીવા.

દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે.

હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.

અયોધ્યા, પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે]. અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે. દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે. આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:

  • રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
  • નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. કૃષ્ણના જીવનના આ પાસામાં કલ્પના વધારે છે,[સંદર્ભ આપો] પરંતુ તેના દ્વારા 'કર્મ'ના સિદ્ધાંતનો પાયો નંખાય છે, જેની પાછળથી ભગવદ ગીતા માં વિસ્તૃત ચર્ચા છે.

આધ્યાત્મિક મહત્વ[ફેરફાર કરો]

દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મણ).

પાંચ દિવસો[ફેરફાર કરો]

ભારત અને સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી પાંચ દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી સિવાયના તમામ દિવસોના નામ હિન્દુ પંચાંગમાં આવતી તિથિ મુજબ રાખવામાં આવ્યા છે.

  1. વસુ બારસ: બારસનો અર્થ થાય છે 12મો દિવસ અને વસુનો અર્થ છે ગાય. આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા થાય છે.
  1. ધનત્રયોદશિ અથવા ધન તેરસ : ધનનો અર્થ છે "સંપત્તિ" અને ત્રયોદશી એટલે "13મો દિવસ". આમ નામના અર્થ મુજબ ચંદ્ર મહિનાના બીજા પખવાડિયાના 13મા દિવસે આ તિથિ આવે છે.વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા.ધન્વંતરી જયંતિ[હંમેશ માટે મૃત કડી]
  2. નરક ચતુર્દશી : ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. (ગુજરાતી: કાળી ચૌદસ, રાજસ્થાન : રુપ ચૌદસ).
    નરક ચતુર્દશી: અશ્વિન પખવાડિયાનો ચૌદમો દિવસ (ચતુર્દશી)

શ્રીમદભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે ભક્તજનો અને લોકો બંનેને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, "આ તારીખે (તિથિએ) પવિત્ર સ્નાન (મંગલસ્નાન) કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ". ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો (ચતુર્દશી) દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને (ઓવારણા લઈને) પોતાનો આનંદ વ્યક્ત કર્યો.'

દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા સળગાવે છે અને ઘરની બહાર આકર્ષક કોલમો/રંગોળીઓ દોરે છે.તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે. તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે "શું તમે ગંગાસ્નાન કર્યું?".

પૂજા પછી બાળકો ફટાકડા ફોડે છે અને રાક્ષસના પરાજયને ઉજવે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે અને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે ફરીથી દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા થાય છે તથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે. આ દિવસે ચંદ્ર નહિ હોવાના કારણે ઘણા લોકો વડવાઓને વિશેષ તર્પણ(પાણી અને સીસમના દાણાનું અર્ઘ્ય) આપે છે. આ દિવસ રુપ ચતુર્દશી સંગ્રહિત ૨૦૧૮-૦૪-૩૦ ના રોજ વેબેક મશિન પણ કહેવાય છે

  1. લક્ષ્મી પૂજા (30 અશ્વિન અથવા 15 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.
  2. ગોવર્ધન પૂજા (1 કારતક અથવા 1 શુક્લ પક્ષ કાતરક ):અન્નકૂટ પણ કહેવાય છે, તે કૃષ્ણ દ્વારા ઈન્દ્રના પરાજયના દિવસ તરીકે ઉજવાય છે.ભગવાન કૃષ્ણે લોકોને તેમનું 'કર્મ' કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કારણ આપ્યુ હતું કે ઈન્દ્ર અથવા અન્ય કોઈ દેવતાની પૂજા કરવાથી પાકની સફળતા પર કોઈ અસર પડતી નથી, તેના માટે માત્ર સખત મહેનત જરૂરી છે. તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણી સંભાળ રાખશે. આપણે આપણી પોતાની જાત માટે, સમાજ માટે અને પ્રકૃતિ માટે જે કામ કરીએ છીએ તેનું પ્રતિક 'કર્મ' છે. {0અન્નકૂટ{/0} માટે ખોરાકના ટેકરાને શણગારવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણે ઉંચકેલા ગોવર્ધન પર્વતનું પ્રતિક છે. મહારાષ્ટ્રમાં તે પડવા અથવા બલિપ્રતિપદા તરીકે ઉજવાય છે. મહારાજ બલિને યાદ કરવાનો દિવસ.આ દિવસે પુરુષો પોતાની પત્નીને ભેટ આપે છે.
  3. ભાઈદૂજ (ભય્યાદૂજ, ભાઉબીજ અથવા ભાઈટિકા પણ કહેવાય છે) (2 કાર્તિક અથવા બીજ શુક્લ પક્ષ કાર્તિક ): આ દિવસે ભાઈઓ અને બહેનો મળે છે અને એકબીજા માટેના પ્રેમ તથા લાગણીને અભિવ્યક્ત કરે છે.(ગુજરાતી: ભાઈ બીજ, બંગાળી: ભાઈ ફોટા). મોટાભાગના ભારતીય ઉત્સવો પરિવારોને નજીક લાવે છે, ભાઈદૂજ પરિણિત બહેનો તથા ભાઈઓને નજીક લાવે છે અને તેમના માટે આ દિવસ તહેવારનો મહત્વનો દિવસ છે. આ તહેવાર પ્રાચીન છે અને હાલમાં ભાઈ બહેનના અન્ય તહેવાર તરીકે ઉજવાતા 'રક્ષા બંધન' કરતાં વધારે જૂનો છે.

લક્ષ્મી પૂજા[ફેરફાર કરો]

ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા; આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.[૬]આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ "પંચાયતન" (પાંચનું જૂથ)ના સભ્યો છે.

આ તત્વોની કામગીરી છે...

  • વિષ્ણુ: આનંદ (આનંદ અને સંતોષ)
  • ઈન્દ્ર: સમૃદ્ધિ (સંપત્તિના કારણે સંતોષ)
  • કુબેર: સંપત્તિ (ઉદારતા; સંપત્તિનો ત્યાગ કરનાર વ્યક્તિ)
  • ગજેન્દ્ર: સંપત્તિનું વહન કરે છે
  • લક્ષ્મી: દૈવી ઊર્જા (શક્તિ) જે ઉપરની તમામ પ્રવૃત્તિઓ માટે ઊર્જા પૂરી પાડે છે.[૭]

જૈન ધર્મમાં[ફેરફાર કરો]

પાનસર ખાતેના પાવા મંદિરની પ્રતિકૃતિ. મહાવીરે પાવા ખાતે નિર્વાણ મેળવ્યુ હતું.

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે. છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે/0} આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો, છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી:

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા[૮]ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે:

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: "જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું" ("गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो").

દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવી છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે[૯]

ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते | समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२०|

તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક

અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.

દિપાલિકાયાનો અર્થ "શરીરને છોડીને જતો પ્રકાશ" પણ કરી શકાય. દિપાલિકા શબ્દ કે જેનો અર્થ થાય છે "દીવાઓનો દિવ્ય પ્રકાશ", "દિવાળી" શબ્દના પર્યાય તરીકે તે શબ્દનો ઉપયોગ થાય છે.જૈનો દ્વારા દિવાળીની ઉજવણી ઘણી રીતે અલગ પડે છે. જૈનો જે કંઈ પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓમાં સંયમવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે અને દિવાળીની ઉજવણી પણ આમાંથી બાકાત નથી. કારતક મહિના દરમિયાન ત્રણ દિવસ માટે જૈનો દિવાળી ઉજવે છે.આ સમય દરમિયાન શ્વેતાંબર જૈનો ઉપવાસ કરે છે અને ઉત્તરઅધ્યયન સૂત્રનો પાઠ કરે છે અને તેની આખરમાં ભગવાન મહાવીરના પ્રવચન તથા તેના પર મનનનો સમાવેશ થાય છે. કેટલાક જૈનો બિહારમાં આવેલ તેમના નિર્વાણસ્થળ પાવાપુરીની મુલાકાત લે છે. ઘણાં મંદિરોમાં આ દિવસે વિશેષ રીતે લાડુ ધરાવાય છે.

વીર નિર્વાણ સંવત : દિવાળી બાદ પ્રતિપદથી જૈન વર્ષની શરૂઆત થાય છે. વીર નિર્વાણ સંવત 2534 દિવાળી 2007ની સાથે શરૂ થાય છે. જૈન વેપારીઓ પરંપરાગત રીતે તેમનું હિસાબોનું વર્ષ દિવાળીથી શરૂ કરે છે.આચાર્ય વિરસેન દ્વારા તિથ્થોગલિ પૈનિયા અને ધવલમાં વીર અને શક સંવત વચ્ચેનો સંબંધ આપવામાં આવ્યો છે:

पंच य मासा पंच य वास छच्चेव होन्ति वाससया| परिणिव्वुअस्स अरिहितो तो उप्पन्नो सगो राया||

આમ શક સંવતના 605 વર્ષ અને 5 મહિના અગાઉ નિર્વાણ થયુ હતું. જૈનો દ્વારા સમગ્ર ભારતમાં 21 ઓક્ટોબર 1974ના રોજ 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો[૧૦].

શીખ ધર્મમાં મહાત્મ્ય[ફેરફાર કરો]

દિવાળીની કથા શીખો માટે શીખ સ્વાતંત્ર્ય સંઘર્ષની ગાથા છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના સમયથી (1469 – 1539), લોકપ્રિય મોસમી તહેવારો અથવા લણણીની ઉજવણી બૈસાખી જેવા લોક ઉત્સવો, અથવા અગાઉ હોળી અને દિવાળી જેવા પ્રાચીન હિન્દુ તહેવારો ગુરુના શિષ્યો-શીખો માટે અલગ રીતે મહત્વના બનવા માંડ્યા. બોધના વિષયોના પ્રતિક અથવા માધ્યમ તરીકે ગુરુ આ તહેવારો અને વિશેષ દિવસોનો ઉપયોગ કરતા, એટલે કે દરેક ચંદ્ર મહિનાનો પ્રથમ દિવસ. ગુરુ નાનકની બોધયુક્ત વિચારધારાએ દિવાળી અને બૈસાખી જેવા પ્રાચીન તહેવારોને નવો અર્થ અને મહત્વ આપ્યા.

બંદી છોડ દિવસ[ફેરફાર કરો]

શીખો માટે દિવાળીનું વિશેષ મહત્વ છે,કારણ કે આ દિવસે છઠ્ઠા ગુરુ ગુરુ હરગોબિંદ જીને તથા તેમની સાથેના અન્ય ૫૨ રાજકુમારોને 1619માં ગ્વાલિયરના કિલ્લાની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા (આથી તેને બંદી છોડ દિવસ અથવા "બંદીઓની મુક્તિનો દિવસ" કહેવામાં આવે છે) અને આ મુક્તિની ઉજવણી દિવાળીમાં કરાય છે. મુઘલ બાદશાહ જહાંગીરે ગુરુ હરગોબિંદ જી તથા અન્ય 52 રાજાઓને (રાજકુમારો) બંદી બનાવ્યા હતા. ગુરુના અનુયાયીઓ તથા શક્તિમાં વૃદ્ધિ થતી જોઈને બાદશાહ જહાંગીર ગભરાઈ ગયો હતો અન તેથી તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. ગુરુ હરગોબિંદને મુક્ત કરવા માટે બાદશાહને જણાવવામાં આવ્યુ હતું અને તે આના માટે સંમત થયો હતો. જોકે, ગુરુ હરગોબિંદે રાજકુમારોને પણ છોડવાની માગણી કરી. બાદશાહ સંમત થયા, પરંતુ સાથે શરત મૂકી કે તેમના ડગલાની દોરીને પકડી શકે તેટલા લોકોને જ જેલ છોડવાની મંજૂરી અપાશે. બંદીગૃહમાંથી છોડવાના થતા કેદીઓની સંખ્યા મર્યાદિત રાખવા આ શરત રખાઈ હતી.જોકે દરેક કેદી એક દોરી પકડી શકે અને જેલમાંથી મુક્ત થઈ શકે તે માટે ગુરુ હરગોબિંદે 52 ફૂમતાઓ સાથેનો એક મોટો ડગલો બનાવ્યો.સુવર્ણ મંદિરમાં રોશની કરીને શીખોએ ગુરુ હરગોબિંદજીના પુનરાગમનને આવકાર્યુ હતુ અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દીવાઓ હિન્દુઓનું પ્રતિક છે.

ભાઈ મણિ સિંઘ જીની શહાદત[ફેરફાર કરો]

1734માં વૃદ્ધ શીખ વિદ્વાન અને રણનિતિજ્ઞ ભાઈ મણિ સિંઘની શહિદી દિવાળી સાથે સંકળાયેલી શીખોની અન્ય મહત્વની ઘટના છે, તેઓ હમીર સાહિબ (સુવર્ણ મંદિર)ના ગ્રંથિ (પવિત્ર શીખ ગ્રંથના રક્ષક/વાચક)હતા. દિવાળીના દિવસે ખાલસાના ધાર્મિક સંમેલનમાં તેમણે મુઘલ બાદશાહ દ્વારા બિન-મુસ્લિમો પાસેથી વસૂલાતો ઝઝિયા ચૂકવવાની અક્ષમતા દર્શાવી હતી અથવા ના પાડી હતી. આ અને અન્ય શીખોની શહાદતના કારણે સ્વાતંત્ર્ય માટેનો ખાલસા સંઘર્ષ તીવ્ર બન્યો અને પરિણામે દિલ્હીની ઉત્તરમાં ખાલસા શાસન સ્થાપવામાં સફળતા મળી. ભાઈ મણિ સિંઘ મહાન વિદ્વાન હતા અને તેમણે 1704માં ગુરુ ગોબિંદ સિંઘજીના વક્તવ્ય પરથી ગુરુ ગ્રંથ સાહિબની આખરી આવૃત્તિ લખી હતી. તેમણે 1708માં હરમિંદર સાહિબનું સંચાલન હાથમાં લીધુ હતું.દિવાળીમાં ધાર્મિક સંમેલન રાખવા માટે 1737માં તેમણે રૂ. 5,000 (કેટલાક લેખકોના મતે રકમ રૂ. 10,000 હતી)નો જંગી કર ચૂકવીને પંજાબના મુઘલ સૂબા ઝકરિયા ખાન પાસેથી મંજૂરી લીધી હતી.હરમંદિર સાહિબ ખાતે બંદી છોડ દિવસની ઉજવણીમાં જોડાવા માટે સમગ્ર ભારતના શીખોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. ભાઈ મણિ સિંઘજીએ વિચાર્યું હતું કે દિવાળીની ઉજવણીમાં એકઠા થનાર શીખો પાસેથી લવાજમ તરીકે કરની રકમ એકઠી કરી શકાશે. પરંતુ પાછળથી ભાઈ મણિ સિંઘજીને સંમેલન દરમિયાન એકઠા થયેલા શીખોની હત્યા કરવાની ઝકરિયા ખાનની ગુપ્ત યોજનાની જાણ થઈ ગઈ. ઉજવણી માટે એકત્ર નહિ થવા માટે ભાઈ મણિ સિંઘજીએ તરત જ શીખોને સંદેશો મોકલ્યો. ભાઈ મણિ સિંઘજી કર માટેની રકમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી ઝકરિયા ખાન નારાજ થયો હતો. તેણે લાહોર ખાતે ભાઈ મણિસિંગની કતલનો આદેશ આપ્યો અને એક-એક અંગ કાપીને તેમની ક્રૂર હત્યા કરવામાં આવી. ત્યારથી શહીદ ભાઈ મણિસિંઘજીના મહાન બલિદાન અને સમર્પણની યાદમાં બંદી છોડ દિવસ (દિવાળી)ની ઉજવણી કરવામાં આવે છે.

મુઘલ સામ્રાજ્ય સામે બળવો[ફેરફાર કરો]

દિવાળીનો તહેવાર બૈસાખી પછીનો બીજો સૌથી વધુ મહત્વનો દિવસ બન્યો, કારણ કે આ દિવસે 1699માં દસમા ગુરુ ગોબિંદ સિંઘ દ્વારા ઔપચારિક રીતે ખાલસાની સ્થાપના કરાઈ. બિન-મુસ્લિમો અને ખાસ કરીને શીખો પર મુઘલ સામ્રાજ્યના અત્યાચારો કે જે 18મી સદી દરમિયાન વધારે સઘન બન્યા હતા, તેની સામેની શીખોની લડાઈ આ દિવસોમાં કેન્દ્રસ્થાને હતી.પંજાબમાં ખેતીની જમીન માટેના બળવાનું નેતૃત્વ લેનાર બંદા બહાદુરની 1716માં થયેલી કતલ બાદ શીખોએ સમુદાયને લગતી બાબતોના નિર્ણય માટે વર્ષમાં બે વખત બેઠક રાખવાની પરંપરા શરૂ કરી અને પ્રથમ બૈસાખે તથા દિવાળીએ અમૃતસર ખાતે આ બેઠક યોજાઈ. આ સભાઓ સરબત ખાલસા તરીકે ઓળખાતી હતી અને તેના દ્વારા પસાર થયેલા ઠરાવો ગુરમાતા (ગુરુનો આદેશ) તરીકે જાણીતા બન્યા.

ભારતના વિવિધ પ્રાંતોમાં દિવાળી[ફેરફાર કરો]

વિવિધ પ્રાંતોમાં ઉજવણી અલગ-અલગ રીતે થાય છે:

દક્ષિણ ભારતમાં[ફેરફાર કરો]

  • દક્ષિણી ભારતમાં, નરક ચતુર્દશી મુખ્ય દિવસ છે અને લક્ષ્મીપૂજા બાદ વહેલી સવારે ફટાકડા ફોડવામાં આવે છે.
  • ઉત્તર ભારત આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો મુખ્ય તહેવાર અમાસ (ચંદ્ર વગરનો દિવસ)ની સાંજે હોય છે, જેમાં લક્ષ્મી પૂજા બાદ ઘરની આસપાસ દીવા પ્રગટાવવામાં આવે છે.
  • ત્રીજો દિવસ બલિપદ્યમી તરીકે ઉજવાય છે, કારણ કે આ દિવસે 'મહાબલિ' પર વામને વિજય મેળવ્યો હતો. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ તહેવાર ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે.

ગુજરાતમાં[ફેરફાર કરો]

ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત નો દરેક નાનામાં નાના કારખાના ની માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર માં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડા નું પૂજન કરી ને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભ ને પૂજન કરી ને તે વર્ષ ની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમ ના દિવસ થી પોતાનો રાબેતા મુજબ નો ધંધો શરુ કરેછે

મહારાષ્ટ્રમાં[ફેરફાર કરો]

મહારાષ્ટ્રમાં દિવાળી વાસુબારસ થી શરૂ થાય છે, જે અશ્વિન મહિનાના બીજા પખવાડિયાનો 12મો દિવસ છે. માતા અને બાળક વચ્ચેના પ્રેમના પ્રતીકરૂપે ગાય અને વાછરડાની આરતી કરીને આ દિવસ ઉજવવામાં આવે છે.બીજો દિવસ છે ધનત્રયોદશી (ધન=સંપત્તિ, ત્ર=3 દશી=10મી એટલે કે 10+3=13મો દિવસ) અથવા ધનતેરસ . વેપારીઓ અને વ્યવસાયીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. અશ્વિન નો 14મો દિવસ નરકચતુર્દશી છે. આ દિવસે લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે (તેઓ ઉતના થી પણ સ્નાન કરે છે). ત્યાર બાદ સમગ્ર પરિવાર મંદિરની મુલાકાત લે છે અને તેમના ઈશ્વરની પૂજા કરે છે. આ મુલાકાત પછી દરેક વ્યક્તિ ફરાળ ની મિજબાની માણે છે, જેમાં "કરંજી ", "લાડુ ", "શંકરપેલ " અને "મિઠાઈ " જેવી સ્વાદિષ્ટ વાનગીઓની તથા "ચકરી ", "સેવ " અને "ચેવડા " જેવી ચટાકેદાર વાનગીઓ હોય છે.

ત્યાર બાદ લક્ષ્મી-પૂજન કરવામાં આવે છે. તે અમાસ ના દિવસે હોય છે એટલે કે ચંદ્ર વગરનો દિવસ. દીવડાઓ દ્વારા અંધારી રાતને પ્રકાશમય બનાવવામાં આવે છે અને સાંજના સમયે ફટાકડા ફોડવામાં આવે છે. પૂજા પછી હિસાબના નવા ચોપડાઓની શરૂઆત કરવામાં આવે છે. શેર બજાર મુહુર્ત ના પ્રતિકરૂપે સોદા કરે છે. સામાન્ય રીતે વેપારીઓ આ દિવસે કોઈ ચૂકવણુ કરતા નથી (માન્યતા એવી છે કે લક્ષ્મી કોઈને આપવી જોઈએ નહિ પરંતુ તેનું ઘરે આગમન થવું જોઈએ). દરેક ઘરમાં રોકડા નાણા, ઘરેણાં અને લક્ષ્મી દેવીની મૂર્તિની પૂજા થાય છે. મિત્રો, પડોશીઓ અને સંબંધીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સ્થળે ઘરની સફાઈ માટે વપરાતી સાવરણીની પણ લક્ષ્મીના પ્રતિક તરીકે પૂજા થાય છે . પડવો એ નવા મહિનાનો પ્રમથ દિવસ છે -કારતક હિન્દુ પંચાંગમાં .

'ભાઉબીજ -બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ સમય છે, કારણકે બહેન ઈશ્વરને પ્રાર્થના કરીને પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે પ્રાર્થના કરે છે અને વહાલો ભાઈ/ઓ તેને ભેટ આપે છે.

દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઓફિસોમાં પૂજા થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. લોકો આ દિવસોમાં સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. બાળકો મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની યાદમાં કિલ્લાની પ્રતિકૃતિ બનાવે છે. ફટાકડા, નવા કપડાં અને મિઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પ્રિય તહેવાર છે અને આ તહેવારની તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે.

બંગાળમાં[ફેરફાર કરો]

કોલકાતા માટે કાલિ પૂજા એ અજવાળુ પાથરવાનો દિવસ છે, દિવાળીના (બંગાળમાં દિપાબલી બોલાય છે)તહેવાર સંદર્ભે લોકો દીવા પ્રગટાવી પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે. આ તહેવાર દરમિયાન એક રાત્રે દેવી કાલિની પૂજા થાય છે. આ ફટાકડાઓની પણ રાત છે અને સ્થાનિક યુવાનો આખી રાત કોઠી તથા ફટાકડા ફોડે છે. શહેરના વિસ્તારોમાં અવાજના પ્રદૂષણનું પ્રમાણ 90 ડેસીબલ્સ કે તેનાથી વધારે થવાના કારણે કોલકાતામાં થોડા વર્ષો અગાઉ એક વિશેષ કાયદો બનાવવો પડ્યો હતો અને 65 ડેસિબલ અવાજની મર્યાદા તોડતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મેળાઓ[ફેરફાર કરો]

દિવાળીના ઉત્સવમાં ઉમેરો કરવા માટે સમગ્ર ભારતમાં ઠેર-ઠેર મેળાઓ યોજાય છે.[૧૧] ઘણા નગરો અને ગામોમાં મેળા જોવા મળે છે.ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગે મેળાઓ બજારનો દિવસ હોય છે, જ્યારે ખેડૂતો ઉત્પાદનોનું ખરીદ-વેચાણ કરે છે. છોકરીઓ અને મહિલાઓ તહેવાર દરમિયાન આકર્ષક વસ્ત્રો પહેરે છે.તેઓ રંગબેરંગી વસ્ત્રો અને નવા ઘરેણાં પહેરે છે અને તેમના હાથ મહેંદીની વિવિધ ભાતથી સુશોભિત હોય છે.

મેળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં જાદુગર, અંગકસરતબાજો, મદારીઓ અને જ્યોતિષિઓ દ્વારા થતા કામગીરીના પ્રદર્શનનો સમાવેશ થાય છે. ખાણી-પીણીની દુકાનો બનાવવામાં આવે છે, જેમાં મિઠાઈ અને મસાલેદાર વાનગીઓ વેચાય છે. મેળામાં વિવિધ પ્રકારની સવારીઓ પણ હોય છે, જેમાં ચકડોળો અને હાથી તથા ઊંટ જેવા પ્રાણીઓ પર સવારીનો સમાવેશ થાય છે. બાળકો માટે કઠપૂતળીના ખેલ જેવી પ્રવૃત્તિ સમગ્ર દિવસ દરમિયાન ચાલતી રહે છે.

વિશ્વના અન્ય વિસ્તારોમાં[ફેરફાર કરો]

નેપાળમાં દિવાળી દરમિયાન પરિવાર મિલન વધારે મહત્વ ધરાવે છે. સમુદાયના લોકો જૂથ બનાવીને ગીતો અને નૃત્ય જેવી રમત "દેઉસી અને ભઈલો" રમે છે. લોકો સમુદાયમાં તમામ લોકોના ઘરોએ જાય છે અને ગીતો ગાય છે તથા નૃત્ય કરે છે, તથા જે ઘરે ગયા હોય તેને શુભકામના પાઠવે છે, જ્યારે કે મકાનધારક તેમને ચોખા જેવા ધાન્ય, રોટલી, ફળો અને નાણાં આપે છે. તહેવાર બાદ લોકો એકત્ર થયેલ નાણામાંથી કેટલોક ભાગ સેવાકાર્યો માટે અથવા જૂથના કલ્યાણ માટે દાનમાં આપે છે અને બાકીના નાણાં તથા ખોરાક લઈને તેઓ પ્રવાસમાં જાય છે. લોકો ડોર પિંગ કહેવાતી હીંચકા પણ રમે છે, જે ઝાડા દોરડા અને પીરકે પિંગ અથવા લાકડાના રંગટે પિંગમાંથી બને છે.

કોવેન્ટ્રી, યુનાઈટેડ કિંગડમમાં દિવાળીની ઉજવણી.
ચાગુઆનાસ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો ખાતે દિવાળી નગર અથવા "દિવાળી કેપિટલ".
લિટલ ઈન્ડિયાના સમગ્ર વિસ્તારમાં બે કિલોમીટર લાંબી રોશની એ સિંગાપોરમાં દિવાળીની લાક્ષણિકતા છે.

દિવાળી વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે, યુનાઈટેડ કિંગડમ, નેધરલેંડ, ન્યૂઝીલેન્ડ, સુરીનામ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરિશિયસ, ફિજિ, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.[૧૨]એટલે કે ભારત અને શ્રીલંકાના વધારેને વધારે લોકો વિશ્વના વિવિધ ભાગોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાથી દિવાળીની ઉજવણી થતી હોય તેવા દેશોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.કેટલાક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ તે સામાન્ય સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયુ છે. નાની-મોટી ભિન્નતાને બાદ કરીએ તો આમાંથી મોટાભાગના દેશોમાં દિવાળી આ લેખમાં જણાવ્યા મુજબની રીતે જ ઉજવાય છે. કેટલાક મહત્વના ફેરફારોનો ઉલ્લેખનીય છે.

નેપાળમાં દિવાળીને "તિહાર" અથવા "સ્વાન્તિ" તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર/નવેમ્બરના સમયગાળા દરમિયાન તેની ઉજવણી થાય છે. અહીંયા પાંચ દિવસ માટે તહેવારની ઉજવણી થાય છે અને ભારત કરતાં તેની પરંપરા અલગ છે. પ્રથમ દિવસે (કાગ તિહાર) કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસે (કૂકૂર તિહાર) વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા થાય છે અને ગાયનું પૂજન કરાય છે. નેપાળ સમ્બત મુજબ આ છેલ્લો દિવસ છે તેથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને ઐશ્વર્યના દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. નેવારો આને "મ્હા પૂજા" તરીકે ઉજવે છે અને આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. "ભાઈ ટિકા" તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે.

ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં તમામ ટાપુઓના સમુદાયો એકત્ર થાય છે અને આ તહેવાર ઉજવે છે. એક મોટી ઉજવણી છે બાકી રહી ગઈ છે તે છે દિવાળી નગર અથવા પ્રકાશના ઉત્સવનું ગામ. પૂર્વ ભારતીય સંસ્કૃતિમાં માનતા લોકો દ્વારા મંચ પર કાર્યક્રમો આપે છે, લોક નાટ્યમાં લઘુનાટિકા અને નાટકો, હિન્દુ ધર્મના કોઈ પાસા પર પ્રદર્શન, હિંદુ ધર્મના વિવિધ વિભાગો અને સામાજિક સંગઠનો દ્વારા ઝાંખીઓ યોજાય છે અને રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની વિવિધ પાઠશાળાઓ કલા રજૂ કરે છે તથા ભારતીય તથા બિન-ભારતીય શાકાહારી વાનગીઓનું ખાણી-પીણી બજાર ભરાય છે. ઉત્સવમાં દીવાળીના ફટાકડાઓની ભવ્ય આતશબાજી થાય છે. દારુ કે મદિરાના વાતાવરણથી દૂર રહીને હજારો લોકો સાચા કૌટુંબિક વાતાવરણમાં ભાગ લે છે.

મલેશિયામાં દિવાળીને "હરી દીપાવલી" તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ સૂર્ય પંચાંગના સાતમા મહિના દરમિયાન તેની ઉજવણી થાય છે. સમગ્ર મલેશિયામાં સરકાર દ્વારા જાહેર રજા હોય છે. ભારતીય ઉપખંડમાં પળાતી પરંપરાને તે ઘણી રીતે મળતી આવે છે. 'ખુલ્લા આવાસ' યોજાય છે, જ્યાં હિન્દુ મલેશિયનો વિવિધ જાતિ અને ધર્મના સભ્યોને આવકારે છે અને સમૂહભોજન લે છે. 'ખુલ્લા આવાસ' અથવા 'રુમાહ તેર્બુકા' એ મલેશિયાની આગવી પ્રથા છે અને કોઈ પણ તહેવારના પ્રસંગે તમામ મલેશિયનો દ્વારા સૌહાર્દ અને મિત્રતાના બંધનની ઝાંખી કરાવે છે.

સિંગાપોરમાં આ તહેવાર "દીપાવલી" કહેવાય છે અને તેમાં સરકારી આજ્ઞાપત્ર મુજબની જાહેર રજા હોય છે. મુખ્યત્વે લઘુમતિ ભારતીય સમુદાય તેની ઉજવણી કરે છે અને લિટલ ઈન્ડિયા જિલ્લામાં થતી રોશની તેની લાક્ષણિકતા છે. દીપાવલીના સમય દરમિયાન સિંગાપોર સરકાર સાથે મળીને સિંગાપોરનું હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.

શ્રીલંકામાં આ તહેવાર "દીપાવલી" પણ કહેવાય છે અને તમિલ સમુદાયના લોકો તેની ઉજવણી કરે છે. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાની અને ભેટોની આપ-લે કરવાની પરંપરા છે.

બ્રિટનમાં હિન્દુઓ અને શીખો ભારે ઉત્સાહથી દિવાળી ઉજવે છે અને મોટાભાગે તેમની ઉજવણી ભારત જેવી જ હોય છે. લોકો સફાઈ કરીને તેમના ઘરને દીવા અને મીણબત્તીથી શણગારે છે. દીવા એ આ શુભદિવસના પ્રતિક રૂપે લોકપ્રિય બનેલી મીણબત્તી છે.લોકો એકબીજાને લાડુ અને બરફી જેવી મિઠાઈ આપે છે અને ક્યારેક ધાર્મિક ઉજવણી તથા મેળાવડા માટે સમગ્ર દેશમાંથી વિવિધ સમુદાયના લોકો એકત્ર થાય છે. ભારતમાં રહેતા પરિવારનો સંપર્ક કરવાનું અને કદાચ ટપાલ દ્વારા ભેટની આપલે કરવાનું પણ મહત્વ છે. તે ભવ્ય રીતે ઉજવાતી રજા છે અને ભારતની સંસ્કૃતિ તથા વારસા સાથે સંપર્કમાં રહેવાનો ઉત્તમ રસ્તો છે. બ્રિટનમાં દિવાળી જાણીતો તહેવાર બની રહ્યો છે અને બિન-ભારતીયો પણ ઉજવણીમાં જોડાય છે. ભારતની બહાર થતી કેટલીક સૌથી મોટી ઉજવણીઓમાં લેસેસ્ટર યજમાનની ભૂમિકા ભજવે છે.

યોગાનુયોગે દિવાળી પાંચમી નવેમ્બરે ઈસ્ટ એન્ડ ઓફ લંડન જેવા ઘણા વિસ્તારોમાં ઉજવાતી બ્રિટિશ પરંપરાઓ ગાય ફોક્સ (બોનફાયર નાઈટ) સાથે ઘણા અંશે મળતી આવે છે, જે એક પ્રકારનો સંયુક્ત તહેવાર હોય છે અને દરેક વ્યક્તિ તેની ઉજવણી કરે છે અને એકસરખી આગ તથા ફટાકડાનો તેમના પોતાના વિવિધ કારણોસર આનંદ લે છે.

ન્યૂઝિલેન્ડમાં દક્ષિણ એશિયન સમાજના ઘણા જૂથો જાહેરમાં દિવાળીની ઉજવણી કરે છે. મુખ્ય જાહેર તહેવારો ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં થાય છે અને તેની સાથે દેશના અન્ય સ્થળોએ યોજાતા કાર્યક્રમો વધારે લોકપ્રિય થઈ રહ્યા છે અને જાણીતા બની રહ્યા છે. ન્યૂઝિલેન્ડની સંસદમાં 2003થી અધિકૃત સત્કાર સમારંભ યોજાઈ રહ્યો છે. [૧૩]

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો અને સ્થાનિક ઓસ્ટ્રેલિયનો મેલબોર્નમાં દિવાળીની જાહેરમાં ઉજવણી કરે છે.21મી જુલાઈ 2002ના રોજ મેલબોર્નમાં ભારતીય તહેવારો ઉજવવા સ્વતંત્ર સંગઠનોના સમૂહ અને વ્યક્તિઓને એકઠા કરીને એક સંસ્થા “ધી ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન ઈનોવેશન્સ ઈનકોર્પોરેટેડ”(AIII)ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના સાંસ્કૃતિક અરીસાનું ચિત્ર સમજવા માટે AIII સુવિધા આપે છે અને મેલબોર્નમાં રહેતા ભારતીયો ભારતીય કળા, સંસ્કૃતિ, પદ્ધતિ, પરંપરા અને વાનગીઓનું પ્રદર્શન કરી શકે તે માટે સેમિનાર, ઉજવણીઓ, મેળા અને કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રથમ પ્રારંભિક દિવાળી ઉત્સવ-2002” રવિવાર 13 ઓક્ટોબર 2002ના રોજ સેન્ડાઉન રેસકોર્સ ખાતે યોજાયો હતો. ત્યારથી માંડીને ઓક્ટોબર 2008 સુધીમાં આશરે 140000 લોકોએ સંસ્કૃતિ, આનંદ તથા રાંધણ પદ્ધતિથી ભરપૂર ઓસ્ટ્રેલેયિન ઈન્ડિયન કલ્ચરલ ઇક્સ્ટ્રેવગેઝૅની મુલાકાત લીધી છે. 10 કલાકનો આ ઉત્સવ 50 સ્ટોલ, 10 ફૂડ સ્ટોલ્સ અને ડીજે સાથેના એક 8 કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોની રાઈડ્સ અને આકર્ષક ફટાકડા દ્વારા 7 વર્ષ કરતા વધુ સમયથી ભારતની ઝાંખી કરાવે છે.

ફટાકડા[ફેરફાર કરો]

ઓસ્ટિન ખાતેની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ખાતે દિવાળીની ઉજવણીમાં આતશબાજી, 2007

દિવાળીના પ્રસંગે ફટાકડા અને ફૂલઝડીઓ લોકપ્રિય છે.

ફટાકડા અંગે ચિંતાઓ[ફેરફાર કરો]

અવાજ અને હવાના પ્રદૂષણની વિપરિત અસરો સામે જાગૃતિ લાવવા માટેના અભિયાનમાં આજકાલ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તહેવારને અવાજ અને પ્રદૂષણ મુક્ત બનાવવા કેટલીક સરકારોએ ઝુંબેશ ચલાવી છે. તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 125 ડેસિબલથી વધારે અવાજ ધરાવતા ફટાકડાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે.[૧૪] યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ રેલાવતા ફટાકડાઓમાં ધુમાડાનું પ્રમાણ વધારે હોય છે. SO2 (સલ્ફર ડાયોક્સાઈડ) અને RSPM (રેસ્પીરેબલ સસ્પેન્ડેડ પર્ટીક્યુલર મેટર)નું સ્તર દિવાળીના દિવસે થોડુક વધારે જોવા મળ્યુ હતું. સલ્ફર અને કાગળનો મોટા જથ્થામાં ઉપયોગ કરતા ફટાકડા હવામાં સલ્ફર ડાયોક્સાઈડ અને કોલસી ફેંકે છે તથા પારો અને અન્ય ધાતુના તત્વો પણ હવામાં ભળી જાય છે, જેના લીધે શ્વસનતંત્રની સમસ્યાઓ ઉભી થાય છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને શાંત ક્ષેત્રો એટલે કે હોસ્પિટલ, શાળાઓ અને કોર્ટ જેવા વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.[૧૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Diwali 2019 Puja Calendar". drikpanchang.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-19.
  2. મહાવીર અને તેમનું શિક્ષણ (Mahavira and His Teachings) એ. એન. ઉપાધ્યાય, સમીક્ષા: રિચર્ડ જે. કોહેન, જરનલ ઓફ ધી અમેરિકન સોસાયટી (Journal of the American Oriental Society), Vol. 102, No. 1 (જાન્યુઆરી - માર્ચ, 1982), pp. 231-232
  3. મહાદેવિયા:હિન્દુ પરંપરાના ગહન અભ્યાસ માટેના સ્રોત - દિવાળી
  4. "રામચરિતમાનસ, ઉત્તરાખંડ". મૂળ માંથી 2009-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-04.
  5. દિવાળીનો ઇતિહાસ[હંમેશ માટે મૃત કડી]
  6. "દિવાળી ઇતિહાસ". મૂળ માંથી 2007-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-04.
  7. "Importance of various days of Divali". hindujagruti.org. મૂળ માંથી 2008-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-11.
  8. પૂર્વના પવિત્ર પુસ્તકો(Sacred Books of the East), vol. 22: જ્ઞાન સૂત્રો ભાગ I, અનુવાદ હર્મન જેકોબી દ્વારા [1884]
  9. ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ(Encyclopaedia of Indian literature) vol. 2, પ્રકાશિત 1988, સાહિત્ય અકાદમી ISBN 81-260-1194-7
  10. મહાવીર અને તેમનું શિક્ષણ (Mahavira and His Teachings) by એ. એન. ઉપાધ્યે, સમીક્ષા: રિચાર્ડ જે. કોહેન, જર્નલ ઓફ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી, Vol. 102, No. 1 (જાન્યુઆરી - માર્ચ, 1982), pp. 231-232
  11. Kadowala, Dilip (1998). Diwali. London: Evans Brothers Limited. ISBN 0-237-51801-5.
  12. "Diwali Celebrations Around The World". diwalifestival.org. મેળવેલ 2006-08-27.
  13. દિવાલી ડાઉનઅંડર: ટ્રાન્સફોર્મિંગ એન્ડ પરફોર્મિંગ ઈન્ડિયન ટ્રેડિશન ઈન એઓટીઆરોઆ/ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ જર્નલ ઓફ મીડિયા સ્ટડીઝ 9(1): 25-35 (2005) (ISSN 1173 0811).
  14. 1000 વાળા, હાઈડ્રોજન બોમ્બ પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો પ્રતિબંધ સંગ્રહિત ૨૦૦૯-૦૫-૩૧ ના રોજ વેબેક મશિન --11 માર્ચ 2007માં સંપર્ક થયેલ
  15. હળવા ફટાકડા યોગ્ય છે, એટોમિક બોમ્બ નહિ -- 11 માર્ચ 2007ના રોજ સંપર્ક થયેલ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]