મીરાંબાઈ
મીરાંબાઈ | |
|---|---|
| જન્મ | ૧૪૯૮ કુડકી |
| મૃત્યુ | ૧૫૪૬, ૧૫૪૭ |
| વ્યવસાય | કવિ, લેખક |
| જીવન સાથી | ભોજ રાજ |

મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં, જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનોની રચના કરી છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ-સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપી છે. જોકે, મીરાંબાઈનાં મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાંબાઈનાં પદો વ્રજ ઉપરાંત હિંદી, ગુજરાતી, ઇત્યાદિ ભાષાઓમાં પણ મળે છે.
જીવન
[ફેરફાર કરો]મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮ (અંદાજે ઈ.સ. ૧૪૯૮)માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી) ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.[૧] તેમના પિતા રતન સિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં, ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી, કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેમને તે મૂર્તિ ન મળી, ત્યાં સુધી તેમણે કાંઈ પણ ખાવા-પીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેમણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેમણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમિયાન નિભાવ્યો.
બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરીને તેમણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેમની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને." મીરાંની માતા તેમના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેમના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસો પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન-પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતા.
મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણનું મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ નહોતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એકમાત્ર પુરુષ છે; અહીં આવીને જાણ્યું કે તેમનો એક વધુ પ્રતિદ્વંદી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલ્લા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળ્યા.
મીરાંબાઈના ગુરુ
[ફેરફાર કરો]ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન ઠર્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રોહિદાસનો ઉલ્લેખ કરેલો છે.
સર્જન
[ફેરફાર કરો]
મીરાંબાઈએ મુખ્યત્વે ચાર ગ્રંથોની રચના કરી હતી:[૨]
- નરસિંહ રા માહ્યરા
- ગીત ગોવિંદ ટીકા
- રાગ ગોવિંદ
- રાગ સોરઠ કે પદ
આ સિવાય મીરાંબાઈના ગીતોનું સંકલન મીરાંબાઈ કી પદાવલી નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ An Introduction to Hinduism, Cambridge 1996, Page 144, by Gavin Flood
- ↑ "મીરાંબાઈ - પરિચય અને રચનાઓ" (હિન્દીમાં). કવિતા કોશ. મેળવેલ ૨૦૨૫-૧૧-૨૨.
{{cite web}}: Check date values in:|accessdate=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સ્વર્ગારોહણ : Largest collections of Meera Bai Bhajans in Gujarati
- Mirabai at Kavita Kosh સંગ્રહિત ૨૦૧૨-૦૪-૨૨ ના રોજ વેબેક મશિન (Hindi)
- Short biography
- Bridal Mysticism: Story of Meerabai By Dr. Jyotsna Kamat