બિરસા મુંડા
બિરસા મુંડા | |
|---|---|
| જન્મ | ૧૫ નવેમ્બર ૧૮૭૫ બોકારો જિલ્લો |
| મૃત્યુ | ૯ જૂન ૧૯૦૦ |
| વ્યવસાય | ક્રાંતિકારી |
બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના રોજ ઝારખંડ રાજ્યના રાંચી શહેર નજીક આવેલા ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે ગયા. તેમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી દુર્દશા માટે વિચારતું રહેતું હતું. તેમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ અપાવવા માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાને કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવીને પોતાના સમાજના લોકોની સેવા કરી.
ઓક્ટોબર ૧, ૧૮૯૪ના રોજ નવયુવાન નેતાના રુપમાં તેમણે બધા મુંડાઓને એકત્રિત કરી અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં તેમની ધરપકડ કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે વર્ષની કેદની સજા ભોગવવા માટે રાખવામાં આવ્યા. પરંતુ બિરસા અને તેમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો "ધરતી આબા(ધરતી બાબા) નામથી સંબોધન કરતા તેમજ પૂજતા પણ હતા. તેમના પ્રભાવની વૃદ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.
૧૮૯૭થી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા તેમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને તેમના ચારસો સાથીઓએ તીર-કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે તેમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦માં ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના રોજ ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.

બિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.
સન્માન
[ફેરફાર કરો]આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Birsa Munda - The Great Hero of the Tribals સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન ઓરિસ્સા રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ પર.