ઑડિશા

વિકિપીડિયામાંથી
(ઓરિસ્સા થી અહીં વાળેલું)
ઑડિશા

ଓଡ଼ିଶା oṛiśā
રાજ્ય
ચિલ્કા તળાવ, ઑડિશા
ચિલ્કા તળાવ, ઑડિશા
ભારતમાં ઑડિશા રાજ્યનું સ્થાન
ભારતમાં ઑડિશા રાજ્યનું સ્થાન
Map of Orissa
Map of Orissa
અક્ષાંશ-રેખાંશ (ભુવનેશ્વર): 20°09′N 85°30′E / 20.15°N 85.50°E / 20.15; 85.50
દેશભારત
સ્થાપના૧ એપ્રિલ ૧૯૩૬
રાજધાનીભુવનેશ્વર
સૌથી મોટું શહેરભુવનેશ્વર[૧]
જિલ્લા30
સરકાર
 • રાજ્યપાલગણેશી લાલ[૨]
 • મુખ્યમંત્રીનવીન પટનાયક
 • વિધાનમંડળઑડિશા સરકાર (૧૪૭ બેઠકો)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪,૧૯,૭૪,૨૧૮
ઑડિશાના રાજ્યચિન્હો
ભાષાઑડિયા
ગીતબન્દે ઉત્કલ જનની
નૃત્યઑડિસી
પ્રાણીસાબર[૩]
પક્ષીનીલકંઠ[૪]
ફૂલઅશોક [૫]
વૃક્ષપીપળો - અશ્વથા[૬]
પહેરવેશસાડી(સ્ત્રીઓ)

ઑડિશા (ઓરિસ્સા) [૭][૮] ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઑડિશાની સીમાએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વર છે. ઑડિશા તેની પૂર્વ તરફ ૪૮૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. ઑડિશા રાજ્ય તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્કમાં આવેલા મંદિરો વિશ્વવિખ્યાત છે.

પ્રાચીન કાળમાં આ રાજ્ય કલિંગ રાજ્ય તરીકે જાણીતું હતું. ઈ.સ. પૂર્વે ૨૬૧માં મૌર્ય કુળના રાજા અશોકે આ રાજ્ય પર ચઢાઈ કરી હતી અને અહીં ઐતિહાસિક કલિંગનું યુદ્ધ થયું હતું.[૯]

અર્વાચીન ઑડિશા રાજ્યની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૬ના બ્રિટિશ શાસિત ભારતમાં થઈ હતી. [૧૦] ઓડિઆ ભાષા બોલનારા ક્ષેત્રોનો આ રાજ્યમાં સમાવેશ હતો.[૧૧] ઑડિશામાં ૧ એપ્રિલનો દિવસ સ્થાપના દિવસ તરીકે "ઉત્કલ દિબસ (દિવસ)" નામે ઉજવાય છે.[૧૨]. ભારતના રાષ્ટ્રગીતમાં આ રાજ્યનો સમાવેશ "ઉત્કલ" તરીકે થયો છે. શરૂઆતના ૮ વર્ષ સુધી કટક ઑડિશાની રાજધાની રહ્યું. ૧૩ એપ્રિલ ૧૯૪૮ પછી ઑડિશાની રાજધાની ભુવનેશ્વર ખસેડવામાં આવી.

વિસ્તારની દૃષ્ટિએ ઑડિશા ભારતનું ૯મું સૌથી મોટું રાજ્ય છે. વસતિની દ્રષ્ટિએ ઑડિશા ૧૧મા ક્રમાંકે આવે છે. ઓડિઆ ભાષા આ રાજ્યમાં સૌથી વધારે બોલાતી ભાષા છે, લગભગ પોણા ભાગના લોકો તે ભાષા બોલે છે.

નામ વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

૪ નવેમ્બર ૨૦૧૧ના દિવસે આ રાજ્યનું નામ અંગ્રેજી ઉચ્ચારણ અનુસાર "ઓરિસ્સા"થી બદલીને સ્થાનીય ઉચ્ચારણ અનુસાર "ઑડિશા" કરવામાં આવ્યું હતું.[૧૩][૧૪] [૧૫] આથી ઓરિયા ભાષાને હવેથી અન્ય ભાષાઓમાં ઑડિયા તરીકે ઓળખાવાશે.[૧૩][૧૬][૧૭][૧૮][૧૯][૨૦][૨૧]

"ઑડિશા" આ નામ પાલી અથવા સંસ્કૃત ભાષાના શબ્દો ઓરા (ઉરા) અથવા સુમેરા કે ઓદ્રા વિસાયા પરથી ઉતરી આવ્યું છે.[૨૨] ઓદ્રાનો પ્રાચીન ઉલ્લેખ સોમદત્તને મળેલ તામ્ર પત્રિકામાં મળી આવે છે.[૨૩] પાલી અને સંસ્કૃત ભાષાના સાહિત્યમાં ઓદ્ર લોકોનો અનુક્રમે ઓડક કે ઓદ્રહ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન પાશ્ચાત્ય લેખકો પ્લીની ધ એલ્ડર અને ટોલેમીએ ઓદ્રા લોકોનો ઉલ્લેખ ઓરેટીસ (Oretes) તરીકે કર્યો છે. મહાભારતમાં પૌંડ્ર, મેકલ, ઉત્કલ, આંધ્ર, યવનો, શકો જેવા લોકોની સાથે ઓદ્રા લોકોનો પણ ઉલ્લેખ છે.

બૌદ્ધ ધર્મના લામા તારનાથ રચિત સાહિત્યમાં અને પગ-સામ-જોન-ઝાંગના લેખકે આ ક્ષેત્રને ઓડિવિશા કે ઉડિવીશા તરીકે ઓળખાવ્યો છે. મધ્યકાલીન તાંત્રિક સાહિત્યમાં અને તંત્રસારમાં જગન્નાથને ઉડિશાનાથ તરીકે વર્ણવાયા છે. ગજપતિ કપિલેશ્વરદેવે (ઇ.સ. ૧૪૩૫-૧૪૬૭) જગન્નાથના મંદિર પર કરાવેલી કોતરણીમાં તેને ઑડિશા રાજ્ય કે ઓડિશા રાષ્ટ્ર તરીકે વર્ણવે છે. આમ ૧૫મી સદીથી ઑડિયા લોકોની ભૂમિ ઑડિશા તરીકે ઓળખાવા લાગી.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાગૈતિહાસિક કાળથી ઑડિશા ક્ષેત્રમાં વિવિધ માનવ સમૂહો વસવાટ કરતા આવ્યાં છે. અહીં વસનારા સૌથી પહેલાં લોકો પાથમિક પહાડી ટોળકીઓ હતી. જોકે પ્રાગૈતિહાસીક કાળમાં અહીં રહેનારી ટોળકીઓ ઓળખી શકાઈ નથી પણ એ વાત જાણીતી છે કે ઑડિશામાં મહાભારતના કાળ દરમ્યાન સાઇરા અથવા સાબર ટોળીઓ વસતી હતી. પર્વતીય ક્ષેત્રોમાં સાઓરા અને મેદાની ક્ષેત્રોમાં સહારા અને સાબર નામની ટોળીઓ આજે પણ સમગ્ર ઑડિશામાં વિસ્તરેલી છે. મોટાભાગની આવી જનજાતિઓએ હિમ્દુ ધર્મ સ્વીકાર્યો છે અને હિંદુ રીતીરિવાજોને અનુસરે છે. કોરાપુત જિલ્લાના બોન્ડા પરજન લોકો એ આવી જનજાતિનું ઉદાહરણ છે. ઑડિશામાં ઘણી જગ્યાએ પ્રાગૈતિહાસિક અવશેષો મળી આવ્યા છે જેમ કે અંગૂલમાં કાલીકાટા, મયુરભંજમાં કુચાઈ અને કુલિયાણા, ઝારસુગડા પાસે વિક્રમખોલ, કાલાહાંડીમાં ગુડાહાંડી અને યોગીમઠ, સંબલપુરમાં ઉષાકોટી, બારગઢ નજીક સિમીલીખોલ વગેરે.

ઑડિશાનો ઇતિહાસ લગભગ ૫૦૦૦ વર્ષ જુનો છે. કલિંગાના રાજ્ય પહેલા આ ક્ષેત્રને ઉદ્ર કે ઑદ્ર દેશ તરીકે ઓળખવામાં આવતું. પ્રાચીન ઓદ્ર દેશ કે ઑર્દેશનો વિસ્તાર મહા નદીની ખીણ અને સુવર્ણ રેખા નદીના નીચલા ક્ષેત્ર સુધી હતો. તે આજના કટક, સંબલપુર અને મિદના પુરના અમુક ક્ષેત્રને સમાવી લેતો. આ દેશ પશ્ચિમમાં ગોંડવન, ઉત્તરમાં સિંઘભૂમ અને જસપુરના પર્વતી રાજ્યો, પૂર્વમાં સમુદ્ર અને દક્ષિણમાં ગંજમ ક્ષેત્રથી ઘેરાયેલી હતી. [૨૪] ઑડિયાના ઓદ્ર કે ઉદ્ર પ્રજાતિ પરથી ઉતરી આવ્યું છે જે મધ્ય કિનારી ક્ષેત્રમાં (હાલના ખોર્ધા અને નયાગઢ જિલ્લામાં) વસતી. ઑડિશા અન્ય પ્રજાતિઓ જેમકે કલિંગ, ઉત્કલ, મહાકાંતરા/કાંતરા અને કોશલ જેવી જાતિઓની પણ જન્મભૂમિ છે. આ જાતિઓએ ઑડિશાના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અતિ પ્રાચીન લિપીઓમાં કલિંગ લોકોનો ઉલ્લેખ આવે છે.[૨૫] ૬ઠ્ઠી શતાબ્દીમાં, વેદિક સુત્રકાર બૌધાયન લખે છે કે કલિંગ એ વેદિક સંસ્કૃતિની વેદિક સંસ્કૃતિની અસરથી લિપ્ત છે જે દર્શાવે છે કે તે સમયે અહીં બ્રાહ્મણોનો પ્રભાવ વિસ્તર્યો ન હતો.[૨૫] ભારતના અન્ય પ્રાંતો થી વિપરીતન ૧૫ મી સદી સુધી અહીંના જનજાતિય રિતિરિવાજો અને પરંપરાઓનો રાજનિતી પર ઊંડો પ્રભાવ હતો.[૨૫] પંદરમી સદી બાદ અહીં પણ બ્રાહમણોનો પ્રભાવ વધ્યો હતો જેને કારાણે જાતિ આધારીત વ્યવસ્થા જડ બની અને પ્રાચીન જનપદીય વ્યવસ્થા લુપ્ત થઈ.

ઉદયગિરી ટેકરીઓમાં હાથીગુંફા

વિશ્વના ઈતિહાસમાંની એક મહત્ત્વપૂર્ણ ઘટના ઑડિશામાં ઘટી - કલિંગની લડાઈ. આ લડાઈ લગભગ ઈ.પૂ. ૨૬૧માં થઈ.[૨૫] સમ્રાટ અશોકે મૌર્ય સામ્રાજ્યના વિસ્તાર માટે કલિંગ પર ચડાઇ કરી હતી. કલિંગના લડવૈયાઓના બહાદુરીભર્યા વિરોધ કારણે સમ્રાટ અશોક માટે કલિંગ પર ચઢાઈ એ મૌર્ય સામ્રાજ્યની સૌથી મોટી રક્તરંજિત સૈન્ય કાર્યવાહી બની ગઈ. લોકોની આવી બહાદુરીને કારણે અશોકે બે ખાસ જાહેરનામા કાઢ્યા જેમાં કલિંગના ન્યાયી અને સૌજન્યશીલ રાજકારભાર ચલાવવાની ખાસ ભલામણ હતી. આ યુદ્ધ પછી અશોક બૌદ્ધ ધર્મને અનુસરીને તેના પ્રચારમાં લાગ્યો. અને તે અતિવ ભૂમિ (નૈઋત્ય ઑડિશા) સ્વતંત્ર રહ્યો.

"તેલ ખીણ સંસ્કૃતિ" એ કાલાહાન્ડી, બાલણગીર, કોરાપુટ (KBK) ક્ષેત્રમાં વિક્સેલી એક ભવ્ય સંસ્કૃતિ તરફ ધ્યાન દોરે છે, તેના પર સંશોધન ચાલુ છે.[૨૬] પુરાતાત્ત્વિક અવશેષો દ્વારા અહીં ૨૦૦૦ વર્ષ પહેલાં વસવાટ કરનાર શહેરી સંસ્કૃતિના ચિહ્નો મળ્યાં છે.[૨૭] અસુર ગઢ આ ક્ષેત્રની રાજધાની હતી. કાલાહાન્ડી કોરાપુટ અને બસ્તર એ રામાયણ અને મહાભારતમાં વર્ણવવામાં આવેલા કાન્તરા ક્ષેત્રનો એક ભાગ છે.[૨૮] ચોથી સદીમાં આ ક્ષેત્રને ઈન્દ્રવન કહેવાતું, કેમકે આ ક્ષેત્રમાંથી મૌર્ય ખજાનાના હીરા અને મૂલ્યવાન રત્નો અહીંથી મેળવાતા.[૨૯] મૌર્ય શાસક અશોકના સમય દરમ્યાન કાલાહાન્ડી, કોરાપુટ અને બસ્તરેઅના ક્ષેત્રને અરવી ભૂમિ તરીકે ઓળખવામાં આવતો હતો.[૩૦] અશોક કાળના લેખનો અનુસાર આ ક્ષેત્ર અજેય રહ્યો હતો.[૩૧] ઈસવીસનની શરૂઆતના સમય દરમ્યાન આ ક્ષેત્ર મહાવન તરીકે ઓળખાતું હતું.[૩૨] ચોથી સદીમાં કાલાહાન્ડી, અવિભાજીત કોરાપુટ અને બસ્તરનો સમાવેશ કરના મહાકન્તર ક્ષેત્રપર વ્યાઘ્રરાજાનું રાજ હતું.[૩૩] અસુરગઢ એ મહાકન્તરની રાજધાની હતી.[૩૪]

રાજા ખારવેલ દ્વારા કરાવવામાં આવેલા શિલાલેખ, ઉદયગિરી અને ખડગિરી ગુફાઓ
પૂર્વ ગંગ કુળના રાજા દ્વારા બંધાવેલ કોણાર્ક સૂર્ય મંદિર — એક વિશ્વ ધરોહર સ્થળ

ઈ.સ પૂર્વે ત્રીજી શતાબ્દીમાં પૂર્વી ઑડિશા જૈન રાજા ખારવેલાના નેતૃત્વ હેઠળ સમૃદ્ધ બન્યું.[૨૫] તેનું રાજ્ય દક્ષિણમાં પ્રાચીન તમિલ દેશના ક્ષેત્રો સુધી ફેલાયેલું હતું. તેમણે ઉદયગિરિની પ્રચલિત મઠ ગુફાઓનું નિર્માણ કરાવ્યું. તેના પછીના કાળમાં સમુદ્રગુપ્ત અને શશંક જેવા સમ્રાટોએ અહીં રાજ કર્યું. આ ક્ષેત્ર હર્ષના સામ્રાજ્યનો પણ ભાગ બન્યું. ઈ.સ ૭૯૫માં કેસરી કે સોમા કુળના રાજા જજાતિ કેસરી-૧લા એ કોશલ અને ઉત્કલ રાજ્યને એક ધ્વજ તળે એકીકૃત કર્યા. તેણેજ પુરીમાં પહેલું જગન્નાથ મંદિર બનાવ્યું,[૩૫] હાલના જગન્નાથ મંદિરનું માળખું પહેલાના જગન્નાથમંદિર કરતાં એકદમ જુદું છે, હાલના જગન્નથ મંદિરનું બાંધકામ ૧૨મી સદીમાં પૂર્વીય ગંગ કુળના રાજા ચોડા ગંગદેવ અને અનંગ ભીમદેવે કરાવ્યું હતું. ભુવનેશ્વરમાં આવેલા પ્રચલિત લિંગરાજ મંદિરનું બાંધકામ કેશરી વંશના રાજા જજાતી કેશરી - ૩જા એ શરૂ કરાવ્યું અને તેના પુત્ર લાલનેદુએ ૧૦મી સદીમાં તેનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. પ્રખ્યાત જાજરમાન કોણાર્ક સૂર્ય મંદિર રાજા નરસિંહ દેવે બંધાવ્યું. અત્યારે તો તે મંદિર ખંડિત અવસ્થામાં છે પણ એક સમયે તે [તાજ મહેલ]ની બરાબરી કરી શકે તેવું હતું. ૧૧મી સદીના શરૂઆતના કાળમાં ચોલા વંશના રાજા રાજા રાજા ચોલા-૧ અને રાજેન્દ્ર ચોલા-૧ એ ઑડિશા જીતી લીધું. [૩૬][૩૭]

ઈ.સ. ૧૫૬૮ સુધી ઑડિશાએ ઘણાં મુસ્લિમ આક્રમણોનો સામનો કર્યો અને છેવટે ઈ.સ. ૧૫૬૮માં બંગાળના સુલતાને ઑડિશા જીતી લીધું. ૧૫૭૬માં મોગલોએ ઑડિશાના કિનારાના ક્ષેત્ર પર કબ્જો કર્યો.[૩૮] ગજપતિ મુકુંદ દેવ એ ઑડિશાનો છેલ્લો હિંદુ રાજા હતો, ગોહીરા ટીકરીની લડાઈમાં તેનું મૃત્યું થયું હતું. મેદીનીપુરથી લઈને રાજમુન્ડ્રી સુધીનો ઑડિશાનો કિનારાનો પ્રદેશ મોગલોના તાબા હેઠળ હતો, તેના છ ભાગ કરવામાં હતા; જાલેશ્વર સરકાર, ભદ્રક સરકાર, કટક સરકાર, ચિકાકોલે શ્રીકાકુલમ સરકાર, કલિંગ દંડપત અને રાજમુન્ડ્રી સરકાર કે ગોદાવરી રાજ્ય. ઑડિશાના મધ્ય, ઉત્તરીય, પશ્ચિમી અને દક્ષિણી પહાડી ક્ષેત્રો પર સ્વતંત્ર હિંદુ રાજાઓ રાજ કરતા હતા. ૧૬મી સદીમાં હૈદ્રાબાદના નિઝામે શ્રી કાકુલમ અને રાજમુન્ડ્રી વચ્ચેના ક્ષેત્ર પર કબ્જો મેળવ્યો. ૧૮મી સદીમાં મેદીનીપુર બંગાળ પ્રેસીડેન્સી સાથે જ જોડાયેલું હતું, ઈ.સ. ૧૭૫૧માં તે સિવાયનો બાકીનો દરિયા કિનારોનો ક્ષેત્ર ૧૭૫૧માં મરાઠા સામ્રાજ્ય હેઠળ ગયો.

ઈ.સ ૧૭૬૦ના દશકના શરૂઆતી કાળમાં થયેલા કર્ણાટક યુદ્ધ બાદ અંગ્રેજોએ ઑડિશાના દક્ષિણી કિનારાવર્તી ક્ષેત્ર ધરાવતા ઉત્તર સરકાર ક્ષેત્ર પર કબજો મળવ્યો. આ ક્ષેત્રને ધીરે ધીરે મદ્રાસ પ્રેસીડેન્સીમાં ભેળવી દેવામાં આવ્યો.[૩૯] ઈ.સ. ૧૮૦૩માં ઈસ્ટ ઈંડિયા કંપની અને મરાઠા વચ્ચે થયેલા દ્વિતીય યુદ્ધ પછી અંગ્રેજોએ મરઠી સત્તા હેઠળના ઑડિશા પર પ્રભુત્વ મેળવ્યું. ઑડિશાના ઉત્તર અને પશ્ચિમી ક્ષેત્રો બંગાળ પ્રેસિડેન્સીમાં ભેવળી દેવાયા. ૧૮૬૬માં થયેલા ભૂખમરા અને પૂર પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અહીં મોટા પાયે જળસિંચન પરિયોજનાઓ હાથ ધરવામાં આવી. ૧૯૧૨માં સ્થાનિક ઑડિયા ભાષી લોકો દ્વારા કરવામાં આવેલી ચળવળને કારણે, ઑડિશાને બંગાળથી છૂટું પાડી વિહાર અને ઑડિશા પ્રોવાઈન્સ નામે નવું રાજ્ય બન્યું. ઈ.સ. ૧૯૦૩માં ૬૨ કાયમી સભ્યો સાથે ઉત્કલ સંમ્મિલનીની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિએ ઑડિશાના એકીકરણ માટે પ્રયત્નો કર્યા.[૪૦] [૪૧][૪૨] ઈ.સ ૧૯૩૬માં બિહાર અને ઑડિશાને જુદા પાડીને ભિન્ન રાજ્યો બનાવવામાં આવ્યા. આમ ઘણા વર્ષોની ચળવળ પછી ઑડિયા લોકોનું અલાયદું એવું રાજ્ય બન્યું. ૧ એપ્રિલ ૧૯૩૬ના દિવસે બ્રિટિશ શાસન હેઠળ ભાષા આધારે ઑડિશા રાજ્યની સ્થાપના થઈ અને સર જ્હોન ઓસ્ટીન તેના પ્રથમ ગવર્નર બન્યા. ૧ એપ્રિલ ૧૯૩૬ના દિવસે ગંજમ જિલ્લાને મદ્રાસ પ્રેસિડેંસીમાંથી હટાવી ઑડિશામાં ભેળવવામાં આવ્યું. તે દિવસથી ઑડિશાના લોકો ૧ એપ્રિલનો દિવસ ઉત્કલ દિવસ કે ઑડિશા દિવસ તરીકે ઉજવે છે.

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પૂર્વી ક્ષેત્રના રજવાડાને ઑડિશામાં જોડવામાં આવ્યા, જેથી તેનું ક્ષેત્રફળ બમણું થયું અને વસ્તી ૧/૩ જેટલી વધી ગઈ. ૧૯૫૦માં ઑડિશા ભારતનું બંધારણીય રાજ્ય બન્યું.

ભુવનેશ્વરમાં આવેલી ઉદયગિરી અને ખંડગિરી ગુફાઓનું સર્વાંગી દ્રશ્ય


ભૂગોળ[ફેરફાર કરો]

મહીનદીના ત્રિભુજ પ્રદેશનું ઉપગ્રહ છાયાચિત્ર

ઑડિશા ૧૭.૭૮૦ઉ અને ૨૨.૭૩૦ઉ અક્ષાંસ અને ૮૧.૩૭ પૂ અને ૯૭.૫૩પૂ રેખાંશ વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૧૫૫,૭૦૭ ચો. કિમી. છે.[૪૩]

ઑડિશાના પૂર્વભાગ સમુદ્ર કિનારાનો મેદાન પ્રદેશ છે. આ મેદાન પ્રદેશ ઉત્તરમાં સુવર્ણરેખા નદીથી લઈ દક્ષિણમાં ઋષિકુલ્ય નદી સુધી વિસ્તરેલો છે. ચિલ્કા સરોવર આ મેદાન પ્રદેશનો એક ભાગ છે. આ મેદાનો કાંપના ફળદ્રુપ મેદાનો છે. અહીં છ મુખ્ય નદીઓ સુવર્ણરેખા, બુધબાલંગા, બૈતરણી, બ્રહ્મણી, મહાનદી અને ઋષિકુલ્ય મેદાનોમાં કાંપ ઠાલવે છે.[૪૩]

ઑડિશાનો પોણોભાગ પર્વતીય પ્રદેશ છે. આ પ્રદેશમાં નદીઓ દ્વારા ઊંડી અને પહોળી ખીણોનું નિર્માણ થયું છે. આ ખીણ પ્રદેશો ફળદ્રુપ છે અને વસ્તીની ઘનતાઅ અહીં અધિક છે. આ સિવાય ઑડિશામાં ઉચ્ચ પ્રદેશ અને તેના કરતા ઓછી ઉંચાઈ ધરાવતો પહાડી પ્રદેશ પણ ધરાવે છે. [૪૩] ઑડિશાનું સૌથી ઉંચુ શિખર દેઓમાલી છે સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ ૧૬૭૨ મીટર છે. આ સિવાય અન્ય સિન્કારામ (૧૬૨૦મી) ગોલીકોડા (૧૬૧૭ મીટર) અને યેન્દ્રીકા (૧૫૮૨ મીટર) એ રાજ્યના સૌથી ઊંચા શિખરો છે.[૪૪]

આબોહવા[ફેરફાર કરો]

ઑડિશામાં ત્રણ ઋતુઓ અનુભવાય છે: શિયાળો (જાન્યુઆરી થી ફેબ્રુઆરી), પૂર્વ ચોમાસું (માર્ચથી મે) નૈઋત્ય ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) અને ઈશાની ચોમાસું (ઑક્ટોબરથી ડિસેમ્બર). જોકે સ્થાનીય પરંપરા અનુસાર છ ઋતુઓ માનવામાં આવે છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમન્ત અનેશિશિર. [૪૩]

ઑડિશાના ચાર સ્થળોનું સરાસરી તાપમાન અને વરસાદ [૪૫]
ભુવનેશ્વર
(૧૯૫૨-૨૦૦૦)
બાલાસોર
(૧૯૦૧-૨૦૦૦)
ગોપાલપુર
(૧૯૦૧-૨૦૦૦)
સંબલપુર
(૧૯૦૧-૨૦૦૦)
(સે) (સે) વર્ષા (મિમી) (સે) (સે) વર્ષા (મિમી) (સે) (સે) વર્ષા (મિમી) (સે) (સે) વર્ષા (મિમી)
જાન્યુઆરી ૨૮.૫ ૧૫.૫ ૧૩.૧ ૨૭.૦ ૧૩.૯ ૧૭.૦ ૨૭.૨ ૧૬.૯ ૧૧.૦ ૨૭.૬ ૧૨.૬ ૧૪.૨
ફેબ્રુઆરી ૩૧.૬ ૧૮.૬ ૨૫.૫ ૨૯.૫ ૧૬.૭ ૩૬.૩ ૨૮.૯ ૧૯.૫ ૨૩.૬ ૩૦.૧ ૧૫.૧ ૨૮.૦
માર્ચ ૩૫.૧ ૨૨.૩ ૨૫.૨ ૩૩.૭ ૨૧.૦ ૩૯.૪ ૩૦.૭ ૨૨.૬ ૧૮.૧ ૩૫.૦ ૧૯.૦ ૨૦.૯
એપ્રિલ ૩૭.૨ ૨૫.૧ ૩૦.૮ ૩૬.૦ ૨૪.૪ ૫૪.૮ ૩૧.૨ ૨૫.૦ ૨૦.૩ ૩૯.૩ ૨૩.૫ ૧૪.૨
મે ૩૭.૫ ૨૬.૫ ૬૮.૨ ૩૬.૧ ૨૬.૦ ૧૦૮.૬ ૩૨.૪ ૨૬.૭ ૫૩.૮ ૪૧.૪ ૨૭.૦ ૨૨.૭
જૂન ૩૫.૨ ૨૬.૧ ૨૦૪.૯ ૩૪.૨ ૨૬.૨ ૨૩૩.૪ ૩૨.૩ ૨૬.૮ ૧૩૮.૧ ૩૬.૯ ૨૬.૭ ૨૧૮.૯
જુલાઈ ૩૨.૦ ૨૫.૨ ૩૨૬.૨ ૩૧.૮ ૨૫.૮ ૨૯૭.૯ ૩૧.૦ ૨૬.૧ ૧૭૪.૬ ૩૧.૧ ૨૪.૯ ૪૫૯.૦
ઑગસ્ટ ૩૧.૬ ૨૫.૧ ૩૬૬.૮ ૩૧.૪ ૨૫.૮ ૩૧૮.૩ ૩૧.૨ ૨૫.૯ ૧૯૫.૯ ૩૦.૭ ૨૪.૮ ૪૮૭.૫
સપ્ટેમ્બર ૩૧.૯ ૨૪.૮ ૨૫૬.૩ ૩૧.૭ ૨૫.૫ ૨૭૫.૮ ૩૧.૭ ૨૫.૭ ૧૯૨.૦ ૩૧.૭ ૨૪.૬ ૨૪૩.૫
ઑક્ટોબર ૩૧.૭ ૨૩.૦ ૧૯૦.૭ ૩૧.૩ ૨૩.૦ ૧૮૪.૦ ૩૧.૪ ૨૩.૮ ૨૩૭.૮ ૩૧.૭ ૨૧.૮ ૫૬.૬
નવેમ્બર ૩૦.૨ ૧૮.૮ ૪૧.૭ ૨૯.૨ ૧૭.૮ ૪૧.૬ ૨૯.૫ ૧૯.૭ ૯૫.૩ ૨૯.૪ ૧૬.૨ ૧૭.૬
ડિસેમ્બર ૨૮.૩ ૧૫.૨ ૪.૯ ૨૬.૯ ૧૩.૭ ૬.૫ ૨૭.૪ ૧૬.૪ ૧૧.૪ ૨૭.૨ ૧૨.૧ ૪.૮

મ = મહત્તમ, લ = લઘુત્તમ, સે = સેલ્સિયસ, મિમી = મિલિમીટર

જૈવિક વૈવિધ્ય[ફેરફાર કરો]

ઑડિશામાં મળી આવતા ઓર્ચિડની એક પ્રજાતિ "વૅન્ડા ટેસીલાટા[૪૬]
નંદન કાન્હા ઝુલોજીકલ પાર્કમાં બંગાળ વાઘ
ચિલ્કા સરોવરમાં ઈરાવદી ડોલ્ફીન

ભારતીય જંગલ સર્વેક્ષણના ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર, ઓડિશામાં ૪૮,૯૦૩ ચો. કિમી ક્ષેત્ર પર જંગલો આવેલા છે. આ જંગલો રાજ્યની ૩૧.૪૧% જમીન છવાયેલા છે. અહીંના જંગલોના આ પ્રમાણે વર્ગીકરણ થયા છે: ગીચ જંગલો (૭,૦૬૦ ચો. કિમી), મધ્યમ ગીચ જંગલો ( ૨૧,૩૬૬ ચો.કિમી) અને ખુલ્લા જંગલો (વૃક્ષોની છત્રી રહિત) (૨૦,૪૭૭ ચો. કિમી) અને સુંદરવન (૪,૭૩૪ચો. કિમી). તે સિવાય આ રાજ્યમાં ૧૦,૫૧૮ ચો. કિમી. ક્ષેત્રમાં વાંસનાં જંગલો અને ૨૨૧ ચો. કિમીમાં સુંદરવનના જંગલો છે. લાકડાની દાણચોરી, ખાણકામ, ઔદ્યોગીકરણ અને ઘાસચારાની જરૂર આદિને કારણે રાજ્યના જંગલ ક્ષેત્રમાં ઘટાડો થયો છે. જંગલોના સંવર્ધનના પ્રયત્નો અહીં કરવામાં આવ્યા છે.[૪૭]

અહીંના વાતાવરણ અને સારા વરસાદને કારણે અહીંના નિત્ય લીલા અને આર્દ્ર જંગલોને કારણે અહીં જંગલી ઓર્ચિડ સારી રીતે વિકસે છે. જંગલી ઓર્ચિડની ૧૩૦ પ્રજાતિઓ આ રાજ્યમાં જોવા મળે છે.[૪૮] તેમાંની ૯૭ પ્રજાતિઓ તો માત્ર મયુરભાંજ જિલ્લામાં મળી આવે છે. નંદનકાન્હા જૈવિક ઉદ્યાનમાં આમાંની અમુક પ્રજાતિઓ જોઈ શકાય છે.[૪૯]

મયુરભાંજ જિલ્લામાં આવેલું સુમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન એ ૨૭૫૦ ચો. કિમી માં ફેલાયેલું પ્રાણી સંરક્ષિત ક્ષેત્ર અને વાઘ અભયારણ્ય છે. અહીં ૧૦૭૮ વનસ્પતિ પ્રજાતિઓ મળી આવે છે જેમાં ૯૪ પ્રજાતિઓ તો માત્ર ઓર્ચિડની છે. સાલનું વૃક્ષ એ આ જંગલનું પ્રમુખ વૃક્ષ છે. આ અભયારણ્યમાં ૫૫ સસ્તનો મળી આવે છે તેમાં ભસતાં હરણ, બંગાળ વાઘ, સામાન્ય લંગુર, ચાર શિંગડાવાળા સાબર, ભારતીય જંગલી બળદ, ભારતીય હાથી, ભારતીય મોટી ખિસકોલી, ભારતીય ચિત્તો, જંગલી બિલાડી, સાબર અને જંગલી ડુક્કરનો સમાવેશ થાય છે. અહીં પદેઓની ૩૦૪ પ્રજાતિઓ મળી આવે છે જેમાં સામાન્ય પર્વતીય મેના, ભારતીય રાખોડી દુધરાજ, ભારતીય કાબરચીતરું દૂધરાજ અને મલબારી કાબરચિતરું દૂધરાજ આદિનો સમાવેશ થાય છે. અહીં સરીસૃપોની ૬૦ જેટલી પ્રજાતિઓ રહે છે જેમાં નાગ અને ત્રિસ્તરી પર્વતીય કાચબો વિશેષ છે. નજીક આવેલા રામતીર્થમાં મગર ઉછેર કેંદ્ર છે.[૫૦]

ઑડિશાની રાજધાની ભુવનેશ્વરની બાજુમાં ચાંડક હાથી અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય ૧૯૦ ચો. કિમી ક્ષેત્રમાં ફેલાયેલું છે. પરંતુ વધારે પડતા ચારાના ભક્ષણ અને જંગલ ક્ષેત્રમાં થયેલા ઘટાડાને પરિણામે હાથીઓ અહીંથી સ્થળાંતર કરવા વિવશ થાય છે. ઈ.સ. ૨૦૦૨માં અહીં ૮૦ હાથી હતાં જે ઘટીને ઈ.સ. ૨૦૧૨માં ૨૦ થઈ ગયાં છે. ઘણાં પશુઓ બરબર અભયારણ્ય, ચિલ્કા, નયાગઢ જીલ્લો અકે અથાગઢ માં સ્થળાંતર કરી ગયા છે. ઘણાં હાથીઓ ગામ્ડાના લોકોસાથેની અથડામણોમાં, ઘણાં સ્થળાંતર કરતાં વિજળીનો આંચકો લાગતાં, ટ્રેનની અથડામણથી કે શિકારીઓ દ્વારા હણાયા છે.[૫૧][૫૨] હાથી સિવાય અહીં ભારતીય ચિત્તો, જંગલી બિલાડી અને ચિતળ પણ જોવા મળે છે.[૫૩]

કેદ્રપાડા જીલ્લામાં આવેલું ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ૬૫૦ ચો. કિમી. માં ફેલાયેલું છે જેમાં ૧૫૦ ચો. કિમી માં તો સુંદરવન આવેલા છે. ભીતરકનિકામાં આવેલું ગહીરમાથા સમુદ્ર કિનારો ઑલિવ રીડલી સમુદ્રી કાચબાના વિશ્વની સૌથી મોટી માળાઓની વસાહત છે.[૫૪] આ સિવાય ગંજમ જીલ્લામાં રુષીકુલ્ય,[૫૫] અને દેવી નદીનો મુખ પ્રદેશ પણ સમુદ્રી કાચબાઓના માળાને વસાહતો ધરાવે છે. [૫૬] આ સિવાય ખારા પાણીના મગરમચ્છ માટે પણ ભીતરકનિકા અભયારણ્ય જાણીતું છે.[૫૭] શિયાળામાં અહીં ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ આવે છે. અહીં કાળા મુગટવાળો નિશાચરી બગલો, ડાર્ટર, રાખોડી બગલો, ભારતીય જળકાગ (cormorant), પૂર્વીય સફેદ આઈબીસ, જાંબુડીયો બગલો અને સારસ જેવા પક્ષીઓ જોવા મળે છે.[૫૮] શક્યતઃ ભયાતીત ઘોડાનાળ કરચલા આ ક્ષેત્રમાં જોવા મળે છે.[૫૯]

ચિલ્કા તળાવ ઑડિશાના પૂર્વ કિનારા પર આવેલું ખારા પાણીનું એક સરોવર છે તેનું ક્ષેત્રફળ ૧૧૦૫ ચો કિમી છે. એક ૩૫ કિમી લાંબી નહેર વડે તે બંગાળના ઉપસાગર સાથે જોડાયેલું છે. આ તળાવ મહાનદીના ત્રિભુજ પ્રદેશનો એક ભાગ છે. સામાન્ય રીતે સુકી ઋતુમાં ભરતી સમયે ખારું પાણી આ તળાવમાં ભરાય છે. ચોમાસાની ઋતુમાં નદી દ્વારા મીઠું પાણી અહીં ઠલવાતું હોવાથી તલાવના પાણીની ક્ષારતા ઘટી જાય છે.[૬૦] શિયાળામાં કૅસ્પિયન સમુદ્ર, બૈકલ સરોવર, રશિયાના અન્ય ભાગો, મધ્ય એશિયા, અગ્નિ એશિયા, લડાખ અને હિમાલય જેવા ક્ષેત્રોમાંથી પક્ષીઓ સ્થળાંતર કરી અહીંઅ આવે છે.[૬૧] અહીં યુરેશિયન વીજીયન, પીનટેલ, બાર-હેડેડ બતક, રાખોડી પગી બતક, સુરખાબ, મેલાર્ડ અએ ગોલિએથ બગલો જેવા પક્ષીઓ જોવા મળે છે. [૬૨][૬૩] આ તળાવમાં ભયાતિતા પ્રજાતિ - ઈરાવદી ડોલ્ફીન માછલીઓ પણ અલ્પ સંખ્યામાં જોવા મળે છે. [૬૪] અહીંના દરિયા કિનારે પક્ષહીન પોરપોઈસ, બાટલીનાક ડૉલ્ફીન, ખૂંધવાળી માછલી અને સ્પીનર ડોલ્ફીન જોવા મળે છે. [૬૫]

રાજ્ય પ્રશાસન[ફેરફાર કરો]

ઑડિશાના મંત્રાલયની ઈમારત - ભુવનેશ્વર

ભારતમાં સરકાર સંસદીય લોકશાહી ઢબે ચાલે છે. સાંસદોને પુક્તવયના નાગરીકો ચૂંટણી દ્વારા ચૂંટી કાઢે છે.[૬૬] ભારતની સંસદ બે ગૃહો ધરાવે છે.[૬૭] નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. ઑડિશા રાજ્યમાંથી ૨૧ સાંસદો ચૂંટવામાં આવે છે. તેમને સીધા મતદાન દ્વારા લોકો ચૂંટી કાઢે છે. સંસદના ઉપલા ગૃહને રાજ્ય સભા કહે છે. રાજ્યસભામાં ઑડિશાના ૧૦ સભ્યો હોય છે. તેમને રાજ્યની વિધાનસભાના વિધાયકો ચૂંટી કાઢે છે.[૬૮][૬૯]

ઑડિશા વિધાનસભા[ફેરફાર કરો]

ઓડિશા એકગૃહી વિધાનસભા કે ધારાસભા ધરાવે છે.[૬૭] ઑડિશાની વિધાનસભા ૧૪૭ બેઠકો ધરાવે છે.[૭૦] આ સિવાય તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પદવી હોય છે. જેમને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી ચૂંટી કાઢે છે. [૭૧] રાજ શાસનની જવાબદારી મુખ્ય મંત્રી અને તેના મંત્રી મંડળની હોય છે. જોકે અને રાજ્ય શાસનના વડા રાજ્યપાલ હોય છે જેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. વિધાનસભામાં બહુમતી ધરાવનાર પક્ષ કે સંગઠનના નેતાને રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નીમે છે. તેની સલાહ અનુસાર રાજ્યપાલ મંત્રીમંડળની નિમણૂક કરે છે. મંત્રીમંડળ વિધાન પરિષદને જવાબદાર હોય છે.[૭૨] વિધાનસભાના સભ્યને વિધાયક અથવા ધારાસભ્ય (અંગ્રેજીમાં MLA = Member of the Legislative Assembly) કહેવાય છે. રાજ્યપાલ એક ધારાસભ્ય ઍંગ્લો-ઈન્ડિયન સમાજમાંથી ચૂંટી નીમી શકે છે. [૭૩] જો કોઈ કારણસર વિધાનસભાનું વિસર્જન ન થાય તો સરકારની અને ચૂંટાયેલા વિધાયકોની મુદ્દત પાંચ વર્ષની હોય છે.[૭૧]

પ્રશાસનિક ક્ષેત્ર[ફેરફાર કરો]

ઓરિસ્સા રાજ્યમાં કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ આવેલા છે.[૭૪]આ ૩૦ જિલ્લાઓને વ્યવહારની સરળતા માટે ૩ રાજ્યસ્વ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે.: ઉત્તર દક્ષિણ અને મધ્ય. અને તેમના મુખ્ય મથકો અનુક્રમે સંબલપુર, બરહામપુર અને કટકમાં આવેલા છે. દરેક વિભાગમાં ૧૦ જિલ્લાઓ છે અને તેમનો ઉપરી વિભાગીય રાજ્યસ્વ કમિશન હોય છે. (અંગ્રેજીમાં =Revenue Divisional Commissioner (RDC))[૭૫] વિભાગીય રાજ્યસ્વ કમિશનનું સ્થાન રાજ્ય મંત્રાલય અને જિલ્લા વહીવટની વચ્ચે આવે છે.[૭૬] વિભાગીય રાજ્યસ્વ કમિશન બોર્ડ ઑફ રેવેન્યુ ને જવાબદાર હોય છે. અને તેમના ઉપરી વરિષ્ઠ ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી (IAS) હોય છે.[૭૫]

ક્ષેત્ર અનુસાર જિલ્લાઓ[૭૪]
ઉત્તર વિભાગ મધ્ય વિભાગ દક્ષિણ વિભાગ

દરેક જિલ્લાનાનું પ્રશાસન જિલ્લા કલેક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. ભારતીય પ્રશાસનિક સેવા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે.[૭૭][૭૮] મહેસૂલ વસૂલી કરવી અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા એ જિલ્લા કલેક્ટરની મુખ્ય જવાબદારી હોય છે. દરેક જિલ્લાના વધુ પ્રશાસનિક વિભાગો પાડવામાં આવે છે. તેમાં ઉપ-વિભાગીય કલેક્ટર અને ઉપ-વિભાગિય ન્યાયાધિશ (મેજીસ્ટ્રેટ) ઉપરી હોય છે. આ ઉપવિભાગોને વધુ નાના મહેસૂલ વિભાગોમાં વહેંચવામાં આવે છે તેને તહેસિલ કહે છે. તહેસિલના ઉપરી તહેસિલદાર હોય છે. ઑડિશા ૫૮ ઉપ-વિભાગો અને ૩૧૭ તહેસિલ ધરાવે છે.[૭૫] આ તહેસિલમાં પંચાયતો અને નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

ઑડિશાની રાજધાની અને સૌથી મોટું શહેર ભુવનેશ્વર છે. તે સિવાય અન્ય મુખ્ય શહેરો છે: બાલાસોર, બેરહામપુર, બ્રહ્મપુર, કટક, પુરી, રાઉરકેલા અને સંબલપુર. તેમાંથી ભુવનેશ્વર, સંબલપુર અને રાઉરકેલા મહાનગર પાલિકા ધરાવે છે.

આ સિવાય અન્ગુલ, બાલનગીર, બાલાસોર, બારબીલ, બારગઢ, બરીપાડા, બેલ્પાહર, ભદ્રક, ભવાનીપટના, બીરમિત્રપુર, બૌઢ, બ્યાસનગર, છત્તરપુર, ઢેંકનાલ, ગોપાલપુર, ગુનુપુર, જગતસિંહપુર, જયપુર, જેયપોર, જરસુગડા, કેન્દ્રપાડા, કેન્દુઝાર, ખોર્ધા, કોણાર્ક, કોરાપુટ, મલ્કનગિરી, નબરંગપુર, નયાગઢ, નૌપાડા, પારદીપ, પરલખેમુંડી, પુઇરી, ફુલબની, રાજગંજપુર, રાયગઢા, સોનેરપુર, સુંદરગઢ અને તાલચેરમાં નગરપાલિકાઓ આવેલી છે.

ગામ આદિના સ્થાનિક બાબતોની સંભાળ પંચાયત રાખે છે.

ન્યાયતંત્રમાં કટકમાં આવેલી ઑડિશા ઉચ્ચ ન્યાયાલય અને વિવિધ સ્થળે આવેલા અન્ય નીચલા ન્યાયાલયોનો સમાવેશ થાય છે.

અર્થવ્યવસ્થા[ફેરફાર કરો]

બૃહત્-અર્થશાસ્ત્રીય વહેણ[ફેરફાર કરો]

ઑડિશા સળંગ વિકાસ સાધી રહ્યું છે. રાજ્ય થોક ઉત્પાદનમાં ઑડિશાએ સારી પ્રગતિ દર્શાવી છે. આંકડાશાસ્ત્ર અને પરિયોજના મંત્રાલયે આની પુષ્ટિ કરી છે. ઑડિશાનો વિકાસ દર દેશના સરાસરી વિકાસ દર કરતાં ઊંચો છે.[૭૯]

ઔદ્યોગિક વિકાસ[ફેરફાર કરો]

રાઉરકેલા પોલાદ કારકારખાનું

ઑડિશા વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપત્તિ અને લાંબો દરિયાકિનારો ધરાવે છે. વિદેશી રોકાણકારો માટૅ ઑડિશા એક આકર્ષક સ્થળ બન્યું છે.[૮૦] ભારતીય ખનિજ સંપત્તિનો પાંચમાં ભાગનો કોલસો, પા ભાગનું લોહ ખનિજ, ત્રીજા ભાગનું બોક્સાઈટ અને મોટાભાગનું ક્રોમાઈટ ઑડિશામાં આવેલું છે. રાઉરકેલા પોલાદ કારખાનું[૮૧] એ જાહેરક્ષેત્રનું પહેલું લોખંડ પોલાદનું કારખાનું કહતું તેનું બાંધકામ જર્મની સાથે સહયોગ કરી કરાયું હતું. જાહેર ક્ષેત્રની મોટી કંપનીઓના મુખ્ય મથકો અહીં આવેલા છે જેમ કે એચ એ એલ, સુનાબેડા(કોરાપટ), નેશલન્લ એલ્યુમિનિયમ કંપની - અનુગુલ, દામન્જોડી, કોરાપટ. ઑડિશામાં પોલાદ, એલ્યુમિનિયમ, તેલ શુદ્ધિકરણ અને બંદર ક્ષેત્રે ઘણું રોકાણ થયું છે. ભારતની મોટી માહિતી તંત્રજ્ઞાનની કંપની ઓ જેમ કે ટી.સી. એસ., મહિન્દ્રા સત્યમ, માઈન્ડ ટ્રી, પ્રાઈસ વોટર હાઉસ કુપર્સ અને ઈન્ફોસીસ વગેરેની શાખાઓ અહીં આવેલી છે. આઈ બી એમ, સીન્ટેલ અને વીપ્રો પણ પોતાની શાખાઓ અહીં ખોલવા જઈ રહ્યા છે. S&P CNX 500 માં સ્થાન પામેલી બે કંપનીઓની કોર્પોરેટ ઑફિસો અહીં આવેલી છે - નેશનલ એલ્યુમિનિયમ કંપની અને ટાટા સ્પ્ઞ આર્યન.

૧૯૯૪ માં થયેલાં નાણાકીય સુધારાને અનુસરી માળખાકીય પરિવર્તનો કરનારું ઑડિશા પ્રથમ રાજ્ય હતું. વિદ્યુત પ્રવાહના પ્રવાહન અને વહેંચણીના ક્ષેત્રોમાં ખાનગીકરણ દાખલ કરનાર ઑડિશા પ્રથમ રાજ્ય હતું. ૧૯૯૪ અને ૨૦૦૦ની સાલની વચમાં ઑડિશા રાજ્ય વિદ્યુત મંડળનું માળખું સુધારી ગ્રીડકોની રચના કરવામાં આવી હતી. ટ્રાન્સકો અને વહેંચણી કરનારી કંપનીઓ આ મહામંડળના નાના વિભાગ બન્યા. આ વહેંચણી કરનાર ભાગને ખાનગી ક્ષેત્રની કંપનીઓને વેચવાની યોજના બની. આ સુધારાનું પ્રમાણ અને મહત્ત્વ ભારતીય અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ટપ્પો ધરાવે છે.

ભારતની કેન્દ્ર સરકારે ઑડિશામાં આઠ સ્થળોને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ઘોષિત કર્યા છે. તેમાં ભુવનેશ્વર અને પારાદીપમાં ઈન્ફોસીટી શામેલ છે. પણ આ ક્ષેત્રોમાં ખેડૂતો તરફથી પ્રચંડ વિરોધ નોંધાવાયો છે.

પૂર અને વાવાઝોડા ઑડિશાની અર્થવ્યવસ્થાને અસર કરનારા મહત્વના પરિબળો છે. ઑડિશાના મહત્ત્વપૂર્ણ જિલ્લાઓ બંગાળના ઉપસાગરના દરિયા કાંઠે આવેલા છે.

માળખગત સુવિધાઓનો વિકાસ[ફેરફાર કરો]

પારદીપ બંદર એ ઑડિશાના પૂર્વી કિનારે આવેલું એક મહત્ત્વપૂર્ણ બંદર છે. આ સિવાય દરિયાઈ કિનારે આવેલા શહેરો ધમ્રા અને ગોપાલપુર પણ ઑડિશાના અન્ય મહત્ત્વપૂર્ણ બંદરો છે. ભારત સરકારે ઉત્તરમાં પારદીપથી લઈ દક્ષિણમાં ગોપાલપુર સુધીના કિનારાના ક્ષેત્રની વિશેષ આર્થિક ક્ષેત્ર તરીકે પસંદગી કરી છે. ભારતમાં આવા છ વિશેષ આર્થિક ક્ષેત્રો છે. ભારત સરકાર અને ઑડિશા રાજ્ય સરકાર અહીં રોટરડેમ, હ્યુસ્ટન અને પુડોન્ગ જેવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હાથ મિલાવ્યા છે. આથી અહીં પેટ્રો કેમિકલ્સ, સ્ટીલ અને ઉત્પાદન ક્ષેત્રોની ગતિવિધીઓને વેગ મળવાની ધારણા છે.

વાહનવ્યવહાર[ફેરફાર કરો]

ઑડિશા વાહન વ્યવહારમાં રસ્તા, રેલમાર્ગો, હવાઈમથકો અને બંદરોની સુવિધાઓ ધરાવે છે. ભુવનેશ્વર ભારતના અન્ય સ્થળો સાથે રેલ, રસ્તા અને હવાઈ માર્ગે જોડાયેલું છે.

હવાઈમાર્ગ[ફેરફાર કરો]

ઑડિશામાં કુલ ૧૭ હવાઈમથકો અને ૧૬ હેલીપેડ આવેલા છે.[૮૨][૮૩][૮૪]

તેમાં ગોપાલપુર, જારસુગડા, બારબીલ અને રાઉરકેલાનો સમાવેશ થાય છે.[૮૫] એર ઑડિશા એ બુવનેશ્વરમાં આવેલી રાજ્યની એક માત્ર ચાર્ટર વિમાન કંપની છે.

  • ભુવનેશ્વર - બીજુ પટનાઈક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
  • બ્રહ્મપુર - બેહરામપુર હવાઈ મથક
  • કટક - ચારબતીયા એર બેઝ
  • જેયપોર - જેયપોર હવાઈ મથક
  • જારસુગડા - જારસુગડાહવાઈ મથક

બંદરો[ફેરફાર કરો]

  • ધામરા બંદર
  • ગોપાલપુર બંદર
  • પારદીપ બંદર
  • સુબર્નરેખા બંદર
  • અષ્ટરંગ બંદર
  • ચાંદીપુર બંદર

રેલ્વે[ફેરફાર કરો]

ઑડિશાના મોટા ભાગના મુખ્ય શહેરો ભારતના અન્ય શહેરો સાથે રોજની અથવા સાપ્તાહિક રેલ સેવા દ્વારા જોડાયેલા છે. ઑડિશામાં આવેલ રેલ્વે મોટા ભાગે પૂર્વ તટ રેલ્વે હેઠળ આવે છે. તેનું મુખ્ય મથક ભુવનેશ્વરમાં છે. તે સિવાય રેલ્વેનો થોડોક ભાગ દક્ષિણ પૂર્વી રેલ્વે વિભાગ હેઠળ અને દક્ષિણ પૂર્વે મધ્ય રેલ્વે હેઠળ આવે છે.

જનસંખ્યા[ફેરફાર કરો]

૨૦૧૧ની ભારતીય વસ્તી ગણતરી અનુસાર ઑડિશાની વસ્તી ૪૧,૯૪૭,૩૫૮ હતી. તેમાં ૨૧,૨૦૧,૬૭૮ (૫૦.૫૪%) પુરુષો અને ૨૦,૭૪૫,૬૮૦ (૪૯.૪૬%) સ્ત્રીઓ હતી. આમ, દર ૧૦૦૦ પુરુષે ૯૭૮ સ્ત્રીઓ હતી. વસ્તીની ઘનતા ૨૬૯ વ્યક્તિઓ પ્રતિ ચો. કિમી. છે.

અહીં મોટા ભાગની પ્રજા ઑડિયા છે અને અહીંની સત્તાવાર ભાષા ઑડિયા છે. અહીંના લગભગ ૮૧.૮% લોકો દ્વારા તે બોલવામાં આવે છે. [૮૬] આ સિવાય ઑડિશામાં બંગાળી, હિંદી, ઉર્દૂ, તેલુગુ, સંતાલી જેવી ભાષાકીય લઘુમતી કોમો પણ છે. અનૂસૂચિત જાતિનું પ્રમાણ ૧૬.૫૩% અને અનુસૂચિત જનજાતિઓનું પ્રમાણ ૨૨.૧૩% જેટલું છે. સંથાલ, બોન્દા, મુંડા, ઑરાઓન, કાન્ધા મહાલી અને કોરા અહીંની અમુક પ્રજાતિઓ છે.

અહીં સાક્ષરતાનું પ્રમાણ ૭૩% છે, તે પુરુષોમાં ૮૨% અને સ્ત્રીઓમાં ૬૪% છે.

૧૯૯૯-૨૦૦૦માં ગરીબીની રેખાની નીચે જીવનારા લોકોનું પ્રમાણ ૪૭.૧૫% હતું, જે ભારતીય સરાસરી ૨૬.૧૦% કરતાં ઘણું વધારે હતું.

૧૯૯૬-૨૦૦૧ દરમ્યાન થયેલા અભ્યાસમાં લોકોની આયુ-સંભાવ્યતા ૬૧.૬૪ વર્ષ હતી, જે રાષ્ટ્રીય સરાસરી કરતાં વધુ હતી. પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ જન્મનું પ્રમાણ ૨૩.૨ છે અને મૃત્યુ દર ૯.૧ છે. બાળ મૃત્યુ દર દર ૧૦૦૦ જીવીત જન્મે ૬૫ નો છે જ્યારે દર ૧૦૦૦એ માતૃ મૃત્યુ દર ૩૫૮ છે. ૨૦૦૪માં ઑડિશાનો માનવ વિકાસ માનાંક ૦.૫૭૮ હતો.

ધર્મ[ફેરફાર કરો]




ઑડિશામઆં ધર્મ (૨૦૧૧)[૮૭]      હિંદુ (93.62%)     ખ્રિસ્તી (2.76%)     ઈસ્લામ (2.17%)     સરના ધર્મ (1.13%)     શીખ (0.05%)     બૌદ્ધ ધર્મ (0.03%)     જૈન ધર્મ (0.02%)     બિન ધાર્મિક (0.2%)

ગીત ગોવિંદ

ઑડિશામાં મોટા ભાગના લોકો (લગભગ ૯૪%[૮૮])હિંદુ ધર્મ પાળે છે અને તેઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. દા.ત. ઑડિશા ઘણાં હિંદુ પાત્રોનું ઘર છે. સંત ભીમ ભોઈ મહિમા ધર્મ ચળવળના નેતા હતા. સરલા દાસ જેઓ આદિવાસી હતા તેમણે મહાભારતનું ઑડિયામાં ભાષાંટર કર્યું હતું. ચૈતન્યદાસ બૌદ્ધ વૈષ્ણવ પંથના સ્થાપક હતા. તેમણે નિર્ગુણ મહાત્મ્ય લખ્યું. અને ગીત ગોવિંદના રચયિતા જયદેવ પણ ઑડિશાના હતા.

"ઑડિશા મંદિર પ્રાધિકાર કાયદો" ૧૯૪૮ હેઠળ ઑડિશાના દરેક હિંદુ મંદિરમાં હરિજન સહિત દરેક હિંદુઓને પ્રવેશની છૂટ આપવામાં આવી છે, [૮૯]

સૌથી પ્રાચીન ઑડિયા ભાષાની કૃતિ માદલ પાંજી છે જે પુરી મંદિરમાંથી મળી આવી છે તેની રચના ઈ.સ. ૧૦૪૨માં થઈ હોવાનું મનાય છે. આ સિવાય પ્રચલિત પ્રાચીન ઑડિસી ગ્રંથોમાં જગન્નાથ દાસદ્વારા ૧૬મી સદીમાં લખાયેલી ભાગબતા (ભાવગત)નો પણ સમાવેશ થાય છે. [૯૦] આધુનિક સમયમાં ૨૦મી સદીમાં બ્રહ્મો સમાજી મધુસુદન રાવે ઑડિયા લેખન સાહિત્ય પાયો નાખ્યો. [૯૧]

૨૦૦૧ની જનગણના અનુસાર ઑડિશામાં ખ્રિસ્તી લોકોની ટકાવારી ૨.૮% છે, જ્યારે મુસ્લીમ લોકોની ટાકાવારી ૨.૨% છે. શીખ, બૌદ્ધ અને જૈન લોકો સાથે મળી ૦.૧% છે.[૮૮] આદિવાસીઓનો મોટો ભાગ સરના ધર્મ પાળે છે, જેમાં તેઓ પ્રકૃતિની પૂજા કરે છે, જોકે વસ્તી ગણતરીમાં તેમને હિંદુ ધર્મના એક ભાગ તરીકે લેખવામાં આવે છે.

શિક્ષણ[ફેરફાર કરો]

રેવનશૉ વિશ્વવિદ્યાલય, કટકનું પરિછાયાચિત્ર.

હાલમાં ઑડિશાના જાજપુર જિલ્લામાં રત્નગિરી (પુપ્ફગિરી અથવા પુષ્પગિરી)માં પ્રાચીન વિશ્વવિદ્યાલય - બૌદ્ધ ધર્મનું શિક્ષણ કેન્દ્ર મળી આવ્યું છે. આ વિશ્વવિદ્યાલયમાં ગ્રીસ, પર્શિયા અને ચીનથી જીજ્ઞાસુઓ ભણવા આવતા હોવાનું મનાય છે. તક્ષશિલા અને રત્નગિરી વિશ્વની સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય હોવાનું મનાય છે. રત્નગિરી પર સંશોધન ચાલુ છે.

શૈક્ષણિક સંસ્થાઓ

ઑડિશામાં ઘણી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમકે આઈ. આઈ ટી (ભુવનેશ્વર), ઑલ ઈંડિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (ભુવનેશ્વર), નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (રાઉરકેલા), આઈ. આઈ. એમ (સંબલપુર), ઈંડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન ઍન્ડ રીસર્ચ (બ્રહ્મપુર) ઈત્યાદિ.

ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ ઑડિશા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામીનેશન દ્વારા મેળવી શકાય છે. આ પરીક્ષા ૨૦૦૩થી બીજુ પટનાઈક વિશ્વવિદ્યાલ, રાઉરકેલા દ્વારા લેવામાં આવે છે. અને વૈદકીય અભ્યાસ ક્રમમાં પ્રવેશ ઑલ ઈંડિયા પ્રી મેડિકલ ટેસ્ટ દ્વારા મેળવામાં આવે છે.

કલિંગ ખિતાબ[ફેરફાર કરો]

ઑડિશાના લોકો વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના પ્રસંશક રહ્યા છે. તેઓ દ્વારા ૧૯૫૨માં બીજુ પટનાકના નેતૃત્વમાં આ ઈનામની શરૂઆત કરવામાં આવી હતી. [૯૨] આ ઈનામનો કાર્યભાર કલિંગ ફાઉન્ડેશન સંભાળે છે. વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના ક્ષેત્રમાં પ્રચાર ને પ્રસાર માટે આ ઈનામ યુનેસ્કો થકી આપવામાં આવે છે. કલિંગ ઈનામ મેળવનારા ૨૫ વ્યક્તિઓને પાછળથી નૉબેલ પુરસ્કાર મળ્યો છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

ઑડિશામાં મોટ ભાગના લોકો ઑડિયા ભાષા બોલે છે. કચેરીના કામો માટે અંગ્રેજી ભાષાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સ્થાનીય સ્તરે ઑડિયા ભાષા વપરાય છે. ઑડિયા ભાષા ઇંડો-યુરોપીયન ભાષાની ઈંડો-આર્યન ભાષાના વર્ગમાં આવતી ભાષા છે અને બંગાળી અને અસમિયા ભાષા સાથે સામ્ય ધરાવે છે. અહીંના આદિવાસીઓ દ્રવિડિયન અને મુંડા કુળની ભાષા બોલે છે. રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં ઘણાં મંદિરો આવેલાં છે. ઑડિસી શાસ્ત્રીય નૃત્ય આ ક્ષેત્રમાં ઉદ્ભવ્યું છે. અર્વાચીન ઑડિસી સંસ્કૃતિ પર હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની છાપ દેખાય છે. આદિવાસી સંસ્કૃતિ પણ આધુનીલ ઑડિયા સંસ્કૃતિનો ભાગ છે.

ખાનપાન[ફેરફાર કરો]

પહાલા રસગુલ્લા (ભુવનેશ્વર)

ઑડિશાની પાક સંસ્કૃતિ સદીઓ જૂની છે. જગન્નાથ પુરીનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું છે, તેમાં ૧૦૦૦ રસોઈયા ૭૫૨ ચુલા પર કામ કરી અને ૧૦,૦૦૦ લોકોને દરરોજ જમાડે છે.[૯૩][૯૪]

ઑડિશામાં ઉદ્‌ગમ પામેલા સાકરની ચાસણીમાં ડુબાડીને બનાવવામાં આવતા રસગુલ્લા વિશ્વભરમાં પ્રખ્યાત છે.[૯૫][૯૬][૯૭] ઑડિશાની છેનાપોડા નામની એક મીઠાઈ પણ જાણીતી છે, તેનું ઉદ્‌ગમ નયાગઢ છે.[૯૮] પનીરને ખાંડ સાથે કેરેમલાઈઝ કરી તેમાં એલચી, વગેરે ઉમેરી ચૂલા પર બાળીને આ મીઠાઈ બનાવવામાં આવે છે. છેના જીલી અને માલપુઆ અહીંની અન્ય લોકપ્રિય મીઠાઈઓ છે. કાકરા પીઠા નામની અન્ય મીઠાઈ પણ ઑડિશાની જાણીતી મીઠાઈ છે, તેને રવો અને ઘઉંનો લોટ વાપરી બનાવાય છે અને અંદરના પૂરણમાં કોપરું, મરી, એલચી, ખાંડ અને ઘી કે પનીર (છેના) વાપરવામાં છે. તહેવારોમાં આ મીઠાઈ વિશેષ ખવાય છે. અરીશા એક અન્ય જાણીતી વાનગી છે. આ સિવાય પોડા પીઠા (એન્દુરી પીઠા), મન્દા પીઠા, ચીતોઉ પીઠા અન્ય ઉદાહરણ છે. મમરા ઑડિશામાં દરેક ઘરમાં વિશેષ ખવાય છે. તે માટે બરીપદા જાણીતું છે. મમરામાંથી બનતી છેનાચુર નામની ચેવડા જેવી વાનગી ચા-દૂધ સાથે ખવાય છે.

છેનાપોડા

ગ્રામીણ ક્ષેત્રોમાં પખાલા નામની વાનગી પ્રચલિત છે. તે ખાસ કરી ઉનાળામાં ખવાય છે. આ વાનગી દહીં પાણી અને રાંધેલા ભાતને મિશ્ર કરી બનાવવામાં આવે છે. ઑડિયા લોકો મીઠાઈના ઘણા શોખીન હોય છે અને ભોજનને અંતે મીઠાઈ ન હોય તો તે ભોજન પૂર્ણ ગણાતું નથી. સામાન્ય રીતે ઑડિયા ભોજન બે સ્તરનું હોય છે, મુખ્ય ભોજન અને મીઠાઈ. સવારના નાસ્તામાં રોટલા કે રોટલી મુખ્ય આહાર હોય છે જ્યારે બપોર અને રાતના ભોજનમાં ભાત અને દાળ મુખ્ય આહાર હોય છે. મુખ્ય ભોજનમાં બે ત્રણ શાક અને અથાણાં પણ હોય છે. ઑડિયા મીઠાઈઓ વિવિધ સામગ્રીમાંથી બને છે તેમાં દૂધ, છેના (અમુક જાતનું પનીર), નારિયેળ, ચોખા અને ઘઉંનો લોટ બનાવટના મુખ્ય પદાર્થ હોય છે.

ઓડિશામાં બનતા શાકમાં મુખ્ય છે દાલમા (દાળ અને શાકને સાથે બાફી તેમાં અન્ય મસાલા નાખી વઘારવામાં આવે છે) અને સન્તુલા. ઘન્ટા અને પોશ્ટા ઑડિશાની અન્ય સ્થાનિક વાનગીઓ છે.

ઑડિશામાં શાકાહારી અને માંસહારી એમ બંને જાતના ભોજન ખવાય છે. અહીં વહેતી ઘણી નદીઓ અને વિશાળ દરિયા કિનારાને કારણે અહીંના ખોરાકમાં માછલી એક મહત્ત્વનો ખોરાક છે. ઑડિશાની રસોઈમાં સમુદ્રીક જીવોમાંથી બનતી ઘણી વાનગીઓ છે તેમાં જીંગા અને કરચલાની બનાવટો ખાસ છે. ચિલ્કા સરોવરના સમુદ્રીક જીવો લોકપ્રિય છે.

ઓડિશાનું ખાનપાન દક્ષિણ ભારતીય અને ઉત્તર ભારતીય ખાનપાનની સીમા પર છે. અહીં સવારના નાસ્તામાં ડોસા, ઈડલી જેવા વ્યંજન વેચાય છે (જે દક્ષિણ ભારતીય છે) તે સાથે પૂરી-છોલે, સમોસા (સ્થાનીય નામ સીંગાડા) અને અન્ય ઉત્તર ભારતીય વસ્તુઓ પણ વેચાય છે. કટક (સાલેપુર)ના રસગુલ્લા ઑડિશા અને પડોશી રાજ્યોમાં વખણાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતનું મિશ્રણ હોય એવી એક ઉત્તમ વાનગી તરીકે દહિબરા-આલુદમ-ઘુગુની ગણાવી શકાય, ખાસ કરીને કટકમાં તે મળે છે જેમાં દહિવડા (દહિબરા), દમ આલુનું શાક (આલુદમ) અને છોલે ચણા (ઘુગુની) એક સાથે પિરસવામાં આવે છે.

સાહિત્ય[ફેરફાર કરો]

ઑડિયા સાહિત્યના ઇતિહાસને ભાષાશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ અમુક ભાગમાં વિભાજીત કર્યો છે: પ્રાચીન ઑડિયા (ઈ.સ. ૯૦૦-૧૩૦૦), પૂર્વી મધ્ય ઑડિયા (ઈ.સ. ૧૩૦૦-૧૫૦૦), મધ્ય ઑડિયા (ઈ.સ. ૧૫૦૦-૧૬૦૦), અર્વાચીન મધ્ય ઑડિયા (ઈ.સ. ૧૭૦૦-૧૮૫૦) અને આધુનિક ઑડિયા (ઈ.સ. ૧૮૫૦થી અત્યાર સુધી).

નૃત્ય[ફેરફાર કરો]

ઑડિસી નૃત્ય અને સંગીત શાસ્ત્રીય કળાઓ છે. પુરાતાત્વીક પ્રમાણોના આધારે ઑડિસી નૃત્ય એ ભારતની સૌથી પ્રાચીન નૃત્ય કળા છે. [૯૯] ઑડિસી નૃત્ય ૨૦૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. અંદાજે ઈ.સ. પૂર્વે ૨૦૦ માં લખાયેલા "નાટ્યશાસ્ત્ર" અને "ભારતમુની"માં તેનો ઉલ્લેખ છે. બ્રિટિશ કાળ દરમ્યાન આ નૃત્ય નામશેષ થયું હતું. ભારતની સ્વતંત્રતા બાદ અમુક ગુરુઓના પ્રયત્નો થકી તેનો પુનર્જન્મ થયો.

આ સિવાહ અહીં ઘુમુરા નૃત્ય, છાઉ નૃત્ય, માહરી નૃત્ય અને ગોતીપુઆ પણ કરવામાં આવે છે.

સિનેમા[ફેરફાર કરો]

ઑડિયા ભાષામાં બનતા ચિત્રપટો ઑલિવુડ ફિલ્મ નામે જાણીતા બન્યા છે. ઑડિયાભાષાનું સૌ પ્રથમ ચિત્રપટ - સીતા બિબાહ - ૧૯૩૬માં બન્યું હતું. ત્યાર બાદ ૧૯૫૧ સુધી માત્ર બે ઑડિયા ફિલ્મો જ બની હતી. ૧૯૪૮ બાદ ઑડિશાના જમીનદારો અને વ્યાપારીઓ ભંડોળ એકત્ર કરી તે બે ફિલ્મો બનાવી હતી. સીતા બિબાહ ના દિગ્દર્શક મોહન સુંદર દેવ ગોસ્વામી હતી અને તે ફિલ્મ પુરીના લક્ષ્મી થીયેટરમાં પ્રદર્શિત કરાતી હતી. ૧૯૫૧માં રોલ્સ ટુ એઈટનામે ફિલ્મ પ્રસિદ્ધ થઈ, અંગ્રેજી નામ ધરાવતી આ પ્રથમ ઑડિયા ફિલ્મ હતી. સીતા બિબાહના ૧૫ વર્ષ પછી આ ફિલ્મ બની. રતીકાન્તા પાધી દ્વારા નિર્મિત આ ચોથી ફિલ્મ હતી. ૧૯૬૦માં બનેલી અગિયારમી ઑડિયા ફીલ્મ શ્રી લોકેનાથ રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી પ્રથમ ફિલ્મ બની. તેનું દિગ્દર્શન પ્રફુલ્લ સેનગુપ્તાએ કર્યું હતું.

ઑડિયા ફિલ્મ ઉદ્યોગમાં કલાકર, દિગર્શક અને નિર્માતા તરીકે ગોઉર ઘોષ અને તેમની પત્ની પારબતી ઘોષનું નામ જાણીતું છે. વાર્તા કહેવાની વિવિધ પદ્ધતિઓ તેમણે લાવી. તેમની મા અને કા નામની ફિલ્મ ઘણી જાણીતી બની અને તે માટે તેમને ઘણા ઘણા પુરસ્કાર મળ્યા.

૧૯૬૨માં ઑડિયા કલાકાર પ્રશાંત નન્દાને તેમની પ્રથમ ફિલ્મ નુઆ બોઉ માટે સર્વોત્કૃષ્ટ અભિનય માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ તેમણે અભિનેતા, નિર્માતા, લેખક, દિગ્દર્શક, ગીતકાર અને ગાયક તરીકે પણ કાર્ય કર્યું.

ઉત્તમ મોહન્તી ને તેમની પ્રથમ ફિલ્મ અભિમાન માટે ઘણી સરાહના મળી હતી. તેઓ ઑડિયા ફિલ્મના જાણીતા કલાકર છે. તેમની પત્ની અપરાજીતા મોહન્તી પણ જાણીતા અભિનેત્રી છે. ૧૯૬૦ના દશકમાં સરત પુજારી લોકપ્રિયા અભિનેતા હતા. નુઆ બોઉ, જીવન સાથી, સાધના, મનીકા જોડી, નબ જન્મા, મતીરા મનીસા, અરુંધતી, ઘર સંસાર, ભૂખા વગેરે તેમની ફિલ્મો જાણીતી બની હતી. તેમની ફિલ્મો ઑડિશાનું જીવન દર્શન કરાવતી અને સામાજિક સંદેશ આપતી. તેઓ અભિનેતા સાથે સફળ દિગ્દર્શક અને શિક્ષક પણ છે. હવે તેઓ નિવૃત્ત છે સાથે તેઓ ચૂંટેલી ફિલ્મોમાં કામ કરે છે અને વર્તમાન પત્રોમાં કટાર પણ લખે છે.

રાજુ મિશ્રા એક અન્ય જાણીતા કલાકાર છે. તે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છાયાચિત્રકાર અને ઑલિવુડના દિગ્દર્શક અને ગીતકાર છે. આ સિવાય ઑલિવુડમાં બીજય મોહન્તી, શ્રીરામ પાન્ડા, મિહીર દાસ, સિધાન્ત મહાપાત્રા, મહાશ્વેતા રે, તાન્દ્રા રે, અનુભવ મોહન્તી વિગેરે અન્ય કલાકારો છે.

સંગીત[ફેરફાર કરો]

૧૬મી સદીમાં સંગીત ઉપર સાહિત્ય ગાવાની શરૂઆત થઈ. તે સમય દરમ્યાન લખાયેલ ચાર મુખ્ય ગ્રંથો છે સંગીતમાવા ચંદ્રિકા, નટ્ય મનોરમા, સંગીત કલાલતા અને ગીતા પ્રકાશ. ઑડિસી સંગીત ચાર પ્રકારના સંગીતનું સંયોજન છે: ચિત્રપદ, ધ્રુવપદ, પાંચાલ અને ચિત્રકલા. જ્યારે સંગીત કળાકારીગરી વાપરે છે ત્યારે તેને ચીટીકલા કહેવાય છે. પાડી એ ઑડિસી સંગીતની એક ખાસ વિશેષતા છે, તેમાં શબ્દોને અતિ તીવ્ર ઝડપે ગાવામાં આવે છે.

ઑડિયા સંગીત ૨૫૦૦ વર્ષોથી વધારે પ્રાચીન છે અને તેના ઘણા વિભાગો છે. તેના મુખ્ય પાંચ ભાગ છે, જનજાતિય સંગીત, લોક સંગીત, સુગમ સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય સંગીત.

પ્રાચીન સમયમાં કવિઓ દ્વારા લોકોમાં ધર્મભાવના જાગૃત થાય એવા ગીતો રચવામાં આવતા હતા. ૧૧મી સદી દરમ્યાન ત્રિસ્વરી, ચતુઃસ્વરી અને પંચસ્વરીના માધ્યમ દ્વારા સંગીતને શાસ્ત્રીય સ્વરૂપ મળ્યું.

ઑડિશામાં ઝુમર, યોગી ગીતા, કેન્દારા ગીતા, ધુડુકી બદ્યા, પ્રહલાદ નાટક, પલ્લ, સંકીર્તન, મોગલ તમાશા, ગેતીનાટ્ય, કન્ધેઈ નાચ, કેલા નાચ, ઘોડા નાચ, દંડ નાચ, અને દશકથીયા જેવા લોક સંગીત પ્રસિદ્ધ છે. ઑડિશામાં દરેક જુદી જુદી જાતિ જનજાતિઓને તેમનું પોતાનું આગવું સંગીત અને નૃત્ય શૈલીઓ છે.

ઑડિશાનું રાજ ગીત "બન્દે ઉત્કલ જનની"ની રચના કાન્તકબી લક્ષ્મીકાંતા મોહપાત્રાએ કરી હતી. જ્યારે ૧ એપ્રિલ ૧૯૩૬ના દિવસે ઑડિશાને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો તે દિવસે આ કવિતાને રાજ્ય ગીત બનાવવામાં આવ્યું હતું.

સંબલપુરી સંગીત ઑડિશા સિવાય આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પ્રચલિત છે.

અન્ય કળા[ફેરફાર કરો]

આ સિવાય ઑડિશા અન્ય આકર્ષણો ધરાવે છે, જેમ કે, પુરીના જગન્નાથ મંદિરની રથ યાત્રા, પીલલીનું ભરતકામ, કટકની ચાંદીની ઝીણી કારીગરી અને પત્તા ચિત્ર, નિલગીરી (બાલાસોર)ના પથ્થરના વાસણો અને અન્ય આદિવાસી કળાઓ.

કોણાર્કનું સૂર્ય મંદિર તેના સ્થાપત્ય વૈભવ અને શૃંગારિક કોતરણી માટે પ્રસિદ્ધ છે. સંબલપુરીવસ્ત્રો પણ કળાકારીગરીમાં સુંદર હોય છે. ઑડિશાની સાડીઓ વિશ્વમાં પ્રસિદ્ધ છે. હાથવણટની મુખ્ય ત્રણ પ્રકારની સાડીઓ ઑડિશામાં બનાવવામાં આવે છે: ઈકાટ, બાન્ધા, પસાપલ્લી.

પ્રવાસન[ફેરફાર કરો]

નંદનકાનન જુલોજીકલ પાર્ક

ઑડિશા તેની સમૃદ્ધ સંકૃતિ અને સંખ્યાબંધ પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. ઑડિશાના મંદિરો ઈંડો-નાગર વાસ્તુ શૈલિમાં બનેલા છે જેમાં અમુખ સ્થાનિય વિશેષતા હોય છે. ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર, પુરીનું જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર તેના ઉદાહરણો છે. ઑડાગાંવા, નયાગઢ જિલ્લાનું રઘુનાથ મંદિર પણ મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળ છે. ઑડિશાના મંદિરો રાજસી વૈભવ ધરાવે છે. ઑડિયા મંદિર (દેઉલા) પ્રાયઃ ગર્ભગૃહ, એક કે તેથી વધુ પિરામિડ આકારના છાપરા ધરાવતા મંડપો, નૃત્ય મંદિર, અને ભોગ મંદિર ધરાવે છે.

પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રા

ભુવનેશ્વરના લિંગરાજ મંદિરનું દેવળ 150-foot (46 m) ઉંચાઈ ધરાવે છે જ્યારે પુરીના જગન્નાથ મંદિરની ઉંચાઈ 200 feet (61 m) છે. કોણાર્કમાં આવેલા સૂર્ય મંદિરનો અમુક જ ભાગ શેષ છે. કોણાર્ક સૂર્ય મંદિર ઑડિશાના સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. શક્તિમાર્ગી સંપ્રદાયનું સારલા મંદિર જગતસિંહ જીલ્લામાં આવેલું છે. કેંદુઝાર જિલ્લામાં આવેલું મા તારિણી મંદિર પણ જાણીતું યાત્રાધામ છે.[૧૦૦]

ઑડિશામાં ઘણા બૌદ્ધ અને જૈન તીર્થધામો પણ આવેલા છે. કટાકથી ઈશાન તરફ, ભુવનેશ્વરથી 10 km (6 mi) કિમી દૂર ટેકરીઓ ઉપર ઉદયગિરિ અને કંડાગિરિની ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ઑડિશાના ૧૩મી સદી સુધીના બૌદ્ધ ધર્મ સાથેના સંબંધની સાક્ષી પુરે છે. ધૌલીમાં બુદ્ધની ખૂબ ઉંચી પ્રતિમા છે જેને જોવા ઘણાં વિદેશી પર્યટકો આવે છે.

ઑડિશા વિવિધ પ્રકારની ભૌગોલિક સંરચના ધરાવે છે. જંગલમય પૂર્વી ઘાટથી નદીના ફળદ્રુપ મેદાનો. આને કારાણે અહીં સરિસૃપો અને પક્ષીઓ સ્થળાંતર કરવા આવે છે જેથી વિવિધ જૈવિક અને વન સંપદા જોવા મળે છે. ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વનું બીજું સૌથી મોટું સુંદરવન ધરાવે છે. ઑડિશા ટુરિઝમ દ્વારા પ્રાકૃતિક પર્યટનનું આયોજ કરવામાં આવે છે. આ પર્યટનમાં ભારતના સૌથી મોટા ખારા પાણીના સરોવર - ચિલ્કા તળાવ, વાઘ અભયારણ્ય અને સીમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનના ધોધનો સમાવેશ થાય છે.[૧૦૧] કંધામાલ જિલ્લામાં આવેલા દારિંગબાદીને ઑડિશાના કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રકૃતિ ચાહકો ટિકરપારામાં આવેલી ઘડિયાલ અભયારણ્ય અને ગહીરમાથામાં આવેલી અદ્રિયાઈ કાચબા અભયારણ્ય જોવા ખા સ જાય છે. ચંડાક હાથી અભયારણ્ય અને નંદન કાનન ઝુલોજિકલ પાર્ક સંવર્ધન અને લુપ્ત પ્રાયઃ પ્રજાતિના નવીનીકરણના નવા ઉદાહરણ પુરા પાડે છે.

ઑડિશામાં 500 km (311 mi) લાંબો દરિયા કિનારો અને વિશ્વના સૌથી સુંદર દરિયા કિનારા છે. ચિલ્કા તળાવ હજારો પક્ષીઓને આશ્રય પુરું પાડે છે અને ભારતમાં અમુક જ સ્થળે દેખાતી ડૉલ્ફીન અહીં જોઈ શકાય છે. ઑડિશાના લીલા જંગલોમાં રોયલ બંગાળ વાઘનું સંવર્ધન થાય છે. ઑડિશામાં ચંદિપુર, ગોપાલપુર, કોણાઅર્ક, અષ્ટરંગ, તાલસરાઈ, સોનેપુર વગેરે દરિયા કિનારા આવેલા છે.[૧૦૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "LIST OF TOWNS AND THEIR POPULATION" (PDF). મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૧.
  2. "Ganeshi Lal sworn in as new governor of Odisha". Business Standard. Press Trust of India. ૨૯ મે ૨૦૧૮.
  3. Sambar : The State Animal of Orissa
  4. "Blue Jay: The State Bird of Orissa" (PDF). મૂળ (PDF) માંથી 2012-06-02 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-23.
  5. "CyberOrissa.com :: Orissa". cyberorissa.com. ૨૦૧૧. મૂળ માંથી 2011-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ મે ૨૦૧૨. State Flower
  6. "Orissa State Symbols". mapsofindia.com. ૨૦૧૧. મેળવેલ ૨૬ મે ૨૦૧૨. the state tree is the imposing ‘Ashwatha’ tree
  7. "Orissa celebrates Odisha". The Times of India. ૫ નવેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2013-04-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૧.
  8. "Mixed views emerge as Orissa becomes Odisha". India Today. ૬ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૧.
  9. "EARLY PERIOD TO 1568 A.D." Detail History of Orissa. Government of Orissa. મૂળ માંથી 2006-11-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩.
  10. "HC Orissa History (at Kanika Palace Cuttack)". High Court of Orissa. મૂળ સંગ્રહિત માંથી 2010-12-09 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૦૮.
  11. Jain, Dhanesh (૨૦૦૩). The Indo-Aryan languages. Routledge. પૃષ્ઠ 445. ISBN 978-0-7007-1130-7.
  12. "Poor water management has made Orissa victim of drought and floods". The Hindu. મૂળ માંથી 2009-04-09 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૦૬.
  13. ૧૩.૦ ૧૩.૧ It's now Odisha. ધ હિંદુ. Bhubaneswar. 5 નવેમ્બર 2011
  14. "Orissa becomes Odisha, Oriya becomes Odia". The New Indian Express. ૪ નવેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2014-06-07 પર સંગ્રહિત. મેળવેલ ૪ નવેમ્બર ૨૦૧૧.
  15. "Orissa becomes 'Odisha', Oriya is 'Odia' – Economic Times". Articles.economictimes.indiatimes.com. ૬ ડિસેમ્બર ૨૦૧૧. મેળવેલ ૨૯ ઓક્ટોબર ૨૦૧૧.
  16. Akshaya Kumar Sahoo. Centre notification on Orissa name change.5 Nov 2011
  17. No more Orissa-Oriya; Its Odisha-Odia officially : CM declares state holiday સંગ્રહિત ૨૦૧૪-૧૧-૧૩ ના રોજ વેબેક મશિન.5 નવેમ્બર 2011
  18. Orissa changes to Odisha with state holiday સંગ્રહિત ૨૦૧૨-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન.The Hill Post 4 નવેમ્બર 2011
  19. ଓରିସା ହେଲା ଓଡ଼ିଶା, ରାଷ୍ଟ୍ରପତିଙ୍କ ମୋହର ବାଜିଲା સંગ્રહિત ૨૦૧૪-૧૧-૧૩ ના રોજ વેબેક મશિનସମ୍ବାଦ (ଖବରକାଗଜ).୦୫ ନଭେମ୍ବର ୨୦୧୧
  20. "ओडिशा को मिली संसद की मंजूरी". Hindi.webdunia.com. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  21. Hi News India સંગ્રહિત ૨૦૧૨-૦૪-૦૩ ના રોજ વેબેક મશિનOrissa becomes Odisha, Oriya becomes Odia
  22. "MORE ABOUT THE STATE". Govt. of Odisha. મૂળ માંથી 2012-12-24 પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૧૩.
  23. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2013-11-26 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-21.
  24. "History of Odisha". india.gov.in. મૂળ માંથી 2011-12-18 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૨.
  25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ ૨૫.૩ ૨૫.૪ "Odisha Government Portal". Orissa.gov.in. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  26. "A tale of Tel valley civilization uncovered". The New Indian Express. મૂળ સંગ્રહિત માંથી 2010-12-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ઓક્ટોબર ૨૦૧૦.
  27. P.Mohanty, B. Mishra, Op. Cit,2000; C.R. Mishra, S. Pradhan, op. cit. 1989–1990, Infra, F.N.79
  28. Mahabharata Sabhaparva, 31, sloka-11-16
  29. Proceedings, Indian History Congress, 1947, 10th session, 178
  30. H. C. Rayachoudhury, Political History of Ancient India, 538
  31. B. Mishra, op.cit., 2003–2004
  32. N. K. Sahu, 1964, op. cit.
  33. N. K. Sahu, op.cit., 1964, p.200
  34. ibid.7
  35. "Odisha Government Portal". Orissa.gov.in. મૂળ માંથી 2015-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  36. Social and Cultural Life in Medieval Andhra by M. Krishna Kumari: p.18
  37. Ancient India by Ramesh Chandra Majumdar p.390
  38. "Odisha Government Portal". Orissa.gov.in. મૂળ માંથી 2015-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  39. "Odisha Government Portal". Odisha.gov.in. મૂળ માંથી 2016-03-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  40. Unknown author. "Death Anniversay of Utkal Gaurab Madhusudan Das" (PDF). Odisha Government. મૂળ (PDF) માંથી 2014-09-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩.
  41. Samal, Joy K. and Nayak, Pradip Kumar (૧૯૯૬). Makers of Modern Orrissa. પૃષ્ઠ 48.CS1 maint: multiple names: authors list (link)
  42. Padhy, K.S. (૨૦૧૧). Indian Political Thought. PHI Learning Private Ltd. પૃષ્ઠ 287.
  43. ૪૩.૦ ૪૩.૧ ૪૩.૨ ૪૩.૩ "Geography of Odisha". Know India. Government of India. મૂળ માંથી 2015-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૩ ફેબ્રુઆરી ૨૦૧૫.
  44. Socio-economic Profile of Rural India (series II).: Eastern India (Orissa, Jharkhand, West Bengal, Bihar and Uttar Pradesh). Concept Publishing Company. ૨૦૧૧. પૃષ્ઠ 73. ISBN 978-81-8069-723-4. મેળવેલ ૪ ફેબ્રુઆરી ૨૦૧૫.
  45. "Monthly mean maximum & minimum temperature and total rainfall based upon 1901-2000 data" (PDF). India Meteorological Department. મૂળ (PDF) માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૬ ફેબ્રુઆરી ૨૦૧૫.
  46. P.K. Dash; Santilata Sahoo; Subhasisa Bal (૨૦૦૮). "Ethnobotanical Studies on Orchids of Niyamgiri Hill Ranges, Orissa, India". Ethnobotanical Leaflets (12): 70–78.
  47. "Study shows Odisha forest cover shrinking". The Times of India. ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  48. Underutilized and Underexploited Horticultural Crops. New India Publishing. ૧ જાન્યુઆરી ૨૦૦૭. પૃષ્ઠ 116. ISBN 978-81-89422-60-8. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  49. "Orchid House a haven for nature lovers". The Telegraph (India). ૨૩ ઓગસ્ટ ૨૦૧૦. મૂળ માંથી 2015-02-05 પર સંગ્રહિત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  50. "Similipal Tiger Reserve". World Wide Fund for Nature, India. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  51. "Banished from their homes". The Pioneer (newspaper). ૨૯ ઓગસ્ટ ૨૦૧૨. મૂળ માંથી ૪ સપ્ટેમ્બર ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  52. "Away from home, Chandaka elephants face a wipeout". The New Indian Express. ૨૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ માંથી 2015-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-16.
  53. Sharad Singh Negi (૧ જાન્યુઆરી ૧૯૯૩). Biodiversity and Its Conservation in India. Indus Publishing. પૃષ્ઠ 242. ISBN 978-81-85182-88-9. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  54. Venkatesh Salagrama (૨૦૦૬). Trends in Poverty and Livelihoods in Coastal Fishing Communities of Orissa State, India. Food & Agriculture Org. પૃષ્ઠ 16–17. ISBN 978-92-5-105566-3. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  55. "Olive Ridley turtles begin mass nesting". ધ હિંદુ. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૪. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  56. "Mass nesting of Olive Ridleys begins at Rushikulya beach". ધ હિંદુ. ૧૫ માર્ચ ૨૦૦૪. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  57. "Bhitarkanika Park to be Closed for Crocodile Census". The New Indian Express. ૩ ડિસેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2015-02-05 પર સંગ્રહિત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  58. "Bird Count Rises in Bhitarkanika". The New Indian Express. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪. મૂળ માંથી 2015-02-05 પર સંગ્રહિત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  59. "Concern over dwindling horseshoe crab population". ધ હિંદુ. ૮ ડિસેમ્બર ૨૦૧૩. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  60. Pushpendra K. Agarwal; Vijay P. Singh (૧૬ મે ૨૦૦૭). Hydrology and Water Resources of India. Springer Science & Business Media. પૃષ્ઠ 984. ISBN 978-1-4020-5180-7. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  61. "Number of birds visiting Chilika falls but new species found". ધ હિંદુ. ૯ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  62. "Chilika registers sharp drop in winged visitors". ધ હિંદુ. ૧૩ જાન્યુઆરી ૨૦૧૪. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  63. "Two new species of migratory birds sighted in Chilika Lake". ધ હિંદુ. ૮ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  64. "Dolphin population on rise in Chilika Lake". ધ હિંદુ. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૦. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  65. "Maiden Dolphin Census in State's Multiple Places on Cards". The New Indian Express. ૨૦ જાન્યુઆરી ૨૦૧૫. મૂળ માંથી 2015-01-23 પર સંગ્રહિત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  66. Chandan Sengupta; Stuart Corbridge (૨૮ ઓક્ટોબર ૨૦૧૩). Democracy, Development and Decentralisation in India: Continuing Debates. Routledge. પૃષ્ઠ 8. ISBN 978-1-136-19848-9. મેળવેલ 1૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  67. ૬૭.૦ ૬૭.૧ Ada W. Finifter. Political Science. FK Publications. પૃષ્ઠ 94. ISBN 978-81-89597-13-9. મૂળ માંથી 2016-01-05 પર સંગ્રહિત. મેળવેલ 1૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  68. "Our Parliament" (PDF). લોક સભા. Government of India. મૂળ (PDF) માંથી 2015-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૫.
  69. "Frequently Asked Questions About Rajya Sabha". રાજ્ય સભા. મૂળ માંથી 2016-12-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫.
  70. "BJD's landslide victory in Odisha, wins 20 of 21 Lok Sabha seats". IBNLive. ૧૭ મે ૨૦૧૪. મૂળ માંથી 2014-09-08 પર સંગ્રહિત. મેળવેલ 18 March 2015.
  71. ૭૧.૦ ૭૧.૧ Rajesh Kumar. Universal's Guide to the Constitution of India. Universal Law Publishing. પૃષ્ઠ 107–110. ISBN 978-93-5035-011-9. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૫.
  72. Ramesh Kumar Arora; Rajni Goyal (૧૯૯૫). Indian Public Administration: Institutions and Issues. New Age International. પૃષ્ઠ 205–207. ISBN 978-81-7328-068-9. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૫.
  73. Subhash Shukla (૨૦૦૮). Issues in Indian Polity. Anamika Pub. & distributors. પૃષ્ઠ 99. ISBN 978-81-7975-217-3. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૫.
  74. ૭૪.૦ ૭૪.૧ "Administrative Unit". Revenue & Disaster Management Department, Government of Odisha. મૂળ માંથી 2015-11-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૫.
  75. ૭૫.૦ ૭૫.૧ ૭૫.૨ "About Department". Revenue & Disaster Management Department, Government of Odisha. મૂળ માંથી 2015-11-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૫.
  76. Laxmikanth. Governance In India. McGraw-Hill Education (India) Pvt Limited. પૃષ્ઠ 6–17. ISBN 978-0-07-107466-7. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૫.
  77. Siuli Sarkar (૯ નવેમ્બર ૨૦૦૯). Public Administration in India. PHI Learning Pvt. Ltd. પૃષ્ઠ 117. ISBN 978-81-203-3979-8. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૫.
  78. Public Administration Dictionary. Tata McGraw Hill Education. ૨૦૧૨. પૃષ્ઠ 263. ISBN 978-1-259-00382-0. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૫.
  79. "GDP growth: Most states grew faster than national rate in 2012-13". The Financial Express. ૧૨ ડિસેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2013-12-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  80. "Indian states that attracted highest FDI". Rediff. ૨૯ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૪.
  81. "Rourkela Steel Plant". Sail.co.in. મૂળ માંથી 2012-05-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૨.
  82. "Ten-year roadmap for State's civil aviation". dailypioneer.com. ૨૦૧૨. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૨. at present there are 17 airstrips and 16 helipads in Odisha,
  83. "10-year roadmap set up to boost Odisha civil aviation". odishanow.in. ૨૦૧૨. મૂળ માંથી 2014-10-15 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૨. Odisha has 17 airstrips and 16 helipads.
  84. "Odisha initiate steps for intra and inter state aviation facilities". news.webindia123.com. ૨૦૧૨. મૂળ માંથી 2015-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૨. Odisha has 17 airstrips and 16 helipads
  85. "Odisha plans five new airports". The Hindu Business Line. ૧૪ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
  86. Mahapatra, B. P. (૨૦૦૨). Linguistic Survey of India: Orissa (PDF). Kolkata, India: Language Division, Office of the Registrar General. પૃષ્ઠ 14. મેળવેલ 20 February 2014.
  87. "Population by religion community - 2011". Census of India, 2011. The Registrar General & Census Commissioner, India. મૂળ માંથી 25 August 2015 પર સંગ્રહિત.
  88. ૮૮.૦ ૮૮.૧ "Census of India – Socio-cultural aspects". Government of India, Ministry of Home Affairs. મેળવેલ 2011-03-02. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  89. P. 63 Case studies on human rights and fundamental freedoms: a world survey, Volume 4 By Willem Adriaan Veenhoven
  90. P. 77 Encyclopedia Americana, Volume 30 By Scholastic Library Publishing
  91. Madhusudan Rao By Jatindra Mohan Mohanty, Sahitya Akademi
  92. Kalinga Foundation Trust, http://www.kalingafoundationtrust.com/
  93. National Association on Indian Affairs; American Association on Indian Affairs (૧૯૪૯). Indian Affairs. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૨.
  94. S.P. Sharma; Seema Gupta (૩ ઓક્ટોબર ૨૦૦૬). Fairs & Festivals of India. Pustak Mahal. પૃષ્ઠ 103–. ISBN 978-81-223-0951-5. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૨.
  95. [૧]. rediff.com (2011-11-16). Retrieved on 2013-10-20.
  96. Aarini, Riya (૧૯ ઓક્ટોબર ૨૦૧૦). "Chicago Indian dessert review: Rasgulla-an Indian dessert well worth your time". Chicago Examiner. Missing or empty |url= (મદદ)
  97. Kolkata on Wheels સંગ્રહિત ૨૦૧૪-૦૭-૧૪ ના રોજ વેબેક મશિન. Sweet Sensation, March 2013 issue. Retrieved on 2013-29-04.
  98. "Chhenapoda". Simply TADKA. મેળવેલ 9 January 2015.
  99. "Odissi Kala Kendra". odissi.itgo.com. મૂળ સંગ્રહિત માંથી 2010-12-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જુલાઈ ૨૦૧૦. Check date values in: |access-date= (મદદ)
  100. Norenzayan, Ara (૨૫ ઓગસ્ટ ૨૦૧૩). Big Gods: How Religion Transformed Cooperation and Conflict. Princeton University Press. પૃષ્ઠ 55–56. ISBN 978-1-4008-4832-4. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.
  101. "MTN 82:9–10 Olive ridley tagged in Odisha recovered in the coastal waters of eastern Sri Lanka". Seaturtle.org. મૂળ સંગ્રહિત માંથી 2010-12-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જુલાઇ ૨૦૧૦.
  102. "Orissa's new name is Odisha". The Times of India. ૨૪ માર્ચ ૨૦૧૧.