આદિવાસી

વિકિપીડિયામાંથી
ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં
૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે.[૧] વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.

ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,વારલી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

સામાજિક વ્યવસ્થા[ફેરફાર કરો]

આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.

ભાષા તથા વ્યાકરણ[ફેરફાર કરો]

આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.

આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી,ધોડીયા બોલી, ચૌધરી બોલી,રાઠવી,તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.

પારંપરિક તહેવારો[ફેરફાર કરો]

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.

હોળી[ફેરફાર કરો]

હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.

ઉંદરીયો દેવ[ફેરફાર કરો]

ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.

પોહોતિયો[ફેરફાર કરો]

જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.

નંદુરો દેવ[ફેરફાર કરો]

આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.

આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.

વાઘ દેવ[ફેરફાર કરો]

આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.

ચૌરી અમાસ[ફેરફાર કરો]

વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

દિવાસો[ફેરફાર કરો]

ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.

પારંપરિક દેવી-દેવતાઓ[ફેરફાર કરો]

દેવમોગરા માતા[ફેરફાર કરો]

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, [૨]જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે

પાંડોર દેવી[ફેરફાર કરો]

આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.

ઇંદલા દેવી[ફેરફાર કરો]

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જંગલમાં ઇંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.

નોકટી દેવી[ફેરફાર કરો]

રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.

કંસરી માતા[ફેરફાર કરો]

કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.

દેવલીમાડી[ફેરફાર કરો]

દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.

ભવાની માતા[ફેરફાર કરો]

ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.
  2. "નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે". newsonair.com. મૂળ માંથી 2020-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-22.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]