વીરુ પુરોહિત

વિકિપીડિયામાંથી

વીરુ પુરોહિત, સંપૂર્ણ નામ વીરેન્દ્રરાય વૃજલાલ પુરોહિત એ ભારત, ગુજરાતના એક ગુજરાતી કવિ અને નાટ્ય લેખક છે.

જીવન[ફેરફાર કરો]

વીરુ પુરોહિતનો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૫૦ના દિવસે સૌરાષ્ટ્ર રાજ્ય (હાલ ગુજરાત)ના ભાયાવદર ગામમાં થયો હતો. તેમણે ૧૯૬૬ માં માધ્યમિક શાળા પ્રમાણપત્ર (એસ.એસ.સી)નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તેમણે ૧૯૭૨ માં બી.એ., ૧૯૭૫ માં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૨૦૦૨માં કાવ્યનો સામાજિક ધર્મ વિષય પર મહાનિંબંધ લખી તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૭૫માં તેઓ મુકુંદ આયર્ન અને સ્ટીલ વર્ક્સ, મુંબઈના સેલ્સ વિભાગમાં જોડાયા. ૧૯૮૧ થી ૧૯૯૦ દરમિયાન તેમણે ગુજરાતની અનેક કૉલેજોમાં ગુજરાતીના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૯૦થી તેઓ જુનાગઢની ડૉ. સુભાષ મહિલા આર્ટસ્ કૉલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે કામ કરે છે.[૧][૨]

તેમણે ૧૯૭૯ માં લગ્ન કર્યા પરંતુ પાછળથી તેઓ પત્નીથી છૂટા થઈ ગયા.[૨]

રચનાઓ[ફેરફાર કરો]

વંશ થાકી વહાવેલી (૧૯૮૨) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો જેમાં ૧૯૬૮ થી ૧૯૭૫ની વચ્ચે લખાયેલા ૫૧ ગીતો, ૧૭ ગઝલો અને ૯ છાંદસ કવિતાઓ સમાવવામાં આવી છે. અગિયારમી દિશા (૨૦૦૦) કાવ્ય સંગ્રહમાં ૬૮ ગીતો અને ૪૦ ગઝલનો સમાવેશ કરવામાં આવ્યો છે.[૧] છલના વગર એ તેમનો અન્ય એક કાવ્યસંગ્રહ છે. અતિક્રમણ (૨૦૧૨)એ તેમની નવલકથા છે.[૨]

તેમણે પૂરુ અને પૌષ્ટી (૨૦૦૧) નામનું એક દ્વી-અંકી નાટક લખ્યું છે. તેમનો પીએચ.ડી. મહાનિંબંધ કાવ્યનો સામાજિક ધર્મ (૨૦૦૩) એ એક વિવેચન કૃતિ છે.[૧] [૨]

સન્માન અને પુરસ્કાર[ફેરફાર કરો]

પૂરુ અને પૌષ્ટી (૨૦૦૧)ને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગિરા ગુર્જરી, મુંબઇ તરફથી ઇનામ મળ્યું હતું. અગિયારમી દિશા (૨૦૦૨)ને જયંત પાઠક કવિતા પુરસ્કાર એનાયત કરાવામાં આવ્યો હતો.[૧][૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાશ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૨૯–૧૩૦. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ શર્મા, રાધેશ્યામ (2016). સાક્ષરોનો સાક્ષાતકાર. ૨૩. અમદાવાદ: રન્માદે પ્રકાશન. પૃષ્ઠ ૭૫–૭૯.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]