વેજલપુર (તા. કાલોલ)

વિકિપીડિયામાંથી


વેજલપુર
—  ગામ  —
વેજલપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°36′36″N 73°27′46″E / 22.60993°N 73.46264°E / 22.60993; 73.46264
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો કાલોલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

વેજલપુર (તા.કાલોલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. વેજલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવેર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામમાં સવાસોથી પણ વધારે વર્ષોથી મેવાડા બ્રાહ્મણો વસવાટ કરે છે આ બ્રાહ્મણોના ઇષ્ટદેવ એકલિંગજીનું મંદિર તથા કુળદેવી કાત્યાયની માતાનું મંદિર એકબીજાની નજીકમાં જ આવેલાં છે. અહીં કાત્યાયની દેવીની કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી, ચાર ભુજાઓવાળી આકર્ષક પુરાણી મુર્તિ આવેલી છે. હાલમાં આ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ કરી તેમાં ચાંદીનું અત્યંત આકર્ષક સ્મૃતિદ્વાર પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામના ગોધરા રોડ ખેડા વિસ્તારમાં વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જેની નજીકમાં પૌરાણૈક વાવ પણ આવેલી છે. વેજલપુર ગામનું નામ પણ આ વૈજનાથ મહાદેવના નામ પરથી જ પાડવામાં આવેલ છે. થોડા વખત પહેલાં જ બંધાયેલું સ્વામિનારાયણ મંદિર પણ અહીં બાજુમાં જ છે. આ ઉપરાંત આ ગામમાં પ્રાચીન જૈન દેરાસર અને ઉપાશ્રય આવેલાં છે, જ્યારે બાજુમાં આવેલા પારોલી ખાતે જૈન દેરાસર અને ધર્મશાળા પણ આવેલાં છે, જેની સાથે પૌરાણિક લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે. આ ઉપરાંત પારોલી ખાતે રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર પણ આવેલું છે.

આ ગામથી ૩ કિલોમીટર જેટલા અંતરે વડોદરાથી ગોધરા વચ્ચે પસાર થતી બ્રોડગેજ રેલ્વે લાઇન પર ખારાસલિયા રેલ્વે સ્ટેશન આવેલું છે. અહીં ધર્મેશ્વર મહાદેવનું મંદિર, રામજી મંદિર તથા અંબા માતાનું મંદિર પણ આવેલાં છે.

વર્તમાન સમયમાં આ ગામમાં નવી પોલિસ ચોકી ચાલુ કરવામાં આવેલ છે, જેના કાર્યક્ષેત્રમાં આસપાસના ગામો પણ સમાવેશ થાય છે.