ચંદ્રકાન્ત મહેતા
ચંદ્રકાન્ત હરિશંકર મહેતા (ઉપનામ: શશિન્) (જન્મ: ૬ ઓગસ્ટ ૧૯૩૯) ગુજરાતી કવિ, વાર્તાકાર, સંપાદક અને પત્રકાર છે.
જીવન
[ફેરફાર કરો]ચંદ્રકાન્ત મહેતાનો જન્મ ૬ ઑગસ્ટ ૧૯૩૯ રોજ અમદાવાદ જિલ્લાના સરખેજમાં થયો હતો. ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર. તેમનું મૂળ વતન સરોડા છે. એમના પિતા હરિશંકર મહેતા આખ્યાનકાર અને હિંદુ ધર્મના અભ્યાસી હતા. એમની માતાનું નામ મણિબહેન. એમણે શિક્ષણ સરોડા તથા કેલિયાવાસણાની શાળાઓમાંથી લીધુ હતું. ત્યારબાદ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી હિંદી વિષયમાં એમ. એ., પીએચ.ડી. તથા કાયદાશાસ્ત્રમાં એલ.એલબી.ની ઉપાધીઓ મેળવી હતી. તેઓ નવગુજરાત કૉલેજમાં હિંદી વિષયના પ્રાધ્યાપક તેમજ કોલેજમાં મલ્ટિકૉર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના માનદ નિયામક નિમાયા હતા. તેઓએ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમમાં રીડર તેમજ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. પછીથી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ નિમાયા હતા. તેઓ અમદાવાદની સહજાનંદ કૉલેજના મલ્ટિકોર્સ વિભાગના નિયામક તરીકે રહ્યા હતા અને હીરામણિ વિદ્યાસંકુલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી.[૧] હાલમાં તેઓ નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક છે.
૧૯૬૬માં તેમણે મંજુલા સાથે લગ્ન કર્યા હતાં.[૨]
સર્જનકાર્ય
[ફેરફાર કરો]1973થી તેઓ સર્જનકાર્ય કરે છે. તેમણે સાહિત્યના વિવિધ સ્વરૂપો જેવા કે કાવ્ય, જીવનચરિત્ર, વાર્તા, બાળસાહિત્ય અને સવિશેષ ચિંતનાત્મક નિબંધોમાં સાહિત્યસર્જન કર્યું છે. તેમણે દૈનિક 'સંદેશ'ની 'હલ્લો યંગ ફ્રેન્ડ' અને ગુજરાત સમાચારની 'એક જ દે ચિનગારી', 'ગુફતેગો', 'પ્યારા-આકાશ', 'જિંદગીને ઝરૂખેથી', 'નારી તારાં નવલાં રૂપ', 'પંખી નીલગગનનાં', 'સ્વપ્નશિલ્પી' જેવા કટારલેખોના સંગ્રહો આપ્યા છે. સાથે સાથે તેમણે હિંદીમાં 'અનકહા દર્દ', 'કહાં રુકા હૈ કાફિલા', 'આસમાન મેં આ રહા હું' જેવાં પુસ્તકો લખ્યાં છે.[૧]
‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭), ‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.
‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે. આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે.[૩]
સન્માન
[ફેરફાર કરો]તેમને સંસ્કૃતિ પુરસ્કાર' (૧૯૯૨), રાજભાષા સમ્માન પુરસ્કાર (૧૯૯૬) અને સૌહાર્દ એવૉર્ડ (૧૯૯૯) વગેરેથી સન્માનીત કરવામાં આવ્યા છે.[૧] ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંચાલિત હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા તેમને વર્ષ ૨૦૦૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.[૪] તેમણે ૨૦૨૧નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 3 પરીખ, પ્રવીણચંદ્ર (૨૦૦૨). "મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર ('શશિન')". In ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ખંડ ૧૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૪૯૫. OCLC 248968453.
- ↑ લહેરી, પી. કે; ચૌધરી, રઘુવીર; દેસાઈ, કુમારપાળ, eds. (એપ્રિલ ૨૦૧૧). ડૉ. ચંદ્રકાન્ત મહેતા: એક પ્રગટ સારસ્વત (અભિનંદન-ગ્રંથ). અમદાવાદ: ડૉ. ચંદ્રકાન્ત મહેતા સન્માન સમિતિ. p. ૧૯૮. OCLC 780289172.
- ↑ ગાડીત, જયંત. "સવિશેષ પરિચય: ચંદ્રકાન્ત મહેતા". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૮ જૂન ૨૦૧૮.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Three Gujarati writers awarded". DeshGujarat. ૨૭ નવેમ્બર ૨૦૧૪. મેળવેલ ૨૬ જાન્યુઆરી 2021.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Keshubhai Patel among six Padma awardees from Gujarat". The Indian Express. ૨૬ જાન્યુઆરી 2021. મેળવેલ ૨૬ જાન્યુઆરી 2021.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)