નગીનદાસ પારેખ

વિકિપીડિયામાંથી
નગીનદાસ પારેખ
જન્મનગીનદાસ નારણદાસ પારેખ
(1903-08-08)8 August 1903
વલસાડ, ગુજરાત
મૃત્યુ19 January 1993(1993-01-19) (ઉંમર 89)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયસાહિત્યિક વિવેચક, સંપાદક, અનુવાદક
ભાષાગુજરાતી
માતૃ શિક્ષણ સંસ્થા
નોંધપાત્ર સર્જનો
  • અભિનવનો રસવિચાર અને બીજા લેખો (૧૯૬૯)
  • વીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧)
નોંધપાત્ર પુરસ્કારો
સંતાનો

નગીનદાસ પારેખ (જન્મ:૮ ઓગસ્ટ, ૧૯૦૩ અવસાન:૧૯ જાન્યુઆરી, ૧૯૯૩) ગુજરાતી સાહિત્યકાર હતા. તેમણે મુખ્યત્વે વિવેચક, સંપાદક તેમજ અનુવાદક તરીકે યોગદાન આપ્યુ હતુ. એમનો જન્મ તથા પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં આવેલાં વલસાડ શહેરમાં થયો હતો.

સવિશેષ પરિચય[ફેરફાર કરો]

પારેખ નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકીટ’ (૩૦-૮-૧૯૦૩) : વિવેચક, સંપાદક, અનુવાદક.તેમણે ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી હતી. તેમણે ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદારના હાથ નીચે બંગાળીનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં ગયા હતા. ત્યાં તેમણે ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ કર્યો હતો. ઉપરાંત તેઓએ ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.તેમણે ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી કરી હતી. પછી તેઓ ગૂજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક રહ્યા હતા.

આ ઉપરાંત તેમણે ૧૯૫૫ થી ૧૯૬૯ સુધી હ. કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યુ. ૧૯૭૦માં દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો.

એમના અભ્યાસલેખોનો સંગ્રહ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (૧૯૬૯) છે. એમના વિવેચનસંગ્રહ ‘વીક્ષા અને નિરીક્ષા’ (૧૯૮૧)માં ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઓબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ લેખોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની, તો અન્ય બે લેખોમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા થઈ છે. આ ઉપરાંત ‘પરિચય અને પરીક્ષા’ (૧૯૬૮), ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ (૧૯૬૯), ‘ક્રોચેનું ઈસ્થેટિક અને બીજા લેખો’ (૧૯૭૨) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથો છે. સ્પષ્ટ અને વિશદ નિરૂપણશક્તિનાં સુભગ દર્શન એમની વિવેચનામાં થાય છે.

એમની પાસેથી ‘નવલરામ’ (૧૯૬૧), ‘મહાદેવ દેસાઈ’ (૧૯૬૨), ‘પ્રેમાનંદ’ (૧૯૬૩), ‘ગાંધીજી’ (૧૯૬૪) જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો મળ્યાં છે. ‘સાત ચરિત્રો’ (૧૯૪૭)માં ચીનના તત્વજ્ઞાની કોન્ફ્યુશિયસ, સંગીતસમ્રાટ તાનસેન, ઉદ્યોગવીર દાદાભાઈ નવરોજ્જી વગેરેનાં લઘુચરિત્રો ગ્રંથસ્થ થયાં છે. ‘સત્તાવન’ (૧૯૩૮)માં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનું યથાર્થ ચિત્ર ઊપસ્યું છે. ‘અનુવાદની કળા’ (૧૯૫૮)માં એમણે અનુવાદ વિશે સૂક્ષ્મ વિચારણા કરી છે. ‘હિંદુસ્તાની વ્યાકરણ પ્રવેશ’ (૧૯૪૭) એમનું તદ વિષયક પુસ્તક છે. ‘ગુર્જર સાહિત્ય સરિતા’ (૧૯૬૨)માં એમણે મહાદેવ દેસાઈના પાંચ મહત્વપૂર્ણ વાચનમાળા (૧૯૪૯-૧૯૫૧), ‘વિશેષ વાચનમાળા’- પુ. ૫-૬-૭ (૧૯૫૨-૧૯૫૩), ‘વાર્તાલહરી’- ભા. ૧-૨ (૧૯૫૫), ‘સાહિત્ય પાઠાવલિ’- ભા. ૧-૨-૩ વગેરે સંપાદનો કર્યાં છે.

અનુવાદ તરીકેની એમની કામગીરી મહત્વપૂર્ણ છે. બંગાળી સાહિત્યનાં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકોના એમણે ગુજરાતી અનુવાદ કર્યો છે. રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિઓના ‘વિસર્જન’ (૧૯૩૨), ‘પૂજારિણી અને ડાકઘર’ (૧૯૩૨), ‘સ્વદેશી સમાજ’ (૧૯૩૪), ‘ઘરેબાહિરે’ (૧૯૩૫), ‘ચતુરંગ અને બે બહેનો’ (૧૯૩૬), ‘નૌકા ડૂબી’ (૧૯૩૮), ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો’ (૧૯૪૨), ‘પૂર્વ અને પશ્ચિમ’ (૧૯૪૨), ‘વિશ્વપરિચય’ (૧૯૪૪), ‘લક્ષ્મીની પરીક્ષા’ (૧૯૪૭), ‘પંચભૂત’ (૧૯૪૭), ‘સતી’ (૧૯૪૭) વગેરે અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપરાંત, અન્યના સહયોગમાં એમણે રવીન્દ્રનાથનાં અન્ય પુસ્તકોના ‘ચારિત્ર્યપૂજા’ (૧૯૫૦), ‘એકોત્તરશતી’ (૧૯૬૩), ‘રવીન્દ્ર નિબંધમાળા’-૧ (૧૯૬૩), ‘રવીન્દ્રનાથનાં નાટકો’-૧ (૧૯૬૩) વગેરે અનુવાદો આપ્યા છે. એ જ રીતે શરદબાબુની કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ એમણે કર્યા છેઃ ‘પલ્લીસમાજ’ (૧૯૩૩), ‘ચંદ્રનાથ’ (૧૯૩૩), ‘પરિણીતા’ (૧૯૩૧) વગેરે. આ ઉપરાંત બંગાળીમાંથી એમણે કરેલ અન્ય અનુવાદોમાં વિશેષ નોંધપાત્ર છેઃ દિલીપકુમાર રૉયકૃત ‘તીર્થસલિલ’ (૧૯૪૨), સુરેન્દ્રનાથ દાસગુપ્તકૃત ‘કાવ્યવિચાર’ (૧૯૪૪), અતુલચંદ્ર ગુપ્તકૃત ‘કાવ્ય-જિજ્ઞાસા’ (૧૯૬૦), મૈત્રેયીદેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે’ (૧૯૭૮), જરાસંધની નવલ ‘લૌહ કુમાર’નો અનુવાદ ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ (૧૯૬૪), ‘ન્યાયદંડ’ (૧૯૬૬) ઇત્યાદિ. રવીન્દ્રસાહિત્યના અભ્યાસી અબૂ સઈદ ઐયૂબના બે વિવેચનગ્રંથોના અનુવાદ પણ એમણે કર્યા છેઃ ‘કાવ્યમાં આધુનિકતા’ અને ‘પાન્થજનના સખા’ (૧૯૭૭). બંગાળીમાંથી સીધા થયેલા આ અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. અલબત્ત, ગદ્યાનુવાદમાં એમને જે સફળતા મળી છે તે પદ્યાનુવાદમાં મળી નથી.

એમણે કેટલાક ઉપયોગી અંગ્રેજી ગ્રંથોના પણ અનુવાદો આપ્યા છે : રાધાકૃષ્ણનકૃત ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ’ (૧૯૩૯), જવાહરલાલ નહેરુકૃત ‘રાષ્ટ્રભાષાનો સવાલ’ (૧૯૪૯), એવરક્રોમ્બીના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો’ (૧૯૫૭), વર્સફોલ્ડના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક’ (૧૯૫૮). યુરોપની ઉત્તમ ગણાતી ત્રણ દીર્ઘ નવલિકાઓનો અનુવાદ ‘નિઃસંતાન’ (૧૯૪૨), બાઈબલના ‘નવા કરાર’નો અનુવાદ ‘શુભ સંદેશ’ (૧૯૬૫), જે.સી. કુમારપ્પાના પુસ્તકનો અનુવાદ ‘ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ’ (૧૯૪૫). ‘વામા’ (૧૯૪૭) નવે નામે ને ચાર નવી વાર્તાઓના ઉમેરણ અને એકની બાદબાકી સાથે પ્રગટ થયેલ ‘ચુંબન અને બીજી વાતો’ની બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાંથી થયેલા અનુવાદો પણ વફાદાર અને શ્રદ્ધેય છે.

એમણે સંસ્કૃત ગ્રંથોના અનુવાદો પણ આપ્યા છે. એમાં ‘ધ્વન્યાલોક : આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ (૧૯૮૫) ઉલ્લેખનીય છે. અનુવાદની સાથે વિસ્તૃત ટિપ્પણ પણ આપ્યું હોઈ મૂળ ગ્રંથના બધા મુદ્દા સ્પષ્ટ થાય છે. કુન્તકના ગ્રંથ ‘વક્રોક્તિજીવિત’નો અનુવાદ પણ એમણે કર્યો છે. ‘મમ્મટનો કાવ્યવિચાર’ (૧૯૮૭) એ એમનું સટિપ્પણ અનુવાદપુસ્તક છે. આ સર્વ અનુવાદો દ્વારા એમણે ભારતીય કાવ્યચાર્યોની વિચારણાને ગુજરાતીમાં સુલભ બનાવી છે.

અભિનવનો રસવિચાર અને બીજા લેખો (૧૯૬૯) : ભારતીય કાવ્યશાસ્ત્રને લગતા અભ્યાસલેખો ધરાવતો નગીનદાસ પારેખનો વિવેચનસંગ્રહ. ૧૬૨ પૃષ્ઠમાં વિસ્તરતો ‘અભિનવનો રસવિચાર’ એ આ સંગ્રહનો મૂર્ધન્ય લેખ છે. ‘વક્રોક્તિ અથવા કુંતકનો કાવ્યવિચાર’, ‘રમણીયતા : જગન્નાથનો કાવ્યવિચાર’ તથા ‘ક્ષેમેન્દ્રનો ઔચિત્યવિચાર’ પણ આ જ પ્રકારના વિવરણાત્મક લેખો છે. આ લેખોમાં લેખકે મૂળ ગ્રંથોમાં જે તે કાવ્યશાસ્ત્રીએ કરેલી વિચારણાની વિવરણપૂર્વક મીમાંસા કરી છે. ‘કાવ્યમાં અર્થ’ નામક લેખમાં સંસ્કૃત વ્યાકરણ, ન્યાય અને મીમાંસા દર્શનોમાં ‘અર્થ’ વિશે જે ચર્ચાઓ થઈ છે તેનો નિર્દેશ કરી લેખકે વિચારણા કરી છે. ‘રસાભાસ’ વિશેના પ્રથમ લેખમાં લેખકે મુખ્ય ગ્રંથોના આધારે કાવ્યમાં રસાભાસ શું છે એનું નિરૂપણ કર્યું છે તથા બીજા લેખમાં એની ખંડનમંડન રૂપ તાર્કિક ચર્ચા કરી છે. સંગ્રહના છેલ્લા લેખમાં લેખકે ગુજરાતીના મોટા ભાગના વિદ્વાનોએ નાટ્યાલંકાર ‘આખ્યાન’ને કાવ્યપ્રકાર સમજવામાં કરેલી ભૂલની વિગતવાર છણાવટ કરી વાસ્તવમાં એ કાવ્યપ્રકાર કેવો છે એ દર્શાવ્યું છે. આ લેખોમાં લેખકે મુખ્યત્વે જે તે વિષયનું વિવરણ અને આવશ્યકતા જણાઈ ત્યાં એને અંગે ઊહાપોહ કર્યો છે.

વીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચનસંગ્રહમાં નાનામોટા તેવીસ લેખો છે. ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ એ લેખોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની તથા અન્ય બે લેખોમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્વ, તથ્ય અને સત્ય સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારનોંધોમાં એમની સાહિત્યપદાર્થના બાહ્યભ્યંતર સ્વરૂપ વિશેની દ્રષ્ટિ જોવા મળે છે. વિખ્યાત બંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. ‘રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય’ નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને સાહિત્ય વિશેના પોતાના અભ્યાસનો આછો ખ્યાલ આપ્યો છે. રવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ અને ભર્તૃ હરિકૃત ‘નીતિશતક’ના આસ્વાદો; ઉમાશંકરકૃત ‘નિરીક્ષા’, અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ વિશેના અભ્યાસલેખો, ‘મોખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ વિશેનાં પરિશીલનલેખો તથા ‘આરોહણ’, ‘વધામણી’ વગેરે વિશેની ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની શક્તિ દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્વત્તા, રસદ્રષ્ટિ, ચોકસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]