પ્રબોધ પંડિત

વિકિપીડિયામાંથી
પ્રબોધ પંડિત
જન્મપ્રબોધ બેચરદાસ પંડિત
(1923-06-23)23 June 1923
વળા, ભાવનગર, ગુજરાત
મૃત્યુ28 November 1975(1975-11-28) (ઉંમર 52)
વ્યવસાયભાષાશાસ્ત્રી
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ. એ.
  • પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થા
નોંધપાત્ર સર્જનો
  • ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬)
નોંધપાત્ર પુરસ્કારો
સહી

પ્રબોધ બેચરદાસ પંડિત (૨૩ જૂન ૧૯૨૩ – ૨૮ નવેમ્બર ૧૯૭૫) ગુજરાતના ભાષાવિજ્ઞાની હતા.[૧] તેમણે ગુજરાતી ભાષામાં કુલ દસ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. આ ઉપરાંત વિવિધ સામયિકોમાં ઘણા સંશોધન પત્રો પણ પ્રકાશિત કર્યા હતા. તેમને ૧૯૬૭માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૭૩માં ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રના અભ્યાસમાં યોગદાન આપવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

જીવન[ફેરફાર કરો]

પંડિતનો જન્મ ૨૩ જૂન, ૧૯૨૩ના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના વળા ગામમાં થયો હતો. તેમણે અમદાવાદ અને અમરેલીની પ્રીતમનગર મ્યુનિસિપલ સ્કૂલ સહિત વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૯૩૯માં અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યું હતું. ૧૯૪૨ની ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવાને કારણે તેમને છ મહિનાની જેલ થઈ હતી આથી તેઓ શરૂઆતમાં સ્નાતક અભ્યાસ ચૂકી ગયા હતા. બાદમાં તેમણે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બેચલર ઓફ આર્ટ્સ પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ ૧૯૪૬માં ભારતીય વિદ્યા ભવન ખાતેથી સંસ્કૃત અને ભાષાશાસ્ત્રમાં માસ્ટર ઓફ આર્ટ્સ પ્રાપ્ત કર્યું હતું. પાછળથી, તેઓ લંડન ગયા અને સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા, જ્યાં તેમણે ભાષાશાસ્ત્રી રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ શડવાશ્યક-બલાવબોધવૃતિ પરના સંશોધન કાર્ય માટે ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. અહીં ભાષાશાસ્ત્રમાં તેમની રુચિએ તેમને જુલ્સ બ્લોચના સંપર્કમાં લાવ્યા, જેમણે તેમને વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી.[૨][૩]

ભારત પરત ફર્યા બાદ પંડિત અમદાવાદની એલ.ડી.આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. ૧૯૫૭માં તેમની ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્ર વિભાગમાં રીડર તરીકે બદલી થઈ. ૧૯૬૪થી ૧૯૬૫ સુધી તેમણે ડેક્કન કૉલેજ, પુણેમાં ભણાવ્યું. ૧૯૬૭માં તેઓ દિલ્હી ગયા અને દિલ્હી યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા જ્યાં તેઓ ૧૯૭૫ સુધી રહ્યા. આ સમય દરમિયાન તેમણે મિશિગન, નૈરોબી, બર્કલે અને કોર્નેલની સંબંધિત યુનિવર્સિટીઓ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે શિક્ષણ આપ્યું હતું.[૨][૩]

સર્જન[ફેરફાર કરો]

પંડિતને ભારતમાં ગુજરાતી ભાષાશાસ્ત્ર અને સામાજિક ભાષાકીય અભ્યાસના પ્રણેતાઓમાંના એક માનવામાં આવે છે.[૪]

ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાના ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂક્યો છે અને મૂલગામી દ્રષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં ભાષાવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પરિવર્તનો થતાં રહ્યાં અને છેલ્લાં દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીનો સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિથી લખાયેલા એમના લેખોનો ઘણો બધો ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છ ગ્રંથો મૂલ્યવાન છે.

‘પ્રાકૃત ભાષા’ (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનોનો સંચય છે. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના ‘મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મૌલિક પ્રદાન છે. ભાષાના સાંકેતોથી માંડી છેક બોલીનું સ્વરૂપ અને બોલીઓના ક્રમિક વિભાજન સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે આ પુસ્તક કીમતી છે. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩)માં નવા વિચારો અને નવા પ્રવાહો આવતાં ભાષાસંશોધનનો જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તતંત્રની વાગ્વિષયક ક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્નો અહીં પ્રસ્તુત કર્યા છે. ‘ષડાવશ્યકબાલાવબોધવૃત્તિ’ (૧૯૭૬) એમનો શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ (૧૯૭૮)માં ચોમ્સ્કી તેમ જ ફિલમોરનાં મૉડેલોને અનુલક્ષીને એમણે સંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. ‘પંચરંગી સમાજમાં ભાષા’ (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્ગ્વેજ ઇન એ પ્લુરલ સોસાયટીનો’ ગુજરાતી અનુવાદ છે.

ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬) : ડૉ. પ્રબોધ પંડિતનો કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલો ગુજરાતી ભાષાવિચાર અંગેનો વૈજ્ઞાનિક ગ્રંથ છે. ‘ભાષાના સંકેતો’ નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાની જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેતો ધ્વનિઓના બનેલા છે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ‘ઉચ્ચારણપ્રક્રિયા’ શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ ‘ધ્વનિઘટક’માં ધ્વનિઘટકના સંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. ચોથા પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસનો આ એક ઉત્તમ નમૂનો છે.

પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચાનાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદ્દશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણો સાથે કરવામાં આવી છે. ‘ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમા પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે મદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિષ્ઠ વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણો બોલીવિષયક ચર્ચાનાં છે. કોઈ પણ ભાષાસમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ સ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.

ભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિ સ્વરૂપની ચર્ચા કરેતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તદવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે.

પુરસ્કાર[ફેરફાર કરો]

તેમના પુસ્તક ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ એને ધ્વનિપરિવર્તનને ૧૯૬૭માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રના અભ્યાસમાં યોગદાન આપવા બદલ ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "P. B. Pandit". Central Institute of Indian Languages. મેળવેલ 21 January 2019. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Amaresh Datta; Mohan Lal (2007). Encyclopaedia of Indian Literature: Navaratri-Sarvasena (4th આવૃત્તિ). New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 3071. ISBN 978-81-260-1003-1.CS1 maint: ignored ISBN errors (link)
  3. ૩.૦ ૩.૧ "સવિશેષ પરિચય: પ્રબોધ પંડિત, ગુજરાતી સાહિત્ય પરિષદ". Gujarati Sahitya Parishad. મેળવેલ 2018-02-19.
  4. Uberoi, Patricia; Uberoi, J. P. S. (24 April 1976). "Towards a New Sociolinguistics: A Memoir of P B Pandit". Economic and Political Weekly. Mumbai. 11 (17): 637–643. ISSN 0012-9976. JSTOR 4364570.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]